Opinion Magazine
Number of visits: 9447700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જસમા’ ભવાઈ વેશનું જાજરમાન સ્ત્રી પાત્ર

અરવિંદ વાઘેલા|Opinion - Literature|25 October 2019

(ગુજરાતનું લોક્નાટ્ય ભવાઈ – જસમા ઓડણના સંદર્ભે)

લોકજીવનની સહજ અભિવ્યક્તિરૂપ લોકબોલીનું સાહિત્ય તે લોકસાહિત્ય. લોકો દ્વારા સર્જાયેલું, લોકોનું, લોકો માટેનું, લોકમનોરંજન અને સંસ્કાર બોધના હેતુસર રચાયેલું આ સાહિત્ય લોક સંસ્કૃતિની સુવાસરૂપ, લોકહૃદયનો સહજ ઉદ્દગાર હોય છે. લોકસાહિત્ય એ આપણા શિષ્ટ સાહિત્યનું પુરોગામી સ્વરૂપ છે. જીવાતા જીવનનું યથાર્થ વર્ણન કરતું આ સાહિત્ય લોકોના ઇતિહાસને, દંતકથા, પુરાકથા, રંજનકથા કે લોકકથામાં આલેખે છે. સમાજદર્શનની સાથે સાથે ઉત્સવ મેળા, લગ્ન, વ્રત, તહેવાર તથા માનવ સહજ લાગણી વિચાર અને કલ્પનાને લોક ગીતમાં ગાય છે. લોક સમાજ પોતાની પ્રેમ કથાઓ, સાહસ કથાઓ, અને પરાક્રમ કથાઓને લોકો સુધી લઇ જવા માટે એના નાટ્ય પ્રયોગો કરે છે.

લોકસાહિત્યની જેમ લોકો દ્વારા થતા આ નાટ્યપ્રયોગો લોકનાટ્ય તરીકે માન્યતા પ્રાપ્ત કરતાં  'ભવાઈ' સ્વરૂપે સ્થાપિત થયા. ભવાઈ સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. ગુજરાતના સુવર્ણયુગસમા સોલંકીયુગમાં કળા અને સંસ્કૃતિની સમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી. સંસ્કૃત નાટકોનાં મંચન અહીં થતાં. પરંતુ કાલક્રમે નાટકોનું પતન થયું. પરંતુ લોકોની મનોરંજનની તેમ જ સાહિત્ય પ્રત્યેની પ્રીતિ તો એવી જ રહી હતી … એટલે વિકલ્પ સ્વરૂપે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં લોકનાટ્ય ભવાઈનું સ્વરૂપ ઉદ્ભવ્યું.

ભવાઈના ઉદ્દભવ સંદર્ભે એક કથા પ્રચલિત છે. નરસિંહ પૂર્વે થઇ ગયેલ અસાઈત ઠાકરની કથા. અસાઈતે ઊંઝામાં એક મુસ્લિમના સકંજામાંથી હેમાળા પટેલની પુત્રી ગંગાને છોડાવવા એને પોતાની પુત્રી તરીકે ઓળખાવી અને બ્રાહ્મણ હોવા છતાં પોતાના ધર્મની પરવા ન કરતાં પટેલની દીકરી સાથે એક ભાણે જમી, એને છોડાવી. આ પુણ્યકાર્યનો બદલો એના જ્ઞાતિબંધુઓએ એને નાત બહાર મુકીને આપ્યો કેમ કે બ્રાહ્મણ હોવા છતાં પટેલ સાથે એ જમ્યો હતો. નાત બહાર મુકાયેલ અસાઈત ઠાકરના ત્રણ ઘર 'તરગાળા' (ત્રણ ઘરવાળા) કહેવાયા. નાતના પ્રતિબંધને કારણે તેમણે જુદા જુદા વેશો દ્વારા લોકોનું મનોરંજન કરી પોતાનું ગુજરાન ચલાવ્યું. આ બ્રાહ્મણ પરિવારમાં તરગાળા, ભવાઈયા, નાયક, ભોજક વગેરેએ ભવાઈનો વ્યવસાય સ્વીકાર્યો. કહેવાય છે કે અસાઈતે ભવાઈના ૩૬૦ વેશો રચ્યા. ભવાઈની વધતી લોકપ્રિયતાથી પ્રેરાઈને સૌએ ભવાઈનાં સર્જન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, અને સૌને સૂઝ્યા તેવા વેશ રચીને, સૌ ભજવવા લાગ્યા.

'આ ભવાઈ 'ભવ વહી' કે 'ભવ વાહી’ છે.'૧ (પૃ.૩૦૧ મધ્ય ક.સા.) ભવ એટલે જીવન વહી એટલે વહન કરનાર, સાથે લઈને  ચાલનાર, 'જીવનને સાથે લઈને ચાલનાર .નાનકડા દૃશ્યો દ્વારા સામાજિક અને જાતિગત વિલક્ષણતાઓને પ્રકટ કરનારી, હાસ્ય કટાક્ષયુક્ત પદ્યમય સંવાદો ને ગીતોવાળી સમાજના ખુલ્લા ચોકમાં ભજવવાની નાટ્યપ્રવૃત્તિ છે. એનું ખાસ સંગીત અને નૃત્ય છે. નવરાત્રીને અંતે માતાજી સમક્ષ ભવાઈયા ઘૂઘરા બાંધી ખેલે, તે 'માતાજીની જાતર'. તેઓ ગામેગામ મનોરંજન કરાવી છેલ્લે માતાજી આગળ ઘૂઘરા છોડે' ૨ (પૃ. ૩૦૧ મ.ક.સા.)

ભવાઈના વેશનું ખાસ આકર્ષણ રંગલો – રંગલી હોય છે. જે વિદુષકનું કામ કરે છે. ભવાઈમાં વૈવિધ્યપૂર્ણ સામાજિકતાના દર્શન થાય છે. ગણપતિ, મહાકાલી, મેનાગુર્જરી, ઝંડાઝૂલણ, જોશી, વાણિયો, વાઘરી, મિયાં, જેવા વેશ હોય છે. આ ઉપરાંત કેટલાક ઐતિહાસિક કે પૌરાણિક તેમ જ સામાજિક પ્રસંગો પણ વેશ બનીને આવે છે, વેશ એટલે નાના અંક કે દૃશ્ય જેવું નાનું નાટ્યરૂપ. મધ્ય કાળના ગુજરાતમાં આ એક માત્ર નાટ્ય હતું. પછીથી સસ્તું મનોરંજન અને આર્થિક ઉપાર્જનના હેતુસર ભવાઈના કલાકારોએ એમાં ગ્રામ્યતા અને અશ્લિલતાનું ઉમેરણ કર્યું. સમય જતાં ભવાઈ એના આ પ્રક્ષેપણને કારણે પોતાનું સામાજિક સ્થાન ગુમાવતી ગઈ .. અને પછી તો તે અમુક વર્ગ પૂરતી જ મર્યાદિત બની ગઈ. 'મિથ્યાભિમાન' નાટકની પ્રસ્તાવના આ બાબતની શાહેદી છે. -"આપણા દેશના ભવ્ય લોકો નાટક કરે છે તેમાં બીભત્સ શબ્દો બોલે છે. તેથી તે સારા માણસોને જોવા લાયક નથી.” (પૃ. ૭ મિથ્યાભિમાન) આજે ભવાઈ રેડિયો કે ટેલિવિઝન જેવા દૃશ્ય શ્રાવ્ય  માધ્યમોમાં સરકારી જાહેરાતો કરવાનું સાધન માત્ર બની ગઈ છે. ગુજરાતના લોકનાટ્યની આવી દુર્દશા દુ:ખ દાયક છે. પરંતુ સામાન્ય ગુજરાતીને એ વિષે કઈ ચિંતા નથી. ગુજરાતી સર્જક પણ એનાથી મુખ ફેરવી બેઠો છે. હા .. કેટલાક ભવાઈના હિતેચ્છુઓએ એની ચિંતા જરૂર કરી છે. ભવાઈ એ આજના નાટકનો મૂળ સ્ત્રોત છે. ભવાઈ એ ઉત્તમ અભિનેતાઓ આપ્યા છે, જયશંકર સુંદરી, પ્રાણસુખ નાયક એના ઉદાહરણો છે. આજના એકાંકી અને નાટકોમાં આવતા' લય, હાસ્ય, કટાક્ષ, ગીત, નૃત્ય મૂળ ભવાઈની દેણ છે.

રંગભૂમિ વિષયક આ અભ્યાસ નિમિત્તે આપણા આ લોકનાટ્ય ભવાઈ સંદર્ભે ફેર વિચારણા થાય, એના વિષે લોકજાગૃતિ આવે અને એને યોગ્ય સન્માન મળે, એ હેતુથી આ શોધપત્રમાં એક લોકપ્રિય અને સત્ત્વશીલ ભવાઈ વેશ – 'જસમા' વિષે ચર્ચાનો ઉપક્રમ રાખ્યો છે. ભવાઈનો આ વેશ 'જસમા' અસાઈતે લખ્યો કે કેમ ? એ વિષે અનેક વિવાદ છે. જસમાના વેશમાં આવતી આ પંક્તિઓ

            – 'કુંજલડી રે સંદેશો અમારો, જી વાલમને કહેજો જી રે,
              પાટણવાડામાં ઉણધેર ગામ છે, રચનાર મણિરામ નામ છે નાયક'

                                                                    (પૃ.૭ નિવેદન જસમા)

'જસમા'નો વેશ એક ઐતિહાસિક કથાનક પર આધારિત છે. એની કથાવસ્તુ પર એક નજર નાંખીએ તો – મધ્યકાલીન ગુજરાતમાં રાજા સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. પોતાના શાસનકાળ દરમિયાન, પાટણમાં આવેલા જૂના દુર્લભ સરોવરને સ્થાને નવું સહસ્ત્રલિંગ તળાવ બનાવવાનો વિચાર રાજા સિદ્ધરાજ જયસિંહને આવ્યો. એનાં પ્રમાણો 'સરસ્વતી પુરાણ', ‘પ્રબંધચિંતામણિ' અને સહસ્ત્રલિંગ સરોવર પ્રબંધ'માં મળે છે. દુર્ગાશંકર શાસ્ત્રી જેવા ઇતિહાસકાર એવું અનુમાન કરે છે કે સરસ્વતી નદીનો પ્રવાહ વાળીને ઈ.સ. ૧૧૩૪-૩૫માં આ નવું સરોવર બંધાવ્યું હશે.' (પૃ.૮ જસમા) આ સરોવર સંદર્ભે અનેક કથાઓ મળે છે. 'સમરા રાસુ' જેવા જૂની ગુજરાતીના કાવ્ય ઉપરાંત એક કથા 'જસમા' અંગેની પણ છે.

કથા કે દંતકથાઓ સામાજિક રીતે માન્યતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી લે ત્યારે તે ઇતિહાસના તથ્ય પર ભારે પડે છે, ઇતિહાસને દબાવી દે છે. કથા કહેનારનો ઉદ્દેશ જન મન રંજનનો હોય છે. ઇતિહાસ આલેખવાનો હોતો નથી. 'જસમા' વિષે ગહન અને શ્રદ્ધેય અભ્યાસ કરનાર ડૉ. કૃષ્ણકાંત કડકિયા પોતાના અભ્યાસ દરમિયાન પ્રાપ્ત તથ્યોને રજૂ કરતા  કહે છે કે – ઇતિહાસ…માં ક્યાં ય જસમા આવતી નથી.' પોતાની વાતના સમર્થનમાં ડૉ. કડકિયા, દુ.કે. શાસ્ત્રી અને ર.છો. પરીખના સંદર્ભો નોંધે છે. (ગુજરાતનો મ.કા. રાજપૂત ઇતિહાસ પૃ.૩૦૩ અને ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪ પૃ. ૬૬) મધ્યયુગના પ્રબંધો અને ઐતિહાસિક આખ્યાયિકાઓમાં કોઈ જગ્યાએ જસમાનો ઉલ્લેખ નથી. આમ જસમાની વાત ઐતિહાસિક નથી પણ મહાન માણસો વિષે પાછળથી જોડી કાઢવામાં આવતી વાતોમાં તે આવે છે. આમ જસમા પ્રજા માનસની ઉપજ છે. ડૉ. કડકિયા નોંધે છે કે 'રાસમાળા'માં ફાર્બસ સાહેબે ભાટ ચારણોના ચોપડામાં સંગ્રહાયેલી કથાઓ નોધી છે. તેમાં તેની થોડી નોંધ મળે છે. પણ વિગતે કઈ નથી માત્ર તળાવને લગતી વાત સમાજમાં ગવાય અને કહેવાય છે. એટલે ‘રાસમાળા’માં નોંધી છે. 'જસમા ઓડણના રાસડા'નું એક નાનું તેમ જ અપૂર્ણ સંસ્કરણ ભાગ -૧ (આવૃત્તિ -૨) પૃ. ૧૫૯ -૧૬૧ની પાદટીપમાં આપેલું છે. ફાર્બસ સાહેબ એને ઐતિહાસિક ગણતા નથી. તેઓ તો પાદટીપમાં એટલું જ નોંધે છે. – 'આજ મિતિથી પૂર્વે પચાસ વર્ષ પર દીકરીઓના મુખેથી પંડિત જેષ્ટારામે ગવાતો સાંભળેલ હતો અને તેમનાં બહેન સુમારે ૬૦ વર્ષનાં છે. તેમને જેટલો સાંભરતો હતો તેટલો ઉતરાવી મંગાવતા પંડિત જેષ્ટારામ લખે છે કે – 'મારી સમજણમાં એમ આવે છે કે નીચે લખી દર્શાવેલ રાસડામાં અર્થની આનુપૂર્વી પર લક્ષ્ય રાખતાં કોઈ કોઈ ઠેકાણે આખી તુકોની ન્યૂનતા પડે છે. આ રાસડો બનાવનારનો ઉદ્દેશ ગાનારિયોને સતીત્વનો બોધ થાય અને પાતિવ્રત્ય પાસે રાજ વિભવ આદિ સઘળું તુચ્છ ભાસે છે, એમ ઐતિહાસિક વૃતાંતની જોડે સદુપદેશ મળે છે.' (પૃ. ૯ જસમા)

લોકકથાઓ – જન શ્રુતિઓને ઇતિહાસ સાથે ખાસ મેળ બેસતો હોતો નથી. પણ  તત્કાલીન સમાજજીવનની ઝાંખી તો કરાવે જ. સિદ્ધરાજ જયસિંહે પ્રજાકલ્યાણનાં જે કામ કર્યાં, તેમાંનું એક કામ 'સહસ્ત્રલિંગ સરોવરનું બાંધકામ' પૂરા રાજ્ગૌરવ સાથે શરૂ કરેલું આ કામ, રાજા માળવા પર આક્રમણ કરવાની તૈયારીમાં પડતાં મંદ પડ્યું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી રાજાના વિરોધીઓએ રાજા વિરુદ્ધ દંત કથાઓ ઘડવા માંડી. બાકી મેરુતુન્ગાચાર્ય અને 'સહસ્ત્રલિંગ સરોવર પ્રબંધ'ના રચનાકારે તો જે કથાઓ આપી છે તે 'જસમા ઓડણ'થી  તદ્દન જુદા પ્રકારની છે. આવી લોકકથા, દંતકથા વગેરેમાં સત્ય અને કલ્પનાનું સમિશ્રણ રહેવાનું. ઇતિહાસ સાથે જસમાની કથા મેળ ખાતી નથી. છતાં ઇતિહાસ રસ કરતાં ચમત્કારિક અતિ રંજ્નાઓ તેમ સહજ કલ્પનાઓથી તે આચ્છાદિત છે તેથી ખૂબ લોકપ્રિય થઇ છે.’ (પૃ.૧૧) પણ એથી ઇતિહાસમાં અવકાશ દેખાય ત્યાં મન ફાવે તેમ ઉમેરણ કરી ન શકાય. છતાં માનવ સ્વભાવની પોતાની પ્રક્ષેપણની લાલચ રોકી શકતો નથી … અને આવી કથા, આવા વેશ સર્જાતા રહે છે.

'જસમા ઓડણ'ના મૂળ વેશની કથા જોઈએ તો … પ્રારંભે ગણપતિની પૂજા અર્ચના અને અંબે માતાની વંદના કરતાં રંગલો નૃત્ય કરે છે. જે આ વેશનો પરિચય આપે છે. અને સાથે સાથે જસમાના પૂર્વ જન્મની કથાનો પરિચય પણ આપી દે છે. જસમા પૂર્વ જન્મમાં અપ્સરા હતી પણ નારા ઋષિનો તપોભંગ કરાવતાં શાપગ્રસ્ત થઇ મનુષ્ય દેહે જન્મી હોવાનો પરિચય પ્રેક્ષકને મળે છે.

ભવાઈનું પદ્ય રચનાકાર અપ્સરા કામકુંડલાના સંવાદોમાં પ્રયોજી માણસની મન:સ્થિતિના દર્શન પણ કરાવે છે. –

            'તમને આવું શોભે કે મુનિરાજ ?
             તપસી શું લપસી પડો છો ?'    

અપ્સરા કામકુંડલા ઋષિ સામે રૂપનું અભિમાન કરે છે. ઋષિ ક્રોધે ભરાઈને શાપ આપે છે – 'જા પૃથ્વી પર જન્મ લે અને તારી રૂપાળીનો વાર કાળો કૂબડો થજો.' (પૃ. ૮) ઇન્દ્રના દરબારની અપ્સરા હોવાથી કામકુંડલા પણ પોતાના કાળા કૂબડા વર તરીકે સામા શાપમાં ઋષિને જ માંગી લે છે. આટલી પૂર્વ ભૂમિકા પછી રંગલો, નાયકને શાપના પરિણામ અંગે પૂછે છે. હવે શું થશે ? મુનિ અને અપ્સરા બંને મનુષ્યરૂપે પૃથ્વી પર જન્મ લે છે. નાયક, રંગલાને હવે આ વેશ જોવા કહે છે. જસમા ઓડણના આ વેશમાં, પ્રારંભે પૂર્વ જન્મના ઋષિ અને હાલના રૂડિયા અને પૂર્વ જન્મની અપ્સરા જે હાલ જસમા રૂપે છે બંનેના લગ્ન લેવાય છે. એ પૂર્વે સખીઓનાં વર્ણનમાં જસમાના રૂપસૌન્દર્યનું પ્રમાણ પ્રેક્ષકોને મળે છે.

             – 'જસમા જોબન વેશમાં થઇ વરસની સોળ,
               કાય કનકની પૂતળી ઘણ કંકુની લોળ '

                                                   (૧ પૃ.૩૧ જસમા -નૃત્ય નાટિકા. કેશુભાઈ પટેલ)

            – 'અંગે ઓઢી ઓઢણી ને પાલવ ટાંક્યા મોર ,
              ઉર ઘટામાં કોયલ ટહુકી મીઠો એનો શોર

                                                    (૨ જસમા -નૃત્ય નાટિકા. કેશુભાઈ પટેલ)

           – 'હૈયા કેરી તલાવડીમાં ફૂટ્યાં જોને ફૂલ,
              રહેજો સૈયર ઢંગમાં નીકર ભંવરો કરશે ભૂલ’

                                                     (૩ જસમા -નૃત્ય નાટિકા. કેશુભાઈ પટેલ)  

ગામડાં ગામમાં ભવાઈમાં હાસ્યરસનું પણ ઘણું મહત્ત્વ રહેતું. આથી રૂડિયાના પાત્ર નિમિત્તે આ તક ઉઠાવવામાં આવે છે. રૂડિયાને આખા શરીરે કાળો રંગ લગાડી, રીંછની માફક ચાલતો અને લાળ પાડતો બતાવી હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે. મંદબુદ્ધિનો હોવાથી વરરાજા તરીકે કરાતી ભૂલો પણ પ્રેક્ષકો માટે હાસ્યનું નિમિત્ત બને છે. લગ્નની લેવડદેવડનો ઝઘડો પણ રસાત્મક રીતે ભજવાય છે.

રૂડિયાના રંગ ઢંગ જોઈ ઓડ જાનને પછી કાઢે છે, પણ એક વાર વાગ્દાન થયું હોઈ જસમા એને જ પરણવા હઠ લે છે. જસમાના જાજરમાન વ્યક્તિત્વનો પરિચય અહીંથી જ મળવો શરૂ થાય છે.

               – 'આશા કરીને આવીઓ, લઈને કંકુનો હાથ,
                 ઈને પાછો બોલાવો, મુને પરણાવો ઈની સાથ.'  (પૃ.૬૦ )

જસમા મનોમન એને પોતાનો ભરથાર માની લે છે. એની જીદ આગળ નમતું જોખી, ઓડ લોકો વેવાઈ – વેવાણ પાસે ખોળો પાથરી  જાન પાછી વાળવા વિનવે છે. પણ વેવાણ – 'ના રૂડિયો નહિ પરણે' કહી ને ઊભી રહે છે. પોતાની પૈઠણ નક્કી થતાં માની જતી વેવાણ લગ્નની તૈયારી કરે છે. પોખણું અને લગ્નનાં ગીતો ગવાય છે.

               – 'આય રે  વેવણ, આય રે  વેવણ, પુંખવા આય રે,
                 લાય રે વેવણ, લાય રે  વેવણ, તારો દીચરો વે'લો લાય રે' (પૃ.૧૧)

લગ્નનાં મંગળગીતો સાથે જસમા પરણીને સાસરિયે જાય છે. જસમા કાળા કૂબડા વાર પ્રત્યે પણ પ્રેમ વરસાવતાં – 'મારા રૂડિયાને પે'રાવું ફૂલડાંનો હાર કેવો શોભે મારો રૂડિયો' (પૃ. ૧૧)

નવી પરણેતર પતિ પાસે નવા નવા ઘરેણાની માંગણી ઓ મૂકે છે ..  બંનેના દામ્પત્યનું સુંદર દૃશ્ય અહીં છે. સામાન્ય રીતે સુંદરવરની કામના કરતી નારીઓ કરતાં જસમા મુઠ્ઠી ઊંચેરી બને છે.

ભવાઈનું દૃશ્ય બદલાય છે, અને મૂળ વેશનો ઉઘાડ પ્રેક્ષકો સામે થાય છે. કોઈક અજાણ્યો માણસ રસ્તો પૂછતો પ્રવેશે છે. અને પોતાની ઓળખ સિદ્ધરાજ જયસિંહના દસ્તૂરી બારોટ તરીકે આપે છે. જસમા સાથે રૂડિયાને જોઈ એને વાંદરા તરીકે સંબોધે છે .. આથી જસમા બારોટને ડારતાં કહે છે – ‘ખબરદાર, મારા ધણીને વાંદર કહ્યો તો ..' પણ જસમાના રૂપથી અંજાયેલો બારોટ ગુસ્તાખી કરતાં કહે છે. – 'સુંદરી આ વનચર સાથે રહીને તમે પણ કઠોર થઇ ગયાં છો. … રતન વીંટીએ શોભે ને સુંદરી રાજ દરબારે' (પૃ. ૧૧) પતિવ્રતા જસમા બારોટને ધમકાવતાં કાઢી મૂકે છે. બારોટ પણ અપમાનનો બદલો લેવાની ધમકી આપી, સીધો રાજાના દરબારમાં પહોંચે છે. અને જસમાની વાત કરે છે. અહીં ભવાઈમાં આવતા પદ્યનો વિનિયોગ સુંદર રીતે બારોટના વ્યક્તિત્વને તો દર્શાવે જ છે પણ સાથે સાથે જસમાના રૂપ સૌન્દર્યનું  અભૂતપૂર્વ કાવ્યાત્મક વર્ણન મળે છે.  જુઓ –

                  – 'એક પદ્મણી સ્ત્રી જોઈ
                  કેસ સોહે વાયસ રંગી, વેણી વસૂકી નાગ
                  માગ સમારી મોહિની, ત્રિવેણી ત્રિભાગ
                  મસ અણિયાળી અમી ભરી, કાજલ અંજિત આંખ
                  ભમરાલી ભામિણી તણી, પાંપણ ભમરા પાંખ
                  કોટ કપોત જેવી કહેત, શ્રવણ છીપ આકાર
                  કપોલ કમલથી કરમાં નાસકા તેલની ધાર
                 નાભી લખણવંત, ત્રવેલી ત્રયણી સમી
                 અતિ સુંદર ઓપત, ચાલ મદ ગજ ગામિની
                 પદમણી પુરણ પ્રાણ, સતી શિરોમણિ સાધવી
                 ચતુરા ચતુર સુજાણ, રાજવી તેને માણ'  (પૃ. ૧૨ )

આ સાંભળી રાજા એના વિશે પૃચ્છા કરે છે કે, આ સ્ત્રી કોઈ રાજકુમારી છે ? ના ઓડ … આ જવાબ સાંભળી રાજા બારોટોની અતિશયોક્તિપૂર્ણ વાતો કરવાની ટેવ તરફ અંગુલી નિર્દેશ કરે છે .. છતાં એના રૂપવર્ણનથી પ્રભાવિત થઇની વિગતે પૃચ્છા કરે છે. અને વિચારે છે – 'માટી ચૂંથનારને ત્યાં પદ્મિણી ?'

બારોટ આ તકનો ફાયદો ઉઠાવી પોતાના અપમાનનો બદલો લેવા રાજાને ઉશ્કેરે છે.       

           –  'તીખા તૂરી ન પલાણિયા, ખાંડા ખડગ ના લગ્ગાં
               તેનો જન્મારો એળે ગયો, આવી ગોરી કંઠે ન વળગાં' (૧૩)

ગમે તેમ કરી જસમાને રાજાના મહેલે લાવવા બારોટ પાટણમાં પાણી નથીનું બહાનું આગળ ધરી તળાવ ખોદાવવા ઓડ લોકોને બોલાવવા સૂચન કરે છે. રાજાની આજ્ઞા પ્રમાણે સહસ્ત્રલિંગ તળાવ ખોદવાનું કામ શરૂ થાય છે. ઓડ લોકો તળાવ ખોદવા આવે છે. જેમાં જસમા  અને એનો પતિ પણ છે. 

              – 'ખોદે ખોદે જશમા સેસ્ત્રલંગમાં
                ગોરી વાવડીએ વળગે ધૂળ' (૧૩)

કેશુભાઈ પટેલ પોતાની નૃત્ય નાટિકા 'જસમા'માં થોડી જુદી પરિસ્થિતિ નિર્માણ કરતાં કહે છે, સિદ્ધરાજ પાસેથી પસાર થતાં પવનથી જસમાનું ઓઢણું ખૂલી જતાં રાજા એના રૂપથી તાજ્જુબ થાય છે. – 'સરતાં શિરથી ઓઢણી જોયું અદ્દભુત રૂપ, ઝબકી જસમા વીજળી ઘાયલ થાતો ભૂપ.'        

જસમાના રૂપસૌન્દર્યથી અંજાયેલો રાજા તળાવમાં આવી જસમાને માટી ખોદવાનું પડતું મૂકી પોતાની રાણી બનવા પ્રસ્તાવ મૂકે છે. પરંતુ સ્વાભિમાની જસમા એને ઠોકર મારે છે. રાજા એને ભાવતાં ભોજન અને મેડી મહેલનાં પ્રલોભનો આપે છે. પણ મને વહાલી મારી માટી કહેતી જસમા પોતાની ઈશ્વરદત્ત પ્રકૃતિ અને પરિસ્થિતિમાં જ આનંદ માણે છે. અંતે હારી થાકીને રાજા જસમાના કદરૂપા વરની દુહાઈ આપે છે. આમ છતાં પતિવ્રતા સતી સ્ત્રી આ લોભ લાલચ કે પ્રલોભનોમાં ખેંચાયા વિના પાટણના પ્રતાપી રાજા સિદ્ધરાજને પણ રોકડું પરખાવી દે છે. – 'જેવો છે તેવો મારો ભરથાર બીજો મારે નવ જોઈએ રે.' (૧૩) રાજાના ઇન્દ્રના દરબાર જેવું સુખ આપવાના પ્રસ્તાવ પર ઠંડુ પાણી રેડતાં જસમા એને  યથાર્થ દર્શન કરાવે છે – 'અરે મૂઓ તારો પાટણ દેશ પાણી વિનાનો ટળવળે રે !' બારોટ જસમાની મક્કમતા જોઈ કાલાવાલા કરે છે .. અને રાજાને હીર ચીર અને સોનાના ઘરેણાંથી મનાવવા સૂચન કરે છે પરંતુ જસમા જેનું નામ, રાજાના હરેક દાવને ઊંધો પાડતાં પોતાનું હીર પ્રગટાવે છે.
                    – 'અરે સાંકળા ઘડાવો તમારી રાણીઓને …
                       અરે હીર ચીર આપો તમારી રાણીઓને ..
                       અમે ગરીબ ઓડની જાત … કેડો મારો મેલજો નકી' (પૃ.૧૪)                               

રાજાના સઘળા પ્રયત્નોને જસમા નિષ્ફળ બનાવે છે … જસમાના રૂપથી ઘવાઈને રાજા કહે છે …

                    – 'શ્વાસે પીધું રૂપ મદીલું લાગી અંતર લ્હાય,
                      અળગા રહી તડપાવો શાને ? તુજ વિણ નાં રહેવાય'

                                                                  (જસમા – કેશુભાઈ પટેલ) 

વાસનામાં અંધ બનેલો રાજા એને પોતાની પટરાણી બનાવવા તૈયાર થાય છે. પણ ભારતીય નારીનું ગૌરવ પ્રગટાવતી આ પતિવ્રતા નારી પોતાનો પતિવ્રતા ધર્મ નિભાવે છે .. એક સામાન્ય સ્ત્રીના નકારથી અપમાનિત થયેલો રાજા રાજધર્મ છોડી બળજબરી પર ઉતરી આવે છે. અને સૌ ઓડ -ઓડણોને મારી નાંખવાની ધમકી આપી, જસમાને સમજાવવા જણાવે  છે. ઓડ -ઓડણો જસમાને સમજાવવા પ્રયત્ન કરે છે, કે રાજા તારા પર મોહ્યા છે.  પણ જસમા પોતાના પતિને સહાય કરવા વિનવે છે. અને નિર્દોષ ઓડ – ઓડણો પર અત્યાચાર ન કરવા રાજાને વિનંતી કરે છે. 'ના રે મારો રાજા રાંક ને'.

હીર ચીર, સોનાં ચાંદીનાં ઘરેણાં, મેડીઓ ને મહેલ અને આખરે પટરાણી બનાવવાનું સિદ્ધરાજનું પ્રલોભન પણ પતિવ્રતા સતી સ્ત્રીને ડગાવી શકતું નથી. પતિ અને વતનનું સ્વાભિમાન પ્રગટાવતાં એ કહે છે. – 'સ્વર્ગથી સોહામણો ગરવો માલવ દેશ, જસમા જાતે ઓડણી 'ભલો' મારો ભાવ ઈશ' *( જસમા – નૃત્ય નાટિકામાં લે. કેશુભાઈ)              

જસમા રાજાને સ્પષ્ટ સુણાવી દે છે . – 'એ તો કદાપિ બનશે નહિ, રાજા. આ જીવ છે ત્યાં સુધી આ જાત કોઈને હાથ નહિ આવે.' (પૃ. ૧૫). એક ભવમાં બે ભવ ન કરવાની  ટેકવાળી જસમાના મુખમાં કેશુભાઈ આ પંક્તિઓ મૂકે છે.  

– 'મીંઢળ બાંધી ફેરા ફરતી નારી એક જ વાર
જીવતાં મરતાં માથે મારે ભલિયો છે ભરથાર' *

આ સાંભળી ભૂરાંટા થયેલ રાજાને, બારોટ ઉશ્કેરે છે. અને એના પતિની હત્યા કરવા સૂચવે છે. એક પક્ષીય પ્રેમમાં અંધ સિદ્ધરાજ, જસમાને પોતાની કરવાની લાહ્યમાં રૂડિયાની હત્યા કરે છે.  ઓડ -ઓડણોનો વિલાપ આખાયે વાતાવરણને ગમગીન બનાવી દે છે, ત્યારે જ જસમાના કોપાયમાન મુખમાંથી આગ ઓકતા શબ્દો શાપ રૂપે નીકળે છે.

                  – 'અરે રે કાંકણ ઉતાર્યા ચૂડલા મારો બેલીડો પહોડ્યો રે મસાણ
                     પાટણ થાશે રે પાયમાલ એક પીરાના રે પ્રતાપથી
                     એ … મહેલના ઠેકાણે મસીદ રે એક જસમાના શાપથી
                    એ …. મહેલ ઠેકાણે મસાણ સુણજે પાટણના ધણી.
                    અરે વારે વારે લઉં છું વા'લાનાં વધામણાં
                    અરે વારે વારે લઉં છું વા'લીડાનાં દુઃખડાં
                    કેમ રે સિધાવ્યા મોઝાર આવું છું તારી સાથમાં.' (પૃ. ૧૫)

ભવાઈના વેશમાં થતી આનુસંગિક ક્રિયાઓના ભાગરૂપે ખેલમાં ફકીરનો પ્રવેશ થાય છે. મક્કાથી આવેલા ફકીર સમક્ષ લોકો, ઓડ અને નાયક ખુદ રાજાના અત્યાચારોની ફરિયાદ કરે છે. ફકીર પણ ભવાઈનો છે, એટલે બંનેને સજીવન કરવાના સવા પાંચ રૂપિયા માંગે છે.  આ ઉઘરાણું નાયક સતીના નામ પર પ્રેક્ષકો પાસે માંગે છે. પરાપૂર્વથી ભવાઈના વેશમાં આ પ્રકારે લોકોને લાગણી પ્રવાહમાં ખેંચી નાણા એકત્ર કરવામાં આવે છે. ભવાઈના અંતે સજીવન થયેલ જસમા અને રૂડિયાના મસ્તી મજાક સાથે ભવાઈ વેશ પૂર્ણ થાય છે.

'જસમા ઓડણ'નો વેશ ભવાઈનો એક લોકપ્રિય વેશ છે. એક સામાન્ય મજૂર સ્ત્રીની ખુદ્દારી, ખુમારી અને પતિવ્રતાપણું પ્રેક્ષકોને પોતાનું લાગે છે. આજે પણ સ્થાપિત હિતો સામે કે સત્તા સામે સામાન્ય માણસ ટકરાય છે ત્યારે આ ગરીબ, શ્રમિક અને મજદૂર વર્ગ સામાન્યની સાથે અને સત્તાની સામે ઊભેલો જ દેખાય છે. પોતાના પ્રશ્નો, પોતાની સમસ્યાઓ, પોતાની વેદનાને વાચા આપનાર કોઈ પણ વ્યક્તિ ઊભો થાય તો એને સાથ સહકાર અને લોકપ્રિયતા જરૂર મળે છે. તત્કાલીન સમયમાં રાજા રજવાડાઓ અને સમાજના ભદ્ર વર્ગ દ્વારા દીન દલિત, કે સામાન્ય મજૂરવર્ગોનું જે શોષણ થતું રહ્યું છે. લાચાર અને મજબૂર લોકો પાસે એનો કોઈ ઉપાય હોતો નથી, એટલે આવી કથા વાર્તાઓ અને ભવાઈના વેશોમાં પ્રગટતી સંવેદનાઓને પોતીકી ગણી કાલ્પનિક આનંદ માણે છે. લાચાર અને હતાશ માણસનો વિદ્રોહ અને બદલાની ભાવના, પરંપરિત માન્યતાઓ અને સામ્રાજ્યો સામે વિધર્મીઓની મદદ લેતાં પણ અચકાતા નથી. આ બાબત આજે પણ એટલી જ સાચી લાગે છે. 'જસમા'નું આ કથાનક ઐતિહાસિક હોય કે ન હોય, લોકપ્રિય છે. લોકમાનસમાં આજે પણ જીવે છે. પોતાના રૂપસૌન્દર્ય કરતાં ખુમારી અને ખુદ્દારી તથા સતીત્વ જેવા ગુણો 'જસમા'ને જાજરમાન બનાવે છે.

* ('જસમા' નૃત્ય નાટિકામાં લે. કેશુભાઈ પટેલ જસમાના પતિ તરીકે ભલાને અને વતન માળવાને દર્શાવે છે. જ્યારે મૂળ વેશમાં પતિ કાળો કુબડો રુડિયો અને વતન સોરઠ દેશ દર્શાવાયું છે. આ લેખમાં ચર્ચા મૂળના સંદર્ભે કરી છે. કેશુભાઈની નૃત્યનાટિકાનો સંદર્ભ પૂરક તરીકે લીધો છે. )                                      

સંદર્ભ ગ્રંથ :

૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય

૨. મિથ્યાભિમાન – દલપતરામ

૩. જસમા – લોકનાટ્ય -પ્રયોગ – શિલ્પની દૃષ્ટિએ – ડૉ. કૃષ્ણકાંત કડકિયા

૪. રૂપકિત – ડૉ. કૃષ્ણકાંત કડકિયા

૫. જસમા – નૃત્યનાટિકા – કેશુભાઈ પટેલ (તાદાર્થ્ય – અંક ૫ ડિસેમ્બર ૧૯૯૩)     

સી.યુ. શાહ આર્ટસ કોલેજ ,અમદાવાદ 380 001  

Loading

25 October 2019 admin
← ગુજરાત : પક્ષપલટુઓને પાઠ
શિવાકાશીના ફટાકડાની ફૅક્ટરીના બાળમજૂરનાં વીતક પર સૌમ્ય જોશીની કવિતા ‘મારું નામ ગણેશ વેણુગોપાલ’ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved