Opinion Magazine
Number of visits: 9505782
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આલિયા બકર : તોપમારાની વચ્ચે પણ બસરાના જાહેર ગ્રંથાલયનાં પુસ્તકોને બચાવનાર લાઇબ્રેરિયન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|15 November 2019

દેશમાં દર વર્ષે 14મી નવેમ્બરથી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવાય છે. ત્યારે યાદ કરીએ અખાતી યુદ્ધની શરૂઆતના તબક્કામાં ઇરાકનાં બસરા શહેરનાં જાહેર ગ્રંથાલયનાં ત્રીસ હજાર પુસ્તકોને અથક પરિશ્રમથી બચાવીને, જ્ઞાનના ઇતિહાસમાં વંદનીય કામ કરનાર ગ્રંથપાલ આલિયા મોહમ્મદ બકરને …. 

માર્ચ-એપ્રિલ 2003ના ગાળાની વાત છે. ઇરાક પર અમેરિકાએ આક્રમણ કર્યું હતું. અમેરિકન તેમ જ બ્રિટિશ દળોએ બસરાને ત્રણેક મહિનાથી ઘેરો ઘાલ્યો ઘાલ્યો હતો. એમની અને ઇરાકના સૈનિકો વચ્ચે સામસામા હુમલા થઈ રહ્યા હતા. ટૅન્કો ધણધણતી હતી, બૉમ્બ વરસતા હતા, પીવાનાં પાણીની તંગી પડી રહી હતી, વીજળી કપાઈ રહી હતી. લોકો શહેર છોડીને જવા માંડ્યા હતા. પણ પચાસ વર્ષનાં આલિયાબહેન મોહમ્મદ બકર દિવસ-રાત જુદાં જ મિશનમાં પડ્યાં હતાં. તેમને પોતાનાં જાનની કે ઘરસંસારની ચિંતા ન હતી. બસરાનાં જાહેર ગ્રંથાલયનાં ગ્રંથપાલ આલિયાને ચિંતા હતી એ તેમની લાઇબ્રેરીનાં પુસ્તકોની. દુનિયામાં ઉત્તમ અને ઉપયોગી એવું બધું યુદ્ધમાં નાશ પામતું હોય છે. એટલે આલિયાની લાઇબ્રેરીનું મકાન પણ બસરાના પતન સાથે નાશ પામ્યું. પણ એ પહેલાં તેમણે મોટાં ભાગનાં એટલે કે ત્રીસેક હજાર પુસ્તકો બચાવી લીધાં હતાં. જ્ઞાનરાશિના સંરક્ષણ માટેનું આલિયાનું આ અસાધારણ વંદનીય કાર્ય જ્ઞાનના ઇતિહાસમાં – હિસ્ટરી ઑફ નૉલેજમાં, હંમેશ માટે અંકાયેલું રહેશે.

આલિયા ચૌદ વર્ષથી બસરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં કાર્યરત હતાં. તેમનાં સંગ્રહમાં અંગ્રેજી અને અરેબિક પુસ્તકો ‘કુરાન’નો સ્પેનિશ અનુવાદ, પયગંબરનું ઇ.સ. 1300ની આસપાસ લખાયેલું જીવનચરિત્ર, અરબી ભાષાનું વ્યાકરણ જેવાં પુસ્તકો ઉપરાંત અનેક હસ્તપ્રતો અને સામયિકો હતાં. આલિયાની નિગેબાની હેઠળની લાઇબ્રેરી શહેરના તબીબો, વકીલો, અધ્યાપકો અને કલાકારો માટેનું મિલનસ્થાન બન્યું હતું. તેઓ કહેતાં કે ગ્રંથપાલ તરીકેની મારી ચેમ્બર શહેરના પ્રતિષ્ઠિતો નહીં પણ પ્રબુદ્ધો શોભાવે છે.

ઇરાક-અમેરિકા વચ્ચે યુદ્ધના વાદળ ઘેરાવા લાગ્યા એટલે સજગ આલિયાએ, બસરાના ગવર્નર પાસે પુસ્તકો સલામત જગ્યાએ ખસેડવા માટેની મંજૂરી માગી. તેનો શહેરસૂબાએ કોઈ જ કારણ આપ્યા વિના ઇન્કાર કર્યો. આલિયા ગાંજ્યાં જાય તેવાં ન હતાં. એમણે પોતાની રીતે પુસ્તકોની સલામતી માટેની ગોઠવણ  શરૂ કરી. તેમનું  ગ્રંથાલય  ‘લેન્ડિન્ગ લાઇબ્રેરી’ પ્રકારનું નહોતું, એટલે કે વાચકોને પુસ્તકો ઘરે લઈ જવા માટે આપવામાં આવતાં નહીં, પુસ્તકો ગ્રંથાલયમાં જ બેસીને વાંચવાનાં રહેતાં. આલિયાએ આ પદ્ધતિ છોડી. પુસ્તકો યુદ્ધને કારણે જોખમકારક બનેલી લાઇબ્રેરીમાં ન રહે તે માટે વિશ્વાસપાત્ર વાચકોને એ ઘરે લઈ જઈ સાચવવાં માટે આપવાની શરૂઆત કરી.

લડાઈ ચાલુ થઈ એટલે ઇરાકની સરકાર કેટલીક કચેરીઓને સેન્ટ્રલ લાઇબ્રેરીમાં લઈ ગઈ. તેની પાછળનો હેતુ એ હતું કે યુદ્ધની આચારસંહિતા પ્રમાણે હૉસ્પિટલો અને શાળા-કૉલેજોની જેમ ગ્રંથાલયો પર બૉમ્બમારો હુમલો ન થઈ શકે. લાઇબ્રેરી હવે સરકારી કચેરીમાં ફેરવાઈ ચૂકી હતી છતાં ય આલિયાએ તો ત્યાં જવાનું ચાલુ જ રાખ્યું. દરરોજ સાંજે તે પોતાની કારમાં પુસ્તકો ઠસોઠસ ભરીને ઘરે લઈ આવતાં. આ થોડા દિવસ ચાલ્યું. પણ 6 એપ્રિલે કટોકટી આવી. બ્રિટિશ દળોએ શહેરમાં પ્રવેશીને તેનો કબજો લેવાની શરૂઆત કરી. લાઇબ્રેરીમાં બેસનાર ઇરાક સરકારના કર્મચારીઓ તેને નોંધારી મૂકીને ચાલ્યા ગયા.

બીજે દિવસે સવારે શહેરમાં ચાલી રહેલા તોપમારાની વચ્ચે આલિયા લાઇબ્રેરી પહોંચ્યાં. તેમણે જોયું કે લાઇબ્રેરીમાં સૈનિકોએ ભાંગફોડ કરીને વધુમાં ગાલીચા, ફર્નિચર અને લાઇટો લૂંટ્યાં હતાં. આલિયાને  ખ્યાલ આવ્યો કે સૈનિકોની બીજી ધાડમાં પુસ્તકોનો વારો આવશે. એટલે તેમણે તાકીદે પગલાં લેવાની શરૂઆત કરી. તેમણે લાઇબ્રેરીની બાજુમાં આવેલી ‘હમદાન’ નામની મોંઘી હૉટેલના માલિક અનીસ મુહમ્મદને સમજાવ્યા કે લાઇબ્રેરીનાં પુસ્તકો એમની હૉટેલમાં સંતાડી શકાય. આલિયાએ અનીસને કહ્યું કે ‘આ પુસ્તકોમાં તો બસરાનો આખો ઇતિહાસ છે’.

અનીસે એમના ભાઈઓ અને કર્મચારીઓને સાથે લઈને પુસ્તકો શિફ્ટ કરવાનું શરૂ કર્યું. લાઇબ્રેરી અને હૉટેલ વચ્ચેના કોટની દિવાલ સાત ફૂટની હતી. બધાએ સાંકળ બનાવીને તમામ પુસ્તકો લઈ જવાનું શરૂ કર્યું. પુસ્તકોના ઢગલા હાથમાં ઊપાડીને, તેમને ખોખામાં ને કોથળામાં ભરીને અને છેલ્લે તો  લાઇબ્રેરીના પડદાના પોટલા બનાવીને કોટ પરથી ઊતારવામાં આવ્યાં. તેમને હૉટેલનાં છેક પાછળના હિસ્સામાં સંતાડવામાં આવ્યાં. આજુબાજુની દુકાનોવાળા જોડાયા, લખતાં-વાંચતાં ન આવડતું હોય એવા શ્રમજીવીઓએ પણ મદદ કરી. આખી રાત કામ ચાલ્યું અને બીજા દિવસે બપોરે પૂરું થયું. તમામ પુસ્તકો ખસેડવામાં આવ્યાં, ‘સિવાય કે સદ્દામ હુસેન પરનાં’.

ત્રીજે દિવસે પેટ્રોલિન્ગ કરી રહેલા એક બ્રિટીશ સૈનિક ‘હમદાન’ પર આવ્યો એટલે અનીસનો જીવ તાળવે ચોંટી ગયો. એણે હમદાનને ‘હથિયાર રાખતો હોય તો કેમ રાખે છે?’ એમ પૂછ્યું, એટલે અનીસે જવાબ વાળ્યો, ‘મારા ધંધાની સલામતી માટે’. સૈનિકને પુસ્તકનાં કોઈ સગડ ન હતાં એટલે અનીસને હાશ થઈ. પછીના દિવસોમાં આલિયા અને તેમનાં પતિ બધાં પુસ્તકોને એક ટ્રક ભાડે રાખીને પોતાના ઘરે લઈ આવ્યાં. નવ દિવસ બાદ એક ભેદી આગમાં લાઇબ્રેરી બળીને ખાક થઈ ગઈ. આલિયા મક્કમ હતાં પણ આખરે તો મનુષ્ય હતાં. એમને થોડા દિવસ પછી સ્ટ્રોક આવ્યો. અલબત્ત, એમાંથી એ સાજાં થયાં અને એમણે લાઇબ્રેરીને ફરીથી ઊભી કરવામાં પણ મોટો ભાગ ભજવ્યો. આલિયાનાં કામની મહત્તા આ યુદ્ધ દરમિયાન બીજી એક વક્રતાથી સમજાઈ. બસરા પછી બગદાદ પર હુમલો થયો. ત્યાં કોઈ આલિયા ન હતાં એટલે અક્રમણખોરોએ ત્યાંની નૅશનલ લાઇબ્રેરી અને સરકારી ઇમારતમાંથી કુરાનની સુંદર ચિત્રોવાળી હજારો નકલો ઉપરાંત બસરાનાં ગ્રંથાલયમાંથી અભ્યાસ માટે લઈ જવામાં આવેલી હસ્તપ્રતોનો પણ નાશ કર્યો.

આલિયા બકરનાં યાદગાર સાહસ અને ગ્રંથનિષ્ઠાની આ વાત સહુ પ્રથમ શેઇલા દિવાન નામના ખબરપત્રીની કલમે ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’માં 6 જુલાઈ 2003ના દિવસે પ્રકટ થઈ. પત્રકારે આલિયાના બસરામાં મુલાકાત લીધી ત્યારે એમનાં ઘરે જ્યાં જુઓ ત્યાં પુસ્તકો જ પુસ્તકો હતાં. તેમણે પુસ્તકસંગ્રહનો સિત્તેર ટકા હિસ્સો, એટલે કે ત્રીસેક હજાર પુસ્તકો બચાવ્યાં. પણ એનાં સંતોષ કરતાં જે નાશ પામ્યાં તેનો રંજ એમને વધારે હતો. તેમણે કહ્યું : ‘પુસ્તકો બળતાં હોય ત્યારે તમને ખબર પડે કે યુદ્ધ શું છે. મને થાય છે કે પેલાં પુસ્તકો, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ પરનાં પેલાં પુસ્તકો, જાણે રડી રહ્યાં હતાં : ‘શા માટે, શા માટે, શા માટે આ બધું ?’ આલિયાએ ઇતિહાસમાંથી સંભાર્યુ કે કે તેરમી સદીમાં મોંગોલ કોમે બગદાદની લાઇબ્રેરીને બાળી નાખી હતી પણ તે પહેલાં તેમાંનાં પુસ્તકો ટાઇગ્રીસ નદીમાં ફેંકી દીધાં હતાં અને પાણી શાહીથી વાદળી થયાં હતાં.

આલિયાના મહાન કાર્ય પર અમેરિકન લેખકોએ બાળવાચનનાં બે પુસ્તકો આપ્યાં છે. ‘આલિયાઝ મિશન : સેવિન્ગ ધ્ બુક્સ ઑફ ઇરાક’ એ માર્ક ઍલન સ્ટામાટિની ગ્રાફિક નૉવેલ છે. વધુ નાનાં બાળકો માટે જેનિટ વિન્ટરે ‘ધ લાઇબ્રેરિયન ઑફ બસરા’ નામની સો કરતાં ય ઓછાં, સરળ વાક્યોમાં ખૂબ સુંદર નાનકડી ચિત્રકથા લખી છે. તે હિન્દી અનુવાદ સાથે દિલ્હીની ભારત જ્ઞાનવિજ્ઞાન સમિતિએ બહાર પાડી છે. ન્યુ યૉર્ક ટાઇમ્સ સાથેની મુલાકાતની શરૂઆતમાં આલિયાએ કુરાને શરીફને યાદ કર્યું, “ઇન ધ કોરાન ધ ફર્સ્ટ થિન્ગ ગૉડ સેઇડ ટુ મુહમ્મદ વૉઝ ‘રીડ’.”

ગઈ કાલે  બાળક દિનથી શરૂ થયેલા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે પુસ્તકપ્રેમીઓ આલિયા મોહમ્મદ બકરને યાદ કરશે. મોહમ્મદ પયગંબરને ભગવાને કુરાનમાં જે પહેલી વાત કહી તે છે ‘વાંચો’.

******

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 15 નવેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

15 November 2019 admin
← શિક્ષણથી બેહાલી
અયોધ્યા ચુકાદા વિશે →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved