માનો કે ન માનો ચૂંટણીઓનો મહિમા છે અને છે
ચૂંટણીઓથી ત્રણ હેતુઓ પાર પડે છે
૧૫ ડિસેમ્બરના લેખમાં મેં કહેલું કે સામાન્યજનની કારકિર્દીમાં એ અવસર આવતો જ નથી કે એ રાજકારણવિષયક અધ્યયનો કે સંશોધનો સુધી પ્હૉંચે. એ સંદર્ભમાં એક વાચકે મને લખ્યું કે એવું કોઇ તાજેતરમાં પ્રકાશિત અધ્યયન છે કે કેમ; હોય તો મને સૂચવો.
મેં એને કહ્યું કે મારા મતે NDTV-ના પ્રણય રૉયને રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપેલા ઉત્તરો એ પ્રકારના અધ્યયનનું ફળ છે. એમાંની કેટલીક બહુ જરૂરી વાતો હું ખાસ તમારા માટે મારા આગામી લેખમાં લખીશ, તમે વાંચી શકશો.
એમાંની કેટલીક બહુ જરૂરી વાતો સાદી રીતના સાર રૂપે મારા શબ્દોમાં આ પ્રમાણે છે :
રઘુરામે કહ્યું કે ભારતના વર્તમાન અર્થતન્ત્ર સામે અનેક પડકારો છે જેને નિસબતપૂર્વક સમજવા જરૂરી છે. ત્રણ મોટા પ્રશ્નો છે : ખેતી સંદર્ભે પ્રગટેલી પીડા-યાતના. પાવર સૅક્ટરમાં શરૂ થયેલો મંદવાડ. અને, બૅન્કિન્ગ સિસ્ટમમાં જોવા મળેલી મુશ્કેલીઓ. એમણે જણાવ્યું કે : સંસ્થાઓમાં સરકારની દખલગીરીને લીધે ગ્લોબલ અને ડોમેસ્ટિક ઈન્વેસ્ટમૅન્ટ પર – નિવેશ, થાપણો કે મૂડીરોકાણ પર – અસરો પડી શકે છે. માત્ર દેશના જ નહીં પણ વિદેશી થાપણકારોને પણ વિશ્વાસ પડવો જોઇએ કે કાયદાકાનૂન સચવાયા છે અને દેશ ઠીક પ્રકારે વિકાસોન્મુખ છે : આ વર્ષે વિકાસ વૈશ્વિક સ્તરે ધીમો પડી રહ્યો છે અને બને કે આવતા વર્ષે પણ ધીમો જ રહે : નોટબંધી વિશે ચોખ્ખી છાપ એ છે કે એણે આપણા વિકાસને અસર પ્હૉંચાડી છે. દુનિયા ફાસ્ટ સ્પીડે વિકાસ કરતી’તી પણ આપણે ધીમા પડી ગયા : GST-થી લાંબા ગાળે ફાયદો થઇ શકે છે, હાલ તો એની પ્રારમ્ભકાલીન તકલીફો છે – ટ્રીથિન્ગ પ્રૉબ્લેમ્સ : ભારતીય અને વિદેશી નિષ્ણાતોની એક સ્વતન્ત્ર સંસ્થાની જરૂર છે જે GDP – માપનની સમગ્ર પ્રક્રિયાની જાંચપડતાલ કરી શકે : ગામડાંના લોકો માટે ઢોરઢાંખર ઘરડાં થાય ત્યારે એમનું શું કરવું એ મહા પ્રશ્ન થઇ પડે છે. ગાયોના જતનપૂર્વકના સ્વાસ્થ્ય બાબતે કંઇક ઉપાય યોજીશું તો ગાયને માટે કંઇક કર્યું કહેવાશે. એ રીતે અને વધુ ને વધુ ગૌશાળાઓ ખોલીને ગાયોની કતલ પરના પ્રતિબન્ધને સંતુલિત કરી શકાય : કૃષિને ઉદ્યોગ ગણવાને બદલે વિકાસયન્ત્ર ગણવાની જરૂર છે – ગ્રોથ ઍન્જિન : બેરોજગારી ઘણો ગમ્ભીર મુદ્દો છે. રેલવેની ૯૦ હજાર નોકરીઓ માટે ૨ કરોડ ૫૦ લાખ લોકો ઍપ્લાય કરે છે ! : અર્થકારણમાં સ્ત્રીઓની ભાગીદારી માટે તકો નથી સરજી શકાઇ…
આ લખતો’તો ત્યારે મને થયું કે સામાન્ય નાગરિક પૂછી શકે કે – આ બધી બાબતો અર્થકારણ વિશે છે, રાજકારણ સાથે એનો શો સમ્બન્ધ? મતદાર પાસે ‘લિમિટેડ કૉગ્નિશન’ હોય છે એમાં આ પણ છે કે દેશની અર્થવ્યવસ્થા વિશે એ અણજાણ હોય છે. માત્ર રાજનેતાઓને જોયા કરે છે. એને રાહુલ કે મોદી અથવા કૉન્ગ્રેસ કે ભા.જ.પ. જેવાં દ્વન્દ્વ સિવાયનું ભાગ્યે જ કશું સૂઝે છે. સંગીન અર્થતન્ત્ર કોઇ પણ શાસનનો કે કોઈ પણ દેશના વિકાસનો પાયો છે. આપણે ઈસ્યુબેઝ્ડ પોલિટિક્સની વાતો કરતા હોઇએ તો, દેખીતું છે કે એમાં દેશના અર્થકારણનો મુદ્દો અગ્રિમ ગણાય.
પણ જુઓ, રઘુરામે રાજકારણ અંગે પણ એક ખૂબ વિચારણીય વાત રજૂ કરી છે : એમણે ઓછો જાણીતો શબ્દ પ્રયોજ્યો, ‘મૅજોરિટેરિયનિઝમ’. ‘મૅજોરિટી’ એટલે બહુમતિ. મૅજોરિટીમાં માનનાર ‘બહુમતિવાદી’. બહુમતિવાદીઓના આગ્રહોમાં માનનારાઓનો વાદ તે મૅજોરિટેરિયનિઝમ. આમ તો, બહુમતિ લોકશાહીનો પ્રાણ ગણાય. પણ રઘુરામ એમ કહે છે કે બહુમતિવાદીઓના આગ્રહને કારણે ભાગલા પડે છે – અમુકોને બાકાત કરી દેવાય છે – અમુકોને અંદર લઈ લેવાય છે. ઍક્સ્ક્લુઝન અને ઈન્ક્લુઝન. એમણે કહ્યું કે ભારતમાં આ ચર્ચા સુલભ છે : હિન્દુ મૅજોરિટેરિયનિઝમ સહજ કૅટેગરી છે. અને એમાંથી બાદ કરાયેલી કૅટેગરીઝ છે, ખ્રિસ્તી અને મુસ્લીમ, જે માઈનોરિટીઝ છે. એને પરિણામે, એક સૅટને સરખો ગ્રથિત કરવાને બદલે, દેશને big warring pieces-માં વહેંચી નાખવાનું બને છે. જૂથો પડી જાય અને એકબીજા સાથે સંઘર્ષ કરતાં થઇ જાય. એમની આ વાતમાં બહુમતિનો વિરોધ નથી પણ બહુમતિવાદીઓના આગ્રહોથી થનારા નુક્સાનનો સંકેત છે.
વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોથી ભા.જ.પ.માં માનનારાઓ ‘દુ:ખી’ થયા ને કૉન્ગ્રેસમાં માનનારા ‘સુખી’ થયા. એ પરિણામોની ભૂમિકાએ ૨૦૧૯ની ચૂંટણીઓ વિશે વરતારા ચાલુ થયા છે અને સંભવ છે કે સાચા પડે. પરન્તુ એ વરતારા વચ્ચે રઘુરામે આપેલા ઉત્તરોથી દેશના વર્તમાનનું જે ચિત્ર ઊપસે છે, મને લાગે છે, તે ખૂબ ધ્યાનપાત્ર છે. રઘુરામ રાજન કેટલા સાચા છે એ તો એ ક્ષેત્રના નિષ્ણાતો કહી શકે. એમના કેટલા અને કયા મુદ્દા કયા પક્ષને કેટલા સ્વીકાર્ય છે એ પણ, ન કહી શકાય. પણ કોઈ પણ ક્ષેત્રના એમની કોટિના વિદ્વાનમાં શ્રદ્ધા તો રાખી જ શકાય. અને એવી વ્યક્તિઓના જ્ઞાનને શક્ય એટલું, આમ, પ્રસરાવી શકાય. અને, મતદારના ‘લિમિટેડ કૉગ્નિશન’-નું જે બીજું કારણ આપણી ચર્ચામાં છે એ લિમિટને એ પ્રકારે ઘટાડી શકાય.
એ મૂળ લેખમાં આપણો છેલ્લો મુદ્દો આ હતો : ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર નીપજાવવામાં કામયાબ નથી નીવડતી. ભલે. તો એ કઇ રીતે સારી છે? એથી બીજા કયા હેતુઓ સિદ્ધ થાય છે?
ચૂંટણીઓ ત્રણ હેતુઓ પાર પાડે છે :
૧ : ચૂટણીઓથી કમ્યુનિટી, સમુદાય, કહો કે, એક અલગ પ્રકારની સામાજિકતા પ્રગટે છે. ચૂંટણીઓ આપણને સહભાગી કેમ બનાય એનો રસ્તો બતાવે છે. સૌ જોડાય છે અને સૌને લાગે છે કે પોતે સૌ સરખા છે. માણસને કશા સમૂહના સાથી થવું હંમેશાં ગમે છે. સૌ આપણને જાણે-સમજે અને એથી આપણો દરજ્જો નક્કી થાય, ગમે છે. અને, મનુષ્ય માટે એ બહુ જરૂરી પણ છે.
૨ : ચૂંટણીઓ આપણને મદદ કરે છે કે આપણે નાગરિક રૂપે નાગરિક સંસ્કૃતિમાં ભાગ લઇ શકીએ. એ સંસ્થાઓમાં જોડાઈ શકીએ. એનો સાર અથવા લાભ એ છે કે એમાં સંભવતી કોઇપણ પ્રવૃત્તિની આપણા વડે જિવાઈ રહેલા જીવન પર અસર પડે છે. ચૂંટણીઓથી આપણે વૅલ-બીઈન્ગ માટે જરૂરી એવી ચાવીરૂપ બાબતો સાથે જોડાઇએ છીએ. હક્કો અને ફરજો બાબતે સુધારા ઈચ્છીએ કે એને સમુચિત ગણીને ચાલીએ, જે કરીએ એ; સમાજે ઘડેલી એ સંસ્થાઓ જ આપણી નાગરિકતાનો હિસ્સો છે.
૩ : ચૂંટણીઓ વૈયક્તિક અને સામુદાયિક અભિવ્યક્તિનું સાધન છે. અભિવ્યક્તિની સ્વતન્ત્રતા અમેરિકન સંસ્કૃતિ માં વણાઈ ગયેલી વસ્તુ છે. વાણી-સ્વાતન્ત્ર્ય તો આપણે ત્યાં પણ ક્યાં નથી? મુક્ત સમાજનો અર્થ જ એ છે કે માણસને વ્યક્ત થવાની મૉકળાશ હોય. માણસોને જો અંકુશો નીચે જીવવાનું હોય કે અવારનવાર સૅન્સરનો ભોગ બનવું પડતું હોય, તો એનો સમાજ મુક્ત નથી.
માનો કે ન માનો, ચૂંટણીઓનો મહિમા છે અને છે. ચૂંટણીઓ લોકશાહીના જેવું જ ટૅરિબલ મિકેનિઝમ છે જે સાધ્યો કે વચનો વિશે માણસને હંફાવે છે, દોડતા રાખે છે. તેમ છતાં ચૂંટણીઓ મૂલ્યવાન છે, મહત્તાપૂર્ણ છે. ચર્ચિલે એટલે જ કહેલું કે બીજા બધા વિકલ્પો નકામા છે…
= = =
[ચૂંટણીવિષયક કેટલીક વાતો : લેખ-ક્રમાંક : ૩ : તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૧૮]
આ એન.ડી.ટી.વી.વાળા ઇન્ટરવ્યૂની લિંક :