એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી : બેલાર્ડ પિયર મોલ સ્ટેશન અને ફ્રન્ટિયર મેલ
નેવું વરસ પહેલાંની વાત છે. એ જમાનાની પ્રખ્યાત ફિલ્મ કંપની વાડિયા મુવીટોને એક ફિલ્મ બનાવી. ફિલ્મનાં ઘણાં ખરાં દૃશ્યો રેલવે સ્ટેશન પર કે તેની આસપાસ, ટ્રેનની અંદર, દોડતી ટ્રેનના છાપરા પર, ખરેખર, આઉટ ડોર શૂટિંગ વડે તૈયાર થયાં હતાં. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. વાડિયા મૂવીટોને નવી ફિલ્મની જાહેરાત કરી. અને તરત જ એ વખતની બી.બી.સી.આઈ. રેલવે કંપનીએ વાંધો લીધો. અમારી ટ્રેનના નામનો ઉપયોગ તમે કરી જ કેમ શકો? પણ વાડિયા મુવિટોનવાળા હતા જબરા ચતુર. તેમણે તરત જ ફિલ્મનું નામ બદલીને રાખ્યું ‘મિસ ફ્રન્ટિયર મેલ.’ અને એ ફિલ્મ તો ઊપડી ફ્રન્ટિયર મેલની સ્પીડથી. ફિયરલેસ નાદિયા એ જમાનાની અસાધારણ લોકપ્રિય એકટ્રેસ. જોખમી સ્ટંટ બધા જાતે જ કરે. આ ફિલ્મમાં ફાઈટ કરીને ગુંડાઓને તેણે હરાવેલા. હા, જી. તમે કહેશો કે એમાં તે શી મોટી ધાડ મારી? પણ એ ફાઈટનું શૂટિંગ થયું હતું ખરેખર દોડી રહેલી ફ્રન્ટિયર મેલ ટ્રેનના ડબ્બાના છાપરા પર.

ફિયરલેસ નાદિયાની ફિલ્મ મિસ ફ્રન્ટિયર મેલ
૧૯૩૬ના જુલાઈની ૨૯મીનું ‘ધ બોમ્બે ક્રોનિકલ’ છાપું કહે છે કે મુંબઈમાં છેક દસમે અઠવાડિયે પણ આ ફિલ્મનો એક્કેએક શો હાઉસ ફૂલ જતો હતો. ૧૯ જૂન ૧૯૩૬નું ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ કહે છે કે આગલે દિવસે દિલ્હીનાં થિયેટર પર લોકોની એટલી તો ભીડ જામી હતી કે ટોળાંને કાબૂમાં રાખવા પોલીસ બોલાવવી પડી હતી.

બેલાર્ડ પિયરથી ઊપડેલ ફ્રન્ટિયર મેલ
પણ આ ફ્રન્ટિયર મેલ ટ્રેન મુંબઈના કયા સ્ટેશનેથી ઊપડતી? ક્યારેક ગયે વખતે જેની વાત કરેલી તે કોલાબા સ્ટેશનેથી, ક્યારેક બેલાર્ડ પિયર મોલ સ્ટેશનેથી. એમ કેમ? અને બેલર્ડ પિયરમાં વળી રેલવે સ્ટેશન ક્યાંથી આવ્યું? હા, જી. એ જ તો છે મુંબઈનું બીજું ખોવાયેલું સ્ટેશન, બરાબર કોલાબા સ્ટેશનની જેમ.

બરફની પાટો ગોઠવી બનાવાતો AC ડબ્બો
૧૮૬૯માં સુએઝ કેનાલ ખુલ્લી મૂકાઈ તે પછી ધીમે ધીમે ગ્રેટ બ્રિટન સાથેના દરિયાઈ વહેવારમાં મદ્રાસ અને કલકત્તાનું મહત્ત્વ ઘટતું ગયું અને મુંબઈનું મહત્ત્વ વધતું ગયું. કારણ અગાઉ કેપ ઓફ ગુડ હોપને રસ્તે આવતાં જહાજોને મદ્રાસ અને કલકત્તા પાસે પડતાં, મુંબઈ દૂર. જ્યારે સુએઝને રસ્તે આવતાં વહાણોને મુંબઈ પાસે પડતું, મદ્રાસ અને કલકત્તા દૂર. ૧૮૪૨થી લંડન-મુંબઈ-લંડન વચ્ચેની ટપાલ લાવવા લઈ જવા માટે ‘પેડલ પ્રોપેલર’ વહાણોનો ઉપયોગ શરૂ થયો. પછી સરકારી નોકરી માટે કે બીજાં કામે હિન્દુસ્તાન આવતા અંગ્રેજો મુંબઈ ઊતરતા અને પછી તેમને જ્યાં જવાનું હોય ત્યાં જતા. આવા મુસાફરોની સગવડ માટે પી એન્ડ ઓ શિપિંગ કંપની, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ અને બી.બી.સી.આ. રેલવેએ સાથે મળીને એક ખાસ ટ્રેન શરૂ કરી. મુંબઈથી ઊપડીને એ ટ્રેન છેક બ્રિટિશ ઇન્ડિયાની સરહદ સુધી, એટલે કે પેશાવર સુધી જતી. જે દિવસે (સાધારણ રીતે શુક્રવારે) પી એન્ડ ઓ કંપનીની સ્ટીમર મુંબઈ આવવાની હોય તે દિવસે એ ટ્રેન બેલાર્ડ પિયર મોલ સ્ટેશનેથી ઊપડતી. બાકીના દિવસે કોલાબા સ્ટેશનથી ઊપડતી. બેલાર્ડ પિયરથી બપોરે બે વાગ્યે ઊપડેલી ટ્રેન સુરત, વડોદરા, રતલામ, કોટા, મથુરા, દિલ્હી, ફિરોઝપુર, લાહોર, રાવલપિંડી, વગેરે સ્ટેશને રોકાઈને ત્રીજે દિવસે સવારે ૭:૨૦ વાગે પેશાવર પહોંચતી. આ ફ્રન્ટીયર મેલના સાફામાં બીજું એક છોગું ઉમેરાયું ૧૯૩૪માં. હિન્દુસ્તાનની રેલવેની તવારીખમાં પહેલી વાર આ ટ્રેનમાં AC ડબ્બો ઉમેરાયો. પણ આ ટ્રેન ચાલતી હતી તો સ્ટીમ એન્જીનથી. તો એર કંડીશન કઈ રીતે ચાલતું? ફર્સ્ટ ક્લાસના એક ડબ્બાની ફ્લોર નીચે ખાસ પ્રકારનાં મોટાં ખાનાં બનાવેલાં. મુંબઈથી ટ્રેન ઊપડતાં પહેલાં તેમાં બરફની મોટી મોટી પાટો ગોઠવતા. બેટરીથી ચાલતા પંખા ઠંડી હવાને પાઈપ દ્વારા ઉપર ધકેલતા. અને છાપરામાં ગોઠવેલી જાળીમાંથી ઠંડી હવા મુસાફરોને ઠંડા ઠંડા કૂલ કૂલ રાખતી. હા, વચમાં જે સ્ટેશને એન્જિનમાં કોલસો-પાણી ભરાય તે સ્ટેશને આ ડબ્બા નીચેનાં ખાનામાં બરફની પાટો ભરાતી. આઝાદી પછી આ ટ્રેન ફક્ત અમૃતસર સુધી જતી થઈ. તેનું નામ બદલાઈને થયું ગોલ્ડન ટેમ્પલ મેલ. બેલાર્ડ પિયર સ્ટેશન તો ગયું. પણ હવે આ ટ્રેન બોમ્બે સેન્ટ્રલથી પણ ઊપડતી નથી. બચાડો જીવ, હવે ઊપડે છે બાંદરા ટર્મિનસથી.
બેલાર્ડ પિયરનું બે પ્લેટફોર્મવાળું સ્ટેશન છેક દરિયા કિનારે આવેલું હતું. લંડનથી સ્ટીમરમાં બેઠેલો મુસાફર પેશાવર જતો હોય તો સ્ટીમરમાંથી ઊતરી, થોડું ચાલી, સામી બાજુએ ઊભેલા ફ્રન્ટિયર મેલમાં બેસે, તે સીધો પેશાવર ઊતરે! અને હા, ટ્રેનના પાટા તો છેક ડોક સુધી જતા. એટલે સ્ટીમરમાંથી ઊતરેલો મુસાફરોનો સામાન અને ટપાલના કોથળા સીધા ચડાવાતા ટ્રેનના ડબ્બામાં. આ ફ્રન્ટિયર મેલ હતો બી.બી.સી.આ.ઈ. રેલવેનો, પણ બેલાર્ડ પિયર સ્ટેશન બોમ્બે પોર્ટ ટ્રસ્ટની જમીન પર આવેલું હતું. અને તેનું નામ પડ્યું હતું બોમ્બે પોર્ટ ટ્રસ્ટના પહેલા ચેરમેન જનરલ જોન એલેક્સ બેલાર્ડના નામ પરથી. તેઓ ૧૮૭૩થી ૧૮૭૬ દરમ્યાન બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ચેરમેન હતા. તેમનો જન્મ ૧૮૩૦માં, અવસાન ૧૮૮૦માં. આ સ્ટેશન એવું તો જાજરમાન હતું કે એ The Most Glamorous Station in India તરીકે ઓળખાતું. આ બેલાર્ડ પિયર સ્ટેશન હતું કેવું? ઘણું લાંબું. આખા લાંબા પ્લેટફોર્મને માથે સળંગ છાપરું. સ્ટેશનનાં મકાનો બેઠા ઘાટનાં પણ સુંદર. અને સ્ટેશનને નાકે ઘડિયાળ વગરનો, પણ કલોક ટાવર જેવો મિનારો. (કોલાબા સ્ટેશન પર પણ બરાબર આવો જ મિનારો હતો.)

બેલાર્ડ પિયરથી ઊપડેલી એસ.એસ. રાજપુતાના પરના મુસાફરોમાંના એક મહાત્મા ગાંધી
યાદ છે? બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૩૧ના ઓગસ્ટની ૨૯મી તારીખે ગાંધીજી પી એન્ડ ઓ કંપનીની એસ.એસ. રાજપુતાના સ્ટીમર દ્વારા લંડન જવા મુંબઈથી રવાના થયા હતા. એ સ્ટીમર આ બેલાર્ડ પિયરથી જ ઊપડેલી. ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ એ આગલી સાંજે જ ઝવેરચંદ મેઘાણીએ લખેલું હૃદયદ્રાવક ગીત તાબડતોબ છપાવીને ગાંધીજીની સ્ટીમર ઊપડે તે પહેલાં ત્યાં હાજર રહેલા લોકોમાં વહેંચાયું હતું તે આ બેલાર્ડ પિયર પર જ. એક નકલ ગાંધીજીને પહોંચાડવાની હતી, પણ તેઓ બીજાં કામોમાં રોકાયેલા હતા, એટલે મહાદેવભાઈએ તેમના વતી સ્વીકારેલી. સ્ટીમર ઊપડ્યા પછી સમય મળતાં ગાંધીજીએ એ કાવ્ય વાંચ્યું ત્યારે બોલેલા : “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. કવિએ તો એનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.” (મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં આ શબ્દો નોંધ્યા છે.)
આ પી એન્ડ ઓ કંપનીનો પણ લાંબો ઇતિહાસ છે. એની સ્થાપના થઈ છેક ૧૮૩૭માં. બ્રોડી વિલકોક્સ, આર્થર એન્ડરસન, અને રિચર્ડ બોર્ન એ ત્રણ ભાગીદારોએ શરૂ કરેલી આ કંપનીનું આખું નામ પેનનસુલર એન્ડ ઓરિએન્ટલ સ્ટીમ નેવિગેશન કંપની. પણ ઓળખાતી પી એન્ડ ઓના ટૂંકા નામે. ગ્રેટ બ્રિટનના વેપારી વહાણવટાના વિકાસમાં તેનો ઘણો મોટો ફાળો. શરૂઆત કરી ટપાલ પહોંચાડવાના કામથી. પણ પછી ધીમે ધીમે એ વખતે બ્રિટિશ શાસન હેઠળના દેશોને ગ્રેટ બ્રિટન સાથે અને એકબીજા સાથે સાંકળતી મહત્ત્વની કડી બની રહી. ૧૮૩૭માં સ્થાપના થઈ ત્યારે નામ હતું પેનનસુલર સ્ટીમ નેવિગેશન કંપની. ૧૮૪૦માં આ કંપનીને ગ્રેટ બ્રિટનથી ઈજિપ્ત તથા હિન્દુસ્તાન વચ્ચેની ટપાલ લાવવા લઈ જવાનો પરવાનો અપાયો અને એ સાથે તેનું નામ બદલાઈને થયું પેનનસુલર એન્ડ ઓરીએન્ટલ સ્ટીમ નેવિગેશન કંપની. આજે તો હવે સહેલાણીઓ માટે ક્રૂઝની સગવડ પૂરી પાડતી ઘણી કંપનીઓ છે. પણ છેક ૧૮૪૪માં પી એન્ડ ઓ કંપનીએ બ્રિટનથી ભૂમધ્ય સમુદ્રના દેશો સુધીની ક્રૂઝ શરૂ કરી હતી.
આ કંપનીએ ગ્રેટ બ્રિટનથી મુંબઈ સુધીની સેવા છેક ૧૮૪૦માં શરૂ કરી, અને તે પણ કેપ ઓફ ગૂડ હોપને રસ્તે નહિ. તો? તેણે લીધેલો રસ્તો ઓવરલેન્ડ રૂટ તરીકે ઓળખાતો. લંડનથી નીકળેલું જહાજ સાઉધમપ્ટન, જિબ્રાલ્ટર, અને માલ્ટા થઈને ઈજિપ્તના એલેકઝાનડ્રીઆ બંદરે પહોંચતું. ત્યાંથી સુએઝ સુધી મુસાફરોને ઘોડા ગાડીમાં કે નાઇલ નદી પર ચાલતી હોડીમાં લઈ જવાતા અને તેમનો સામાન ઊંટોની પીઠ પર લાદીને લઈ જવાતો. ઇજિપ્તમાં રેલવેની સગવડ થઈ તે પછી મુસાફરો અને તેમનો સામાન બંને ટ્રેન દ્વારા એ જ રસ્તો કાપતા. સુએઝથી આ જ કંપનીનું બીજું જહાજ મુસાફરોને મુંબઈ લઈ આવતું. આ આખી મુસાફરી ૪૫થી ૫૦ દિવસમાં પૂરી થતી. અને છતાં એ વખતે એ ટૂંકામાં ટૂંકો રૂટ હતો! પણ સુએઝ કેનાલ શરૂ થયા પછી ગ્રેટ બ્રિટનથી ઊપડેલી સ્ટીમર સુએઝ અને એડનથી સીધી મુંબઈ પહોંચતી. ત્યારે આખી મુસાફરીને ૨૦થી ૨૫ દિવસ લાગતા! આમ, જુદી જુદી રીતે, પણ પી એન્ડ ઓ કંપનીએ ગ્રેટ બ્રિટન અને મુંબઈ વચ્ચેની દરિયાઈ સેવા લગભગ ૧૨૦ વરસ સુધી ચલાવી. તે માટે શરૂઆતમાં ‘પેડલ સ્ટીમર’ વપરાતી. પછી ૧૮૫૦થી ૧૮૬૦ સુધી આવ્યો ‘આયર્ન સ્ક્રૂ સ્ટીમર’નો જમાનો. પછી આવી ખૂબ રૂડી રૂપાળી ‘K Class’ સ્ટીમરો. તેમનાં નામ હતાં : કાશ્મીર, કૈસરે હિન્દ, ખૈબર, અને ખંડાલા!
આ કંપનીની સ્ટીમરોમાં ત્રણ ક્લાસ હતા. ફર્સ્ટ ક્લાસમાં ગવર્નરો, આઈ.સી.એસ. અફસરો, ન્યાયાધીશો, મહારાજાઓ, અને તવંગર વેપારીઓ મુસાફરી કરતા. સેકંડ ક્લાસમાં લશ્કરના અફસરો, મિશનરી પાદરીઓ, અધ્યાપકો અને શિક્ષકો, અને એન્જીનિયરો મુસાફરી કરતા. અને ત્રીજા વર્ગમાં સૈનિકો, મજૂરો, અને કુટુંબકબીલા મુસાફરી કરતા. ઘણાં વરસો સુધી પી એન્ડ ઓ કંપનીની એકમાત્ર હરીફ હતી બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપની. પણ ૧૯૧૪માં પી એન્ડ ઓ કંપનીએ આ હરીફ કંપની જ આખેઆખી ખરીદી લીધી. એ પછી તે લગભગ બિનહરીફ બની.

ખોવાણું રે મારું સ્ટેશન: બેલાર્ડ પિયર
પણ પછી ૧૯૨૯થી બ્રિટન અને હિન્દુસ્તાન વચ્ચે વ્યવસાયી વિમાન સેવા શરૂ થઈ. તેની સગવડ વધતી ગઈ તેમ તેમ મુસાફરી માટે દરિયાઈ સફર ઘટતી ગઈ. એટલે પછી બેલાર્ડ પિયરના રેલવે સ્ટેશનનું પણ મહત્ત્વ ઘટતું ગયું. અને છેવટે બેલાર્ડ પિયર મોલ સ્ટેશનને ૧૯૪૪માં કાયમ માટે બંધ કરવામાં આવ્યું. એટલે આજે તો હવે આપણે પ્રભુલાલ દ્વિવેદીની સાથે ગઈ શકીએ :
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.
ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નિયમ બદલાતા નથી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 જુલાઈ 2026
![]()

