Opinion Magazine
Number of visits: 9446981
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુવાદ-સાહિત્યમાં નવી પહેલ

કુમારપાળ દેસાઈ|Opinion - Literature|9 February 2018

‘તનમન તારી ધૂળ ભરી, તે લઈ દુનિયામાં વસીએ,

ઉજ્જ્વળ તારું નામ રહે બસ એવું જીવન જીવીએ,

ગજવીએ જગ તવ વાણી બોલી,

ગૂર્જર ધરણી, તું તો મારી,

ગરવી ગૂર્જર ધરણી મોરી.’

આજથી એકતાલીસ વર્ષ પહેલાં ગુજરાત છોડીને પરદેશમાં વસી રહેલા 85 વર્ષના કવિ ચંદ્રકાન્ત દેસાઈએ 1955ની આસપાસ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન રચેલી ‘ગૂર્જર ધરણી’ કાવ્યની ઉપરની પંક્તિઓ વાંચતી વખતે એમનું ગળું રૂંધાઈ ગયું અને આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. એમના પુસ્તક ‘ફાઉસ્ટ’(FAUST)ના વિમોચન પ્રસંગે એમના આ શબ્દોએ ગુજરાત વિશ્વકોશ ભવનના સભાગૃહમાં લાગણીસભર વાતાવરણ રચી દીધું.

છેલ્લાં 65 વર્ષથી ગુજરાતી અને અંગ્રેજીમાં સાહિત્યસર્જન કરતા અને અમેરિકામાં વસતા આ પ્રથમ ઇન્ડો-અમેરિકન કવિ ચંદ્રકાન્ત દેસાઈએ ભારતમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષયના અધ્યાપક (1956-1976) અને દક્ષિણ ગુજરાત એન્જિનિયરિંગ ફૅકલ્ટીના ડીન (1976) તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે, એટલું જ નહીં, પણ તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જર્મન ભાષા-વિભાગના નિયામક તરીકે (1969-1976) જર્મન ભાષાનું અધ્યાપનકાર્ય પણ કર્યું.

શિષ્યવૃત્તિ મળતાં એમણે જર્મની જઈને જર્મન ભાષાનો અનુસ્નાતક અભ્યાસ અને સંશોધન કર્યાં. પરિણામે એમની પાસેથી જર્મન કવિ ગોઍથે અને રિલ્કેનાં સર્જનોનો જર્મનમાંથી ગુજરાતીમાં અનુવાદ મળ્યો. સૌ પ્રથમ ‘રિલ્કેનાં કાવ્યો’ પુસ્તકમાં એમણે જર્મન કવિ રિલ્કેનાં એંસી કાવ્યોનો મૂળ જર્મનમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો, જેને ગંગોત્રી ટ્રસ્ટે પ્રકાશિત કર્યો હતો. એ પછી રિલ્કેનાં 101 કાવ્યોનો જર્મન ભાષામાંથી હિંદી અને ઉર્દૂમાં પણ અનુવાદ કર્યો. જર્મન કવિ ગોઍથેનાં 101 કાવ્યો ગુજરાતીમાં પ્રકાશિત કર્યાં પછી એમણે જર્મન મહાકવિ ગોઍથેના 12,111 પંક્તિના વિખ્યાત કરુણાંતિક પદ્યનાટક ‘ફાઉસ્ટ’(FAUST)નો ગુજરાતીમાં અનુવાદ કર્યો, ગોઍથેએ ‘ફાઉસ્ટ’નું સર્જન 1832માં પૂર્ણ કર્યું. એ પછી આશરે પોણા બસો વર્ષ સુધી કોઈ સાહિત્યપ્રેમીએ મૂળ જર્મનમાંથી ભારતીય ભાષામાં એનો અનુવાદ કર્યો નથી. 1939માં ભોળાનાથ શર્માએ ‘ફાઉસ્ટ’ના પ્રથમ ભાગનો હિંદીમાં અનુવાદ કર્યો હતો, જે હાલ અપ્રાપ્ય છે. આ અનુવાદ તો સમગ્ર ‘ફાઉસ્ટ’નો માત્ર એક તૃતીયાંશ ભાગ છે.

અત્યારે જર્મન-હિંદી કે જર્મન-ગુજરાતી શબ્દકોશ નહીં હોવાથી જર્મન-અંગ્રેજી શબ્દકોશથી એમણે ગોઠવેલાં કથયિતવ્યોને ગુજરાતીમાં ઉતારવાનો પ્રારંભ કર્યો. ચંદ્રકાન્તભાઈ દેસાઈ એ પૂર્ણ સમયના વ્યવસાયની સાથોસાથ વચ્ચે આવતી પારિવારિક જવાબદારી સંભાળવાની સાથે સાડા ત્રણ વર્ષમાં 2015માં ‘ફાઉસ્ટ’નો અનુવાદ પૂર્ણ કર્યો. એમને આ કાર્યમાં પ્રો. નિરંજન ભગતે 2000ની સાલથી રસ લઈને પ્રોત્સાહન આપ્યું અને ડૉ. ધીરુભાઈ પરીખે વારંવાર એના અનુવાદ અંગે અમૂલ્ય સૂચન કર્યા અને આમ ગુજરાતી ભાષાને મહાકાવ્યની કક્ષાની ગણાતા આ ભવ્ય કરુણાંતિક પદ્યનાટકનો અનુવાદ પ્રાપ્ત થયો.

આ કૃતિ વિશે અનુવાદક નોંધે છે કે, ‘ફાઉસ્ટ’ મહાકાવ્યનું મુખ્ય પાત્ર ફાઉસ્ટ પોતે જ છે, જે એક રાસાયણિક વૈજ્ઞાનિક અને પ્રાધ્યાપક હોવા ઉપરાંત ઘણુંબધું છે; તેનો ખ્યાલ આ પદ્યનાટકના ધીર-ગંભીર વાંચનથી પાઠકને આવી શકે. બીજું મહત્ત્વનું પાત્ર તે મેફિસ્ટોફેલેસ છે, જે ફાઉસ્ટના નિકટના મિત્ર તરીકે ભાગ ભજવે છે; પણ સરવાળે તે ફાઉસ્ટના સન્મિત્ર થવાને બદલે શેતાનિયત દાખવે છે. ‘ફાઉસ્ટ’ના પ્રથમ ભાગમાં ફાઉસ્ટ-પાત્રની અભૂતપૂર્વ બાહોશીનું ચિત્રણ, વિશ્વસાહિત્યમાં એક અત્યંત સુંદર ઉમેરો છે. ગોઍથે આ પદ્યનાટકમાં જે કંઈ સચોટ રીતે કહેવા માંગે છે, તે પાત્રો દ્વારા ઉપસાવવામાં સફળ રહ્યા છે અને તેમ કરતાં સાથે સાથે માર્મિક વિનોદવૃત્તિનાં દર્શન પણ કરાવે છે. ડાકિનીઓની ‘વાલ્પુર્ગીસ રાત્રી’ના કથાનક દરમિયાન એક અનોખા ઉન્મેષ અને શૃંગારની ઝાંખી કરાવે છે. વળી માર્ગારેટે કે ગ્રેટ્શનના ફાઉસ્ટ સાથેના પ્રેમ પ્રકરણે નાટકમાં આલેખતાં હૃદય હચમચાવી નાંખે તેવાં કામોદ્દીપક શૃંગાર અને કરુણ પરિણામોનાં દર્શન કરાવે છે. યોગ્ય શબ્દોનું આયોજન, વિશિષ્ટ અભિવ્યક્તિની નિપુણતા સમગ્ર નાટકને વિવિધ ઘાટ આપવાની સાથે સાથે સરળતાથી સાંકળી લેતી કલમ ગોઍથેને વિશ્વસાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન આપે છે. મેફિસ્ટોફેલેસ ફાઉસ્ટના વ્યક્તિત્વને પોતાના કાબૂમાં લઈ નચાવવાની ઉમેદ રાખે છે, તેમ કરતાં ફાઉસ્ટ અને મેફિસ્ટોફેલેસ વચ્ચે જે ઘર્ષણ થાય છે, તેમાં મેફિસ્ટોફેલેસ કેટલે અંશે સફળ થાય છે એ બાબત ગોઅ‍ૅથે આ નાટકના જુદા જુદા અંકોમાં સફળતાપૂર્વક દર્શાવે છે.

‘ફાઉસ્ટ’ના ‘નાટકશાળામાં પ્રારંભિક ગાન’માં નાટકશાળાના નિયામક, કવિ અને રમૂજી પાત્ર, એમ ત્રણ વ્યક્તિઓના અદ્ભુત સંવાદો ગોઍથેએ આપ્યા છે. તે સંવાદો દ્વારા ગોઍથે કેવા પ્રકારના પ્રેક્ષકો નાટક જોવા આવતા હોય છે તે એક તલસ્પર્શી મનોવૈજ્ઞાનિકની જેમ, આ ત્રણ વ્યક્તિઓના સંવાદો દ્વારા દર્શાવે છે. વળી, ગંભીર વિચારોની સાથે રમૂજી પાત્રના સંવાદને વણી લઈ ઊંડું ગાંભીર્ય સામાન્ય બુદ્ધિવાળા પ્રેક્ષકો પણ સહજતાથી સ્વીકારી શકે તેની કાળજી રાખે છે.

ગોઍથેએ પોતે ઇટાલિયન સાહિત્યમાંથી ઉત્તમ ગ્રંથોના અનુવાદ કર્યા હતા. સહુ જાણે છે તેમ, ભારતીય સાહિત્યમાં એમને ઊંડો રસ હતો. કાલિદાસના વિખ્યાત નાટક ‘અભિજ્ઞાન શાકુંતલમ્’નો પ્રાચ્યવિદ્યાવિદ્ તત્ત્વચિંતક અને ભારત-યુરોપીય ભાષાશાસ્ત્રી મૅક્સમૂલરે (1823-1900) સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો અને એ વિખ્યાત નાટક વાંચીને ગોઍથે એટલા બધા ભાવવિભોર બની ગયા હતા કે ‘અભિયાન શાકુંતલમ્’ને મસ્તકે મૂકીને નાચી ઊઠ્યા હતા. એ પણ નોંધવું જોઈએ કે ભારતમાં જર્મન સરકારે સ્થાપેલી છ ગોઍથે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે અને એ ઇન્સ્ટિટ્યૂટના ભવનને ‘મૅકસમૂલર’ ભવન નામ આપવામાં આવ્યું છે. નોબેલ વિજેતા ડૉ. આલર્બ્ટ સ્વાઇટ્ઝર પણ અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગૂંચવાઈ જતા ત્યારે ગોઍથેની પ્રેરણા એમને પ્રોત્સાહક નીવડતી હતી. ગોઍથેના સાહિત્યસર્જન અને સ્વાસ્થ્યનો નેપોલિયન પ્રશંસક હતો. ગોઍથેની નવલકથા ‘યુવાન વેર્થરની વેદનાઓ’ (Die Leiden des jungen Werthers) તત્કાલીન યુરોપમાં ખૂબ પ્રશંસા પામી હતી અને નેપોલિયને તે સાત વાર વાંચી હતી.

મહાકવિ ગોઍથેએ ‘ફાઉસ્ટ’ના સર્જનનો પ્રારંભ કર્યા પછી 60 વર્ષે તેના બીજા ભાગનું સર્જન કર્યું હતું. આ કૃતિના સર્જનની વિશેષતા એ રહી કે ઘણી વાર એમણે અંતનું સર્જન પહેલાં કર્યું અને વચ્ચેના વિભાગનું સર્જન છેલ્લે કર્યું. આમ છતાં આ સમસ્ત કૃતિની પ્રવાહિતાને ક્યાં ય આંચ આવી નથી. ગોઍથેએ 82 વર્ષની વયે 1832માં ‘ફાઉસ્ટ’નો બીજો ભાગ પૂર્ણ કરીને જગતની વિદાય લીધી. (જન્મ : 28 ઑગસ્ટ, 1749, જર્મની; અવસાન : 22 માર્ચ 1832, જર્મની) એક યોગાનુયોગ એ કહેવાય કે ગોઍથેએ 82 વર્ષે આ કાર્ય પૂર્ણ કર્યું, એ જ રીતે ચંદ્રકાન્ત દેસાઈએ ‘ફાઉસ્ટ’નો જર્મનમાંથી ગુજરાતી અનુવાદ પણ 82 વર્ષે પૂર્ણ કર્યા.

આ રીતે ગુજરાતી ભાષાને જર્મન ભાષામાંથી ‘ફાઉસ્ટ’નો અનુવાદ મળ્યો એ ગુજરાતી ભાષાના પ્રેમીને માટે મહત્ત્વની ઘટના કહેવાય.

સૌજન્ય : ‘આજની વાત’, “વિશ્વવિહાર”, વર્ષ – 20; અંક – 2; નવેમ્બર 2017; પૃ. 3-5

Loading

9 February 2018 admin
← ભારુલતા કામ્બલે – એક અસાધારણ વ્યક્તિત્વ
Kasganj Violence: Unveiling the Anatomy of a Riot →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved