Opinion Magazine
Number of visits: 9749785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 April 2026

ચંદુ મહેરિયા

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ વરસના બજેટ સત્રના પ્રશ્નકાળમાં સભ્યોને બિનજરૂરી લાંબાલચ્ચક જવાબો આપતા મંત્રીઓને “ભાષણ ના આપો”  તેમ કહીને ટપાર્યા હતા. સંક્ષિપ્ત સવાલ અને તેનો મુદ્દાસર સંક્ષિપ્ત જવાબની જરૂરિયાત પણ તેમણે ચીંધી હતી. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર ૨૦૨૬ના પ્રશ્નકાળમાં ધારાસભ્યો વાંચીને પૂરક પ્રશ્નો પૂછતા હતા અને મંત્રીઓ પણ વાંચીને જવાબો આપતા હતા તે બાબતે અધ્યક્ષ શંકર ચૌધરીએ નારાજગી વ્યક્ત કરી હતી. સંસદ અને ધારાગૃહોમાં પ્રશ્નોત્તરીનો સમય સૌથી વધુ જીવંત અને સભ્યોની સૌથી વધુ હાજરી ધરાવતો હોય છે. તેમાં જનપ્રતિનિધિ એવા સાંસદો અને ધારાસભ્યો કોઈના લખી આપેલા પ્રશ્નો વાંચે અને મંત્રીશ્રીઓ પણ અગાઉથી નક્કી હોય તેમ વાંચીને જવાબો આપે તેનાથી તેમની મૌલિકતા કે પ્રશ્ન સાથેનો નાતો તો પરખાય છે, ગૃહની કાર્યવાહી કંટાળાજનક બની જાય છે. 

સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સત્રો ચાલુ હોય ત્યારે તેની બેઠકોનો આરંભ એક કલાકના પ્રશ્નકાળ(QUESTION HOUR)થી થાય છે. સામાન્ય રીતે પ્રશ્નોત્તરીનો સમય સવારના ૧૧ થી ૧૨ વાગ્યાનો હોય છે. અપવાદરૂપે નવેમ્બર ૨૦૧૪થી રાજ્યસભા પ્રશ્નકાળથી શરૂ થતી નથી. સંસદીય પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ એવો ધારાગૃહોનો પ્રશ્નકાળ ધાંધલ-ધમાલ કે પ્રશ્નોત્તરી સ્થગિત કરી અન્ય અગત્યના પ્રશ્નની ચર્ચા હાથ ધરવાની માંગણીમાં વેડફાઈ જતો હતો. તેના નિવારણ અર્થે રાજ્યસભાના તત્કાલીન અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં તેનો સમય બદલીને ૧૨ થી ૧-નો કર્યો છે.

પ્રશ્નકાળ સરકારને લોકો પ્રતિ જવાબદાર બનાવવાનું મહત્ત્વનું સંસદીય ઉપકરણ છે. વહીવટી તંત્ર અને જનતા વચ્ચેનો સેતુ છે. સાંસદો અને ધારાસભ્યોને મળેલો મૂળભૂત અધિકાર છે. જેમાં તે સરકારને નિ:સંકોચ સવાલો કરી શકે છે અને મંત્રીઓ પણ તેના જવાબો આપવા અનિવાર્યપણે બાધ્ય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રશ્નો પૂછી શકે છે અને સરકારનું દાયિત્વ છે કે તે પ્રશ્નોના જવાબો આપે. પ્રશ્નો દ્વારા સાંસદો અને ધારાસભ્યો સરકારને વહીવટી કાર્યો, સરકારની નીતિઓ, લોકહિત સાથે જોડાયેલા મુદ્દાઓ, તેમના મતવિસ્તારની સમસ્યાઓ અને બીજી અનેક માહિતી અને જાણકારી મેળવે છે. 

મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે. જ્યારે સંસદ અને ધારાગૃહોનું સત્ર મળે ત્યારે પૂછાતા પ્રશ્નો તારાંકિત પ્રશ્નો કહેવાય છે. તારાંકિત પ્રશ્નોના લેખિત જવાબો આપવામાં આવે છે. ઉપરાંત તેની વિશેષતા એ છે કે તેના પર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. મૂળ પ્રશ્નકર્તા સભ્ય અને ગૃહના બીજા સભ્યો પણ પૂરક પ્રશ્નો પૂછી શકે છે. તેના પર વિષદ ચર્ચા થઈ શકે છે. સંવાદ, વાદવિવાદ પણ થાય છે. સભ્યો અને મંત્રીઓ બંનેની કસોટી  થતી હોય છે. સભ્યો જો કોઈના ઉછીના શબ્દો કે કોઈએ લખી આપેલા પ્રશ્નો પૂછતા હોય તો તેમને પૂરક પ્રશ્નોમાં તકલીફ પડે છે. એ જ રીતે મંત્રીઓ પોતાના વિભાગની કામગીરીથી કે તેને આનુષંગિક મુદ્દાઓથી કેટલા વાકેફ અને સચેત છે તેનું માપ તેમના જવાબો પરથી નીકળી જાય છે. ઘણીવાર મંત્રી જવાબ ન આપી શકે ત્યારે સિનિયર મંત્રી કે વડા પ્રધાન / મુખ્ય મંત્રી દરમિયાનગીરી કરી શકે છે.

અતારાંકિત પ્રશ્નો ગૃહ ચાલુ હોય કે બંધ હોય એવા કોઈપણ સમયે પૂછી શકાય છે. તેનો લેખિત જવાબ મળે છે. સદનના પટલ પર પણ તે સવાલ-જવાબ મૂકવામાં આવે છે પરંતુ અતાંરાકિત પ્રશ્નોની મર્યાદા એ છે કે તેના પર ચર્ચા થઈ શકતી નથી કે પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. તારાંકિત પ્રશ્ન જ્યારે ગૃહમાં ચર્ચાય અને કોઈ એક પ્રશ્ન પર ગૃહના ઘણા સભ્યો સવાલ પૂછવાની રુચિ દર્શાવે તો અધ્યક્ષ તેના પર અડધો કલાકની જુદી ચર્ચાની મંજૂરી આપી શકે છે. સભ્યો કોઈ જનહિતના મુદ્દે સરકારને ટૂંકી મુદ્દતની નોટિસથી પ્રશ્ન પૂછી શકે છે અને તેના પર ચર્ચા થાય છે.

સાંસદો અને ધારાસભ્યોના પ્રશ્નોમાંથી સ્વીકૃત પ્રશ્નોની સૂચિ તૈયાર કરવાનું કામ સંસદ કે ધારાગૃહોના અધ્યક્ષોના કાર્યાલયો કરે છે. સ્વીકૃત પ્રશ્નોની ગૃહમાં પ્રાયોરિટી પણ તેઓ જ નક્કી કરે છે. સંસદમાં રોજના આશરે ૨૦૦ અને ધારાગૃહોમાં ૧૫૦ પ્રશ્નોના જવાબો મળે છે પરંતુ પ્રાથમિકતાના ધોરણે પસંદ થયેલા દસ કે વીસ જ પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે. પ્રશ્નકાળમાં ઉઠાવાતા પ્રશ્નો મારફતે સરકારી કામકાજની તપાસ, નાણાંકીય અનિયમિતતા ઉજાગર કરવી, જનહિતના પ્રશ્નો ઉઠાવવા અને સરકારના કામકાજની સફળતા કે સિદ્ધિઓ દર્શાવવાનો ઉદ્દેશ છે. 

ભારતના બંધારણમાં પ્રશ્નકાળનો કોઈ સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ બંધારણના આર્ટિકલ ૧૧૩ હેઠળ સંસદની પ્રક્રિયા અને સંચાલન સંબંધી નિયમો હેઠળ તે આવે છે. પ્રશ્નકાળનું મૂળ બ્રિટિશ સંસદીય પ્રણાલીમાં રહેલું છે. સંસદીય લોકશાહીને વરેલા મોટા ભાગના દેશોમાં પ્રશ્નકાળનું અસ્તિત્વ જોવા મળે છે. ઈ.સ. ૧૭૨૧માં બ્રિટિશ સંસદના હાઊસ ઓફ લોર્ડસમાં પ્રશ્નકાળનો પહેલવહેલો આરંભ જોવા મળ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં સૌથી પહેલો પ્રશ્ન ૧૮૩૫માં પૂછાયો હતો. ૧૯૬૧માં બ્રિટિનમાં PMQ કે પાઈમ મિનિસ્ટર ક્વેસ્ચન શરૂ થયા હતા. જેમાં સભ્યોના સવાલોના જવાબો બિટિશ વડા પ્રધાને આપવાના હોય છે. 

ભારતીય લોકતંત્રના ચાર પાયા પૈકી કાર્યપાલિકાને સવાલો કરવાની શરૂઆત ૧૮૯૨ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં જોવા મળે છે. ૧૮૯૩માં ભારતની પાર્લામેન્ટમાં પૂછાયેલો સૌથી પહેલો સવાલ અંગ્રેજ સરકારી અધિકારીઓ ગામડાની મુલાકાતો લે છે કે પ્રવાસો કરે છે ત્યારે નાના દુકાનદારો પર તેમના પ્રવાસનો બોજો પડે છે તે અંગે હતો. ૧૯૦૯માં એકટમાં સુધારો કરીને પૂરક પ્રશ્નોની જોગવાઈ થઈ હતી. આઝાદીપછી લોકસભા અને રાજ્યસભામાં ૧૯૫૨થી પ્રશ્નકાળનો આરંભ થયો હતો. ૧૯૯૧થી સંસદની કાર્યવાહીનું ટી.વી. પર જીવંત પ્રસારણ થતાં લોકોને તેમના જનપ્રતિનિધિઓની કામગીરીનો સીધો પરિચય મળતો થયો. જો કે ગુજરાત સહિતની ઘણાં રાજ્યોની વિધાનસભા કામગીરીનું જીવંત પ્રસારણ થતું નથી. 

ધીરે ધીરે વિકસેલો પ્રશ્નકાળ આજે તેના પતન તરફ જઈ રહ્યો હોય તેવું લાગે છે. હવે સરકારો પોતાની વાહવાહી થાય તેવા પ્રશ્નો જાતે જ તૈયાર કરીને પૂછાવતી હોય છે. ગુજરાતમાં પણ પ્રશ્નોત્તરીના પ્રશ્નો શાસક જ નહીં વિપક્ષના નેતાઓના કાર્યાલયો તૈયાર કરતાં હોવાનું કહેવાય છે. એટલે તેની પ્રસ્તુતતા ઘટતી રહી છે. સરકારની કસોટી થાય તેવા પ્રશ્નો ન પૂછવામાં આવે તેની કાળજી લેવાય છે. ૧૯૫૭ના વરસમાં લોકસભામાં ફિરોઝ ગાંધીના એક સવાલ પરથી મુંદ્રા કૌભાંડ છતું થયું હતું અને તે સમયના નાણાં મંત્રી ટી.ટી. ક્રિષ્ણમાચારીને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. હવે તો રાહુલ ગાંધી અને રંજન ગોગોઈએ અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં એકેય પ્રશ્ન પૂછ્યો નથી તે સમાચાર બને છે. વિપક્ષના નેતા અને રાજ્યસભાના નિયુક્ત સભ્યને મંત્રીઓને કોઈ સવાલ કરવાનું મન ન થાય તેના પરથી પ્રશ્નકાળનું ભાવિ અને પ્રાસંગિકતા જણાઈ આવે છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

2 April 2026 Vipool Kalyani
← ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે

Search by

Opinion

  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved