Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસ્વીકૃતિમાં ઉઠેલા હાથ, એ જ ખરો દેશપ્રેમ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 January 2018

 ઇન્દિરા ગાંધીની કટોકટી (1975થી 1977) દરમિયાન જેલોમાં બંધ કરવામાં આવેલા વિરોધ પક્ષોના નેતાઓનો એક કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. કટોકટીમાં પ્રતિબંધક ધારા હેઠળ નેતાઓની ધરપકડ કરાઈ હતી. એ નેતાઓ એમની કેદને પડકારવા કોર્ટોમાં આવી શકે તે માટે તેમને છોડવામાં આવે તેવી માગણી સાથે રીટ પિટિશનો કરવામાં આવી હતી. એમાં પ્રશ્ન એવો ઊભો થયો કે, કટોકટીના જાહેરનામામાં મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હોય તો અટકાયતોને પડકારવાનો અધિકાર રહે ખરો?

દેશની જુદી જુદી 9 હાઈકોર્ટોએ આવી રીટને દાખલ કરી એટલે સરકાર (ઇન્દિરા ગાંધી, એમ વાંચો) અપીલમાં ગઈ. એ.ડી.એમ. વિ. કાન્ત શુક્લા તરીકે જાણીતો આ કેસ સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચ પાસે આવ્યો ત્યારે, બેન્ચે બહુમતીથી (વિવાદાસ્પદ કહી શકાય તે રીતે) એવું ઠરાવ્યું કે, કટોકટી હેઠળના દેશમાં કોઈ પણ વ્યક્તિ એની આઝાદી કે જીવન બચાવવા સરકાર સામે કોર્ટનો આશરો લઈ ન શકે.

તમને જો યાદ હોય તો હમણાં ઑગસ્ટ મહિનામાં સમાચાર આવ્યા હતા કે, સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચ પૈકીના એક જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે તેમના જ પિતા વાય.વી. ચંદ્રચૂડનો એક ચુકાદો ઊલટાવીને ઠરાવ્યું હતું કે, જિંદગી અને નિજી સ્વતંત્રતા એ માનવ અસ્તિત્વનું અભિન્ન અંગ છે, અને એ પ્રકૃતિદત્ત મૂળભૂત અધિકાર છે. આ વાય.વી. ચંદ્રચૂડ એટલે કટોકટીની પેલી બેન્ચના એક સદસ્ય, જેણે ઇન્દિરા ગાંધીની ફેવરમાં ચુકાદો આપીને કહ્યું હતું કે, ‘વ્યક્તિનું સ્વાતંત્ર્ય કાનૂનથી બંધાયેલું અને નિયંત્રિત છે.’ દીકરાએ આ ચુકાદાને દોષપૂર્ણ ગણાવીને સુલટાવી દીધો હતો.

42 વર્ષ પહેલાં પાંચ જજની બેન્ચ કટોકટીનો આ ચુકાદો તોળતી હતી ત્યારે, તે પૈકીના એક જસ્ટિસ હંસરાજ ખન્નાએ પણ આવો જ ભિન્ન મત વ્યક્ત કર્યો હતો, જેના કારણે એમને SCના મુખ્ય ન્યાયમૂર્તિનું પ્રમોશન મળ્યું નહોતું, અને બહુમતી જજથી અલગ મત વ્યક્ત કરવાને કારણે કાનૂની-રાજકીય જગતમાં જે વિવાદ થયો તેથી રાજીનામું પણ આપવું પડ્યું હતું. એ ઇન્દિરા ગાંધીની સ્ટાઈલનો ‘ન્યાય’ હતો.  મજાની વાત એ છે કે, જસ્ટિસ ખન્નાને એમના ભિન્ન મત માટે આજે પૂરી દુનિયામાં યાદ કરવામાં આવે છે. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ સમાચારપત્રએ ત્યારે લખ્યું હતું, ‘ઇન્દિરા ગાંધી જો સ્વતંત્રતા અને લોકશાહીને પાછી લઈ આવશે તો, કોઈક જસ્ટિસ એચ.આર. ખન્નાનું સ્મારક ઊભું કરશે.’

ઇન્દિરાએ લાદેલી કટોકટીમાં પકડાયેલા કોઈ વ્યક્તિને કોર્ટની મદદ માગવાનો અધિકાર નથી, એવા બહુમતી ચાર જજનાં તારણ સાથે અસહમત થતાં જસ્ટિસ ખન્નાએ ત્યારે નોધ્યું હતું:

‘ભારતનું સંવિધાન અને કાનૂન, જીવન કે સ્વતંત્રતાને વહીવટદારની સરમુખત્યારીનું મોહતાજ નથી બનવા દેતું. અહીં કાનૂની નિયમ દાવ ઉપર છે. સવાલ એ છે કે, જે કાનૂન કોર્ટની સત્તા મારફતે બોલી રહ્યો છે, તેનું ગળું દબાવીને ખામોશ કરી દેવાય? કાનૂની નિયમ મનમાનીનો વિરોધી છે. દરેક સભ્ય સમાજમાં એ સ્વીકાર્ય છે. મુક્ત સમાજની એ નિશાની છે. નિજી સ્વતંત્રતા અને જાહેર વ્યવસ્થા વચ્ચે એ સંતુલન બનાવી રાખે છે. સુનાવણી વગરની કેદ એ નિજી સ્વતંત્રતાના પ્રેમીઓ માટે અભિશાપ છે.’

હંસરાજ ખન્નાના આ જાણીતા કિસ્સામાં એક મહત્ત્વનો શબ્દ હતો; ભિન્ન મત, એટલે કે ડિસેન્ટ. કાનૂન વ્યવસ્થામાં (ખાસ કરીને બેન્ચ બેઠી હોય ત્યારે) બહુમતી જજના ચુકાદા કરતાં જુદો મત (એટલે કે અસહમતી) વ્યક્ત કરવાની પ્રથા બહુ જૂની અને જાણીતી છે. અમેરિકન સુપ્રીમ કોર્ટમાં તો એક જજ ભિન્ન મત લખે તો, બાકીના જજ એના ઉપર હસ્તાક્ષર પણ કરે તેવી પ્રથા છે. આપણે ત્યાં હમણાં ટ્રિપલ તલાક ઉપર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચનો ચુકાદો આવ્યો ત્યારે, ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરે બાકીના જજોથી અલગ પડીને ભિન્ન મત આપ્યો હતો કે, તત્કાળ તલાક આપવાનો મુસ્લિમોને સંવેધાનિક અધિકાર છે. (બહુમતી ચુકાદો એવો હતો કે, આ પરંપરા ગૈરસંવેધાનિક છે અને કાનૂન સામે સૌને સમાન માનતી કલમ 14નો ભંગ કરે છે).

સુપ્રીમ કોર્ટના જે કોર્ટરૂમ 2માં એચ.આર. ખન્નાની તસવીર સજાવાયેલી છે, એ જ કોર્ટરૂમમાં આજકાલ જે. ચેલ્મેશ્વર બિરાજે છે, જેમણે ગયા સપ્તાહે અન્ય ત્રણ સાથીઓ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમ.બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સાથે મળીને મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં અસહમતી વ્યક્ત કરી હતી. મીડિયા સમક્ષ આવીને ‘લોકશાહી ખતરામાં છે’ એવી ગંભીર ભાવના સાથે સુપ્રીમ કોર્ટમાં ચાલતી ‘ગડબડી’ને વ્યક્ત કરવાનો એમનો આ ભિન્ન મત એટલો અભૂતપૂર્વ હતો કે, દેશમાં એક સાથે એવો અવાજ પણ ઊઠ્યો કે, જજ સાહેબોએ જાહેરમાં ગંદા લૂગડાં ધોયાં એ બરાબર તો નહોતું જ.

આવો ભિન્ન મત આ રીતે બહાર આવ્યો હોય એ ઘટના ભલે આઘાતજનક લાગતી હોય, પણ પ્રવર્તમાન સમાજમાં વ્યાપ્ત કુંઠા અને હતાશાનો એ ચાર જજોના અવાજમાં પડઘો છે. ભારતીય સમાજમાં ભિન્ન મતનું ગળું ઘોંટી દેવાયું છે એ હકીકત છેક સુપ્રીમ કોર્ટ સુધી અસર કરી ગઈ છે, અને એટલે જ ચાર જજ સાહેબોએ ફરિયાદ કરી કે, બધું બરાબર નથી ચાલતું એવી અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈ રહી છે (એ કાન બહેરા કરી દેવામાં આવ્યા છે, એવું બિટવીન ધ લાઈન્સ વાંચવું). છેલ્લા ઘણા વખતથી ચૂંટણી પંચ, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ અને સરકારથી સ્વતંત્ર કહેવાય તેવું મીડિયા સંદેહના ઘેરામાં આવ્યું છે. ગયા સપ્તાહે જ આ જ કૉલમમાં આર્મીની વાત લખી હતી, જેને રાજનીતિનો સાપ સૂંઘી ગયો છે.

એક સામાન્ય વ્યક્તિથી લઇને કોઈ મોટી સંસ્થા દેશ વિશે, સમાજ વિશે કે સરકાર વિશે કોઈ પણ ટીકા-ટિપ્પણ કરી શકાતી નથી. કરે છે તો એને વિરોધી કહીને ઉતારી પાડવામાં આવે છે. ચાર જજોએ એમનો ઉકળાટ ઠાલવ્યો ત્યારે તત્કાળ એમને સરકાર-વિરોધી કહીને જાત-જાતનાં સંબોધનોથી નવાજવામાં આવ્યા હતા. કદાચ આપણે ભૂલી ગયા છીએ કે, ભિન્ન મત એ વિરોધ નથી, ચાહે એ દેશનો હોય કે સરકારનો. આ દેશ જ ભિન્ન મતની બુનિયાદ ઉપર મહાન થયો છે.

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એમના જમાનાની રૂઢિઓથી અલગ પડ્યા હતા, અને એક મહાન આધ્યાત્મિક પરંપરાનો જન્મ થયો હતો. 8મી સદીના અંધવિશ્વાસથી ભરપૂર હિંદુ સમાજમાં આદિ શંકરાચાર્યનો વિરોધી અવાજ ઊઠ્યો, અને સનાતન ધર્મ ફરીથી જીવંત થયો. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની બુનિયાદ 1857ના ભિન્ન મતમાં ચણાઈ હતી. ગાંધી હોય કે નેહરુ કે બોઝ કે તિલક હોય, એ પછી ભિન્ન મતના અનેક સૂર ઊઠ્યા હતા.

સ્વતંત્ર ભારતમાં સૌથી મોટો ભિન્ન અવાજ જયપ્રકાશ નારાયણનો હતો, જેમણે લોકશાહીનાં મૂળિયાં મજબૂત કર્યાં હતાં. ચક્રવર્તી રાજગોપાલાચારી પહેલા નેતા હતા, જેમણે નેહરુ અને ઇન્દિરાના રશિયા-સ્ટાઈલ કારભાર સામે અસહમતી વ્યક્ત કરી હતી, અને જેનું પરિણામ 1991માં પી.વી. નરસિમ્હા રાવ અને મનમોહન સિંહના ઉદારીકરણમાં આવ્યું હતું, જેના કારણે આપણે દુનિયાભરની ચીજ-વસ્તુઓનાં સુખ ભોગવી રહ્યા છીએ.

આ બધા ભિન્ન મત રાષ્ટ્રવિરોધી હતા? બ્રિટિશ શાસનમાં ‘કમાન્ડ અને કન્ટ્રોલ’ની નીતિ હતી, અને એની સામે વિદ્રોહ કરીને આપણે એવા મુક્ત દેશનું સર્જન કર્યું હતું, જેમાં દરેક વ્યક્તિ મુક્ત રીતે વિચારી અને બોલી શકતો હતો. એક વિચાર સામે અસહમતી હોય તો એનો વિરોધ પ્રતિ-વિચારથી થાય, નહીં કે એ વિચારનારને મૌન કરી દેવામાં. ચાર જજ સાહેબોએ એ જ તંદુરસ્ત પરંપરાને અનુસરીને એમનો અસહમતીનો ઉઠેલો અવાજ આપણને સંભળાવ્યો છે. આપણે આપણા કાન બંધ ન કરી દઈએ તો સારું. રાષ્ટ્રનું ખરું અહિત જ બહેરાપણામાં છે, બોલવામાં નહીં.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 21 જાન્યુઆરી 2018

Loading

22 January 2018 admin
← Better See a Good Doctor !
રાજ્યસભામાં આ શું ચાલી રહ્યું છે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved