Opinion Magazine
Number of visits: 9448777
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજે ઉમાશંકર કેમ સાંભરે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|20 July 2017

જરા ઝુનૂનથી

હવે તરતમાં, ૨૧મી જુલાઈએ, ઉમાશંકર જોશીને જન્મજયંતી નિમિત્તે સંભારવાનું બનશે. નોળિયાને નોળવેલ તેમ આપણી સારસ્વત પરંપરામાં આ એક વિશેષ ઠેકાણું છે. પણ આ સંભારવું, આપણે જે દોરમાંથી ગુજરી રહ્યા છીએ એ જોતાં કોઈ રસમી રાબેતો ન બની રહે એ જોવું જોઈશે; કેમ કે સૌંદર્યોનાં પીવાં અને ઉરઝરણનાં ગાવાંવહેવાં એટલામાં જો એમને સમેટી લેવાના હોય, તો એ એમને અન્યાય થશે. અલબત્ત, એમ કરતાં આપણું એક માપ મળી રહેશે એ અળગતની વાત છે.

નહીં કે સૌંદર્ય ને ઉરઝરણ અપ્રસ્તુત છે. પણ ઉમાશંકર જે સમયમાં મહોર્યા તે સામંતશાહી ને સાંસ્થાનિક સમયમાંથી લોકશાહીમાં સ્વરાજ સંક્રાન્તિ માટેની જદ્દોજહદનો હતો. હોબ્ઝબોમને યુરોપીય સંદર્ભમાં સમજાઈ તે લૉંગ નાઈન્ટીન્થ સેન્ચરી અને શોર્ટ ટ્વેન્ટીએથ સેન્ચરી વચ્ચે રવીન્દ્રનાથ અને ગાંધીજીએ જે એક આગવી ભોંય ને અલાયદી આબોહવા બનાવી તે આ સમય હતો, અને એણે આપેલી ખો હજી પણ ચાલુ છે. ઉરઝરણને વહેવાની મોકળાશ, સૌંદર્યને વિલસનની મોકળાશ, જેમાં સંભવે તેવો સમાજ ક્યાં, તેવું શાસન ક્યાં. કવિ ઉમાશંકરે જો શબ્દનો વિસારો નથી મેલ્યો તો આ સવાલોનો કેડો પણ નથી છોડ્યો.

હમણાં જે દોરની જિકર કરી એને વિશે શું કહી શકીએ, સિવાય કે શબ્દનું પતન. માણસો શબ્દોને જેેમતેમ ફંગોળેરગદોળે છે, લપટા કરી મેલે છે, એ સૌ શબ્દોને એમનું કૌમાર્ય પાછું આપું છું એમ કોઈ કવિએ કહ્યું છે. ઉમાશંકરે યથાપ્રસંગ જે ભૂમિકા લીધી તે શબ્દના સંમાર્જન, સંવર્ધન, સંપોષણની હતી, જેમ સર્જનમાં તેમ જાહેર જીવનમાં.

શબ્દના પતનનો હજી હમણેનો નાદર નમૂનો ગુજરાત સાહિત્ય અકાદમીના સરકારનીમ્યા પ્રમુખની એવી સરળભોળી શેખીનો છેે કે અમારાં કામો જોઈ ઉમાશંકર પીઠ થાબડત. ભાઈ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના વારાની સરકારી અકાદમીએ કથિત સન્માન વાટે કવિની પીઠથાબડ તો શું માથેમુગટ તરેહની કોશિશ કીધી ત્યારે કવિએ એમને જાહેર જીવનના રદીફકાફિયાનું પ્રબોધન કરવામાં ધર્મ જોયો હતો અને સવિનય પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમને ખ્યાલ હશે જ કે હું જવાહરલાલ નેહરુ અને સર્વપલ્લી રાધાક્રિષ્ણને ઉછેરેલી અકાદમીનો ચૂંટાયેલો, રિપીટ, ચૂંટાયેલો પ્રમુખ રહ્યો છું. કાશ, તેજી હોત અને ટકોરો બસ થયો હોત. પણ એ ટકોરો, સરકારની સમજમાં તો નહીં પરંતુ સંખ્યાબંધ સાહિત્યકારોનાં રાજીનામાં રૂપે પ્રગટ થયો હતો. ત્યારે રાજીનામાં સુધી પહોંચતાં જેટલો સમય થયો હશે, કદાચ એથી વધુ સમય એપ્રિલ ’૧૫ની પરબારી પ્રમુખ ઘટનાની જોડાજોડ સંકળાયેલા સાહિત્યકારોને સરકારી સંધાન બાબતે મોહભંગ થતાં થયો હશે. ત્યારે કવિનો શબ્દ કદાચ કંઈકે પૂરતો હતો, કેમ કે સાહિત્યકારો આજની હદે ‘ગોદી’ (એમ્બેડેડ) નહોતા.

આગળ ચાલતાં દર્શકની પહેલકારીમાં સ્વાયત્ત અકાદમી બની તો આવી, પણ બે પછી ત્રીજા પ્રમુખ ચુંટાયા જ નહીં. નોંધાયેલ લેખકીય મતદાર મંડળના ચુંટાયેલા સભ્યોને લમણે વિધિવત સભ્યપદું અને કામગીરી આવ્યાં જ નહીં … રે, લીલપરિણય! કહેવામાં આવે છે કે સરકાર તો ચુંટાયેલી છે ને. લિબરલ ડેમોક્રસીમાં સ્વાયત્ત સંસ્થાઓની અનિવાર્યતા બાબતે આ અક્ષતયોનિ અબુધતા વિશે શું કહીશું. અશિક્ષિત પટુત્વ તરીકે તો એનો મહિમા કરી શકાય એમ નથી. નેે, શિક્ષિત પટુત્વ? પૂછશો મા.

પણ રહો, સમગ્ર ઉમાશંકરને – કવિપુત્રીએ જેમને વાજબી રીતે જ ‘જાહેર જીવનના કવિ’ કહ્યા છે એમને – આપણેે કેવળ અકાદમીચર્ચામાં સીમિત નહીં કરી દઈએ. જેણે એકાધિક અવસરે પદ્મશ્રેણીઓમાંથી પસંદગીપૂર્વક નાત બહાર રહેવું પસંદ કર્યું, જેણે સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવા સારુ સામયિક ચલાવવું પસંદ કર્યું, સ્વતંત્રતા અને સમાનતાનાં મૂલ્યવશ યથાપ્રસંગ સંડોવણી વહોરી જાણી, નિયુક્ત સાંસદ છતાં કટોકટીશાસન સાથે સમીકૃત નહીં થવાનો મિજાજ દાખવ્યો, ક્ષરલોકમાં એવા અક્ષરલોકના સિપાહી એ હતા.

આ અક્ષરસૈનિકે તમે જુઓ, ૧૯૩૬માં ભૂલાભાઈના મુનશીબદ્ધ બંધારણવાળી પરિષદ સાથે ગાંધીજી સંકળાય તે અંગે વિરોધલાગણી પ્રગટ કરી હતી અને પત્રમાં લખ્યું હતું કે જોડાઓ જ તો ‘બંધારણ’નું કાંક કરો. આ જ અક્ષરસૈનિકે પરિષદને મુનશીની આજ્ઞાંકિતા મટી લોકશાહી પરિવર્તનની ભોંય કેળવી ગોમાત્રિની શતાબ્દી રૂડી પેરે મનાવવાની લડત માંડી જાણી હતી. પરિષદ અને અકાદમીને એક લાકડીએ હાંકનારે અકાદમીની સ્વાયત્તતા માટેની વ્યાપક સાહિત્યજગતની લડતવશ પરિષદ પોતે કેવા આંતરસંઘર્ષમાંથી પસાર થઈને લોકશાહી લાયકાત માટેની તાવણીમાંથી પસાર થઈ રહી છે તે ય જોવાસમજવા જેવું છે.

ઉમાશંકર, જેવા છો તેવા તમે સ્તો પરિષદ અને અકાદમી બેઉ સહિત સૌ પાસે જવાબ માગી શકો તેમ છો. તમે સવાલ-દાર તો અમે જવાબ-દાર. તેથી સ્તો જરી ઝુનૂનથી, વિથ એ વેન્જન્સ, તમારું સુમિરન.

સૌજન્ય : “નિરીક્ષક”, 20 જુલાઈ 2017; પૃ. 16 

Loading

20 July 2017 admin
← કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …
ભારતની લોકશાહી પરનું કલંક લિન્ચિન્ગ : ગાયના નામે લઘુમતીઓ પર હિંસાચા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved