Opinion Magazine
Number of visits: 9448715
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આને કહેવાય દેશપ્રેમ. રાફેલ સોદામાં રાતોરાત ગેમ થઈ ગઈ

રમેશ ઓઝા|Opinion - Opinion|13 August 2018

આ કોલમમાં મેં મેહુલ ચોકસી અને નીરવ મોદીને કઈ રીતે દેશની બહાર જવા દેવામાં આવ્યા અને કઈ રીતે તેઓ જગતના જવાબદાર અને સમૃદ્ધ દેશોમાં ફરીને ધંધો કરી રહ્યા છે એની વિગતો આપી હતી. બહાર આવેલી વિગતો એટલી જડબેસલાક છે કે હજુ સુધી સરકાર પક્ષે તેનો કોઈએ જવાબ આપ્યો નથી. જવાબ આપવાની જરૂર પણ શું છે જ્યારે તેઓ સ્વયંસિદ્ધ દેશપ્રેમીઓ હોય. જેઓ લોકોને દેશપ્રેમના અને દેશદ્રોહના સર્ટિફિકેટ આપતા હોય ત્યારે કોઈની મજાલ છે કે તેમની દેશભક્તિ વિષે કોઈ સવાલ કરે? એટલે તો દેશપ્રેમીઓની દેશભક્તિ વિશેની બીજી જડબાતોડ વિગતો પ્રકાશમાં આવી ત્યારે બે-ચાર અપવાદ છોડીને મીડિયાએ ચુપકીદી સેવી હતી.

ભ્રષ્ટાચાર તો કોંગ્રેસીઓ કરે દેશભક્તો ઓછા કરે? તેમના દેશપ્રેમ વિષે શંકા જ કરવાની ન હોય અને જો કોઈ શંકા કરે તો તેમને દેશદ્રોહીનું લેબલ ચોડી દેવાનું જે રીતે સામ્યવાદી દેશોમાં શાસકો સામે શંકા કરનારાઓને મૂડીવાદી દેશોના એજન્ટ અને સર્વહારાના દુશ્મન તરીકે ઓળખાવવામાં આવતા હતા અને સાઈબેરિયામાં ગાયબ થઈ જતા હતા.

હા તો જડબાતોડ વિગતો ડાસ્સો એવિયેશન નામની કંપની સાથે કરવામાં આવેલા રાફેલ લડાકુ વિમાનના સોદાની છે. બે દિવસ પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશવંત સિન્હા અને જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં દસ્તાવેજો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આવડું મોટું કૌભાંડ અને તેનાથી પણ વધારે અકળાવનારી ચુપકીદી. ભાગ્યે જ કોઈ મીડિયાએ તેની નોંધ લીધી હતી એટલે તમને તો આ ઘટનાની જાણ પણ નહીં થઈ હોય. મીડિયા અને ભક્તો દેશપ્રેમના યજ્ઞના સમિધા બની ગયા છે. પહેલાંને પૈસા મળે છે અને બીજાને મનગમતું સુખ. [આ પત્રકાર પરિષદનો ઉપલબ્ધ વીડિયો લેખને અંતે આપાયો છે. − વિ.ક.]

હવે સોદાની વિગતો તપાસીએ. ૨૦૦૬માં હવાઈ દળે સંરક્ષણ મંત્રાલયને કહ્યું હતું કે મીગ-૨૧ લડાકુ વિમાનો જૂનાં થઈ ગયાં છે એટલે મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમ.એમ.આર.સી.એ.)ની જરૂર છે. ૨૦૦૭માં ભારત સરકારે ૧૨૬ એમ.એમ.આર.સી.એ .ખરીદવા માટે ઇન્ટરનેશનલ  ટેન્ડર બહાર પાડ્યું હતું. કુલ સાત કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા, જેમાંથી લશ્કરી અધિકારીઓએ ફ્રેંચ કંપની ડાસ્સોના રાફેલ અને અમેરિકન ટાયફૂનને શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી વાટાઘાટો થઈ હતી અને છેવટે યુ.પી.એ. સરકારે રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય લીધો હતો. ભાવ પણ તેના બીજી કંપનીઓ કરતાં ઓછો હતો.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી યોજાઈ એના મહિના પહેલાં ૧૩મી માર્ચે ભારત સરકારની હિન્દુસ્તાન એરૉનેટિક લિમિટેડ (એચ.એ.એલ.) અને રાફેલ વિમાન બનાવનાર ડાસ્સો વચ્ચે ભાગીદારીનો કરાર થયો હતો. કરારમાં સમજૂતી એવી હતી કે ભારત સરકાર રાફેલના ૧૮ વિમાન ફ્લાય અવે કન્ડિશનમાં એટલે કે લશ્કર તાત્કાલિક ઉપયોગમાં લઈ શકે એ રીતે આપશે. ૧૨૬માંથી બાકીના ૧૦૮ વિમાનોનું ઉત્પાદન ભારતમાં થશે જેને માટે ડાસ્સો હિન્દુસ્તાન એરૉનોટિકને ટેકનોલોજીને વિમાન બનાવવાની ટેકનોલોજી આપશે. આ રીતે રાફેલ વિમાનોનું ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં એચ.એ.એલ. કરશે અને ૩૦ ટકા કામ ડાસ્સો કરશે. વાચકને જાણ હશે કે એચ.એ.એલ. ભારત સરકારની માલિકીની છે અને વિમાન બનાવવાનો ૬૦ વરસનો અનુભવ છે.

૨૦૧૪ના મેં મહિનામાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને છે અને અનેક સૂત્રોની માફક મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપે છે. અમને તમારી મૂડી, ટેકનોલોજી અને નફા સામે વાંધો નથી; ઉત્પાદન ભારતમાં કરો એ મેક ઇન ઇન્ડિયાનું તાત્પર્ય છે. એના દ્વારા રોજગારી મળશે, પૂર્જાઓની સપ્લાય કરનારાઓને ધંધો મળશે અને સરકારને કરવેરાની આવક થશે. હવે રાફેલ વિમાનોનું તો ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં થવાનું હતું અને ઉપરથી ટેકનોલોજી(નો હાઉ)નો લાભ મળવાનો હતો. માત્ર ૧૮ વિમાન ખરીદવાના અને ૧૦૮ ભારતમાં બનાવવાના.

યુ.પી.એ. સરકારે સોદાને આખરી સ્વરૂપ નહોતું આપ્યું, પરંતુ સોદાની સમજૂતી બની ગઈ હતી. પ્રારંભમાં અરુણ જેટલી સંરક્ષણ પ્રધાન હતા અને તેમણે ક્યારે ય નહોતું કહ્યું કે રાફેલ સોદાની સમજૂતી વિષે ફેરવિચાર કરવામાં આવશે. એ પછી નવેમ્બર ૨૦૧૪માં મનોહર પર્રીકરને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેમણે પણ ક્યારે ય નહોતું કહ્યું કે રાફેલ સોદા વિષે પુનર્વિચાર કરવાની જરૂર છે. બધું જ બરોબર ચાલતું હતું અને ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ વડા પ્રધાનની ફ્રાંસની મુલાકાતની તૈયારી ચાલી રહી હતી.

૨૫મી માર્ચે ડાસ્સો કંપનીના સી.ઈ.ઓ.એ અંતિમ સોદાની તૈયારી વિષે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમની એચ.એ.એલ.ના અધ્યક્ષ સાથેની વાતચીત સફળ રહી હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને સમજૂતીની વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે. તેમના શબ્દોમાં: ‘હું કેટલો ખુશ છું એની કલ્પના તમે કરી શકો છો. ડાસ્સો અને એચ.એ.એલ.ની જવાબદારીઓની ભાગીદારી (ટેકનોલોજી આપવાની અને ૭૦ ટકા ઉત્પાદન એચ.એ.એલ. ભારતમાં કરશે)ની બાબતમાં અમે પ્રતિબદ્ધ છીએ. મને હવે ખાતરી છે કે બહુ જલદી સોદા પર હસ્તાક્ષર થવાના છે અને એ વાતે હું ઉત્સાહિત છું.’ આ નિવેદન વડા પ્રધાન ફ્રાંસ જાય એના ૧૬ દિવસ પહેલાનું છે.

વડા પ્રધાન ફ્રાંસ જવાના હતા એના એક અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશ સચિવ શું કહે છે જુઓ: ના ના, તેમણે સૂર બદલ્યો હતો એવા અનુમાન પર તમે પહોંચ્યા હો તો તમે ભૂલ કરો છો. તેમણે પણ એ જ વાત કરી હતી જે ડાસ્સોના સી.ઈ.ઓ.એ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાફેલ વિમાન બનાવનારી ફ્રેંચ કંપની, દેશનું સંરક્ષણ મંત્રાલય અને હિન્દુસ્તાન એરૉનેટિક લિમિટેડ સોદાને આખરી ઓપ આપી રહ્યા છે. આ ભારતના વિદેશ સચિવનું નિવેદન છે.

૧૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ વડા પ્રધાન ફ્રાંસ જાય છે અને રાફેલના કરવામાં આવેલા સોદામાંથી હિન્દુસ્તાન એરૉનેટિક કંપની ગાયબ થઈ જાય છે. જે કંપની ભારત સરકારની માલિકીની છે અને ૬૦ વરસથી વિમાનો બનાવવાનો અનુભવ ધરાવે છે એ સોદામાંથી સાવ ગાયબ થઈ જાય છે. અચાનક. કોઈ ખુલાસા વિના. નવા સોદા મુજબ ભારત સરકાર ૩૬ વિમાનો રેડી ટુ ફ્લાયની કન્ડિશનમાં ખરીદશે. કેટલા રૂપિયામાં? યુ.પી.એ. સરકારે ઠરાવેલા ભાવ કરતાં બમણી કિંમતે. વડા પ્રધાન ૧૦મી એપ્રિલે ફ્રાંસ હતા અને ૧૩મી એપ્રિલે એ સમયના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રીકરે દૂરદર્શનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ૧૨૬ વિમાનો ખરીદવાનો સોદો ૯૦ હજાર કરોડ રૂપિયાનો હશે.

ખેલની ચરમસીમા હવે આવે છે. રિલાયન્સ ડિફેન્સ (મૂળ નામ પીપાવાવ શિપયાર્ડ લિમિટેડ, એ પછી નામ બદલીને પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ કંપની લિમિટેડ, એ પછી નામ બદલીને રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ અને હવે તાજું નામ રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ)ના અધ્યક્ષ અનીલ અંબાણી પાછળ પાછળ ફ્રાંસ જાય છે અને રાફેલ વિમાન બનાવવા માટે જોઈન્ટ વેન્ચર કંપનીની રચના કરે છે. કાગળ પર રચના કરે છે, સ્થાપના તો થાય ત્યારે. રિલાયન્સને વિમાન બનાવવાનો શૂન્ય અનુભવ છે. જેમ મોટાભાઈની જીઓ યુનિવર્સિટીને તેની સ્થાપના થાય એ પહેલાં એક્સ્લન્સીનો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો એમ નાનાભાઈને કંપની સ્થપાય એ પહેલાં ભારત સરકાર માટે વિદેશી કંપની સાથે મળીને વિમાન બનાવવાનો સોદો આપી દીધો.

કેવો ધગધગતો દેશપ્રેમ! રાષ્ટ્રવાદ હો તો આવો હજો! મેક ઇન ઈન્ડિયા માટે કેવી પ્રતિબદ્ધતા. સરકારના વડા તરીકે પોતાની માલિકીની કંપની માટે કેવો અનુરાગ! હવે જ્યારે સવાલ ઊઠાવવામાં આવે છે ત્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન્‌ કહે છે કે ફ્રાંસ સરકાર સાથેનો ગુપ્તતાનો ક્લોઝ વચ્ચે આવે છે, એટલે સરકાર વિગતો જાહેર કરી શકતી નથી. ગુપ્તતા? ચૂંટણી પહેલાં તો પારદર્શકતાની વાતો કરવામાં આવતી હતી, તો આ ગુપ્તતા ક્યાંથી આવી? શા માટે સામે ચાલીને કાંડાં કાપી આપ્યાં? દેશદ્રોહી અને ભ્રષ્ટ યુ.પી.એ.ના શાસકોએ તો કાંડાં કાપીને નહોતા આપ્યાં તો દેશભક્તોને એની શી જરૂર પડી?

દેશભક્તિ એક અમલ છે જે બેવકૂફ ભક્તોને કેફમાં રાખે છે. જો સુરતમાં હો તો આટલા સવાલ પૂછી જુઓ:

એક. યુ.પી.એ. સરકારે કરેલી સમજૂતી ખામીવાળી છે એમ નરેન્દ્ર મોદીની સરકારના સંરક્ષણ પ્રધાને, સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિએ, લશ્કરી અધિકારીઓએ, સુરક્ષા નિષ્ણાતોએ કે બીજા કોઈએ કહ્યું હતું ખરું?

બે. હિન્દુસ્તાન એરૉનોટિક વિમાનો બનાવવાની ક્ષમતા નથી ધરાવતી એવો ઊહાપોહ કોઈએ કર્યો હતો ખરો?

ત્રણ. મનોહર પર્રીકરે સોદાની કિંમત ૯૦ હજાર કરોડ રૂપિયા બતાવી છે એ વિષે ખુલાસો કેમ કરવામાં નથી આવતો? કમસેકમ રદિયો તો આપો? આનો અર્થે થયો કે દેશના સંરક્ષણ પ્રધાનને સુધ્ધા રિલાયન્સના થઈ રહેલા પ્રવેશની જાણ નહોતી.

ચાર. રિલાયન્સે બહુ અદ્ભુત ટેકનોલોજી હાંસિલ કરી છે અને તે ડિફેન્સ પ્રોડક્શનમાં ક્રાંતિ કરવાની છે એવું કોઈએ કહ્યું છે ખરું? અહીં તો એવું પણ નથી.

પાંચ. જો જો હિન્દુસ્તાન એરૉનોટિકને હટાવી દેવાની હતી તો તેના અધ્યક્ષ વડા પ્રધાન ફ્રાંસ ગયા એના પખવાડિયા પહેલા સુધી ડાસ્સો વાતચીત શા માટે કરતા હતા? શું તેમને પણ અંધારામાં રાખ્યા હતા?

છ. વડા પ્રધાન ફ્રાંસ ગયા એના અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશ સચિવ એચ.એ.એલ.નો ઉલ્લેખ કરે છે. ભારતના વિદેશ સચિવને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા?

સાત. હવે કહો તો ખરા કે ભારતને ચોક્કસ શું ભાવે વિમાનો પડવાના છે?

આને ગેમ કરી નાખી કહેવાય. તમે આ નહોતા જાણતા ને?

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉગસ્ટ 2018

Press conference by Swaraj Abhiyan National President Prashant Bhushan, Yashwant Sinha & Arun Shourie on the biggest defence Scam of our Country i.e. "BJP's Bofors" #Rafale.,

https://www.youtube.com/watch?v=3pYnDNSadq8

Loading

13 August 2018 admin
← માણસ અભડાતો ન હોય તો ભગવાન શાના અભડાય?
વી.એસ. નાયપૉલ સતત ઊહાપોહના માણસ હતા. અભાવને, શંકાને સવાલ નહીં કરનારી નપુંસકતાને પરંપરાનો કે સંસ્કૃિતનો અંચળો કેમ ઓઢાડી શકાય? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved