Opinion Magazine
Number of visits: 9567436
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદર્શ વ્યવસ્થા એક કલ્પના, ખામીભરી વ્યવસ્થા એક હકીકત

રમેશ ઓઝા|Opinion - Opinion|20 June 2024

રમેશ ઓઝા

ત્રણ પ્રકારના શાસકો હોય છે. પહેલો પ્રકાર એવા શાસકોનો છે જે પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલી શકે છે અને બદલે છે. પોતાનાં કાર્યકાળ દરમ્યાન બદલી ન શકે તો બદલવાનો રસ્તો ખોલી આપે છે અને પછી અનુગામી શાસકોએ ધરાર એ માર્ગે ચાલવું પડે છે. એવો કોઈ યુગ નથી હોતો જેમાં વ્યવસ્થાને લગતા કોઈ પ્રશ્ન ન હોય. વ્યવસ્થામાં ખામી હોય, હોય અને હોય. રામરાજ્ય જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ વ્યવસ્થા એક કલ્પના માત્ર છે, ખામીભરી વ્યવસ્થા એક હકીકત છે. માટે વ્યવસ્થા પર નજર રાખવી જોઈએ, ખામી તરફ ધ્યાન દોરવું જોઈએ, ઊહાપોહ કરવો જોઈએ, નાગરિક સમાજે રસ્તા પર ઉતરવું જોઈએ, શાસકો પ્રતિસાદ આપે એ માટે પ્રયાસ કરવો જોઈએ, વગેરે, વગેરે.

પણ વ્યવસ્થા એવા જ શાસકો બદલી શકે કે સુધારી શકે જેમનામાં દૂરનું વિચારી જોવાની આવડત હોય, ઈરાદામાં પ્રામાણિકતા હોય, વ્યવસ્થાએ પેદા કરેલા સ્થાપિત હિતોને હાથ લગાડવાની હિંમત હોય, વિરોધીઓને વિશ્વાસમાં લઈને ચાલવાની આવડત હોય. ટૂંકમાં એવા શાસકો કરી શકે જે સાચી નિસ્બત ધરાવતા હોય. ૧૯૯૧માં લોકસભામાં બહુમતી ન હોવા છતાં પી.વી. નરસિંહ રાવે આ કરી બતાવ્યું હતું. તેમના કાર્યકાળ દરમ્યાન વ્યવસ્થામાં પૂરતા સુધારા નહોતા થયા, પણ રસ્તો ખોલી આપ્યો હતો એટલે આગલી સરકારોએ સુધારાની પ્રક્રિયા  આગળ ચલાવી હતી. ત્યારે જે સુધારાઓ કરવામાં આવ્યા એ ખામીરહિત હતા એવું નથી અને માટે સતત સાબદા રહેવું પડતું હોય છે. નવી વ્યવસ્થા નવા પ્રશ્નો પેદા કરે છે.

બીજા પ્રકારના શાસકો ચાલાવી લેનારા અને કાઠિયાવાડી શબ્દ વાપરું તો રોડવી લેનારા હોય છે. તેમનામાં આવડત અને ઈરાદો એમ બન્ને ચીજનો અભાવ હોય છે. ગાડું ગબડાવો અને મુદ્દત પૂરી કરો. તેમને વ્યવસ્થાની અને વ્યવસ્થાએ પેદા કરેલા સ્થાપિત હિતોની તાકાતની જાણ હોય છે અને તેને હાથ લગાડવાની હિંમત હોતી નથી. આવા શાસકોની સંખ્યા મોટી હોય છે અને તે આવતા જ રહેતા હોય છે. જેમનું કર્તુત્વ ન હોય એની કીર્તિ પણ ન હોય, એટલે એવા શાસકો વિષે લખવાનું વિશેષ બનતું નથી.

અને એક ત્રીજા પ્રકારના શાસકો પણ હોય છે જે પ્રસ્થાપિત વ્યવસ્થાએ પેદા કરેલી ગંદકી અને વ્યવસ્થાએ પેદા કરેલા અણિયાળા ખીલા જેવા પ્રશ્નો કાર્પેટ હેઠળ ધકેલે છે અને કાર્પેટની ઉપર આંખ અંજાઈ જાય એવું ભવ્ય રાચરચીલું ગોઠવે છે. આવા શાસકો પણ વચ્ચે વચ્ચે આવતા રહેતા હોય છે જેનો અનુભવ આજે આપણે કરી રહ્યા છીએ. ચારે બાજુ ભવ્યતાના અંબાર રચો અને ઉકરડાને ભૂલી જાવ. ભવ્યતાનો એવો ગોકીરો કરો કે કોઈ ઉકરડા તરફ ધ્યાન દોરે તો તેનો અવાજ જ લોકો સુધી ન પહોંચે. પણ તેઓ એ વાત ભૂલી જાય છે કે કાર્પેટની નીચે જે ગંદકી છે એ હજુ વધુ કોહવાઈને સડવાની છે, હજુ વધુ એકઠી થવાની છે, હજુ વધુ ગંધાવાની છે અને એક દિવસ બહાર આવવાની છે. એવું જ અણિયાળા ખીલા જેવા વણઉકલ્યા પ્રશ્નોનું. જ્યાં સુધી તેનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી તેનાથી મુક્તિ મળવાની નથી, પછી ભલે ગમે એટલા તમાશા કરવામાં આવે.

બંગાળમાં થયેલો રેલવે અકસ્માત આનું પ્રમાણ છે. રેલવે સ્ટેશનોએ દસ ફૂટ લાંબો ધ્વજ લહેરાવો, રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવા સુશોભિત કરો, મોટી બ્રેન્ડના સ્ટોર્સ અને કેફેટેરિયા બનાવો, એરપોર્ટમાં લાઉન્જ હોય એવાં પ્રતીક્ષાલય બનાવો, વડા પ્રધાન સાથે સેલ્ફી લઈ શકાય એવા સેલ્ફી પોઈન્ટ બનાવો, મોંધા ભાવની ટિકિટવાળી અને અંદર ખાનેથી ખાનગી એવી વન્દે ભારત અને તેજસ જેવી ટ્રેન ચલાવો, ટ્રેનના ડબ્બામાં ફાઈવસ્ટાર જેવી સુવિધા આપો એટલે લોકોને એમ લાગવા માંડશે કે જૂની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે અને નવું ભારત અસ્તિત્વમાં આવી ગયું છે. પણ એવા લોકો એટલે કોણ? બોલકા લોકો જે ઉધારી કરીને પણ ઘી પીવામાં માને છે અને બીજા માટેના વૈભવને પોતાના માટેનો માનીને મનોમન સુખનો  અનુભવ કરે છે. મધ્યમવર્ગનો આ સ્વભાવ છે. એ ખંખેરાતો હોય અને છતાં ગેલમાં હોય. એ જેની સાથે હોવો જોઈએ તેની સાથે ક્યારે ય ઊભો નહીં રહે, જે ખંખેરે છે તેને સાથ આપશે. તે નર્યા દેખાવને વાસ્તવિકતા માનશે અને બેગાની શાદી મેં અબ્દુલા દીવાનાની જેમ નાચવામાં અગ્રેસર હશે.

અત્યારના આપણા ત્રીજા પ્રકારના શાસકોએ વિકાસ અને પરિવર્તનનાં નામે સોંદર્યપ્રસાધન કર્યું છે, પણ સોંદર્યપ્રસાધન સાચા ચહેરાને સદૈવ ઢાંકી નથી શકતું. ભારતનું રેલવે નેટવર્ક કેવડું મોટું છે અને તેમાં ગેંગમેન, સિગ્નલમેનથી લઈને ઉપર સુધી કેટલી કડીઓ જોડાયેલી હોય છે એનો કોઈ અંદાજ છે? ફાઈવસ્ટાર સ્ટેશનોએથી પસાર થતી અને પશ્ચિમના દેશોમાં જોવા મળે છે એવી હાઈફાઈ વન્દે ભારત કે તેજસ ટ્રેન સ્વયંસુરક્ષિત નથી. રેલવે તંત્રની જે વ્યવસ્થા છે, જે કડીઓ છે એ તેને સુરક્ષા આપે છે અને એમાં કેટલીક ખામીઓ છે. કોઈ પણ તંત્રમાં કામ કરતા માનવીની આવડત, માનવીની દક્ષતા અને ટેકનોલોજી એમ ત્રણેયનું મિલન થાય ત્યારે એ તંત્ર વ્યવસ્થિત કામ કરે છે. પણ એ માટે જે તે તંત્ર પર નજર રાખવી પડે અને તેમાં સમયે સમયે સુધારા કરવા પડે. આ બધાં નજરે ન પડે એવાં અને વાહવાહી ન મળે એવાં ઝીણાં કામ છે અને ત્રીજા પ્રકારના શાસકોને એવાં કામમાં રસ હોતો નથી.

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં બે મોટા રેલવે અકસ્માત થઈ ચૂક્યા છે અને ત્રીજી મુદ્દતની શરૂઆત જ અકસ્માતથી થઈ છે. દરેક વખતે જાણકારોએ કહ્યું છે કે નીચેથી તંત્રમાં સુધારા કરવાની જરૂર છે. માણસોની ભરતી કરવાની જરૂર છે અને ટેકનોલોજી તેમ જ ટ્રેનીંગની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું છે કે વન્દે ભારત જેવી ઝડપથી દોડનારી ટ્રેન માટે ઝડપને સહન કરી શકે એવા સ્પીડ ટ્રેકની જરૂર છે. સ્પીડ કોરીડોરની જરૂર છે કે જેથી સામાન્ય ટ્રેનોને ચલાવનાર તંત્ર પર વજન ન આવે.

પણ તંત્ર ખમી શકે કે ન ખમી શકે, દેખાવ જરૂરી છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જૂન 2024

Loading

20 June 2024 Vipool Kalyani
← શંકર બની જા
રાજ કપૂર : ધ ગ્રેટેસ્ટ શોમેન →

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved