Opinion Magazine
Number of visits: 9447425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાન છતાં ય છેતરામણો સર્જક !

ભરત દવે|Opinion - Opinion|14 July 2018

નોર્વેના પ્રસિદ્ધ નાટ્યકાર હેનરિક ઇબ્સનની ઓળખાણ આપણા માટે જાણીતાં નાટક “Doll’s House”ના સર્જક તરીકેની છે. નાનપણથી જ ઇબ્સને પોતાના કુટુંબની સુખાકારી જોઈ જ નહોતી કારણ કે તે આઠ વર્ષનો થયો, ત્યાં સુધીમાં પિતાના ધંધામાં મોટી ખોટ જવાથી તેનું કુટુંબ તેના જન્મસ્થળ(Skein)થી દૂર જઈને વસી ગયેલું. ઇબ્સન જ્યારે 15 વર્ષનો થયો ત્યારે તેનું કુટુંબ ફરીથી શહેરમાં આવીને વસ્યું. પરંતુ તેની આર્થિક હાલતમાં ત્યારે પણ હજુ કોઈ ખાસ સુધારો થયો નહોતો. બહુ ગરીબી અને અભાવ વચ્ચે રહીને ઇબ્સન જેવુંતેવું શાળાકીય શિક્ષણ પામ્યો.

નાનપણથી જ તે સ્વભાવે તેમ જ હકીકતે એકલવાયો હતો. ગરીબી અને સંઘર્ષને કારણે તે અંતર્મુખી અને કંઈક અંશે કડવો બની ગયો. આ કડવાશ એટલી હદે તેના હાડમાં ઊતરી ગઈ કે વયસ્ક થયા બાદ, આગળ ઉપર જ્યારે એક વાર તેણે પોતાનો દેશ છોડી દીધો, પછી વર્ષો સુધી ત્યાં પાછો ન ફર્યો. તેના કુટુંબમાં તેની એક બહેન હેડવિગ સિવાય બીજા કોઈ સાથે તેણે સંબંધો રાખ્યા નહોતા. પોતાના કુટુંબ પાસેથી જ તેને પૂરતી સહાનુભૂતિ નહોતી મળી. પિતા હંમેશાં તેમના જ આર્થિક સવાલોથી ઘેરાયેલા રહેતા અને માતાની ધાર્મિક જડતા એવી હતી કે જેનાથી ઊભા થયેલા અંતરને ઓળંગવાની ઇબ્સનને ક્યારે ય એવી તીવ્ર ઇચ્છા કે જરૂર ન લાગી.

અંતે 1844માં 15 વર્ષની વયે ઇબ્સન સ્કીનની પેલે પાર આવેલ ગ્રીમસ્ટૅડમાં એક ફાર્માસિસ્ટને ત્યાં તાલીમ માટે રહી ગયો. સવાર-સાંજ દરિયાના સંગાથમાં, આકાશમાં દેખાતા અવનવા રંગો અને દરિયાનાં પાણીમાં ઝિલાતાં તેનાં મનોહર પ્રતિબિંબને નિહાળતા રહેલા ઇબ્સનની કલ્પનાઓમાંથી એટલા તીવ્ર અભાવ અને સંઘર્ષ વચ્ચે પણ સ્વયંભૂપણે કવિતાઓ સ્ફુરવા લાગી ! સિસેરોનાં વાચનથી પ્રેરાઈને 1850માં તેણે સર્વપ્રથમ નાટક લખ્યું ‘Catiline’. રોમેન્ટિક પરંપરાથી લખાયેલું આ એક ઐતિહાસિક ભૂમિકા પરનું નાટક હતું. તેમાં દેશદ્રોહી રોમન શહેનશાહની કથા આલેખવામાં આવેલી.

આ દરમિયાન ફક્ત 18 વર્ષનો ઇબ્સન તેની એકલતા, હતાશા-નિરાશાથી છૂટવા તેના કરતાં વયમાં દસ વર્ષ મોટી એક નોકરાણીના પ્રેમમાં પડ્યો. તે સ્ત્રીથી તેને વગર લગ્ને એક સંતાન થયું જેને ઇબ્સને 14 વર્ષ સુધી ટેકો આપી ઉછેરવામાં સહાય કરી. આમ છતાં તેનું આ કૃત્ય વર્ષો સુધી તેને માનસિક સંતાપ આપતું રહ્યું. અંતરની આ મનોવ્યથાને તેણે આગળ ઉપર તેના પ્રસિદ્ધ નાટક ‘Peer Gynt’માં વેધક રીતે વ્યક્ત કરી.

બર્ગનના પ્રગતિશીલ થિયેટરના માલિકે ઇબ્સનનાં લખાણોથી પ્રભાવિત થઈ તેને રંગમંચની તાલીમ લેવા ડેન્માર્ક અને જર્મનીનો સાંસ્કૃિતક પ્રવાસ ખેડવાની સગવડ કરી આપી. તાલીમ પૂરી કરી લીધા બાદ ઇબ્સન 1857 સુધી બર્ગન થિયેટર જોડે મેનેજરપદે સંકળાયેલો રહ્યો. એ દરમિયાનમાં તેણે નોર્વેની સંસ્કૃિત, લોકગીતો, દંતકથાઓ વગેરેનો ઊંડો અભ્યાસ કરી નાટકો લખ્યાં, ગીતો લખ્યાં અને આમ નોર્વેનું પોતાનું નેશનલ થિયેટર સર્જવાના ભગીરથ પ્રયાસો કર્યા. ઇબ્સન મધ્યમવર્ગીય કરુણાન્તિકાઓ(bourgeois tragedies)ની પરંપરાનો હતો. પરંતુ કવિતાઓ તેમ જ નાટકોની લોકસ્પર્શી જનસાધારણ અભિવ્યક્તિ તેને રંગદર્શીઓ (Romanticists) પાસેથી શીખવા મળી. ઇબ્સનના મહાન નાટ્યસર્જન પાછળ તે કાળના રંગદર્શી સર્જકોનું મોટું ઋણ રહ્યું છે.

1864થી 1890 સુધી ડેન્માર્ક, રોમ અને જર્મનીમાં રહીને ઇબ્સને તેનાં તમામ જગવિખ્યાત નાટકો લખ્યાં. 1891માં જ્યારે તે સ્વદેશ પાછો ફર્યો ત્યારે એક જગવિખ્યાત નાટ્યકાર તરીકે મશહૂર થઈ ચૂકેલો. પ્રજાએ તેને ખૂબ માનપાન આપીને વધાવ્યો. બાકીનું આયુષ્ય – 1906 સુધી તે નોર્વેમાં જ રહ્યો. ઇબ્સન દેખાવમાં ઠીંગણો પણ ઊર્જાવાન અને પ્રભાવશાળી દેખાતો. તેનું કપાળ વિશાળ હતું. આંખો નાની, વેધક અને આસમાની રંગની હતી. તેના સખત રીતે ભીડેલા હોઠ તેની દૃઢ સંકલ્પશક્તિનો પરિચય આપતા. 1899માં તેની હયાતીમાં જ નૅશનલ થિયેટરના પ્રાંગણમાં તેની કાંસાની પ્રતિમા મૂકવામાં આવી. છેલ્લાં વર્ષોમાં તે માંદો પડ્યો. તેને ચિત્તભ્રમ થઈ ગયું. 1906માં બેશુદ્ધ હાલતમાં જ તે મૃત્યુ પામ્યો.

તમામ નાટ્યકારોમાં નોર્વેનો હેનરિક ઇબ્સન ભારે છેતરામણો છે. તેના સાહિત્યમાં તે જે કોઈ હેતુઓનો પ્રવક્તા હતો એ જ હેતુઓને ક્યારેક સાવ ઊલટાવી નાખીને જોવાની તેનામાં ગજબની હિંમત હતી ! જેમ કે “Doll’s House” નાટકની પ્રસિદ્ધિને કારણે ઇબ્સન સમગ્ર યુરોપનાં નારીમુક્તિ-સંગઠનોનો પ્રવક્તા બની ગયો. તે નાટકની નાયિકા નૉરા જગતની તમામ પીડિત સ્ત્રીઓની જાણીતી રોલમૉડલ બની ગઈ, અને પછીથી ઇબ્સને સાવ અવળું જ વિધાન કર્યું કે ‘મારું આ નાટક માત્ર મહિલાઓના હક્કોનું જ નાટક નથી !’ એક બાજુ તે મધ્યમવર્ગીય રૂઢિપરંપરાની કઠોર આલોચના કરી તેની હાંસી ઉડાવતો અને બીજી બાજુ તે ખુદ એ જ સંકુચિત માનસિકતા ધરાવતા મધ્યમવર્ગીય સમાજની પેદાશ હતો. તેને કાયમ એવી ઝંખના રહેતી કે રાજશાસન તરફથી મળેલાં માનઅકરામોનું કોઈ ને કોઈ રીતે જાહેરમાં પ્રદર્શન થાય. તે હંમેશાં યાદ રાખીને ચીવટપૂર્વક ભપકાદાર કપડાં પહેરતો. તે મૂડીવાદવિરોધી કામદાર લડતોનો સૌથી મોટો સમર્થક હતો અને છતાં ય તેની પોતાની આવકનું એક ગણતરીબાજ શરાફની માફક કોઈ નફાકારક ધંધાવેપારમાં રોકાણ કરવાનું કદી ય ચૂકતો નહીં.

વર્ષો સુધી વિકસિત દેશોનાં મહાનગરોમાં રહ્યો હોવા છતાં ઘણીબધી બાબતોમાં તે સંકુચિત (parochial) માનસ ધરાવતો હતો. રાજકીય પ્રશ્નો પર તે બહુ નિર્ભીકપણે લખતો. પરંતુ શાસન વિરુદ્ધ સામી છાતીએ લડત આપવાની તેનામાં સહેજ પણ હિંમત નહોતી. તેમાં ય વળી જેની જોડે તે ગાઢ રીતે સંકળાયેલો એવા એક રાજકીય સંગઠનના કેટલાક સાથીઓ પકડાઈ ગયા અને એ બધાને લાંબી કેદની સજા થઈ. આ ઘટનાની જાણ થઈ ત્યારે ઇબ્સન ભયથી ધ્રૂજી ઊઠેલો. આગળ જતાં, આ જ ભયને કારણે તેણે રાજકારણમાં સક્રિય ભાગ લેવો જ સમૂળગો છોડી દીધો ! ઇતિહાસમાં મહાન ગણાયેલા સર્જકની આ એક ભીતરની માનવીય નબળાઈ હતી. એક રાજકીય વિચારક તરીકે સમયના જુદા જુદા તબક્કે તેણે પોતાના વતન નોર્વેના રૂઢિચુસ્તો અને ઉદારમતવાદીઓ – બંને ય ખુશ રહે એવું વિચક્ષણ વલણ દર્શાવ્યું, અને છતાં ય સામે આ બંને વર્ગો ઇબ્સનની અવિભક્ત રાજનિષ્ઠા કે દેશપ્રેમ વિશે સદા ય ગેરસમજ સેવતા રહ્યા.

ઇબ્સન પ્રથમ હરોળનો કવિ અને છતાં ય તેણે ઉત્તમ કહી શકાય એવા ગદ્યખંડો લખ્યા. એક નિર્ણાયક ગાળામાં તો એ જ્યારે ગદ્યને આધુનિક નાટ્યલેખનના એક મહત્વપૂર્ણ અંગ તરીકે સ્વીકારવાનું કહી રહ્યો હતો, ત્યારે જ તેણે રસાળ પદ્યમાં લખવાનું ચાલું રાખ્યું. તેના આરંભનાં રોમેન્ટિક નાટકોમાં રિયાલિઝમ દાખલ કર્યું અને પછીના ગાળામાં લખાયેલા રિયાલિસ્ટિક નાટકોમાં સિમ્બોલિઝમનો પ્રયોગ કર્યો. ઇબ્સન એક એવો અનોખો સર્જક હતો કે જે કોકિલની માફક મધુર પણ થઈ શકતો અને કાગડાની માફક કર્કશ  પણ ! ક્યારેક તો બંને એક સાથે ! તેનો સર્વાંગી તલસ્પર્શી અભ્યાસ જ તેના વ્યક્તિ અને કલાકાર વચ્ચેના આ વિરોધાભાસને સ્પષ્ટ કરી શકે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, એપ્રિલ 2018; પૃ. 10-12 

Loading

14 July 2018 admin
← જેસી બર્ટનકૃત ‘ધ મ્યૂઝ’
ગુજરાતી સાહિત્યકાર વ્યક્તિ આવા માહોલમાં લખે તો કેવું લખે? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved