Opinion Magazine
Number of visits: 9446627
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્જકોત્સવ અને ભાવકોત્સવ

અંકિત દેસાઈ|Opinion - Literature|10 January 2017

ગયા રવિવારે [08 જાન્યુઆરી 2017] એટલે કે હજુ બે દિવસ પહેલાં જ સુરતમાં એક મજાનો ‘સર્જકોત્સવ’ ઉજવાયો.

સર્જક હતાં આપણી ભાષાના ટોચનાં વાર્તાકાર હિમાંશી શેલત અને ઉત્સવ હતો એમના સીત્તેરમાં જન્મ દિવસનો, જેમાં હિમાંશી શેલતનાં ભાવકો, વિદ્યાર્થીઓ અને કેટલાંક અન્ય સર્જકો ભેગા મળ્યાં અને હિમાંશીબહેનની વાર્તાઓ, આંગળીને વેઢે ગણાય એટલી નવલકથાઓ, ઉત્તમ કક્ષાના સંપાદનો અને એમની આત્મકથા ‘મુક્તિ વૃત્તાંત’ વિશે સંવાદો થયાં, બેઠકો થઈ… જાણીતા લેખિકા શરીફા વીજળીવાળા, લેખક- પત્રકાર બકુલ ટેલર અને હિમાંશી શેલતના ભાઈ ડૉ. કેતન શેલત જેવા સહૃદયીઓએ આખા કાર્યક્રમનું આયોજન કર્યું અને મીનળ દવે, બિન્દુ ભટ્ટ, શિરીષ પાંચાલ, ઈમરાન સુરતી, કિરીટ દૂધાત કે રમણ સોની જેવા સુજ્ઞજનોએ વિવિધ વિષયો પર એમના વક્તવ્યો આપ્યાં.

સુરતનો એ સર્જકોત્સવ કેટલો મજાનો રહ્યો અને હિમાંશી શેલતનાં ભાવકોએ એમની સાથે કેટલો ઉત્તમ સમય વીતાવ્યો એના પુરાવા નથી આપવા કારણ કે, આવાં મુઠ્ઠી ઊંચેરાં સર્જકનો સત્કાર સમારંભ હોય એટલે અમસ્તા ય ભાવકો – વિદ્યાર્થીઓ ઉત્સવમાં સામેલ થાય. પણ રજાને દિવસે છેક સુરતમાં કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે મુંબઈ તરફથી યામિની પટેલ કે અમદાવાદ ભણીથી ચંદ્રમોલિ શાહ કે વલસાડ બાજુથી બકુલા ઘાસવાલા જેવાં લોકો એમની ઉંમર-તબિયત કે પ્રવાસ દરમિયાન થતી કોઈ હાડમારીની ચિંતા કર્યા વિના સુરત લગણ લાંબા થાય તો એની નોંધ તો લેવી જ પડે! જો કે હિમાંશી શેલતનું સર્જન, એમનું વ્યક્તિત્વ અને એમનાં કાર્યો જ એવા ઉમદા છે કે, એમને રૂબરૂ મળવાનો લાભ મળતો હોય તો એમનો ચાહક બધું ય વેઠીને એમના સુધી પહોંચે!

ખૈર, હિમાંશી શેલતનો મેં ‘ગુજરાત ગાર્ડિયન’ માટે ઈન્ટરવ્યૂ કરેલો, ત્યારે એમણે એક કબૂલાત કરેલી કે, એમની પેઢીના અન્ય વાર્તકારોની સરખામણીમાં એમણે લખવાનું ઘણું મોડું શરૂ કરેલું. 8મી જાન્યુઆરી 1947ના દિવસે એમનો જન્મ. પણ એમની વાર્તાઓ છેક એંસીના દાયકામાં પ્રકાશિત થવાની શરૂ થઈ. જો કે એમણે લખવાની શરૂઆત ભલે મોડી કરી હોય, પરંતુ જે લખ્યું એ શ્રેષ્ઠત્તમ લખ્યું. અહીં અન્ય વાર્તાકારો સાથે સરખામણી કે કોઈના પ્રદાનનું મૂલ્યાંકન નથી કરવું, પરંતુ એક વાત બહુ સ્પષ્ટ રીતે કહી શકાય કે, આપણી ભાષામાં હિમાંશી શેલત જેવાં વાર્તાકાર થાય એ આપણી ભાષાનું ભાગ્ય કહી શકાય! બાકી, હિમાંશીબહેન અંગ્રેજીનાં ખૂબ ઉત્તમ અધ્યાપક રહ્યાં અને આપણી પ્રજા તો હજુ હમણાં હમણાં જાણતી થઈ, પણ વી.એસ. નાયપોલને સાહિત્યનું નોબલ પ્રાઈઝ એનાયત થયેલું એના વર્ષો પહેલાં એમણે નાયપોલના લેખન પર Ph.D સુદ્ધાં કરેલું. અંગ્રેજીના આવા અભ્યાસુ એ જ ભાષામાં લખતે તો?

પેલા ઈન્ટરવ્યૂ પર ફરી આવીએ. એ જ ઈન્ટરવ્યૂમાં એમને પૂછયેલું કે, ‘ટૂંકી વાર્તાના સ્વરૂપમાં તમે કથાની ગૂંથણી અત્યંત ઉત્તમ રીતે કરી શકો છો, પણ વાર્તાની સરખામણીએ તમે નવલકથા માત્ર બે-ત્રણ લખી છે … આવું કેમ?’ ત્યારે એમણે કહેલું, ‘કળાનો એ પ્રકાર એટલે કે નવલકથાનું માળખું મને ઝાઝું માફક નથી આવ્યું. અથવા તો નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઈએ એ દિશામાં મારી ક્ષમતાઓ વળી નથી.’ હિમાંશીબહેને પોતે એ કહ્યું કે, પોતાનાં સર્જનમાં એમને ‘આઠમો રંગ’ અને ‘સપ્તધારા’ બાબતે થોડો અસંતોષ છે. એમનું માનવું છે કે, જે રીતે એ નવલકથાઓ લખાવી જોઈતી હતી એ રીતે એ લખી શકાઈ નથી.

અહીં વાચકોને જણાવવાનું થાય છે કે, ‘આઠમો રંગ’ હિમાંશી શેલતની પહેલી નવલકથા છે, જેમાં નાની ઉંમરે મૃત્યુ પામેલાં અને મૃત્યુ પછી જેમનું કામ ખૂબ વખણાયું હતું એવા વિખ્યાત ભારતીય ચિત્રકાર અમૃતા શેરગીલના જીવનની કશ્મકશ વિશેની વાતો આલેખવામાં આવી છે. તો ‘સપ્તધારા’માં આઘાતથી પીડાતા બાળપણની વાત આલેખવામાં આવી છે.

જો કે હિમાંશીબહેન પોતે ભલે કહે કે, નવલકથાનું સ્વરૂપ એમને માફક નથી આવ્યું, પરંતુ લઘુનવલ કહી શકાય એવી ‘ક્યારીમાં અકાશપુષ્પ અને કાળાં પતંગિયાં’ એમનું ઉત્તમ સર્જન છે. દાઢીધારી સાહિત્યકારોની જેમ વાર્તા કે નવલકથાનું પીંજણ નથી આવડતું, પણ એટલું જરૂર કહી શકાય કે, ‘કાળાં પતંગિયાં’ એક ઉત્તમ કૃતિ છે જ, જેમાં હિમાંશીબહેને આપણને એવી દુનિયા સાથે રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, જે દુનિયામાં જીવતા લોકો બાબતે આપણે સૌએ આપણી આંખ આડા કાન નહીં, પણ ગાંધારીને શરમ આવે એવાં સૂપડાં ધરી દીધાં છે.

રૂપજીવિનીઓનાં જીવન વિશે અનેક વાર્તાઓ વાંચવા મળી છે. મન્ટો જેવો મન્ટો સુગંધીના ઈગોની કે બીજી કેટલીક બાબતોની વાત વાર્તામાં રજૂ કરી ગયો છે. જો કે હિમાંશી શેલતની રૂપજીવિનીઓના સંદર્ભની વાર્તાઓમાં વિશેષતા એ કે, એમાં દેહવિક્રય કરીને જીવતી સ્ત્રીઓને બિચારી કે શોષિત તરીકે નહીં, પણ અનેક અભાવો વચ્ચે પણ ગરદન ઊંચી રાખીને જીવતી દર્શાવવામાં આવી છે. ‘કાળાં પતંગિયાં’ હોય કે એ જ વિષયની જુદી વાર્તાઓ હોય એમાં વાર્તાકાર તરીકે હિમાંશી શેલતે સમાજ સામે ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો હોય, પણ એ બધાં પાત્રો લગભગ ફરિયાદ નથી કરતાં. એ બધીઓ તો જાણે એમની ઓછપનો ઉત્સવ ઉજવતી હોય એમ ખુશખુશાલ જણાય!

આ ઉપરાંત હિમાંશી શેલતે ‘ગર્ભગાથા’ અને ‘પંચવાયકા’ જેવી કથાઓ પણ આલેખી છે, જેને નવલકથા નહીં શકાય, પરંતુ એમને વાર્તા કહેવી કે કેમ એ પણ પ્રશ્ન છે. પરંતુ ટૂંકી વાર્તા કરતાં સહેજ નોખી કહી શકાય એવી વાર્તાઓ પણ છે તો ઉત્તમ જ. ‘ગર્ભગાથા’નું તો પોત જ એવું અદ્દભુત છે કે, એનું જે પડ ઉખેળીએ એમાંથી વાર્તા નીકળે!

હિમાંશી શેલત અને એમનું લેખન કે જીવનભર એમણે આદરેલાં કાર્યો વિશે એક લેખમાં વાત થાય જ નહીં. એ બધી વાતો બે-ચાર લેખોમાં થાય અને આપણે એમ જ કરવાના છીએ, જેથી મને પણ ફરીથી એ વાર્તાઓ-સમરણો – વર્ણનોમાંથી પસાર થવાની તક મળશે. આજે વાતવાતમાં હિમાંશી શેલતની નવલકથા અથવા લઘુનવલ વિશે ઉપરછલ્લી વાત માંડવાનું થયું.

પણ મને અંતરની ઈચ્છા છે કે, હું મારા દિલની સૌથી નજીક એવા એમનાં બે પુસ્તકો ‘પ્લેટફોર્મ નંબર ચાર’ અને ‘વિક્ટર’ વિશે કંઈક લખું. તો હવે પછીની ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં એ વિશેની વાતો માંડીશું.

ફીલ ઈટઃ

રામ મ્યુિનસિપાલિટીનો બગીચો છે, જ્યારે કૃષ્ણ આપોઆપ ઊગી નીકળેલું જંગલ છે.

– સર્જકોત્સવ દરમિયાન બાજુના હૉલમાં નગીનદાસ સંઘવીના વકતવ્યમાં સાંભળેલું વાક્ય.

સૌજન્ય : https://khabarchhe.com/magazine/celebration-of-creation

Loading

10 January 2017 admin
← ભ્રષ્ટાચાર: ચાય-પાનીનું જંગલ
Once Upon a Time in Bombay →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved