Opinion Magazine
Number of visits: 9505420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ વ્યંગ નથી. કાકલુદી છે. પ્રાર્થના છે. કહો હિંદુ રાષ્ટ્ર કેવું હશે?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2024

રમેશ ઓઝા

ગમે એટલી તાકાત એકઠી કરી હોય, ગમે એટલી રાજકીય લડાઈને અસમાન અને એકતરફી કરી હોય, ગમે એટલા રાજકીય દુ:શ્મનને નિરસ્ત કર્યા હોય; વિજય ત્યાં સુધી મળતો નથી જ્યાં સુધી સામાજિક પંક્તિઓમાં છેલ્લી પંક્તિઓના લોકો સાથ ન આપે. ગાંધીજીનું ભારતમાં આગમન થયું એ પહેલાં અંગ્રેજોની તાકાત બેશુમાર હતી. શું નહોતું તેમની પાસે! શાસકીય સંસ્થાઓ તેમની પાસે અને તેમના કબજામાં હતી, કાયદાઓ તેમની તરફેણમાં હતા, અંગ્રેજી મીડિયા તેમની સાથે હતા, ભારતીયોની બનેલી પોલીસ તેમની પાસે હતી, ભારતની ૪૦ ટકા ભૂમિ પર રાજ કરનારા રાજવીઓ તેમના ગુલામ હતા અને રાજકીય જાગૃતિ તેમ જ પરિવર્તનને રોકવામાં અંગ્રેજો કરતાં પણ વધારે આતુર હતા વગેરે બધું જ હતું. આ બાજુ ભારતનું રાજકીય નેતૃત્વ એવા લોકોના હાથમાં હતું જેમનો છેલ્લી પંક્તિઓના લોકો સાથે કોઈ સંબંધ જ નહોતો. ‘સર’નો તાજ ધરાવનારા દીવાન બહાદુરો તેમ જ રાય બહાદુરો અને ધીકતી પ્રેક્ટીસ ધરાવનારા સફળ વકીલો દેશનું નેતૃત્વ કરતા હતા. તેમની પાસે સમય નહોતો, લોકોની ભાષા તેઓ બોલતા નહોતા, અદના આદમી માટે એવી કોઈ હમદર્દી પણ નહોતી અને જો હમદર્દી હતી તો તેમની પીડાના સ્વરૂપની કોઈ સમજ નહોતી. આ સિવાય તેમનાં હિતો હતાં અને એ હિતો ન જોખમાય તેની ચિંતા કરતા હતા.

ગાંધીજીએ સ્થિતિ બદલી નાખી. તમારું ધ્યેય, તમારું સપનું, તમારાં અરમાન, તમારી કલ્પના જ્યાં સુધી છેલ્લી પંક્તિઓના લોકો ન અપનાવે અને એ કલ્પનામાં ભાગીદાર ન બને ત્યાં સુધી તમે સફળ ન નીવડી શકો અને જો એમાં સફળ નીવડ્યા તો પછી દુ:શ્મનની તાકાત ગમે એટલી પ્રચંડ હોય એ ઓછી પડે. ગાંધીજીએ આ વાત સમજાવી અને માત્ર ભારતની પ્રજાને નહીં, વિશ્વભરની ગુલામ પ્રજાને આ વાત શીખવી. ગાંધીજીના સત્યાગ્રહ સામે અંગ્રેજોની તાકાત ઓછી પડવા લાગી કારણ કે આઝાદ ભારતનાં સપનાંમાં ભાગીદારો વધી ગયા અને ભાગીદારી છેવાડાના માણસ સુધી પહોંચી ગઈ. સ્ત્રીઓ રસોડામાંથી બહાર આવી અને ખેડૂતો ખેતરમાંથી બહાર આવ્યા. અંગ્રેજોને સમજાઈ ગયું કે ભારતમાં આઝાદીનાં સપનાએ રાષ્ટ્રીય સ્વરૂપ પકડી લીધું છે એટલે હવે અંગ્રેજી રાજ ટકાવી રાખવું હોય તો બે જ વિકલ્પ બચે છે; એક તો ભારતની પ્રજાને સમજાવવામાં આવે કે આઝાદીમાં કોઈ લાભ નથી. સામાન્ય પ્રજાના હિતની એક વળતી કલ્પના (કાઉન્ટર નેરેટિવ) વિકસાવવામાં આવે અને લોકો સુધી પહોંચાડવામાં આવે અને એ જો શક્ય ન હોય તો બર્બરતાપૂર્વક પ્રજાને કચડી નાખવામાં આવે. પહેલો વિકલ્પ શક્ય નહોતો અને બીજો વિકલ્પ શક્ય તો હતો પણ બ્રિટિશ રાજને મોંઘો પડે એમ હતો. છેવટે અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવાનો નિર્ણય લીધો હતો.

જો કે ભારતની તમામ પ્રજાને આઝાદીનાં સપનામાં ભાગીદાર બનાવવામાં ગાંધીજીને સંપૂર્ણ સફળતા મળી હતી એમ ન કહી શકાય. આઝાદ ભારત કેવું હશે અને તેમાં અમે ક્યાં હોઈશું એ પહેલાં કહો. મુસલમાનોએ આ સવાલ કર્યો હતો, દલિતોએ આ સવાલ કર્યો હતો, બહુજન સમાજે આ સવાલ કર્યો હતો, દક્ષિણની દ્રવીડી અસ્મિતાવાદીઓએ આ સવાલ કર્યો હતો, મજૂરોએ આ સવાલ કર્યો હતો, રાજવીઓએ આ સવાલ કર્યો હતો એમ સવાલોની ઝડી વરસી હતી અને ગાંધીજીએ દિવસરાત ખુલાસાઓ કરવા પડતા હતા. ગાંધીજી જેવા વિરાટ નેતા માટે પણ રસ્તો આસાન નહોતો. જો કે એમાં એક વાત સારી હતી કે એવા સવાલો કરનારા જે તે સમાજના કે વર્ગના નેતાઓ હતા અને એ નેતાઓની પાછળ તેમની પ્રજા નહોતી. એ વર્ગ અને સમાજની પ્રજા મહદ્ અંશે ગાંધીજીની સાથે હતી.

આઝાદીનાં આંદોલનની આટલી લાંબી પૃષ્ઠભૂમિ આપવા પાછળ પાછળનું કારણ એ કે જો હિન્દુત્વવાદીઓ અત્યાર સુધી જે સર્વસ્વીકાર્ય લાગતું હતું તે ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતા હોય તો તેમણે પણ ગાંધીજીની માફક તેમની કલ્પનાને છેવાડાની પંક્તિઓમાં જે લોકો છે તેમના સુધી આ વાત પહોંચાડવી પડે. તેમને હિંદુ રાષ્ટ્રના સપનામાં ભાગીદાર બનાવવા પડે. આ કેવળ મુસલમાનોનો ડર બતાવીને કે બદનામ કરીને નહીં થાય. ગાંધીજીએ અંગ્રેજોનો ડર નહોતો બતાવ્યો. ગાંધીજીએ અંગ્રેજોની દિવસરાત નિંદા નહોતી કરી. એવી જરૂર જ નહોતી. “આઝાદી”, “સ્વતંત્રતા”, “સ્વ-રાજ”, “ઇન્કલાબ”ની તેમણે અને બીજા ભારતીય નેતાઓએ રાખેલી કલ્પના જ એટલી રોમાંચક હતી કે લોકોને ઉત્તેજિત કરવા માટે એ પૂરતી હતી. ગાંધીજીએ તો માત્ર એ કલ્પનાને છેવાડાના લોકો સુધી પહોંચાડી અને તેમાં તેમને ભાગીદાર બનાવ્યા હતા. જે લોકો સપનાંનાં ભારતમાં અમે ક્યાં હોઈશું એવો સવાલ પૂછતા હતા તેમને સંતોષ થાય એવા ખુલાસા આપવામાં આવતા હતા. એ પછી પણ બધાને સંતોષ થતો જ હતો એવું નથી.

ટૂંકમાં કોઈ પ્રજાને નિશાન બનાવવાથી, તેમને દિવસરાત ગાળો દેવાથી, તેમનો ડર બતાવતા રહેવાથી અને હિંદુ રાષ્ટ્રમાં અમે ક્યાં હોઈશું એવા પ્રશ્નોથી ભાગવાથી હિંદુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી. હા, હિંદુઓ રાજ કરે અને હિંદુઓ માથાભારે થઈને ફરે એ જ જો તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર હોય તો જૂદી વાત છે. પણ એ તો તેમનો સ્વાર્થ થયો, તેઓ હિંદુઓને ડરાવીને અને મુસલમાનોની નિંદા કરીને સત્તા ભોગવશે, તેમાં અદના હિંદુને શું મળવાનું છે?

માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તેની શતાબ્દી ટાણે સવાલ પૂછવો જોઈએ કે અમે ભારતીય રાષ્ટ્રને તિલાંજલિ આપવા તૈયાર છીએ, પણ એ પહેલાં હિંદુ રાષ્ટ્રની કલ્પના સ્પષ્ટ કરો. સો વરસ થવા આવ્યાં હજુ સુધી તમે બ્લેક એન્ડ વ્હાઉટમાં તમારી હિંદુ રાષ્ટ્રની કલ્પના લોકોની સમક્ષ રજૂ કરી નથી. કોઈ વાંધો નહીં હવે કરો. ડર અને નિંદા સિવાય એમાં કોઈક રચનાત્મક તત્ત્વો પણ હશે જ. બની શકે કે અમે તેને માથે લઈને નાચીએ, ગરીબ હિન્દુનાં ઝૂંપડાં સુધી પહોંચાડીએ, આખા દેશને ભગવો કરી નાખીએ પણ કહો તો ખરા કે આપણું હિંદુ રાષ્ટ્ર કેવું હશે? ભારતીય રાષ્ટ્રની કલ્પના તો ઊઘાડી હતી અને તેને લોકોની સહભાગીદારીમાં ક્રમશઃ વિકસાવવામાં આવી હતી. હિંદુ રાષ્ટ્રની કલ્પના પણ ઊઘાડી કરો અને આપણે લોકોની ભાગીદારી સાથે હજુ વધુ તેને વિકસિત કરીશું. અરે, હિંદુ રાષ્ટ્રને એવો નિખાર આપશું કે જગત જોતું રહશે. માત્ર હિંદુઓ જ આ કરી શકે એમ કહીને જગત આભું બની જાય! બતાવો આપણું હિંદુ રાષ્ટ્ર કેવું હશે!

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 12 મે 2024

Loading

12 May 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—247
વડાપ્રધાનની નવી સોગઠીઃ  ચૂંટણી પ્રચારમાં અંબાણી-અદાણીને ખેંચી લાવીને કોને ગુંચવવાનો ઇરાદો? →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved