કાસ્મીરમાં સંવાિદતા રચવા સરકાર કે અલગતાવાદીઓ બંને પક્ષે સક્ષમ એવા કોઈ પરિબળ / વ્યક્તિત્વ / સંસ્થા નથી
અમરનાથ દર્શનથી પાછા આવી રહેલા યાત્રીઓ પરનો હુમલો પાકિસ્તાને લશ્કર-એ-તૈબાના માસ્ટર માઈન્ડ અબુ ઇસ્માઇલ થકી કરાવ્યો હોવાનું જમ્મુ અને કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મુનીર ખાને જણાવ્યું છે. કાશ્મીરની અશાંતિની કોઈ પણ ઘટનામાં અનેક સ્થાનિક સંગઠનોનો ટેકો હોય છે. તેઓ પાકિસ્તાનના ઇશારે નાચે છે તે ઓપન સિક્રેટ છે. તેઓ ભારત સરકાર સાથે દેશહિતની વાતો કરે છે અને બીજી બાજુ આતંકવાદી સંગઠનોને પોષે છે. આમ છતાં વાજપેયીએ એમના વડાપ્રધાન તરીકેના કાળમાં અલગતવાદીઓને ચર્ચામાં સંડોવી રાખ્યા હતા. આવો ડિપ્લોમૅટિક ડાયલૉગ એ દેશની અંદરના ટીકાકારો અને દુનિયાના દેશોના દબાણ સાથે કામ પાડવા માટે જરૂરી હોય છે. મુત્સદ્દગીરીના કે હૃદયપૂર્વકના આવા સંવાદની બાબતે મોદી સરકાર અક્કડ જણાય છે. આપણા દેશના આંતરરાષ્ટ્રીય સ્તરના નાજુક પ્રશ્નોમાં ‘આયર્ન હૅન્ડ ઇન વેલ્વેટ ગ્લોવ્ઝ’ની નીતિ જરૂરી બને છે. કાશ્મીર સમસ્યા એ માત્ર દેશનો દૂઝતો જખમ જ નથી, પણ ઇસ્લામિક દુનિયામાં જે કંઈ બને છે તેના પડઘાનો પ્રદેશ છે. શ્રીનગરમાં ‘ઇસ્લામિક સ્ટેટ’ના ઝંડા ફરકે એ એની જ નિશાની ગણાય. આવા ટાણે આતંકવાદનો ખાતમો કરવાની અને કાશ્મીરના લોકોને દિલાસો આપવાની બેવડી નીતિ જરૂરી બને છે. એટલે હવે અમરનાથ પરના હુમલાની ઘટનાનો ઉપયોગ કરીને મહેબૂબા અને મોદી સરકાર લોકમતને કેવો ઘાટ આપે છે તેની પર પાકિસ્તાનના ષડયંત્રના જશઅપજશનો આધાર રહે છે.
અમરનાથમાં શ્રદ્ધાળુઓએ જાન ગુમાવ્યા છે, અને સાથે દેશના એક વર્ગે સંભવત: વિશ્વાસ પણ ગુમાવ્યો છે. સદીઓથી ભારતને કાશ્મીરની હિન્દુ-મુસ્લિમ સમન્વયવાદી સંસ્કૃિત પર વિશ્વાસ હતો. કાશ્મીરીઓના સાંસ્કૃિતક અવકાશમાં વૈદિક હિંદુત્વ અને સૂફી ઇસ્લામનું મિશ્રણ છે. અમરનાથ મંદિર એ કાશ્મીરની કોમી સંવાદિતાનું પ્રતીક રહ્યું છે. કથા તો એવી છે કે ભગવાન શંકરે તેમના અમરત્વનું રહસ્ય પાર્વતીને કહેવા માટે આ હિમાલયની અમરનાથ ગુફાની પસંદગી કરી. પછીનાં વર્ષોની વાયકા એવી ચાલી છે કે 1850 આ ગુફા બુટા મલિક નામના એક મુસ્લિમ ભરવાડને જડી. એક વાર પહાડીઓમાં ઘેટાં-બકરાં ચરાવતાં તેને એક સૂફી સંત મળ્યા કે જેમણે તેને કોલસાની એક થેલી આપી. તેણે ઘરે આવી એને જોયું તો એમાં સોનું હતું. એટલે એ સંતને મળવા પાછો ડુંગરામાં ગયો અને તેને સંત તો ન મળ્યા પણ ગુફા અને શિવલિંગ મળ્યાં. બુટા મલિકનો પરિવાર આ ગુફાનો રખેવાળ બન્યો. તે ઉપરાંત દશનામી અખાડા અને પુરોહિત સભાના હિંદુ પૂજારીઓ પણ આ સ્થાનક સંભાળતા રહ્યા. આ વહીવટી ગોઠવણ કોમી એખલાસની મિસાલ હતી. કમનસીબે ફારુક અબ્દુલ્લાની સરકારે યાત્રાને વધુ સગવડો આપવાના હેતુથી અમરનાથ સ્થાનકના સંચાલન માટે અમરનાથ શ્રાઇન બોર્ડની રચના કરી. તેમાં તેણે મુસ્લિમ અને હિન્દુ બંને કોમોના વહીવટકર્તાઓને દૂર કર્યા. તેમાં સાંસ્કૃિતક સંવાદિતાને મોટો ફટકો પડ્યો. જો કે અત્યારે પણ યાત્રાળુઓને મોટાભાગની સુવિધા મુસ્લિમો પૂરી પાડે છે. તેમાં મોટરોવાળા, પાલખી અને ટટ્ટુવાળા, દુકાનદાર, હોટલમાલિકો એમ બધા આવી જાય.
બે ધર્મોનો આ સુમેળ આતંકવાદીઓ તોડી પાડવા માગે છે. એટલે તેની પર એકથી વધુ સુરક્ષા જોખમો આવ્યાં છે. સહુથી પહેલાં 1993માં બાબરી ધ્વંસને પગલે પાકિસ્તાની આંતકવાદી જૂથ હરકત-ઉલ-અન્સારે બાબરી ધ્વંસને પગલે અમરનાથ યાત્રા પર પ્રતિબંધની માગણી કરી હતી. પણ તેનો ભારે વિરોધ થયો હતો, યાત્રા સલામત ચાલતી રહી હતી. જો કે પહેલી ઑગસ્ટ 2000ના રોજ પહેલગામ બેઝકૅમ્પ પર થયેલા મોટા આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા. તેના પછીના બે વર્ષમાં પણ અનુક્રમે શેષનાગ અને નુનવાનમાં હુમલાથી મોત નોંધાયાં છે. જો કે યાત્રાનો સહુથી ઊંચો 200નો મૃત્યઆંક 1996ના સપ્ટેમ્બરમાં બરફવર્ષાને કારણે પહોંચ્યો હતો. આ બધા વચ્ચે પણ યાત્રા ચાલુ રહી તેનો શ્રેય શ્રદ્ધા ઉપરાંત સુરક્ષકર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને સ્થાનિક વહીવટીતંત્રને આપી શકાય. વળી અભ્યાસીઓ એમ માને છે કાશ્મીરમાં લગભગ સાર્વત્રિક અને હિંસાચારના પ્રમાણની સરખામણી આ યાત્રા સલામત રહી છે. કાશ્મીરના લોકોનો, સ્વતંત્ર કાશ્મીરમાં માનતા જૂથો સુદ્ધાં અમરનાથ પરના કોઈ પણ હુમલાને વખોડે છે.
આ હુમલો કાશ્મીરની સ્થિતિ ખૂબ નાજુક હોય તેવા વધુ એક તબક્કે થયો છે. મોદીના શરીફ સાથેના સૌહાર્દની વચ્ચે પણ સરહદે પાકિસ્તાની લશ્કરની હરકતો ગયાં બેએક વર્ષથી સતત ચાલુ છે. અમરનાથ હુમલો મિલિટન્ટ બુરહાન વાનીની પહેલી વરસીના ત્રીજા જ દિવસે થાય એ પણ સૂચક છે. બુરહાનના એન્કાઉન્ટરના વિરોધમાં કાશ્મીરમાં છએક મહિના મોટા પાયે હિંસા ફેલાઈ હતી. તાજેતરમાં શ્રીનગરના ટોળાંએ એક પોલીસ અધિકારીની જામિયા મસ્જિદ ખાતે હત્યા કરી. તેના પછીના જ દિવસે પાન્થા ચોક વિસ્તારમાં લશ્કરે તોઈબાના આતંકવાદીઓના હુમલામાં સી.આ.રપી.એફ.ના બે જવાન શહીદ થયા હતા. લશ્કરએ તૈબા, હિઝબુલ મુજહિદ્દિન અને જૈશ એ મોહમ્મદ સાથે મળીને કામ કરતા હોવાની બાતમીઓ મળતી રહી છે.
બીજી બાજુ કાશ્મીરમાં રાજકીય ખાલીપો છે. કાશ્મીરમાં રાજકારણ અને અસ્મિતા/ઓળખના જે પ્રશ્નો હતા તેમાં 1990ના અરસામાં ધર્મ ઉમેરાયો છે. એક વર્ગ આઝાદ કાશ્મીરને બદલે ઇસ્લામિક કાશ્મીર તરફ ચાલી રહ્યો છે. સરકાર કે અલગતાવાદીઓ બંને પક્ષે સંવાદિતા રચવા સક્ષમ એવા કોઈ પરિબળ/વ્યક્તિત્વ/સંસ્થા નથી. કેન્દ્ર સરકારના ઘટકો અતિરાષ્ટ્રવાદી અને રાજ્ય સરકારના અકાર્યક્ષમ જણાય છે. અલગતાવાદીઓ કેવળ હિંસામાં રાચી રહ્યા છે.
અમરનાથ યાત્રામાં ભોગ બનાનાર જે બસમાં બેઠાં હતાં તેણે સલામતી વ્યવસ્થાના નિયમોનો ભંગ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સી.આર.પી.એફ.ના ડિરેક્ટર જનરલ ભટનાગરે કહ્યું છે કે ગુજરાતના આ યાત્રીઓએ નોંધણી કરાવી ન હતી. એટલું જ નહીં પણ તે લોકો, જેને સિક્યોરિટી કવર મળે છે તે યાત્રા માટેના કૉન્વોયનો હિસ્સો પણ ન હતા. ઉપરાંત તેમણે યાત્રીઓની અવરજવર પર સાંજે સાત વાગ્યાથી મૂકવામાં આવેલા પ્રતિબંધનો પણ ભંગ કર્યો હતો. જો કે આ શરૂઆતના મંતવ્યો પછી બસમાં પંક્ચર હતું તેથી તે મોડી પડી એ મતલબના કારણો પણ જાહેર થયાં છે. આ બાબતે અલબત્ત તપાસ પછી જ કોઈ તારણ પર આવી શકાય.
અમરનાથમાં યાત્રાળુઓની આતંકવાદીઓ હત્યા કરે છે. વારાણસીના પુલ પર, કેરળના સરીમાલા મંદિરમાં, આંધ્ર પ્રદેશના ગોદાવરી પુષ્કરમમાં કે હજમાં મક્કામાં ધક્કામુક્કીથી સંખ્યાબંધ ભાવિકોના મોતની ઘટનાઓ બનતી રહી છે. અત્યારના જમાનામાં સંચાલન, સંસાધનો, સલામતી અને સાર્થકતા જેવી અનેક દૃષ્ટિએ ધાર્મિક યાત્રાઓનો પુનર્વિચાર કરવાની જરૂર જણાય છે. અખાભગતની ‘તીરથ ફરી ફરી થાક્યા ચરણ તો ય ન આવ્યો હરિને શરણ’ એવી વાત કેટલાંકને ન ગમે. પણ આપણાં શ્રદ્ધાસ્થાનો જુદાં હોય તો ? જેમ કે, શામળાજી પાસે આવેલું સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, મહારાષ્ટ્રના નક્ષલગ્રસ્ત વિસ્તારમાં આમટે પરિવારે ચલાવેલો હેમલકસાનો તબીબી સેવા યજ્ઞ, શ્રીનગરના એરપોર્ટ રોડ પર આવેલી એ.પી.ડી.પી. અસોસિએશન ઑફ ધ પેરન્ટસ ઑફ ડિસઅપિર્ડ પર્સન્સ … આપણે આપણી યાદી બનાવીએ.
+++++
13 July 2017
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 14 જુલાઈ 2017