સંઘનો સમરસતા મંચ અને ભાજપનો અનુસૂચિત મોરચો બંને સહઅસ્તિત્વ ધરાવે છે
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના નાગપુર ખાતેના વિજયાાદશમી વક્તવ્યના કેટલાક મુદ્દા તેમના ગુરુભાઈ અને દેશના ‘પ્રધાનસેવક’ને ચચરે એવા છે. વળી ભાગવતનું આ ભાષણ ભાજપની દિલ્હી પરિષદ અને સંઘની વૃંદાવન સમન્વય બેઠક પછી આવ્યું છે તેને કારણે ભાજપ સંઘ વચ્ચે બધું સમુંસૂતરું ન ચાલી રહ્યાનું લાગે છે.
ઇ.સ. 1925માં ‘હિંદુઓ માટે આક્રમકપણે લડી શકે’ તેવી સંસ્થારૂપે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો જન્મ થયો હતો. આજે એ વાતને લગભગ સવા નવ દાયકા થવા આવ્યા છે. પોતાને સાંસ્કૃિતક સંગઠન ગણતો સંઘ ઉગ્ર રાષ્ટ્રવાદનો પુરસ્કર્તા મનાય છે. ભારતીય જનતા પક્ષ તેનો રાજકીય ચહેરો છે. છતાં સંઘ અને ભાજપના સંબંધો ચર્ચાસ્પદ છે.
બલરાજ મધોકે જનસંઘ છોડતાં ‘મારી તકરાર જનસંઘનો કબજો લઈ બેઠેલાં ફાસિસ્ટ તત્ત્વો સામે છે’ એમ સ્પષ્ટ જણાવ્યું હતું. તેમને આર.એસ.એસ. દ્વારા જનસંઘમાં નીમાતા સંગઠન મંત્રીઓ સામે વાંધો હતો. પણ પોતે તો સાંસ્કૃિતક સંગઠન જ છે, તેવા સંઘના રટણ સાથે એ સિલસિલો આજે પણ યથાવત્ છે. મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતાપક્ષની સરકાર બેવડા સભ્યપદને મુદ્દે તૂટી હતી. આજે દેશના તમામ બંધારણીય પદો પર સંઘના સ્વંયસેવકો બિરાજમાન હોય તે સંઘની મોટી સફળતા છે.
આઝાદી બાદ બે વખત પ્રતિબંધિત થઈ ચૂકેલા સંગઠનની વિચારધારા લોકસભામાં પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવે તે બાબત નાનીસૂની નથી. પોતાની સરકારને મોહન ભાગવતે તેમના નાગપુર ભાષણમાં આત્મખોજ કરવા, લોકોને વધુ સાંભળવા, સત્ય હકીકતોથી વાકેફ રહેવા કહેવું પડ્યું છે. સંઘે તેની આર્થિક વિચારધારા અકબંધ રાખીને જરા જુદી રીતે સ્વદેશી રાગ આલાપ્યો છે. રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકારને સૂટબૂટની સરકાર કહે અને સંઘ સુપ્રીમો ‘માત્ર થોડાક ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડે એવી આર્થિક નીતિઓની જરૂર નથી’, એમ કહે તો તે બે બાબતો વચ્ચે ઘણું સામ્ય છે. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘ જેવાં સંઘનાં સંગઠનો સરકારની નીતિઓના વિરોધમાં આંદોલન કરવાના છે, ત્યારે વિપક્ષની નહીં તો પોતાની માતૃસંસ્થાની આલોચના ભા.જ.પ. નજરઅંદાજ ન કરે એ તેના હિતમાં છે.
જો કે, મોહન ભાગવતે એમના નાગપુર વક્તવ્યમાં ચીન, ગોરક્ષા, કાશ્મીર, રોહિંગ્યા મુદ્દે જે વિચારો વ્યક્ત કર્યા છે કે પછી દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા, મુસ્લિમોમાં અસલામતીની ભાવના, દલિતો અને મહિલાઓ પરના અત્યાચાર જેવા મુદ્દે મૌન ધારણ કર્યું છે, તે દર્શાવે છે કે સંઘમાં કશો બદલાવ આવ્યો નથી. કેન્દ્રમાં અને દેશનાં ઘણાં રાજ્યોમાં સંઘની વિચારસરણી ધરાવતી ભા.જ.પ.ની સરકારો છે અને તેમના વહીવટમાં સર્વસમાવેશીપણું કેટલું તેવા સવાલો છે, ત્યારે સંઘનું વલણ સ્પષ્ટ થવું જોઈતું હતું. અટલ બિહારી વાજપેયીએ કહેલું કે, ‘આપણે ત્યાં રાજધર્મની અલગ વ્યાખ્યા કરવામાં આવી છે. રાજા પક્ષપાત ન કરે, ભેદભાવ ન આચરે, પોતાના પરિવારને પણ પ્રાથમિકતા ન આપે, મતનું રાજકારણ બાજુએ મૂકીને રાજધર્મનું પાલન થાય તો બધી સમસ્યાઓ ઉકલી જાય.’ 2002માં ગુજરાતમાં કે 2017માં હરિયાણામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમંત્રીઓના રાજધર્મપાલન અંગે સંઘે જવાબ આપવો પડશે.
આર.એસ.એસ. પોતાને હિંદુ સંગઠન ગણતું હોય અને હિંદુસ્તાનમાં રહેતા તમામને હિંદુ માનતું હોય તો હિંદુઓ ખુદ પોતાના જાતભાઈઓ એવા દલિતોને કેમ અલગ ગણે છે અને તે ભેદભાવ અંગે સંઘ કેમ કશું કરતો નથી કે કરી શકતો નથી તેવા સવાલો થવાના. 2016ના માર્ચમાં રાજસ્થાનના નાગોરમાં મળેલી સંઘની પ્રતિનિધિ સભાએ સામાજિક સમરસતા પર પ્રસ્તાવ પસાર કરી હિંદુઓને સ્પષ્ટ નહીં તો નરમ ભાષામાં દોષિત માન્યા હતા. જો કે તેના મૂળમાં પૂર્વ સરસંઘચાલક બાળાસાહેબ દેવરસનાં વસંત વ્યાખ્યાનોમાં વ્યક્ત આ વિચારો છે: ‘સમાજમાં સૌહાર્દ, સામંજસ્ય અને અરસપરસ સહયોગનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે સમાનતાની જરૂર છે. દલિતો કોઈની મહેરબાની ઈચ્છતા નથી. તેઓ સમાજમાં બરાબરીનું સ્થાન માગે છે અને તે પણ પોતાના પુરુષાર્થના આધારે.’ સંઘના સર્વોચ્ચ સ્થાનેથી આવા વિચારો પ્રથમવાર જ વ્યક્ત થયા હતા. જો કે સંઘ હજુ સમાનતાને બદલે સમરસતાનું જ ગાણું ગાયે રાખે છે. મજા તો એ વાતની છે કે સંઘનો સમરસતા મંચ અને ભા.જ.પ.નો અનુસૂચિત જાતિ મોરચો બંને ભારતના રાજકીય- સામાજિક જીવનમાં સહઅસ્તિત્વ ધરાવે છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ની હારનું એક કારણ સંઘસુપ્રીમોના અનામતવિરોધી વિચારો હતું. સંઘ દલિત-આદિવાસી અનામત કેટલીક શરતોએ માન્ય રાખે છે, પણ ઓ.બી.સી. અનામત અંગે એવું નથી. સંઘ વિચારક મનમોહન વૈદ્ય, સમાજના સંપન્ન વર્ગો (ગુજરાતના પાટીદારો અને અન્ય) અનામતની માગણી કરે તે સાચી દિશાનો વિચાર નથી. આવા સંપન્ના વર્ગોએ તો નબળા વર્ગોની સહાય કરવી જોઈએ. તેના બદલે તે જ જો અનામત માગે તે અનામતની મૂળભૂત ભાવનાથી વિરોધની બાબત છે, તેમ માને છે. સંઘના આ વિચારો અને ગુજરાત સહિતની ભા.જ.પ. સરકારોની પાટીદાર, જાટ, ગુર્જરને અનામત આપવાની મજબૂરી વચ્ચે સંઘે સ્પષ્ટ વલણ લીધું નથી.
સત્તા મળે છે ત્યારે સંઘ અને ભા.જ.પ. એનો હિંદુત્વ એજન્ડા સગવડપૂર્વક વિસારે પાડી દે છે અને સત્તા માટે સમાધાનો કરે છે તે હકીકત કોઈથી અજાણી નથી. સંઘે તેના ગણવેશમાં ફેરફાર કર્યો છે પણ મૂળભૂત વિચારોમાં કશું પરિવર્તન કર્યું નથી. એ સંજોગોમાં મોહન ભાગવત નાગપુર ભાષણમાં વિજ્ઞાનની જિકર કરે તે ન સમજાય તેવો કોયડો છે. ભાગવતે કહ્યું હતું કે, ‘વિજ્ઞાન સ્વીકારે તે વિચાર સાચો અને વિજ્ઞાને બતાવેલા રસ્તે આગળ વધવું જોઈએ.’ સંઘનો આ વિજ્ઞાનપ્રેમ એની કોઈ રણનીતિનો ભાગ ન હોય તો રાજી થવા જેવું છે.
સંઘે હજુ કેટકેટલું કરવાનું બાકી છે તે અટલજીએ 1983ના ઑગસ્ટમાં ‘પાંચજન્ય’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની હિંદુ રાષ્ટ્રની ધારણા સાથે મારો કોઈ મતભેદ નથી, પરંતુ હિંદુ શબ્દને દિવસે દિવસે સીમિત થતો જોઉં છું. હિંદુ રાષ્ટ્રને સાથે હિંદુ ધર્મ શબ્દ જોડવાથી પણ મુશ્કેલી સર્જાય છે. સંઘ રાજકીય અને આર્થિક બાબતો અંગે પણ કંઈક વધુ બોલતો થાય તેમ હું ઈચ્છીશ. સંઘ કેવું આર્થિક માળખું પસંદ કરે છે? વ્યક્તિગત સંપત્તિ બાબત એનો શું અભિપ્રાય છે? જમીનદારી નાબૂદી સંઘની દૃષ્ટિએ ઉચિત છે કે નહીં? જમીનસુધારણા અંગે ઘડાયેલા કાનૂનોનો દૃઢતાથી અમલ કરવો કે નહીં? ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણ બાબત એનો શો મત છે? રાજ્ય, મૂડી(સંપત્તિ) અને શ્રમ વચ્ચે કેવો સંબંધ હોવો ઘટે?’ અટલજીના આ સવાલોના જવાબો સંઘ અને ભા.જ.પ. બંનેએ આપવાના બાકી છે. 2017ની ગુજરાતની ચૂંટણી તે માટેનું એક સારું નિમિત્ત છે.
સૌજન્ય : ‘વિરોધી વાસ્તવિક્તા’, “દિવ્ય ભાસ્કર”, 05 અૉક્ટોબર 2017