Opinion Magazine
Number of visits: 9448939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશમાં ઊભરી રહેલ યુવા નેતૃત્વ સામેના પડકારો

હિરેન ગાંધી|Opinion - Opinion|1 February 2018

૨૦૧૬માં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં દલિત યુવાન ઉપર થયેલા નિર્દયી અત્યાચાર નિમિત્તે ગુજરાતભરમાં આગની માફક પ્રસરેલ ઉના અત્યાચાર વિરોધી આંદોલનો દરમિયાન ઊભરેલ એક વિદ્રોહી, સાહસિક યુવાનેતા – જિજ્ઞેશ મેવાણીએ આંદોલન દરમિયાન ઉઠાવેલ માંગણીઓ તેમ જ તાજેતરમાં મહારાષ્ટ્રનાં દલિત-સંગઠનોએ કોરેગાંવ ખાતે મનાવેલ ‘વિજયદિવસ’માં તેમની ઉપસ્થિતિ સંદર્ભે મેં ‘ઉના-આંદોલનના નેતૃત્વ નિમિત્તે-ખુલ્લી ચર્ચા માટે’ શીર્ષક હેઠળ એક લેખ, કેટલાક સવાલો સાથે ‘નિરીક્ષક’માં પ્રકાશિત કરવા મોકલ્યો તે ગયા અંકમાં પ્રકાશિત થયો.

મેં એ લેખ કેટલાક રાજનૈતિક-સામાજિક અભ્યાસુઓ, ચિંતકો, કર્મશીલો અને બૌદ્ધિકોને પણ વ્યક્તિગત રીતે અભિપ્રાય, સૂચનો માટે મોકલ્યો હતો. એમાંના ત્રણેક સાથી બિરાદરોએ ટેલિફોન ઉપર મારી સાથે લંબાણપૂર્વક ચર્ચાઓ કરી, કૉમેન્ટ્‌સ આપી. મુખ્યત્વે કોરેગાંવ-ભીમા ઘટના વિશે વધુ ચર્ચાઓ થઈ. એ દરમિયાન મને લાગ્યું કે એ ઘટના તેમ જ જિજ્ઞેશની આંદોલનકારી તેમ જ રાજનૈતિક ગતિવિધિઓને વર્તમાન રાષ્ટ્રીય રાજનૈતિક પરિદૃશ્યના સંદર્ભે તપાસીએ, તો શું દેખાય છે? પ્રસ્તુત લેખમાં એ મુદ્દા તપાસવાનો પ્રયાસ કરી રહ્યો છું.

મૂડીના વૈશ્વિકીકરણ, નવઉદારવાદ અને ખાનગીકરણના આખલાને દેશ અને વિશ્વમાં છૂટ્ટો મુકાયા પછી, દુનિયાભરમાં, ખાસ કરીને આપણા જેવાં વિકાસશીલ, ગરીબ અને સામાજિક-સાંસ્કૃિતક દૃષ્ટિએ ‘આધુનિકતા’ સુધી ન પહોંચી શકેલાં રાષ્ટ્રોની રાજનીતિમાં જે સૌથી મહત્ત્વનો અને મુખ્ય સવાલ ઘૂમરાઈ રહ્યો છે, તે છે – ‘આ રાષ્ટ્ર કોનું?’

યુરોપમાં પંદરમીથી અઢારમી સદી દરમિયાન ચાલેલી ‘આધુનિકતા’ માટેની જદ્દોજહદ દરમિયાન માનવસમાજને સાંપડેલી ‘રાષ્ટ્ર-રાજ્ય’ની વ્યાખ્યા આજે હાંસિયામાં ધકેલાઈ રહી છે. આજે તો ‘રાષ્ટ્ર’ની વ્યાખ્યાના કેન્દ્રમાં આવી રહ્યાં છે – કોમ, જાતિ, ધર્મ વગેરે. ભારતના સંદર્ભમાં જોઈએ તો આજે સરેઆમ ‘ભારત એટલે હિન્દુ રાષ્ટ્ર’ની સમજ પ્રચલિત, પ્રસારિત થઈ રહી છે. આ સંદર્ભમાં જ હમણાં ૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જિજ્ઞેશ મેવાણી, કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ જેવા નવોદિત નવયુવાન યુવાનેતાઓએ દિલ્હીમાં ‘યુવા હુંકાર રેલી’નું આયોજન કર્યું. એ રેલીના અંતે વર્તમાન વડાપ્રધાન અને સક્રિય સંઘ (આર.એસ.એસ.) કાર્યકર્તા નરેન્દ્ર મોદીને ભારતનું બંધારણ અને મનુસ્મૃિત (એક પ્રકારનું હિન્દુ સમાજનું બંધારણ) બેમાંથી એક પસંદ કરાવવાનો કાર્યક્રમ રાખેલો. આ અત્યંત સૂચક કાર્યક્રમને સ્વાભાવિક રીતે જ સત્તાધીશો પાર ન પાડવા દે. એમ જ બન્યું; પણ રેલી થઈ, સૂચક અંત વિના. ભલે વડાપ્રધાને સત્તાના જોરે બે બંધારણમાંથી એકની પસંદગી કરવાનું ટાળ્યું; પરંતુ ‘યુવા હુંકાર રેલી’નો સવાલ, આજે આપણા આખાયે રાષ્ટ્ર ભણી બુલેટની માફક ફેંકાઈ તો ચૂક્યો છે.

ફરીથી, ‘રાષ્ટ્ર કોનું?’ સમાનતાનો અધિકાર મેળવનાર આ દેશના તમામ નાગરિકોનું કે હિંદુ ઉચ્ચાવચતાના ક્રમને સ્વીકારનાર સાંસ્કૃિતક દૃષ્ટિએ અંતિમવાદી ગણાતા ‘હિન્દુત્વના આરાધકો’નું? આ સવાલના પ્રકાશમાં જોઈએ તો ‘ઉના અત્યાચાર વિરોધી આંદોલન’ના નેતા જિજ્ઞેશ મેવાણી તેમ જ દલિતો ‘હિન્દુપત પાદશાહી’ના સંવાહકો સમા બ્રાહ્મણ પેશ્વાઓ સામે બ્રિટિશર્સના સૈન્યની મહાર ટુકડીએ દાખવેલ અપ્રતિમ શૌર્ય દ્વારા મેળવાયેલ જીત આ બંને જો આજે બસો વર્ષ ‘વિજયદિવસ’ની  ઉજવણીરૂપે એ ઘટના – બને છે, તો એ છે ‘હિન્દુ રાષ્ટ્ર’ના ખ્યાલનો પૂરજોશથી થઈ રહેલો વિરોધ જ. આ દૃષ્ટિએ, મેં અગાઉના લેખમાં કરેલી જિજ્ઞેશના નેતૃત્વની અને કોરેગાંવ-ભીમા ઘટના વિશેની ટીકાઓ, આલોચના ત્યાંની ત્યાં જ છે; પરંતુ તે ‘આધુનિકતા’ની દૃષ્ટિએ; ‘હિન્દુ રાષ્ટ્ર’ના પરિપ્રેક્ષ્યમાં નહીં. મુખ્ય ધારાની રાજનીતિમાં આજે ઘૂમરાઈ રહેલ મુખ્ય સવાલને નજરઅંદાજ કરવો મારા-તમારા જેવા દેશના બંધારણને વરેલા નાગરિકોને પોસાય એમ નથી જ. આપણા માટે તો આજે દેશના બંધારણે ઠરાવેલ ‘રાષ્ટ્ર-રાજ્ય’ની વ્યાખ્યાને પુનઃપ્રાપ્ત કરી દેશમાં પુનઃસ્થાપિત કરવાનો પડકાર સૌથી મહત્ત્વનો છે. ‘આધુનિકતા’નો સવાલ આપણા દેશ અને સમાજ માટે મહત્ત્વનો છે જ, પરંતુ પહેલાં તો દેશના બંધારણ અને પ્રજાતંત્રના ટ્રૅક ઉપરથી ખડી પડેલ ટ્રેનને પાછી ટ્રૅક ઉપર પુનઃસ્થાપિત કરવાનો છે અને એ ટ્રૅક પર આગળ ધપાવવાનો છે.

અલબત્ત, છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન દેશભરમાં અલગ અલગ આંદોલનમાંથી ઊભરેલા કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ, જિજ્ઞેશ મેવાણી જેવા કેટલાક નોંધપાત્ર યુવા નેતાઓ સંદર્ભે એક બીજો સવાલ જરૂર થાય છે. એક યા બીજા અત્યાચારો, અન્યાયોનો વિરોધ કરવા આવા તમામ યુવાનેતાઓ એક મંચ ઉપર આવી કાર્યક્રમો કરે છે. આ એક ખૂબ જ આશાસ્પદ અને વિધેયાત્મક વાસ્તવિકતા છે. તેઓ વર્તમાનની અંધકારભરી રાજનીતિમાં વિદ્રોહની મશાલો સતત જલતી રાખવા મથી રહ્યા છે; પરંતુ શું તેમની પાસે પ્રજાતંત્રને પુનઃ ધબકતું કરવા માટેની કોઈ એક વૈકલ્પિક રાજનીતિનો નકશો કે રૂપરેખા છે? તે તમામની પાસે કોઈ સહિયારી વૈકલ્પિક રાજનૈતિક વિચારધારા છે? દૂર રહ્યે રહ્યે હાલમાં આપણને સ્પષ્ટ દેખાતી કે અનુભવાતી ન હોય, પરંતુ એ વિશે એમની વચ્ચે ચર્ચા-વિચારણાઓ થઈ પણ રહી હોય. પરંતુ જો એવી કોઇ વૈકલ્પિક વિચારધારા ન હોય તો? તો એમની વ્યક્તિગત અને મુદ્દા આધારિત રાજનીતિનું ભવિષ્ય શું?

ગુજરાતમાં આપણી પાસે ‘નવનિર્માણ’ આંદોલનનું ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલ એ આંદોલનમાં કેટલાક આવા જ લડાકુ યુવાનેતાઓ ઊભર્યા. હૉસ્ટેલના મેસ બિલમાં થયેલ વધારામાંથી શરૂ થયેલ એ આંદોલને છેવટે મુખ્યમંત્રીનું રાજીનામું હાંસલ કર્યું. લગભગ ત્રણેક મહિના સુધી સમગ્ર ગુજરાતની જનતા એ આંદોલનની પડખે ઊભી રહી. જયપ્રકાશ નારાયણ (જેપી) જેવા લોકનેતાને પણ એ આંદોલનમાંથી પ્રેરણા મળી. પણ પછી? મુખ્યમંત્રીના રાજીનામા પછી વૈકલ્પિક વિચારધારાના અભાવે આંદોલન વિખેરાઈ ગયું. મનીષી જાની જેવા એકાદ-બે વિદ્યાર્થી-નેતાઓના અપવાદને બાદ કરતાં, તમામ અન્ય વિદ્યાર્થી-નેતાઓ મુખ્ય ધારાની સ્થાપિત રાજનીતિમાં ભળી ગયા અને આગળ જતાં એમાંના કેટલાકે ગુજરાતના પ્રધાનમંડળમાં સ્થાન પણ મેળવ્યું.

‘નવનિર્માણ’ જેટલાં દૂર ન જઈએ, તો તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ પ્રેરિત અને અણ્ણા હજારેના નેતૃત્વમાં ચાલેલ ‘ભ્રષ્ટાચારવિરોધી’ આંદોલનમાંથી કોઈ વૈકલ્પિક રાજનીતિના નકશા વિના જ ‘આમઆદમી પાર્ટી’ અસ્તિત્વમાં તો આવી. દિલ્હી રાજ્યની સત્તા પણ હાંસલ કરી; પણ તેનાથી દેશની સ્થાપિત રાજનીતિમાં શું ફરક પડ્યો? આવો જ અનુભવ આપણને ’૮૦ના દાયકાના મધ્યમાં આસામના વિદ્યાર્થી-નેતાઓએ ચલાવેલ આંદોલનનો છે. આંદોલનની સફળતાને અંતે ‘આસામ ગણપરિષદ’ (એ.જી.પી.) નામનો રાજકીય પક્ષ બનાવી એ યુવાનેતાઓએ રાજ્યની સત્તા કબ્જે કરી ય ખરી, પણ વૈકલ્પિક વિચારધારાના અભાવે આજે તેની શું હાલત છે, એ આપણે જોઇ શકીએ છીએ.

અલબત્ત, કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ કે જિજ્ઞેશ મેવાણીની રાજનીતિનું ભવિષ્ય આવું જ થશે, એમ માનવાનું આજે તો કોઈ કારણ નથી; પરંતુ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે, મુખ્ય ધારાની રાજનીતિની જાણીતી કૂટનીતિ પ્રમાણે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર જિજ્ઞેશની સામે કૉંગ્રેસે પોતાનો કોઈ ઉમેદવાર ન ઊભો રાખ્યો અને એની ઉમેદવારીને પરોક્ષ સમર્થન આપ્યું; જિજ્ઞેશ ચૂંટણી જીત્યો. પણ જો કૉંગ્રેસનું સમર્થન ન હોત તો? વળી જિજ્ઞેશે પ્રત્યક્ષ કૉંગ્રેસનું સભ્યપદ ન લીધું, પરંતુ કૉંગ્રેસની ચૂંટણીસભાઓમાં રાહુલ ગાંધી સાથે ઉપસ્થિત તો રહ્યો જ. હકીકતમાં આ વાસ્તવિકતા જ આપણે માટે ચિંતાનો વિષય છે. જો આંદોલનોમાંથી ઊભરતા નેતૃત્વ પાસે વૈકલ્પિક રાજનીતિ અને વિચારધારા નહીં હોય, તો વહેલા-મોડા એણે મુખ્ય ધારાની રાજનીતિમાં સમાઈ જવું પડે છે અથવા રાજનીતિથી દૂર ફેંકાઈ જવું પડે છે.

ફરીથી, ‘રાષ્ટ્ર કોનું?’ના પ્રશ્ન ઉપર આવીએ તો – કૉંગ્રેસની ભારતીય ‘રાષ્ટ્ર’ વિશેની સમજ, આર.એસ.એસ. કે બી.જે.પી. જેટલી અંતિમવાદી નથી. ભૂતકાળમાં ‘આઝાદ કાશ્મીર’ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો નિમિત્તે કૉંગ્રેસે અખત્યાર કરેલ ‘રાષ્ટ્ર’ વિશેનાં વલણોને બાદ કરીએ તો આજે એ ‘હિન્દુ રાષ્ટ્ર’ના અંતિમવાદી ખ્યાલની સામે ઊભેલી પાર્ટી દેખાય છે; પરંતુ દેશના તમામ નાગરિકોની સમાનતામાં માનતા ‘રાષ્ટ્ર’ની સમજથી એ હજી પણ છેટી દેખાય છે. હમણાંની ચૂંટણીઓ દરમિયાન એણે અપનાવેલ નરમ હિન્દુત્વની રણનીતિ એનો પુરાવો છે. છેલ્લા અઢી દાયકાથી મુખ્ય ધારાની રાજનીતિ પર એની છૂટતી જતી પકડ, એની રાજનૈતિક વિફળતાઓનો પુરાવો છે.

આ કારણોસર જ નવોદિત યુવા નેતાઓ પાસે અપેક્ષા છે કે તેઓ સંકલિત / સંગઠિત થઈને વૈકલ્પિક રાજનૈતિક વિચારધારા અને પ્રજાતાંત્રિક વ્યવસ્થાનું ઘડતર કરે. આપણી વર્તમાન રાજનૈતિક કરુણતાનો આ તાતો પડકાર છે.

E-mail : darshan.org@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 04-05

Loading

1 February 2018 admin
← ગાંધીવિરોધીઓને પહેલેથી જ ખાતરી હતી કે જો ઊગવું હશે તો વડલો જડમૂળથી ઉખેડવો પડશે
‘કેવલમ જ્ઞાનમૂર્તિ’ લાગે તેવા ‘વિદ્યાવંત અનંત’ અધ્યાપક નિરંજન ભગત સિવિલાઝેશનનું પ્રતીક હતા →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved