Opinion Magazine
Number of visits: 9452735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોટબંધી કાયદેસરની સત્તા વિના કરવામાં આવી છે

ઇન્દિરા જયસિંગ|Opinion - Opinion|14 December 2016

ઇન્દિરા જયસિંગ મહિલાઓ અને માનવધિકારના પ્રશ્નો માટે ગયા ચારેક દાયકાથી સતત ઝઝૂમનારાં ધારાશાસ્ત્રી છે. તે ભારતનાં પહેલાં મહિલા  સૉલિસિટર જનરલ હતાં અને અત્યારે તે સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરે છે. પદ્મશ્રી સન્માનિત જયસિંગે સ્થાપેલી વર્ષોથી કાર્યરત એન.જી.ઓ. ‘લૉયર્સ કલેક્ટિવ’ પર અત્યારની સરકારની તવાઈ છે. પંચોતેર વર્ષનાં જયસિંગે વિમુદ્રીકરણ વિશે ‘નૅશનલ હેરલ્ડ’માં અઢારમી નવેમ્બરે લખેલો લેખ ઇન્ટરનેટ પરથી મળ્યો છે. વિમુદ્રીકરણના લેખના કેન્દ્રબિંદુ તરીકે જયસિંગ કહે છે : ‘ઇટ ઇઝ કમ્પ્લીટલી વિધાઉટ એની ઑથોરિટી ઑફ લૉ’. અહીં એ પણ કહેવું જોઈએ કે નોટબંધીનો નિર્ણય ગેરકાનૂની છે એ મતલબની વાત આપણા મોટા ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે પણ ચોવીસ નવેમ્બરે સેક્યુલર લોકશાહી આંદોલન અને નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના ઉપક્રમે, ‘અવાજ કુંજ’માં યોજાયેલી ચર્ચાસભામાં, તેમની હંમેશની સ્પષ્ટતા સાથે કરી હતી.

નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે

સરકારે લીધેલા ડિમોનેટાઇઝેશનના પગલા અંગે ઘણું લખાઈ અને બોલાઈ રહ્યું છે ત્યારે આ પગલું કાયદેસર છે કે કેમ તે તરફ બહુ ઓછું ધ્યાન અપાયું છે. જો કે અહીં મારો મુદ્દો વિમુદ્રીકરણના નિર્ણયની ઇચ્છનીયતા કે અર્થશાસ્ત્રીય વ્યાવહારિકતાનો નથી. આ નિર્ણયથી બેશકપણે જનતાનું અને દેશનું જે હિત સધાય છે તેની પણ અહીં વાત નથી. કાળાં નાણાંને ચલણમાંથી દૂર કરવાનું  ધ્યેય જાહેર હિતમાં છે તેમાં કોઈ શંકા નથી. જેમના હાથમાં કરચોરીથી ભેગો કરેલો કાળો પૈસો છે તેને તેમની પાસેથી તે દૂર કરવાની નીતિને હું પૂરેપૂરો ટેકો આપું છું. પણ આ પગલું જે રીતે લેવામાં આવ્યું છે તેની કાયદેસરતાની સામે મને સવાલ છે.

સહુ પહેલાં તો આપણે હાથમાં જે ચલણી નાણું પકડીએ છે તેના સ્વરૂપ(સ્ટેટસ)ને તપાસીએ. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા ઍક્ટ ૧૯૩૪ (આર.બી.આઇ. ઍક્ટ) આ મુજબ જણાવે છે : ‘પેટા કલમ ૨ને આધીન રહીને દરેક બૅંકનોટ એ એમાં દર્શાવેલી રકમ માટેનું ભારતમાં કોઈ પણ જગ્યાએ ચાલનારું અને ખાતામાં જમા થઈ શકે તેવું કાયદેસર ચલણ (લીગલ ટેન્ડર) હશે અને તેની બાંહેધરી ભારતની કેન્દ્ર સરકાર આપશે.’

આનો અર્થ એ કે તમે અને હું જે પૈસા હાથમાં પકડીએ છીએ અથવા બૅંકમાં રાખીએ છીએ એ ભારત સરકારની બાંહેધરી ધરાવતું, આપણું સરકાર પરનું બાંહેધરીપૂર્વકનું દેવું છે (ઇઝ અ ડેટ ગૅરેન્ટીડ ટુ અસ બાય ધ ગવર્નમેન્ટ). આ રીતે ચલણી નાણું એ સરકારે એ નોટો હાથમાં લેનારાને – એટલે કે તમારા અને મારા જેવાની બનેલી જનતાને – ચૂકવવાના ‘જાહેર દેવા’નું પ્રતીક છે.

આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ સરકારે આ નોટિફિકેશન કથિત રીતે આર.બી.આઈ. ઍક્ટની કલમ ૨૬(૨) હેઠળ બહાર પાડ્યું છે તે કલમ ૨૬(૨) આ મુજબ છે : ‘સરકાર ગૅઝેટ ઑફ ઇન્ડિયામાં નોટિફિકેશન દ્વારા જાહેર કરી શકે છે કે નોટિફિકેશનમાં જણાવવામાં આવેલી તારીખથી  કોઈ પણ કિંમતની નોટની કોઈ પણ શ્રેણી લીગલ ટેન્ડર બનતી અટકી જશે.’

પહેલો કાનૂની સવાલ એ ઊભો થાય છે કે ઉપર્યુક્ત પેટા કલમમાં ‘કોઈ પણ શ્રેણી’ એવો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ શો ગણવો. ‘શ્રેણી’ શબ્દ સાદી ભાષામાં માત્ર બૅંકની નોટો પરના ક્રમનો નિર્દેશ કરી શકે. આ અર્થ મુજબ આગળ વધીએ તો, સરકાર પોતાની સત્તા હેઠળ કોઈ પણ કિંમતની બૅંક નોટની એક શ્રેણીનું જ લીગલ ટેન્ડર રદ્‌ કરી શકે. જો આ વિધેયકનો હેતુ સરકારને કોઈ એક રકમની બધી જ બૅંક નોટોને પાછી ખેંચવાની સત્તા આપવાનો હોય તો તો ‘કોઈ પણ શ્રેણી’  શબ્દ પ્રયોગ સાવ વધારાનો અને નકામો બની જાય છે.

એટલા માટે હું એમ તારવું છું કે કલમ ૨૬(૨)નો હેતુ અર્થતંત્રમાંથી કાળો પૈસો પાછો ખેંચવાનાં પગલાં તરીકે કરવાનો કે કોઈ એક રકમની બધી જ નોટોનું લીગલ ટેન્ડર રદ્‌ કરવાનો હતો જ નહીં. કદાચ આ જ કારણસર વિમુદ્રીકરણના આ પહેલાં થયેલા પ્રયત્નો વટહુકમ અને ત્યાર બાદ કાયદો ઘડવાના માર્ગે કરવામાં આવ્યા હતા. પાંચસો અને હજાર રૂપિયાની નોટોનું કારોબારીતંત્રના હુકમ દ્વારા વિમુદ્રીકરણ એ પહેલવહેલ વાર થયેલી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી  સંસદે (લેજિસ્લેચરે) જેને મંજૂરી આપી નથી તેવું પગલું ભરવાની કારોબારીતંત્રની સત્તા તેમ જ તેના અધિકારક્ષેત્ર અંગે પાયાના સવાલ ઊભા થયા છે.

આ બાબતને બીજા એક દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. બંધારણની કલમ ૩૦૦ એ  જણાવે છે કે ‘કાયદેસરની સત્તા વિના કોઈ વ્યક્તિને એની મિલકતથી વંચિત રાખી શકાય નહીં’. અર્થાત્‌ કાયદેસરની સત્તા વિના કોઈ વ્યક્તિ પાસેથી એની સ્થાવર અને જંગમ મિલકત છિનવી શકાય નહીં. એટલે આઠમી નવેમ્બરનું નોટિફિકેશન સર્વોચ્ચ અદાલતે કરેલા કાયદાથી (લૉ લેઇડ ડાઉન બાય ધ સુપ્રીમ કોર્ટ) સંપૂર્ણપણે બહાર હોવાનું જણાય છે. આ નોટિફિકેશન પૂરેપૂરું કાયદાની કોઈ મંજૂરી વિનાનું છે તેમ જ તેને કાયદેસરની કોઈ સત્તા નથી.

વિમુદ્રીકરણ દ્વારા સરકાર રદ્‌ થયેલી નોટના ધારક તરફ પોતાનું જે દેવું છે તે રદ્‌ કરી રહી છે તેમ કહેવાય. ચલણી નોટ એ ધારકના હાથમાં રહેલી જંગમ મિલકત છે. સર્વોચ્ચ અદાલતે એક પછી એક આપેલા ચુકાદાઓ મુજબ વ્યક્તિને મિલકતથી વંચિત કરવાના,  દંડવિધાનની રીતે ત્રણ પાસાં છે (અ) જમીન સંપાદનમાં બને છે તેમ સરકાર મિલકત ‘લઈ લે’. (બ) જમીન સુધારા વખતે બન્યું હતું તેમ ખેડનાર માલિક બને અને મિલકતનો હક રદ્‌ થાય. (ક) કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં મિલકતના હકમાં ફેરફાર પણ મિલકત છિનવી લેવા સમાન બની શકે.

રસપ્રદ બાબત એ છે કે સર્વોચ્ચ અદાલતે જયંતિલાલ શાહ વિરુદ્ધ આર.બી.આઈ. એ.આઇ.આર. ૧૯૯૭ એસ.સી. ૩૭૦ ચુકાદામાં ‘હાઇ ડિનોમિનેશન બૅંક નોટસ (ડિમોનેટાઇઝેશન) ઍક્ટ ૧૯૭૮’ને સમર્થન આપ્યું હતું. પણ સાથે એ પણ કહ્યું હતું કે ડિમોનેટાઇઝેશન જાહેર દેવું રદ્‌ કરવા બરાબર છે કે જે વળી મિલકતથી વંચિત રાખવાને સમકક્ષ છે અને એટલા માટે એ માત્ર કાયદો ઘડવાથી  જ થઈ શકે.

વધુમાં સરકારનું નોટિફિકેશન કાયદેસરના ચલણના ઉપાડ પર જે નિયંત્રણ લાદે છે તેને પણ કાયદાની સત્તા નથી. આપણે કલ્પનાને ગમે તેટલો છૂટો દોર આપીએ તો પણ આર.બી.આઈ. ઍક્ટની કલમ ૨૬(૨) કારોબારી તંત્રને નાગરિકોના પોતાના યોગ્ય કર ભરેલા પૈસાને ઉપાડવાના અધિકાર પર નિયંત્રણ લાવવાની મંજૂરી આપતી નથી. એટલે બૅંકમાંથી પૈસા ઉપાડવાના વ્યક્તિના અધિકારને નિયંત્રિત કરવો એ વાતને કાયદાની મંજૂરી નથી એમ જણાય છે.

બરાબર આ જ કારણસર ૧૯૭૮માં પહેલા વટહુકમ (ઑર્ડિનન્સ) અને પછી તેની પાછળ કાયદો આવ્યો. આવું અત્યારે કેમ ન કરવામાં આવ્યું તે સ્પષ્ટ થતું નથી. સંસદનું સત્ર ચાલુ ન હતું અને આ ઉત્તમ પરિસ્થિતિ (ક્લાસિક કેસ) હતી કે જેમાં વટહુકમને યોગ્ય ઠેરવી શકાય. વટહુકમ કર્યો હોત તો પણ આશ્ચર્યનું તત્ત્વ જાળવી શકાયું હોત અને એ કાયદેસરનું પણ ગણાત.પણ આ કરવામાં ન આવ્યું, કદાચ એટલા માટે કે વટહુકમને કાનૂનમાં બદલવો પડે અને તેના માટે સંસદમાં ચર્ચા અને કાયદો બનાવવા માટે મતોની જરૂર પડી હોત.

વળી નોટબંધીનું આ પગલું દેશના હિતમાં હતું તો પછી આ વિષયને કેબિનેટ સુધી અને પછી વટહુકમ તરીકે રાષ્ટ્રપતિ સુધી લઈ જવામાં સરકારની નામરજીનો શું અર્થ થાય? લોકસભામાં ચર્ચા ટાળવાની ખ્વાહિશ શા માટે? કે પછી આ ખોટી કાનૂની સલાહનો મામલો હતો ? દોસ્તો, આ સવાલોના જવાબો અત્યારે હવામાં હોવા જોઈએ (લેખક બૉબ ડિલનના વિરોધ ગીતના મુખડાના શબ્દો પ્રયોજે છે ‘બ્લોઇન્ગ ઇન ધ વિન્ડ’).

આપણે કરકસર માટે કમર કસી છે અને પૈસાના ઉપાડ બાબતે માપમાં રહીને  જીવીએ છીએ. તો પેલી બાજુ જગતના જનાર્દન રેડ્ડીઓ સંપત્તિનું ભદ્દું પ્રદર્શન કરી રહ્યા છે. તેને કારણે સરકાર તેના ખુદના સભ્યો, ભિલ્લુઓ  અને સાથીઓ પર ચોંપ રાખવા અંગે કેટલી પ્રામાણિક છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

આઠમી નવેમ્બરનું  વિમુદ્રીકરણ કાનૂની સત્તા વિનાનું છે એવી દલીલ મેં કરી છે. અર્થશાસ્ત્રીઓએ એ નક્કી કરવાનું છે કે આ પગલાંનું ઇચ્છિત પરિણામ મળશે કે નહીં. ફરી એક વાર હું સ્પષ્ટ કરું છું કે કાળું નાણું બજારમાંથી દૂર કરવાનું પગલું એવી બાબત છે કે જેને હું દિલથી ટેકો આપું છું, પણ મુદ્દો એ નથી. કાળું નાણું દૂર કરવાનું કામ કાયદેસરની સત્તા દ્વારા થવું જોઈએ. આજે આપણા દેશમાં ‘કાયદાનું રાજ’ એ દુર્લભ બાબત બની ગઈ છે, અને મને ચિંતા એની છે.

૨૭ નવેમ્બર ૨૦૧૬

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 03-04

Loading

14 December 2016 admin
← ઉદારમતવાદીઓેની મૂંઝવણ અને વિકલ્પો
પ્રશ્ન એનએચઆરસીની વિશ્વસનિયતાનો →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved