Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંહ કોના? કૉંગ્રેસના, ભાજપના કે સામ્યવાદીઓના?

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 April 2016

માત્ર 24 વર્ષની ઉંમરે બ્રિટિશ કાનૂન હેઠળ ‘આતંકવાદી’ ઠેરવાઈને ફાંસીને માંચડે લટકી જનાર ભગતસિંહની ગયા સપ્તાહે 23મી માર્ચે 109મી પુણ્યતિથિ હતી. એ જ દિવસે કૉંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી શશિ થરુરે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારને આજના જમાનાનો ભગતસિંહ ગણાવ્યો તેમાં વિવાદ શરૂ થયો. ભાજપે આને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું અને માગણી કરી કે કૉંગ્રેસ અને શશિ થરુર દેશની રાષ્ટ્રપ્રેમી જનતાની માફી માગે. ભાજપે કહ્યું કે ભગતસિંહનો રાષ્ટ્રપ્રેમ કનૈયાકુમારથી અલગ હતો.

પ્રો. પ્રીતમસિંહ સાચું કહે છે, ‘ભારતમાં જેટલા પણ પ્રકારની રાજનૈતિક વિચારધારા છે તેને માટે ભગતસિંહ એક ચુનૌતી છે’  

ભગતસિંહે તો ‘ભારત માતા કી જય’ના નારા સાથે ફાંસીનો ફંદો ગળે પહેરી લીધો હતો, જ્યારે કનૈયાએ તો દેશદ્રોહી અફઝલગુરુનો જયજયકાર કર્યો છે, એમ ભાજપે કહ્યું હતું. ભગતસિંહની સરખામણી કનૈયાકુમાર સાથે કરવાની થરુરની ચેષ્ટા બચકાની છે. બંને વચ્ચે ઉંમરના સામ્ય સિવાય, કશી સમાનતા ન હતી. થરુરને કદાચ કનૈયાકુમારની માર્ક્સવાદી વિચારધારાને લઈને ભગતસિંહ યાદ આવ્યા હોય એવું બને. ભગતસિંહ વર્ષોથી ભારતના સામ્યવાદીઓના હીરો રહ્યા છે, કારણ કે ભગતસિંહે એમની નાસ્તિકતાની ઘોષણા ડંકાની ચોટ પર કરી હતી.

બીજી તરફ, ભગતસિંહને બંધૂકમાંથી ગોળીઓ ધણધણાવતા, બૉમ્બ વર્ષાવતા રેમ્બો ટાઇપના આક્રમક રાષ્ટ્રવાદી નેતા તરીકે પેશ કરવાની કોશિશ પણ થતી રહી છે. ભગતસિંહની વિરાસતને લઈને ડાબેરી સામ્યવાદીઓ, જમણેરી હિન્દુવાદીઓ અને ‘લેફ્ટ ઑફ ધ સેન્ટર’ કૉંગ્રેસ વચ્ચે સતત ખેંચતાણ થતી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પ્રીતમ સિંહે ભગતસિંહનો ખાસ્સો અભ્યાસ કર્યો છે. તે લખે છે, ‘ભારતમાં જેટલા પણ પ્રકારની રાજનૈતિક વિચારધારા છે તેને માટે ભગતસિંહ એક ચુનૌતી છે.’

ગાંધી પ્રભાવિત રાષ્ટ્રપ્રેમીઓ, હિન્દુ રાષ્ટ્રવાદીઓ, શીખ રાષ્ટ્રવાદીઓ, સામ્યવાદીઓ અને સશસ્ત્ર સંઘર્ષના હિમાયતી માર્ક્સવાદીઓ ભગતસિંહમાં પોતપોતાનો હિસ્સો શોધે છે, પરંતુ એમને જ વિરોધિતા નડે છે. ગાંધીવાદીઓને ભગતસિંહની હિંસાથી મુસીબત છે, હિન્દુ અને શીખ રાષ્ટ્રભક્તોને એમની નાસ્તિકતા પચતી નથી, ડાબેરીઓને એમનામાં નક્સલવાદી દેખાય છે, જ્યારે નક્સલવાદીઓને વ્યક્તિગત આતંકી વિચારધારા પ્રત્યેની ભગતસિંહની નફરત ગમતી નથી.’ ભગતસિંહ બે રીતે તત્કાલીન ક્રાંતિકારીઓથી અલગ પડે છે.

એક, ભગતસિંહને એમની નાસ્તિકતા પર ગર્વ હતો, અને ફાંસીના પાંચ મહિના પહેલાં જ તેમણે લાહોરની જેલમાં ‘હું નાસ્તિક કેમ છું’ નામનો લેખ લખ્યો હતો, જે લાલા લજપતરાયના અંગ્રેજી સાપ્તાહિક ‘ધ પીપલ’માં 27 સપ્ટેમ્બર, 1931(જે એમનો જન્મદિવસ છે)ના રોજ પ્રકાશિત થયો હતો. અને બે, એમણે એવા સ્વતંત્ર ભારતની કલ્પના કરી હતી જેમાં ગરીબી ન હોય, પીડા ન હોય, શોષણ ન હોય અને સમાનતા હોય. 24 વર્ષનો એક યુવાન, જે કસમયના મૃત્યુની કગાર પર હોય, એ ઈશ્વરના અસ્તિત્વનો બેબાક ઇન્કાર કરે એ વાત જ એક ક્રાંતિ છે.

પંજાબના સ્વતંત્રતાસેનાની બાબા રણધીર સિંહ 1930-31 વચ્ચે લાહોર જેલમાં બંધ હતા. એમને એ જાણીને કષ્ટ થયેલું કે ભગતસિંહ પોતાને નાસ્તિક ગણે છે. એમણે ભગતસિંહમાં ઈશ્વર પ્રત્યે આસ્થા પેદા થાય તે માટે પ્રયાસ કરેલો, પણ એમાં નિષ્ફળતા મળતાં અકળાઈને કહેલું, ‘તને પ્રસિદ્ધિ મળી છે એટલે તારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તું અહંકારી બની ગયો છે, જે તારી અને ઈશ્વર વચ્ચે પડદો બની ગઈ છે.’ ભગતસિંહે અાના જવાબમાં એ લેખ લખ્યો હતો. ભગતસિંહ લખે છે, ‘શું હું કોઈ અહંકારના કારણે ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ નથી કરતો? મારા અમુક દોસ્ત આવું માને છે.

હું શેખી નથી મારતો કે હું માનવીય કમજોરીઓથી ઉપર ઊઠી ગયો છું. હું એક મનુષ્ય છું અને એથી વિશેષ કશું જ નહીં. આવો દાવો કોઈ ન કરી શકે. આ કમજોરી મારી અંદર પણ છે. અહંકાર મારા સ્વભાવનો ભાગ છે. મને નિશ્ચિતપણે મારા મત પર ગર્વ છે, પરંતુ એ વ્યક્તિગત નથી. મને મારા વિશ્વાસ પ્રત્યે ન્યાયોચિત ગર્વ છે. એને ઘમંડ ન કહી શકાય. ઘમંડ તો સ્વયં પ્રત્યે અનુચિત ગર્વની અધિકતા છે.’ જીવનને ગહેરા અર્થમાં સમજવા કે એનો સંતોષ મેળવવા ભગતસિંહને ઇશ્વરની, સ્વર્ગની કે નર્કની કલ્પનાના સહારાની કે આત્માની અમરતામાં વિશ્વાસની જરૂર લાગી ન હતી.

એનાથી વિપરીત ભગતસિંહ એવું માનતા કે આવી શ્રદ્ધા માણસને કમજોર બનાવે છે અને એના તાર્કિક વિચાર અને વ્યવહારમાં અવરોધ બને છે. ભગતસિંહે હિન્દુ, મુસ્લિમ અને ઈસાઈને સંબોધીને કહેલું કે, ‘તમારો સર્વશક્તિમાન ઇશ્વર હર વ્યક્તિને એ સમયે કેમ નથી રોકતો જ્યારે એ અપરાધ કે પાપ કરતો હોય છે? એણે કેમ આક્રમણખોર રાજાઓની ઉગ્રતાને સમાપ્ત કરીને માનવને પ્રથમ વિશ્વયુદ્ધથી ન બચાવ્યો? એણે અંગ્રેજોના મસ્તિકમાં ભારતને મુક્ત કરવાની ભાવના કેમ ન ભરી? એણે શા માટે મૂડીવાદીઓના હૃદયમાં પરોપકારનો ઉત્સાહ ન ભર્યો?’

ભગતસિંહે ઈશ્વરને સ્વાર્થી નીરો અને આતતાયી ચંગેઝખાન સાથે સરખાવ્યો હતો, જે મનુષ્ય જાતિનાં દુ:ખ-દર્દની મઝા લઈ રહ્યો છે. ભગતસિંહનું રાજકીય અને સામાજિક ચિંતન એમની આ ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધામાંથી આવે છે, જે એમનો બીજો પક્ષ છે, જેની સાથે અનુકૂલન સાધવામાં ભગતસિંહના કહેવાતા વારસદારોને તકલીફ પડે છે. ભગતસિંહે ધર્મમુક્ત અને ગરીબીમુક્ત ભારતની કલ્પના કરી હતી, કારણ કે એમના મતે ધર્મએ તાકાતવર, સંપન્ન લોકોની તરફદારી કરી છે અને હિન્દુસ્તાનને હિન્દુ-મુસ્લિમ વેરઝેરની ગર્તમાં ગુમરાહ કરી દીધું છે.

1919માં જલિયાંવાલા બાગના હત્યાકાંડની અસર હેઠળ 1924માં (હાલ પાકિસ્તાનમાં) ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં ભયાનક રમખાણ થયાં હતાં, એ પછી સાંપ્રદાયિક તોફાનો પર લાંબી બહસ શરૂ થયેલી. ભગતસિંહે આ અંગે સ્પષ્ટ વિચારો રજૂ કરેલા, જે ‘કીર્તિ’ નામની પત્રિકામાં 1928માં પ્રગટ થયા હતા. એમાં ભગતસિંહે લખેલું કે ભારતમાં આજે એક ધર્મનું હોવું જ બીજા ધર્મ માટે કટ્ટર શત્રુ હોવું છે. 100 વર્ષ પહેલાંના ભગતસિંહના વિચારો આજે પણ એટલા જ સાંપ્રત છે. ભગતસિંહની આ સંવેદનશીલતા પણ આપણે એમની જે છબી બતાવી છે તેનાથી વિપરીત જાય છે.

હિન્દુ-મુસ્લિમ વિસંવાદિતા ભારતને વિશ્વમાં બદનામ કરી રહી છે, એવું ભગતસિંહને ત્યારે લાગેલું. એ લખે છે, ‘ખબર નથી આ ધાર્મિક દંગલો ક્યારે ભારતવર્ષનો પીછો છોડશે. આ અંધવિશ્વાસમાં બધા વિવેક ગુમાવી દે છે. કોઈ હિન્દુ, મુસલમાન યા શીખ વીરલો જ હશે જે એનું દિમાગ ઠંડું રાખે છે, બાકી બધા ખાલી નામના જ ધાર્મિક રોબને બતાવવા ડંડા, લાઠી, તલવાર, છૂરી હાથમાં પકડી લે છે અને માથા ફોડીને મરી જાય છે.’ ભારતમાં આજે ધાર્મિક અતિવાદને વોટબેન્ક રાજનીતિના કારણે વૈધતા મળી છે ત્યારે ઈશ્વરને લઈને ભગતસિંહના વ્યક્તિગત વિચારો અને હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિકતાને લઈને એમનો જાહેર અભિગમ એમને સાવ જુદા જ (અને સાચા) પરિપ્રેક્ષ્યમાં મૂકે છે, જે પરિપ્રેક્ષ્ય ‘ભગતસિંહ તો મારો-કાપોવાળા સાચા સપૂત હતા’ એવી એમની છબી હેઠળ દબાઈ ગયો છે.

ભારતમાં ગરમા-ગરમ, આરપારના વિચારોના ચાહકો વધી રહ્યા છે. બધાને એવું લાગે છે કે છાતીઓ પહોળી કર્યા વગર આ દેશનો ઉદ્ધાર થવાનો નથી. એમને ભગતસિંહનું રેમ્બોઇઝમ લલચાવનારું લાગે, પણ આઝાદીને લઈને, રાષ્ટ્રપ્રેમને લઈને ભગતસિંહ શું માનતા હતા એની ભાગ્યે જ કોઈ દરકાર કરે છે. લાહોર જેલમાં 1931માં એમને ફાંસી અપાઈ તેનાં બે વર્ષ પહેલાં લાહોર વિદ્યાર્થી પરિષદમાં ભગતસિંહે કહેલું, ‘ભારતમાં આઝાદીના ઘણા બધા અર્થ કરવામાં આવે છે. મારા મતે આઝાદીનો મતલબ માત્ર રાજકીય ગુલામીથી મુક્ત થવાનો જ નથી.

આઝાદીનો મતલબ ઑલરાઉન્ડ આઝાદીનો છે, જેમાં વ્યક્તિગત આઝાદી હોય, સામાજિક આઝાદી હોય, ધનવાનોની આઝાદી હોય અને ગરીબોની ય આઝાદી હોય, પુરુષો માટે આઝાદી હોય અને સ્ત્રીઓ માટે ય હોય. આઝાદીનો મતલબ સંપત્તિની સમાન વહેંચણી, જાતિ ભેદભાવની નાબૂદી, કોમી વિસંવાદિતા અને ધાર્મિક અસહિષ્ણુતાની ગેરહાજરી એવો થાય છે. તમને કદાચ આ વાત દિવાસ્વપ્ન જેવી લાગે, પણ આ આદર્શ હશે તો જ માણસના આત્માને શાંતિ મળશે.’

ભગતસિંહનો રાષ્ટ્રવાદ બહુસંખ્યકવાદમાંથી નહીં, પણ માનવતાવાદમાંથી આવતો હતો એ એક મહત્ત્વની શીખ એમના જીવનમાંથી મળે છે.

પેલા ‘હું નાસ્તિક કેમ છું’ લેખમાં ભગતસિંહ લખે છે, ‘મને ખબર છે જે ક્ષણે ફાંસીનો ફંદો મારી ગરદન ઉપર લાગશે અને મારા પગ તળેથી પાટિયું ખસશે, એ ક્ષણ અંતિમ હશે. હું કે મારા આત્માનો ત્યાં જ અંત આવી જશે. આગળ કશું જ નહીં હોય. એક નાનકડી જિંદગી, જેની કોઈ ગૌરવશાળી પરિણતિ નથી, ખુદમાં સ્વયં એક પુરસ્કાર હશે. વિના કોઈ સ્વાર્થ કે અહીં અથવા અહીંથી આગળ કોઈ ઈનામની ખેવના વગર મેં અનાસક્ત ભાવથી પોતાના જીવનને સ્વતંત્રતાના ધ્યેય પર સમર્પિત કરી દીધું છે, કારણ કે હું બીજું કશું કરી શકું તેમ નથી. જે દિવસે આપણને આવી માનસિકતાવાળા બહુ બધાં સ્ત્રી-પુરુષ મળશે, જે પોતાના જીવનને મનુષ્યની સેવા અને પીડિત માનવતાના ઉદ્ધાર કરવા સિવાય બીજે ક્યાં ય સમર્પિત કરી જ ન શકે, એ દિવસથી મુક્તિના યુગનો શુભારંભ થશે.’

ભારત માતા કી જય!

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 03 અૅપ્રિલ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-breaking-views-by-raj-goswami-in-sunday-bhaskar-5290199-NOR.html

Loading

3 April 2016 admin
← ન રણી, ન ધણી, એ જ કહાણી?
‘ભારતમાતા કી જય’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved