Opinion Magazine
Number of visits: 9450786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખો જન્મારો તને આંખ્યુંમાં રાખું, મને વ્હાલું લાગે છે તારું મુખ

રમજાન હસણિયા|Opinion - Opinion|4 September 2024

અરુણભાઈ ભટ્ટ સંગાથે રમજાનભાઈ હસણિયા

આજે સાંજે ચાલવા ગયા ત્યાં મિત્ર રામે સમાચાર આપ્યા કે અરુણભાઈ ભટ્ટે વિદાય લીધી. હું એકાદ ક્ષણ ધબકારો ચૂકી ગયો ! ધરતી પરથી કોઈ ઓલિયો ફકીર જતો રહ્યો હોય ને ધરા વામણી બની ગઈ હોય એવું અનુભવ્યું.  અરુણભાઈના નિકટના સ્વજનોની યાદીમાં હું ક્યાં ય ન આવું ને છતાં એ મારાં સૌથી નજીકના સ્વજનોમાં આવે. આમ તો સાધુને સૌ પોતાના હોય એ ન્યાયે જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે જાણે પૂરવ ભવના સંગાથી હોઈએ તેવું અનુભવ્યું છે.

અરુણભાઈને બિલકુલ ન્હોતો ઓળખતો ત્યારે પહેલી વાર સાંઈ મકરંદની ભૂમિમાં એક વ્યાખ્યાન નિમિત્તે જવાનું થયેલું. હું પ્રિય કવિની ભૂમિના કણકણને સંવેદતો ફરી રહ્યો હતો ને ત્યાં સામે એવું કોઈક આવી ગયું કે જેમના ચરણમાં સહજ ઝુકાઈ ગયું. મને અંગતભાવે વિનોબાનું ઘેલું આકર્ષણ છે. એમને પ્રત્યક્ષ ન જોયાનો રંજ મનમાં ઘણીવાર અનુભવાતો. એ રંજ ઓગળી ગયો જ્યારે મેં પહેલી વાર અરુણભાઈને જોયા. અરુણભાઈ તો દેખાવે ને સ્વભાવે વિનોબા જ લાગે ! એમણે વિનોબાને કેટલા ચાહ્યા હશે કે સ્વયં વિનોબારૂપ બની ગયા !  કોઈને અતિશયોક્તિ લાગી શકે પણ હું તો મારો અનુભવ કહું છું. બીજાનો જુદો હોઈ શકે. એમની નિકટના સૌ જાણે કે તેઓ કોઈને પગે લાગવા ન દે. મને એમણે પગે લાગતા રોક્યો નહિ. કેમ જાણે મારાથી સહજભાવે કહેવાઈ ગયું કે હું તમને નહિ વિનોબાને પગે લાગું છું. એમણે મંદ સ્મિત કર્યું.  મરકતાં મરકતાં જાણે કહી રહ્યા હતા કે, ‘હું જાણું છું.’ અમારો એ એટલો જ સંવાદ અંતરના તાર એવા તો સાંધી ગયો કે જે એમના જવાથી પણ નહિ છૂટે.

એ પછી તેઓ કાર્યક્રમમાં મળ્યા. હું મોટે મલાવે ભાષણ કરી રહ્યો હતો ને તેઓ મીઠું સ્મિત વેરતાં સામે બેસી રહ્યા હતા. આજે વિચારું છું ત્યારે સંકોચ થાય છે કે અધિકારીજન ચૂપ હતા ને ખાલી ઘડો વાગી રહ્યો હતો. એમની આંખોનું તેજ ને ચહેરા પરની પ્રસન્નતા મને ચુંબકની જેમ ખેંચી રહ્યાં હતાં. બહુ જ ઓછું બોલતા મેં એમને સાંભળ્યા છે. છતાંયે કાંઈ કેટલું ય જાણે એમની આંખોએ મને કહી દીધું છે.

અમારું પ્રથમ મિલન પણ નંદીગ્રામમાં અને અમારું અંતિમ મિલન પણ નંદીગ્રામમાં જ થયું. નંદીગ્રામ આમ પણ મિલનની ભૂમિ છે. લંકાવિજય કરીને ઘરે પરત ફરતા શ્રીરામ પ્રથમ ભાઈ ભરતને મળવા નંદીગ્રામ પધાર્યા છે. જ્યાં વર્ષોના છુટા પડેલા ભાઈઓ મળેલા એ નામ ધરાવતી ભૂમિમાં અમે બીજીવાર મળ્યા. વળી મારે ત્યાં વક્તવ્ય માટે જવાનું થયેલું. ત્યારે ઉતારે સામાન મૂકીને અમે સાંઈના કક્ષને સલામ ભરી વિમલભાઈ સાથે ભોજન લેવા જઈ રહ્યા હતા ને રસોડામાં પ્રવેશતાં જ સામે દર્શન થયા અરુણભાઈ ભટ્ટના. ભોજનખંડ એમની હાજરીથી ભજનખંડ બની ગયેલો અનુભવ્યો. એમનું મંદ મંદ સ્મિત અને આંખોમાંથી ઝરતું અમી મને એવું ભીંજવી ગયું કે મેં જે ખાધું તે સઘળું અરુણું અરુણું લાગ્યું ! એમની પાસે બેસીને જમાડતા અમીબહેનમાં મીરાંબહેનના દર્શન કરી ધન્ય થયો.

અરુણભાઈ ભટ્ટ

ભોજન પછી અમે એમનાં ઉતારે દોડી ગયા. નાદુરસ્ત તબિયત હોવાં છતાં એમનાં ચહેરા પરનું સ્મિત લગીરે ઓછું ન્હોતું થયું. હું તો અધિકારપૂર્વક એમનાં પલંગ પર એમની સાવ નજીક બેસી ગયો ને પગ દબાવવા લાગ્યો એટલે તેમણે માર્મિક હાસ્ય વેરતાં કહ્યું કે, ‘ભાઈ અત્યારના છોકરા વડીલોને ભારે દબાવે છે !’ મેં પગ દબાવવાનું ચાલુ રાખ્યું ને એમણે મને એમ કરવા દઈને મારી ઈચ્છા પૂર્ણ કરી. એમનો હાથ મારા હાથ, પીઠ ને માથા પર ફરતો રહ્યો ને હું તરબતર થતો રહ્યો એમની પ્રેમવર્ષામાં. અવાજ બહુ જ ધીમો થઈ ગયેલો એટલે હું એમની વધુ નજીક જઈ શક્યો. બોલવા માટે ધીમો પડી ગયેલો અવાજ કબીરનું પદ ગાવા સહજ મોટો થઈ ગયો. એમનું વ્હાલ વરસતું રહ્યું ને ટપકતી રહી મારી આંખ. અમારાં આ મૌન સંવાદને સાથે આવેલા રામ આદિ વિદ્યાર્થી મિત્રો કદાચ કુતૂહલવશ જોઈ રહ્યાં હશે, પણ મને તો એની ભાન સુધ્ધાં ન રહી. અરુણભાઈના ઘરે જઈ એમની સાથે રહેવાનું મન થઈ ગયું ને એમણે પ્રેમથી કહ્યું જરૂર આવજો. આ ઈચ્છા અધૂરી જ રહી. બે ચાર વખત જવાનું વિચાર્યું, ગોઠવ્યું ને કોઈને કોઈ કારણસર ન જવાયું. કદાચ કુદરત અમારા અનુબંધને નંદીગ્રામ સાથે જ બાંધી રાખવા માંગતી હશે.

અમારી ભાવભીની એ ક્ષણોમાં વાતવાતમાં હરિ મળશે કે નહિ એવી વાત મારા મોઢે આવી ગઈ ને એક ઋષિ વચન આપે તેમ તેઓ બોલી ઉઠ્યા, ‘જરૂર મળશે ..’ મને થયું કે મારી લાયકાત તો કદાચ સાત ભવે પણ થાય કે કેમ પણ આવા સાધુજનોની આજ્ઞા થકી હરિને આવવું પડશે એ નક્કી. અરુણભાઈ સાથેની આ ક્ષણો મારા એ પ્રવાસની સૌથી મહામૂલી ક્ષણો હતી. એમની સાથેના મૌન સંવાદને તો મારે કેમ વાચા આપવી ? એમનાં જેવું સ્મિત કરતાં પણ નથી આવડતું કે જેનાથી વ્યક્ત થાઉં !

અરુણભાઈનો એ અપૂર્વ પ્રસાદ લઈ અમે સાંઈના નિવાસ ભણી ડગ માંડ્યા. આજે વાતવાતમાં રામે કહ્યું કે એમની પાસે બેસીએ તો વાઈબ્રેશન કેવા સરસ આવે નહિ ? ને મારું અંતર બોલી ઉઠ્યું કે, ‘હું ઘણા સાધુ સંતોને મળ્યો છું ને સૌને માટે મારા મનમાં પ્રેમાદર છે. તેમ છતાં મારે કબુલવું જોઈએ કે જેવી સાધુતા મેં અરુણભાઈના સાનિધ્યમાં અનુભવી છે એવી અન્ય કોઈના સાનિધ્યમાં અનુભવી નથી. એમના પવિત્રત્તમ પરમાણું જેમણે અનુભવ્યા હશે તેઓ આ વાતમાં અચૂક હામી ભરશે.

મૂળદાસજીનું જાણીતું ભજન છે કે, 

‘અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ;

ભજવાં શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ન કહેવું રે…  

અરુણભાઈ બહુ સારા ભજન ગાતાં એવું સૌ કહે છે. એ બહુ મીઠું બોલતા હશે. એમણે કરેલી મીરાંબહેનની ચાકરી વિશે પણ મેં કેવળ સાંભળ્યું છે. પણ મને તો મૂળદાસની પંક્તિને સાર્થક કરતા અરુણભાઈ જ મળ્યા છે. એમને મેં અનુભવ્યા છે કોઈ દિવ્ય આનંદલોકમાં રમમાણ કરતા સાધક તરીકે, જેની ભીતર નિરંતર ભજન ચાલ્યા કરતું હોય એવા સાધક તરીકે, ગંગાસતીને અભિપ્રેત છે એમ આઠે પહોર આનંદમાં રહેતા સાધુજન તરીકે ને મેં તો ચુપચાપ ચાહ રહી એમ કહેતી સુન્દરમ્‌ની સાધિકા તરીકે !

મકરંદભાઈના નિવાસની પડખે એક ઓરડામાં જ્યારે અમે મળેલા ત્યારે સુતે સુતે એમણે બે પદ સંભળાવેલાં. એમાંનું એક હતું – ‘આખો જન્મારો તને આંખ્યુંમાં રાખું, મને વ્હાલું લાગે છે તારું મુખ’ તમે તો હરિને આંખ્યુંમાં રાખ્યા. હું તો તમને રાખીશ કેમ કે મને શ્રદ્ધા છે કે તમને મળવા હરિ મારી આંખ્યુંમાં જરૂર આવશે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

4 September 2024 Vipool Kalyani
← ગઝલ
હિંદના દાદાનું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે! →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved