Opinion Magazine
Number of visits: 9449433
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ બાલસાહિત્ય?

ઝવેરચંદ મેઘાણી|Opinion - Literature|5 April 2017

રજનીકુમાર પંડ્યાએ ‘બાલસાહિત્યમાં પ્રદૂષણ’ અંગે શરૂ કરેલી ચર્ચા ઉત્તરોત્તર આગળ ચાલતી રહી છે. વાચકોના લક્ષમાં હોય જ કે ૨૦૦૫માં માર્ટિન મેકવાને ‘દલિત શક્તિ’ના એમના લેખમાં અને ઉર્વીશ કોઠારીએ એમની અખબારી કોલમમાં ગિજુભાઈની વાર્તાઓ સબબ સવાલ ઉઠાવ્યા ત્યારે આ પત્રે ગુજરાતના સૌ શિક્ષણ-અને-સાહિત્ય-સેવીઓને સારુ સહવિચાર મંચ સુલભ કર્યો હતો. વસ્તુતઃ જેમ ગિજુભાઈના પહેલકારી પ્રદાન વિશે બેમત નથી અને આદર જ આદર છે તેમ એમના વાર્તાલેખન પરત્વે, એમાં આવકાર્ય અંશો છતાં, પુનર્મૂૂલ્યાંકન અને સુધારાજરૂરત બાબત પણ બેમત નથી. એ જ મત ગિજુભાઈના નામે છાપવાવેચવામાં આવતી વાર્તાઓ અંગે પણ રહે જ, વધુ સઘનપણે રહે. અલબત્ત ઇતિહાસવસ્તુ તરીકે મૂળ લખાણની યથાવત્‌ જાળવણી પોતાને ઠેકાણે ઠીક જ છે, ઝવેરચંદ મેઘાણી સરખાની આ અંકમાં પુનઃ પ્રકાશિત લગભગ સમકાલીન નુક્તેચીનીમાં, શતાબ્દી ગ્રંથના કેટલાક લેખોમાં, ૨૦૦૫ અને ૨૦૧૭ની ચર્ચાઓમાં આ વાનું સુપેરે ઊપસી રહ્યું છે. પ્રશ્ન, ગિજુભાઈની તપાસના ઉજાસમાં બાલસાહિત્યની વર્તમાન ગતિવિધિ વિશે ભોં ભાંગવાનો છે.

— “નિરીક્ષક” તંત્રી

•

‘રસિક પાઠો’, ‘નાનામોટા પાઠો’, ‘સુંદર પાઠો’ વગેરે પોકળ નામોથી પ્રકટ કરાવવામાં આવતી બાળ-અભ્યાસની ચોપડીઓને જોતાં પ્રશ્ન એક જ ઊઠે છે કે આ કરતાં તો ત્રીસ વર્ષ પૂર્વેની બાળ-ચોપડીઓ શું ખોટી હતી ! આજે તો બાળ-પુસ્તકો એટલે ચાવળી ભાષામાં લખેલાં વિચારહીન ચીંથરાં, એ પુસ્તકોની લખાવટ દક્ષિણામૂર્તિનાં પુસ્તકોએ પડાવેલી કુટેવનાં જ માઠાં ફળો છે, એટલું સ્પષ્ટ કથન કહી દેવાની હજુ ય શું વેળા આવી નથી?

ફૂલ છે, ફૂલ છે,
ઘણાં બધાં ફૂલ છે,
બાગમાં તો સારાં-સારાં,
ઘણાં બધાં ફૂલ છે.
ભાઈ, મને ખૂબ ગમે
શું ગમે? ફૂલ ગમે
કેવી એની મીઠી ગંધ!
કેવા એના રૂડા રંગ!

આ અપદ્યાગદ્ય બાળકોના ભેજામાં પેસાડીને તમે, બાલસાહિત્ય લખનારાઓ, કઈ ભાષારુચિ પેદા કરી રહ્યા છો?

વાઘ જોયો, સિંહ જોયો,
કોણે જોયો? મેં જોયો.
ગાયો છે, ભેંસો છે,
મારે ઘેર ઘોડો છે.

આવા બાળસાહિત્યને આપણે ક્યાં સુધી સાંખી લઈશું?

લાલ પીળો ભૂરો રંગ,
એ બધા મૂળ રંગ,
એને તમે ભેગા કરી.
બીજા રંગો કરી શકો.

આ ગદ્ય છે? કવિતા છે? રંગોની સમજાવટ છે? વાક્યની રચના કેમ ન થવી જોઈએ, વાક્યબદ્ધ ભાષા કેમ બગાડવી જોઈએ, તેનો આ પ્રયત્ન છે. લેખકભાઈ આને પ્રાસાત્મક ગદ્યને મળતી પદ્ધતિ કહે છે! ધૃષ્ટતાની હદ છે.

આગળની સરકારમાન્ય ચોપડીઓમાં પણ વિષયનો જે સળંગ ખ્યાલ અપાતો હતો, તેને સ્થાને આ મૉન્ટેસોરીની નૂતન શિક્ષણપદ્ધતિનો દાવો કરનારાઓએ વિષયનો તો વધ જ કરી નાખેલ છે : જુઓ ઓ રહ્યો નમૂનો –

તમે કુંભારને ઘેર ગયા છો?
તમે કુંભારને વાસણ ઉતારતાં જોયો છે?
એ ક્રિયા જોવા જેવી હોય છે.
કુંભાર માટી લાવવા માટે ગધેડાં રાખે છે.
તે માટીનાં જાતજાતનાં વાસણ બનાવે છે.
પછીથી તે વાસણને પકવે છે.
તે ગોળા, ઘડા, કોડિયાં વગેરે બનાવે છે.
વળી તે નળિયાં, કોઠીઓ અને ઈંટો પણ બનાવે છે.

વાસણ ઉતારવા : જોવા જેવી ક્રિયા : વાસણ પકવે છે : વળી, પણ વગેરે પ્રયોગો અને લાંબા લપસિંદર આ વાક્યો કેવડાં બાળકોને માટે? પહેલા વર્ષમાં આ ઉકરડો?આથી તો સરકારી શાળાપદ્ધતિ ઘણી સારી હતી. એ પદ્ધતિ મુજબ પાઠની શરૂઆત આમ થઈ હોત કે –

વાહ! માટલાનું પાણી કેવું ઠંડું! બાપા, બાપા, આ માટલાં ક્યાં થતાં હશે ?
ભાઈ, કુંભારને ઘેર. ચાલ, તને કુંભારને ઘેર લઈ જાઉં.
સાંજે નટુ બાપાની સાથે ગયો.
ગામની ભાગોળે ધુમાડા નીકળતા હતા.
બાપા, બાપા, કોઈનું ઘર બળે છે.
ના ભાઈ, એ તો કુંભારવાડો છે. એ તો નીંભાડા બળે છે.
નીંભાડા એટલે શું, બાપા?
નીંભાડા એટલે કૂચાના ઢગલા, તેમાં કુંભાર વાસણ ઘડે. પછી ઢગલા સળગાવે.
શા માટે દાટે ? શા માટે સળગાવે?
કાચાં વાસણ પાકાં કરવા માટે.
કાચાં વાસણ કેવાં હોય? કાચી-કાચી કેરી જેવાં?
ના ભાઈ, ચાલ તને બતાવું.

આ રીતે આખી સમજ પાડવાની જૂની પદ્ધતિની પણ પાછળ જઈને આજના પાઠ લખનારાઓએ ઝટ કલમ લીધી, પટ માંડ્યું લખવા, ભાષા ચાવળી હોવી જોઈએ, તે એક જ ખ્યાલ રાખ્યો. વાક્યરચનાનો વિચાર કરવા થોભવું તે તો જુનવાણી જેવું જણાયું. બાળકના મગજમાં કોઈ એક વસ્તુનું સ્વરૂપ ઉતારવાનાં ક્રમશઃ કલ્પના-પગથિયાં કે સ્મરણની સીડી હોય છે, તે તો વિચાર જ કોને છે ? મૉન્ટેસોરી બાઈના નામવાળો કોઈ પણ કહેવાતા અધ્યાપનમંદિરનો ત્રણ મહિનામાં મેળવી લીધેલો બિલ્લો દુનિયાને ઊઠાં ભણાવવા માટે ઘણો બધો છે. એ બિલ્લેદાર જે કાંઈ બોલે તે બાળસાહિત્ય, જે કાંઈ લખે તે છાપી મારીને કોઈ પણ કેળવણીખાતાને દ્વારે કોઈકની ભલામણચિઠ્ઠી સાથે લઈ જવા લાયક.

વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો – એ દશા આજે વધુ ભયંકર બની છે. બાળક મરો, બાળકનાં માબાપ  મરો, બાળસાહિત્યનાં બડેખાંઓનું તરભાણું ભરો!

પહેલા વર્ષને માટે જ્યાં બે-ત્રણ આનાની એક જ ચોપડી બસ થતી, ત્યાં આ વાચનમાળા કુલ બાર-ચૌદ આનાની પાંચ ચોપડીઓનો ખડકલો મૂકવા માગે છે. અને જોડાક્ષરોની ગૂંથણી જ્યાં એ પૈકીના બે-ચાર પાઠોમાં થતી, ત્યાં આ ભાઈ ખાસ્સા ચારસો શબ્દો જુદી ચોપડીમાં ખડકીને પહેલેથી જ જોડાક્ષરો ભણાવવા ભલામણ કરે છે : જોડાક્ષરોવાળા એ શબ્દો પણ કેવા કેવા! –

ધાર્મિક, માર્મિક, સાત્ત્વિક, બ્રહ્મા, લક્ષ્મી, મિશ્ર, આફ્રિકા, તર્જની, પૂર્ણિમા, આશ્ચર્ય, સંસ્કૃત, રાષ્ટ્રીય, શાસ્ત્રીય, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, ભગવદ્ગીતા, અવસ્થા.

પાંચછ વર્ષનાં બાળકો પર આ શબ્દ-બોજ : આના કરતાં તો બાળકોનાં માથાંને લુહારની એરણ પણ મૂકી ઘણના ઘા લગાવોને, ભાઈ!

હવે નિહાળો આ જોડકણાં –

મોર અને ઢેલ
સાબરમતીની જેલ.

* *

તીખી લાગે છે તજ
લૂગડાં માપવાનો ગજ.

* *

મોઢામાં છે દાઢ
શિયાળામાં પડે ટાઢ.

* *

ઉનાળામાં પડે છે તાપ
જંગલમાં હોય છે સાપ.

* *

સાપને ફેણ
મારી છે પેણ.

* *

મારે માથે છે વાળ
હું ખાઉં છું ભાતદાળ.

* *

ખેતરમાં વાવીશું શણ
ઊંટ ઓળંગશે રણ.

* *

શહેરમાં હોય છે વીશી
કાચની બને છે શીશી.

* *

સૂરજનું તેજ
લખવા માટે મેજ.

* *

ઘોડો ખાય ચંદી
પાટી ના રાખો ગંદી.

* *

કાગળનું રીમ
જાડો હતો ભીમ
.

તે પછીનાં ગીતો-પાઠોમાં બે પોયાંની નોંધ લેવાની ધીરજ મારામાં નથી એમ કહી દેવું પડે છે.

(જન્મભૂમિ, ૫-૪-૧૯૩૯)

(‘પરિભ્રમણ : નવસંસ્કરણ’, ખંડ ૧, પૃ. ૨૫૨,  મોકલનાર : જયંત મેઘાણી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 11 – 12 

Loading

5 April 2017 admin
← આપણી આનુવંશિક ઊણપો
રંગભેદની ભીંત્યું ભાંગનાર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved