Opinion Magazine
Number of visits: 9448939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નલિની કિશોર ત્રિવેદી : પિતૃસત્તાક સમાજવ્યવસ્થા સામેનો કર્મઠ અવાજ

ફાલ્ગુની પરીખ|Opinion - Opinion|24 September 2018

જાણીતી નારીવાદી સંસ્થા ‘અવાજ’ના ટ્રસ્ટી અને શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજના સમાજશાસ્ત્ર વિભાગના પૂર્વ અધ્યક્ષ શ્રી નલિની કિશોર ત્રિવેદીનું તાજેતરમાં અવસાન થયું છે.

લાલ રક્તકણોથી ભરપૂર ગોરો વાન, નાજુક કાઠી, મલકતો ચહેરો અને ખભાની બંને બાજુ સમતોલન જાળવીને લટકાવેલા હસ્તકલાનાં સુંદર નમૂનાવાળા બે-ત્રણ થેલાઓ – આ નલિનીબહેનનો પહેલી નજરનો પરિચય. જરાક વધુ પરિચય થાય એટલે જાણવા મળે કે એમના એકાદ થેલામાં તેમનો અભ્યાસ કરવાનો સમાન – પુસ્તક – પેન વગેરે હોય અને બીજા બે એક થેલાઓમાં સિકંદરી ચણા (શેકેલા ચણાની પ્રતિષ્ઠિત બ્રાન્ડનું નામ) દાળિયા, સીંગ, પીસ્તા જેવા ફાકવાના, પીપરમિન્ટ ચોકલેટ જેવા ચગળવાના ખાદ્યપદાર્થો પડ્યા હોય. આ ઉપરાંત સૂકા આંબળા, લીંડી પીપર, ગોટલી જેવા મુખવાસ અને યષ્ટિમધ ખદિરાવટી જેવી નિર્દોષ આયુર્વેદિક ઔષધિઓ તો ખરી જ. ભાતભાતના આ ખાદ્યપદાર્થોના ઉપયોગ માટે નલિનીબહેનના પરિચિત હોવાની બિલકુલ આવશ્યકતા ન હતી. આંબળા અને લીલા હળદરની સિઝન બેસે ત્યારથી ઊઘલી જાય ત્યાં સુધી તેનું તાજું બનાવેલ છીણ નલીનીબહેન દ્વારા કૉલેજનાં સ્ટાફ કોમન રૂમમાં કોમન વપરાશ માટે રખાતું.

સૌરાષ્ટ્રનું નાનકડું ગામ ટીંબી તેમનું જન્મસ્થળ. માતાપિતા સાથે બાળપણ રાજુલામાં અને કૉલેજ શિક્ષણ સુધીનું જીવન મોસાળના શહેર રાજકોટમાં. આમ કાઠિયાવાડી સંસ્કારો તેમની ગળથૂથીમાં. મીઠા કાઠિયાવાડી લહેકાને કારણે મિત્રો લાડથી તેમને ‘કાં’ નામથી બોલાવતા (‘કાં’ એ તમે કેમ છો? મજામાં? જેવા ક્ષેમ કુશળ પૂછવા માટે વપરાતા પ્રશ્નાર્થ વાક્યોનું એકાક્ષરી વર્ણમાં થયેલું નલિનીય રૂપાંતર હતું) આતિથ્ય સત્કારમાં પણ પાકા કાઠિયાવાડી. ગંભીર માંદગીમાં ખબર પૂછવા આવનારને પણ આગતા-સ્વાગતા કર્યા વગર જવા ન દે. દુન્વયી વ્યવહારોમાં તેઓ ‘સાપ મરે નહીં અને લાઠી ભાગે નહીં’ એમ વર્તવામાં કુશળ હતાં. કેટલાક સંબંધો માટે કહેતા ‘આની દોસ્તી અને દુશ્મની બંને નકામાં’ તેમની આ વ્યવહારપટુતા તેમને નકામા સંઘર્ષોથી બચાવતી.

સામાન્ય રીતે માતાઓમાં જોવા મળે છે તેમ નલિનીબહેન પણ તેમની બંને દીકરીઓ રાધા અને ગોપીની સિદ્ધિઓની વાત કરતાં ધરાતાં નહીં. પ્રેમાળ માતા તરીકે સંતાનોની નાની-મોટી બાબતોની કાળજી રાખે, ટેકો આપે, પણ માલિકીભાવ બિલકુલ નહીં. પરંપરાગત માતાઓથી વિપરીત નલિનીબહેન સંતાનોને અવકાશ આપવામાં માનતાં. આપણા સમાજમાં સ્ત્રીઓમાં રહેલા વાત્સલ્યભાવને માતૃત્વનાં પર્યાય તરીકે જોવામાં આવે છે. પણ નલિનીબહેનનાં વ્યક્તિત્વમાં રહેલો આ ભાવ પ્રકૃતિએ દરેક માતાને આપેલ છે તેવો તેમના પોતાના સંતાનો પૂરતા સીમિત ન હતો પણ અપરિચિતોની પણ સંભાળ રાખતો વ્યાપક હતો. નલિનીબહેન બધાં ભાઈ-બહેનોમાં સૌથી મોટાં. તેમણે જીવનભર નાના ભાઈભાંડુઓને વડીલની છત્રછાયા પૂરી પાડી. સાસરીપક્ષે પણ તેમણે તમામ જવાબદારીઓનું સક્ષમતાથી વહન કર્યું. અહીં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે નલિનીબહેને પુત્રી, બહેન, પત્ની, પુત્રવધૂ અને માતા તરીકેની ભૂમિકાને સરસ રીતે નિભાવ્યાં પણ સ્વત્વને જાળવી રાખીને; વિલીન કરીને નહીં. તેઓ દૃઢપણે માનતાં કે સ્ત્રીએ પોતાની જાતને પ્રેમ કરવામાં શરમ અનુભવવાની જરૂર નથી. નલિનીબહેને ખૂબીપૂર્વક પરંપરાનાં દાયરામાં રહીને પોતાના વ્યક્તિત્વ તરીકેના અધિકારોની માવજત કરી હતી.

પતિ કિશોરભાઈ સાથે સખ્યનો સંબંધ. બંને વચ્ચે મતભેદોની હાજરી સહિત તેમને આદર્શ દામ્પત્યના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવતાં.

નલિનીબહેને  સાડત્રીસ વર્ષ સુધી સમાજશાસ્ત્રના વિષયનું અધ્યાપન કર્યું. વર્ગ એ જ સ્વર્ગની ઉક્તિ તેમને અતિશયોક્તિ વગર લાગુ પાડી શકાતી. સમાજશાસ્ત્ર વિષય અને શિક્ષણકાર્ય બંને તેમને ખૂબ પ્રિય હતા. તેઓ સમાજશાસ્ત્ર વિષયની વિભાવનાઓ અને સિદ્ધાંતોને આસપાસના સમાજમાંથી ઉદાહરણો આપી સમજાવતાં. વર્ગખંડમાં સમાજવિજ્ઞાનની પરિભાષાને બદલે બોલચાલની સરળ ભાષા વાપરતાં. જેથી વિદ્યાર્થીઓને વિષય સરળતાથી સમજાઈ જતો તથા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઓગળી જતું. એક વિદ્યાર્થીઓ પોતાની કૌટુંબિક મુશ્કેલીઓ નલિનીબહેન  સરળતાથી કહી શકતાં હતાં.

‘અવાજ’ એટલે નલિનીબહેનનું બીજું ઘર અવાજના સંસ્થાપક (સ્વ.) ઇલાબહેન પાઠક અને નલિનીબહેન એક કૉલેજનાં અધ્યાપક. નારીશોષણના મુદ્દે એકસરખી તરંગલંબાઈ ધરાવતા વિચારો એ તેમનાં આજીવન સખ્યનું મૂળ. (બંને મૃત્યુનું તબીબી કારણ – કેન્સર, અને મૃત્યુની તારીખ ૦૯મી પણ એક હતી) બે દાયકા કરતાં પણ વધુ સમય નલિનીબહેન અવાજ સાથે જોડાયેલા રહ્યાં. તેઓ સેમિનારો, કાર્યશાળાઓ વગેરેમાં વક્તવ્યો આપવાથી માંડીને પડદા પાછળના આયોજનની નાની-નાની જવાબદારીઓ ખંતપૂર્વક નિભાવતાં. અવાજના વિવિધ કાર્યક્રમોમાં સંચાલક નલિનીબહેન જ હોય. અવાજના બે અભ્યાસોમાં નલિનીબહેનની ભૂમિકા નોંધપાત્ર હતી. (૧) ઓલવાયેલા દીવા – ગુજરાતમાં થયેલી આત્મહત્યાઓ અંગેના આ અભ્યાસમાં નલિનીબહેન, સમાજશાસ્ત્રી ડૉ. મસીહી અને ઇલાબહેનની સાથે મળીને માહિતી એકત્રીકરણમાં મહત્ત્વની ભૂમિકા હતી. Life-Snuffed Out નામે મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત આ અભ્યાસનો ગુજરાતી અનુવાદ કરી તેનાં તારણોને બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. (૨) ડિસ્પોઝેબલ સ્ત્રીઓ! સરહદપારનાં લગ્નોમાં દુર્વ્યવહાર હિંસા અને ત્યજી દેવી – યુ.કે.ની લિંકન યુનિવર્સિટીના સહયોગથી હાથ ધરાયેલા આ અભ્યાસમાં પરદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન કરતી સ્ત્રીઓ સાથે તેનાં સાસરિયાંઓ તરફથી થતી હિંસા અને અત્યાચારની વરવી વિગતોનો ચિતાર છે. અભ્યાસના અંતે આ પ્રકારના અત્યાચારને રોકવા ભારત અને યુ.કે.ના કાયદાઓમાં કયા પ્રકારના સુધારા કરવા જોઈએ તેની ભલામણો કરવામાં આવી છે. સ્ત્રીઓ સાથે થતી હિંસા અને અત્યાચારોના આ નવા અને પ્રમાણમાં ઓછા જાણીતા સ્વરૂપ ઉપર પ્રસ્તુત અભ્યાસમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ભારતના મધ્યમવર્ગીય કુટુંબોની પરદેશી છોકરા સાથે લગ્ન કરવાની ઘેલછા અને લાલસા સંદર્ભે આ અભ્યાસ ખૂબ ઉપયોગી હોઈ નલિનીબહેને તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું છે.

નારીવાદી કર્મશીલ તરીકે તેઓ પિતૃસત્તાક સમાજવ્યવસ્થાના વિરોધી હતાં, પુરુષોના નહીં. નારીવાદી ચિંતનમાં વ્યાપક રીતે જોવા મળતી આ બે જુદી બાબતોની ભેળસેળ વિશે તેઓ ખાસાં સભાન હતાં. નારીવાદમાં મુખ્યત્વે બે વલણો જોવા મળે છે. (૧) પિતૃસત્તાક માળખાને અકબંધ રાખી સ્ત્રીઓની પારંપરિક ભૂમિકાનું ગૌરવ કરવું. (૨) સ્ત્રીનો એક વ્યક્તિ (Individual) તરીકે સ્વીકાર કરી સમાન અધિકારોની સ્થાપના કરવી. નલિનીબહેન આ બીજા મતના આગ્રહી હતાં. ‘સ્ત્રીઓ જ સ્ત્રીઓની મોટી દુશ્મન છે’ – આ વ્યાપક અને ઊંડી જડો ધરાવતી માન્યતાનો તેઓ વિરોધી હતાં. તેઓ માનતાં કે એક સરખી શારીરિક અને માનસિક સંરચના ધરાવવાના કારણે સ્ત્રીઓ એકબીજાને વધારે સારી રીતે સમજી શકે છે. ગૃહ વ્યવસ્થાપન કરતી ગૃહિણીનું કાર્ય કૌશલ્ય માંગી લે તેવું, થકવી દેનારું અને ખૂબ મહત્ત્વનું હોવા છતાં તેનો સમાજમાં ભારે અનાદર થાય છે તે વાસ્તવિકતાથી તેઓ વ્યથિત થતાં. પોતે એક કુશળ ગૃહિણી હોવા છતાં કહેતાં કે ‘ધરતીનો છેડો ઘર’ એ પુરુષોને જ લાગુ પડતી ઉક્તિ છે. સ્ત્રીઓ માટે તો ઘર ઊંડો કૂવો છે જેમાં તે ઊંડી ને ઊંડી ઊતરતી જાય છે. નલિનીબહેન માનતાં કે સ્ત્રીઓએ પુરુષસમોવડી બનવાનું જ નથી. પ્રકૃતિએ આપેલ સ્ત્રી-પુરુષ ભેદનું ગૌરવ જાળવીને સામાજિક માળખાઓની રચના થવી જોઈએ.

સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે અન્યાય અને શોષણ સામેનો અવાજ ઢીલો પડતો હોવાનું જોવા મળે છે. પણ નલિનીબહેનના કિસ્સામાં તદ્દન ઊલટું જોવા મળે છે. તેમના જીવનની ચાલીસીમાં તેઓ ‘સત્યમ વદઃ પ્રિયમ વદઃ’માં માનતાં હતાં. જાહેર જીવનની સક્રિયતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમના અવાજનું મધુર આવરણ પાતળું પડતું ગયું અને તેઓ સીધી સટ અને કડક રજૂઆતના આગ્રહી બન્યાં હતાં.

નારી અધિકારોની પ્રતિષ્ઠાના માર્ગનો સૌથી મોટો અવરોધ એ સદીઓથી ચાલી આવતી માનસિકતા છે. નવા દૃષ્ટિકોણથી રચાયેલું સાહિત્ય જ આ માનસિકતાને બદલી શકે છે એ મૂળભૂત વિચારોથી પ્રેરાઈને નલિનીબહેને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમણે બે વાર્તાસંગ્રહો આપ્યા. ‘સ્ત્રોતસ્વિની’ અને ‘સખ્ય’. સરળ ભાષામાં લખાયેલી આ ટૂંકી વાર્તાઓમાં મધ્યમવર્ગીય શિક્ષિત પરિવારમાં સ્ત્રીઓ સાથે થતા સૂક્ષ્મ અન્યાયોની રજૂઆત કરવામાં આવી છે. અનેક વાચક સ્ત્રીઓને આ વાર્તાઓમાં પોતાના જીવનનો પડછાયો દેખાયો છે. આ વાર્તાઓની વિશિષ્ટતા એ છે કે તેમાં માત્ર સમસ્યાઓની રજૂઆત કરી લેખિકા અટકી નથી ગયાં પણ નક્કર વ્યવહાર ઉકેલો પણ ચિંધવામાં આવ્યા છે.

‘જીવતા હોવું’ અને ‘જીવંત હોવું’ આ બંને વચ્ચેનો ભેદ નલિનીબહેનના પરિચયમાં આવનારને સહેલાઈથી સમજાય. તેમનાં ચમકદાર સ્મિતભર્યા ચહેરા પાછળનું વૈજ્ઞાનિક કારણ તેમનો આરોગ્યપોષક આહાર-વિહાર હતા. પણ મનોવૈજ્ઞાનિક કારણ તેમનો અખૂટ જીવનરસ હતો.

ઉદ્યમ તેમનાં સ્વભાવની નોંધપાત્ર વિશિષ્ટતા. તેઓ ગુજરાત સામાજિક મંડળના મુખપત્ર ‘સમાજકારણ’ની વ્યવસ્થા સંભાળતાં. અખિલ હિંદ મહિલા પરિષદના ત્રૈમાસિક ‘નવ્ય ઉજાસ’ની તંત્રીપદની જવાબદારી નિભાવવા ઉપરાંત ગૃહિણી તરીકેની તથા ‘અવાજ’ની જવાબદારીઓ તો ખરી જ. તેઓ સતત વિકસતાં રહ્યાં. જે નલિનીબહેન અંગ્રેજી ભાષા માટે લઘુતાગ્રંથિ અનુભવતા અને વારંવાર મિત્રોને કહેતાં “માળું અંગ્રેજી નથી આવડતું એટલે બહુ પાછા પડાય છે.” તે નલિનીબહેને બે અંગ્રેજી અભ્યાસોના સુંદર અનુવાદો કર્યાં હતાં.

સંવેદનશીલ ખરાં પણ ભાવુકતામાં વહી જતાં નહીં. લીધાં કામ મક્કમતાથી પાર પાડતાં. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ. ભારતીય સ્ત્રીઓમાં વ્યાપકપણે જોવા મળતી આરોગ્ય સંબંધી ફરિયાદો જેવી કે કેડો દુખવી, પગ દુખવા, હિમોગ્લોબિન ઓછું હોવું વગેરે તેમાનાં મુખેથી સાંભળવા ન મળતું. જીવનભર છીંક પણ ન આવી તેવું નરવું સ્વાસ્થ્ય ધરાવતાં નલિનીબહેનને જ્યારે ચોથા તબક્કાનું કેન્સર હોવાનું નિદાન થયું, ત્યારે તેમણે દૃઢ મનોબળથી તેનો સામનો કર્યો. છેલ્લા શ્વાસ સુધી તેઓ ગમતી પ્રવૃત્તિમાં પરોવાયેલા રહ્યાં. મૃત્યુના પંદર દિવસ પહેલાં તેમણે ‘કચ્છશક્તિ’ સામાયિક આયોજિત એક નિબંધસ્પર્ધા માટે નિબંધ લખ્યો હતો. અને તેમનો નિબંધ પસંદગી પણ પામ્યો હતો.

સુરક્ષિતતા અને જરૂરિયાતો પૂરી કરતા પિંજરને બદલે મુક્ત આકાશની ઉડાન આ કર્મશીલને જીવનભર વહાલી રહી.

શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજ, આશ્રમમાર્ગ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 14-15 

Loading

24 September 2018 admin
← પાકિસ્તાન પૂર્વેના જિન્ના –
આંકડા બતાવે છે સરકાર કોની … →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved