Opinion Magazine
Number of visits: 9448852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાળસુરક્ષા માટે યાત્રા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|7 September 2017

‘ગોડફાધર’ના રચયિતા મારિયો પુઝોનું એક જાણીતું વાક્ય છે, ‘The only wealth in this world is children, more than all the money, power on earth.’ (આ દુનિયામાં પૈસા, સત્તા કરતાં પણ બાળકો જ ખરી સંપત્તિ છે.)

એક બાળક માત્ર પરિવારની જ નહીં પણ દેશની મહામૂલી મૂડી હોય છે. બાળકોને આપણે ભાવિ પેઢી – ભવિષ્યના નાગરિકો ગણીએ છીએ, પરંતુ તેમના પ્રત્યેનું આપણું વલણ આપણે સૌ ધારીએ છીએ એટલું સારું, સજાગ કે સંપૂર્ણ નથી. ‘એક્સિડેન્ટલ’ અને અણઘડ માતા-પિતા દ્વારા બાળઉછેરમાં રહી જતી કચાશોની વાત જવા દઈએ તથા શાળાઓમાં શિક્ષણના સ્તરની ચિંતા પણ છોડી દઈએ, તો પણ આપણા સમાજમાં બાળકો માટે બહુ સારો માહોલ છે, એવી ગેરસમજ રાખવા જેવી નથી.

સૌથી ચિંતાજનક બાબત બાળકોની સુરક્ષાની છે. બાળક આજે ન ઘરમાં સુરક્ષિત છે, ન શાળામાં કે ન અન્ય ક્યાં ય. દરેક માતા-પિતા બાળકની સુરક્ષાના મામલે ચિંતાગ્રસ્ત રહેતાં હોય છે. બાળકો ગુમ થવાની ઘટનાના સાચા આંકડાઓ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું બીપી અમુક સેકન્ડો માટે હાઇ થયા વિના ન રહે. સમગ્ર સમસ્યાને સમજવા માટે માત્ર એક જ આંકડો કાફી છે: આપણા દેશમાં પોલીસના જ આંકડા મુજબ દર કલાકે આઠ બાળકો ગુમ થાય છે! આ બાળકોને ગાયબ કરનારા તેમની પાસે શું શું કરાવે છે, એ આપણે સૌ જાણીએ છીએ.

આપણા દેશમાં માનવ તસ્કરી અને એમાં ય વધારે આસાન હોવાથી બાળકોની તસ્કરીની સમસ્યા વકરી રહી છે. તસ્કરી કરેલાં બાળકો માટે આ ધરતી જ નર્ક સમાન બની જતી હોય છે. આ બાળકો પાસે કમરતોડ મજૂરી કરાવાય છે, કેટલાંક બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવાય છે તો કેટલાંક કમનસીબ પાસે વેશ્યાવૃત્તિ. લાચાર બાળકોના શરીરમાંથી અમુક અંગો પણ કાઢી લેવામાં આવે છે અને તે અંગોને અત્યંત ઊંચી કિંમતે વેચી દેવામાં આવે છે. આ બાળકોનું તમામ રીતે શોષણ કરવામાં આવે છે. કાં તો તેઓ કોઈ ને કોઈ રોગથી પીડાઈને કે પછી ભૂખમરાથી મૃત્યુ પામે છે અથવા તો યુવાન થયા પછી શોષણખોરોથી છટકીને પોતે ક્રિમિનલ્સ બનીને સમાજની બીમારીઓમાં વધારો કરતાં રહે છે. આવાં બાળકો માટે ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવના લગભગ શૂન્યવત્ હોય છે.

બાળકોનું આવું શોષણ કઈ રીતે સાંખી લેવાય? બાળ અધિકારો માટે સાડા ત્રણ દાયકાઓથી કાર્યરત એવા કૈલાશ સત્યાર્થીએ હવે બાળ તસ્કરી અને બાળકોના શારીરિક શોષણ વિરુદ્ધ જંગ છેડવાનું એલાન કર્યું છે. કૈલાશ સત્યાર્થી અને તેમની ‘બચપન બચાવો આંદોલન’ નામની એન.જી.ઓ.એ દેશવ્યાપી ‘ભારતયાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દેશનાં કુલ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે. 35 દિવસની આ યાત્રા કુલ 11,000 કિલોમીટર લાંબી મજલ કાપશે. જો કે, બાળઅધિકારો અને સુરક્ષિત બાળપણની મજલ તો એના કરતાં ય લાંબી હોઈ શકે છે.

કૈલાશ સત્યાર્થીની ‘ભારતયાત્રા’નો મુખ્ય નારો ‘સુરક્ષિત બાળપણ, સુરક્ષિત ભારત’ છે. આ યાત્રા થકી તેમનો ઉદ્દેશ દેશભરના લોકોને બાળઅધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. કૈલાશ સત્યાર્થીએ આ યાત્રા અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ યાત્રા થકી દેશમાં ચાલી રહેલી બાળકોની તસ્કરી અને જાતીય શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવામાં આવશે. સાથે સાથે માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) વિરુદ્ધ કડક કાયદો કરવાની માગણી પણ ઉગ્ર બનાવવામાં આવશે. માનવ તસ્કરીના સમાચાર છાશવારે આવતા હોય છે, પરંતુ ભારતમાં તેની વિરુદ્ધ કોઈ વિશેષ કાયદો ન હોવાથી ગુનેગારો આસાનીથી છટકી જતા હોય છે. આવા સંજોગોમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી અટકાવવા માટે સ્પષ્ટ અને કડક કાયદાની તાતી જરૂર છે. 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી આ યાત્રા 16મી ઑક્ટોબરે દિલ્હી ખાતે સંપન્ન થશે અને સંસદમાં માનવ તસ્કરી વિરુદ્ધ કડક કાયદો બનાવવાની રજૂઆત કરવામાં આવશે. આશરે દસ લાખ લોકો આ યાત્રામાં જોડાવાનો અંદાજ છે. એક કરોડ લોકોને બાળકોના શોષણ અને તસ્કરી વિરુદ્ધ લડવાની પ્રતિજ્ઞા લેવડાવવાનો નિર્ધાર કરાયો છે.

કૈલાશ સત્યાર્થી છેલ્લાં સાડા ત્રણ દાયકાથી બાળકોની આઝાદી, સુરક્ષા અને કલ્યાણ માટે કાર્યરત છે. કૈલાશભાઈ અગાઉ ઈ.સ. 1998માં ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર તથા ઈ.સ. 2001માં શિક્ષા યાત્રાનું સફળ અને સાર્થક આયોજન કરી ચૂક્યા છે.

આ યાત્રાના પ્રારંભ માટે 11મી સપ્ટેમ્બરની તારીખ અને કન્યાકુમારી સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, તેની પાછળ સ્વામી વિવેકાનંદ નિમિત્ત બન્યા છે. સ્વામી વિવેકાનંદને કન્યાકુમારીમાં જ્ઞાન લાધ્યું હોવાનું કહેવાય છે. વળી, તેમણે ઈ.સ. 1893માં 11મી સપ્ટેબરના દિવસે જ સર્વધર્મ સંમેલનમાં પ્રભાવક પ્રવચન આપ્યું. વિવેકાનંદના સૂત્રને થોડા ફેરફાર સાથે કહી શકાય, બાળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવો, જાગીને સક્રિય બનો અને આ બદી નાબૂદ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.

કૈલાશ સત્યાર્થીના નિવેદન સાથે લેખ પૂરો કરીએ, ‘આપણે જો ખરેખર ‘ન્યૂ ઇન્ડિયા’ના સર્જન માટે ઉત્સાહી અને પ્રતિબદ્ધ હોઈએ તો આપણાં બાળાઓ અને બાળકો આપણાં ઘરો, શાળાઓ અને તેમના આસપાસના માહોલમાં સુરક્ષિત હોવાં જોઈશે. ખરું ન્યૂ ઇન્ડિયા ત્યારે જ સર્જાશે જ્યારે દેશનાં તમામ બાળકો સુરક્ષિત, મુક્ત અને શિક્ષણ મેળવી રહ્યાં હશે અને આ તેના માટેનું જ આંદોલન છે.’

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 06 સપ્ટેમ્બર 2017

Loading

7 September 2017 admin
← પ્રાઇવસી: સ્નોડેનથી ટોઈલેટ સુધી …
લોકસંઘર્ષમાં સ્ત્રીઓની ભાગીદારી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved