Opinion Magazine
Number of visits: 9477034
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ કેમ કાયમી બની શકી નહીં?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 October 2025

ચંદુ મહેરિયા

લગભગ સવા નવ દાયકા પૂર્વેનો પૂના કરાર આજે ય ચર્ચાસ્પદ છે. ચોવીસમી સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ થયેલો પૂના કરાર દલિતોના વર્તમાન રાજકીય, શૈક્ષણિક અને વહીવટમાં પ્રતિનિધિત્વનો પાયાનો દસ્તાવેજ છે. પૂના કરારમાં કરવામાં આવેલી દલિતો માટેની શિક્ષણ, નોકરીઓ અને ચૂંટણીઓમાં ખાસ સવલતોની જોગવાઈઓ પછી ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્યધારા અને સ્વતંત્ર ભારતના બંધારણમાં પણ સમાવવામાં આવી હતી. જો કે ડો. બાબાસાહેબ આંબેડકરની માંગણી દલિતો માટે અલગ મતાધિકારની હતી. પરંતુ તેની વિરુદ્ધના ગાંધીજીના આમરણ અનશનને કારણે તે પડતી મુકવી પડી હતી. એટલે પૂના કરાર દિનને દલિતોનો બહુમતી વર્ગ ધિક્કાર દિન કે વિરોધ દિન તરીકે મનાવે છે.

ભારતની ભાવિ રાજ્યવ્યવસ્થાની ચર્ચા માટે લંડનમાં ગોળમેજી પરિષદો યોજાઈ હતી. ડો. આંબેડકરે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. પરંતુ મુસ્લિમો અને બીજાઓના કોમી મતદારમંડળોની માંગણી સ્વીકારનાર કાઁગ્રેસ અને ગાંધીજી દલિતોની માંગણીના મુદ્દે નામકર ગયા હતા. દલિતો માટે અલગ મતદારમંડળને ગાંધીજી ‘હિંદુ સમાજનો નાશ કરે તેવું ઝેર’ માનતા હતા. જ્યારે ગોળમેજી પરિષદમાં આ મુદ્દે કોઈ નિર્ણય ન થઈ શક્યો ત્યારે  આખરી ફેંસલો કરવાનું તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન રામ્સે મેકડોનાલ્ડ પર છોડવામાં આવ્યું. તેમણે અલગ મતાધિકારને માન્ય રાખતાં ગાંધીજીએ તેના વિરોધમાં પૂનાની યરવડા જેલમાં આમરણ ઉપવાસની ઘોષણા કરી અને તેની જાણ બ્રિટિશ સરકારને કરી હતી. રામ્સે મેકડોનાલ્ડે  તેમના આઠમી સપ્ટેમ્બર ૧૯૩૨ના ઐતિહાસિક પત્રના અંતમાં લખ્યું હતું કે, ‘ભારતીય પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વની બાબતમાં સર્વસંમતિ સાધી શક્યા નહીં એટલે બ્રિટિશ સરકારે અનિચ્છાએ આ બાબતે નિર્ણય કરવો પડ્યો છે.’ ‘અલગ મતદાર મંડળનો સરકારનો નિર્ણય અફર’ હોવાનું જણાવી તેમણે ‘જુદી જુદી કોમો વચ્ચે સમજૂતી થાય તો એ સમજૂતીનો અમલ કરવા સરકાર નિર્ણય બદલશે’ તેમ કહીને જવાબદારી ડો. આંબેડકરના શિરે મૂકી હતી.. 

આમરણ ઉપવાસમાંથી ગાંધીજીનો જીવ બચાવવાની કપરી જવાબદારીના બોજ તળે દબાયેલા બાબાસાહેબે અલગ મતાધિકારની માંગણી પડતી મૂકી અને રાજકીય અનામતોથી સંતોષ માન્યો. પૂના કરારની નવ જોગવાઈઓ પૈકીની ત્રીજી મહત્ત્વની જોગવાઈ  એ હતી કે પ્રાંતિક  અને કેન્દ્રિય ધારાસભાઓની અનામત બેઠકો પર મુખ્ય ચૂંટણી પહેલાં દલિત ઉમેદવારની પ્રાથમિક ચૂંટણી કરવામાં આવશે. એ જોગવાઈ મુજબ અનામત બેઠકોના દલિત મતદારો પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારો ચૂંટી કાઢશે. એ ઉમેદવારો મુખ્ય ચૂંટણીમાં ઉમેદવારી કરીને દલિત-બિનદલિત તમામ મતદારોના મત માગશે. એટલે કે ચાર ઉમેદવારોની પેનલ નક્કી કરવાનું સંબંધિત મતવિસ્તારોના દલિતોના હાથમાં હતું. પરંતુ તે ચારમાંથી મુખ્ય ચૂંટણીમાં કોણ જીતશે એ નક્કી કરવાનું કામ દલિત-બિનદલિત બંને મતદારોના હાથમાં હતું.

પૂના કરારની શરતો, ખાસ કરીને સંયુક્ત મતદાર મંડળની મતદાન પદ્ધતિ નક્કી કરવા બ્રિટિશ સરકારે ‘હેમન્ડ કમિટી’ની રચના કરી હતી. આ સમિતિમાં ચર્ચાયેલા મુદાઓમાં એક મુદ્દો પ્રાથમિક ચૂંટણી અંગેનો હતો. પૂના કરારમાં પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારની પેનલ ચૂંટી કાઢવાની વાત હતી. ચાર ઉમેદવારો એટલે ઓછામાં ઓછા ચાર કે વધુમાં વધુ ચાર, એ વિશે હેમન્ડ સમિતિ સમક્ષ વિવાદ થયો હતો. કોંગ્રેસ ઇચ્છતી હતી કે જે અનામત બેઠક પર  ચાર કરતાં ઓછા દલિત ઉમેદવારો હોય,  તે બેઠક ખાલી રહેવી જોઈએ. ડો. આંબેડકરના મતે, મુખ્ય આશય યોગ્ય દલિત પ્રતિનિધિત્વનો અને તે માત્રને માત્ર દલિતો જ નક્કી કરે તેનો હોવાથી પ્રાથમિક ચૂંટણીમાં ચાર ને બદલે ત્રણ, બે, કે એક દલિત જ ઉમેદવાર હોય તો પણ તે બેઠક ખાલી રાખવાની જરૂર નથી.  તેમને એવું લાગતું હતું કે પ્રાથમિક ચૂંટણીમાં દલિત મતદારો પોતાના સમાજમાંથી ચાર ઉમેદવારોને બદલે કોઈ એક ઉમેદવારને જ સર્વાનુમતે પસંદ કરે, તો એ ઉત્તમ કહેવાય. કાઁગ્રેસને તે મંજૂર નહોતું, કારણ કે દલિતો એકતા સાધીને ચારને બદલે એક જ ઉમેદવાર પસંદ કરે તો પોતાનો કહ્યાગરો દલિત ઉમેદવાર જીતાડવાની કાઁગ્રેસની ઈચ્છા પૂરી ન થાય. એકથી વધારે દલિત ઉમેદવારો હોય તો જ કાઁગ્રેસ તેમની વચ્ચેની હરીફાઈનો લાભ ઉઠાવીને, બિનદલિત મતોના જોરે પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારને જીતાડી શકે. હેમન્ડ સમિતિએ ડો. આંબેડકરની રજૂઆત સ્વીકારી હોવાનું ખુદ ડો. આંબેડકરે નોંધ્યું છે, પણ એ મુજબ મુખ્ય ચૂંટણી પહેલાં પ્રાથમિક ચૂંટણીઓની જોગવાઈનો અમલ થયો હોય એવું જણાતું નથી. 

૨૩મી એપ્રિલ ૧૯૩૩ના રોજ ડો. આંબેડકર ગાંધીજીને યરવડા જેલમાં મળ્યા ત્યારે પણ પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ અંગે ચર્ચા થઈ હતી. ડો. ધનજંય કીર બાબાસાહેબના જીવનંચરિત્રમાં આ સંદર્ભે લખે છે કે બાબાસાહેબે ગાંધીજીને કહેલું, ‘અસ્પૃશ્ય વર્ગના ઉમેદવારોને (પ્રાથમિક અને મુખ્ય, એમ) બે ચૂંટણીઓ લડવાનો ખર્ચ આકરો પડે છે. માટે, પ્રાથમિક ચૂંટણીને સામાન્ય ચૂંટણીમાં વિલિન કરવી જોઈએ. જે દલિત ઉમેદવારને સામાન્ય ચૂંટણી લડવી હોય તેણે પ્રાથમિક ચૂંટણીમાં ઓછામાં ઓછા પચીસ ટકા મત મેળવવા પડે, એવી શરત રાખવી જોઈએ.’ (ડો.આંબેડકર : જીવન અને કાર્ય,  ડો. ધનંજય કીર, પૃષ્ઠ- ૨૭૯) 

પૂના કરારના મુસદ્દાને આખરી ઓપ આપતા પહેલાં, બાબાસાહેબે પ્રાથમિક ચૂંટણીની શરત અંગે પોતાના સાથીદારો સાથે વિગતે ચર્ચા કરી હતી. ત્યાર પછી જ તેમણે પ્રાથમિક ચૂંટણીની શરત માન્ય રાખી હતી. પરંતુ પ્રાથમિક ચૂંટણીમાં દલિતોના મત મેળવવામાં મોખરે રહેતા ડો. આંબેડકરના પક્ષના ઉમેદવારો સામાન્ય કે મુખ્ય ચૂંટણીમાં બિનદલિત મતદારોના મતો મેળવવામાં પાછળ રહેતા હોઈ હારી જતા હતા. એટલે બાબાસાહેબ કહેતા હતા કે અમને મતો મળે છે પરંતુ બેઠકો મળતી નથી. કાઁગ્રેસની પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારોને જ જિતાડવાની આ ચાલને કારણે દલિતોને લાયક પ્રતિનિધિત્વ મળી શક્યું નહીં. 

રાજકીય અનામત બેઠકોની વર્તમાન નીતિમાં દલિત હિતને બદલે પક્ષીય હિતને પ્રાધાન્ય આપતા દલિત ઉમેદવારો ચૂંટાય છે તે સ્થિતિમાં રાજકીય અનામત બેઠકોની નીતિને વધુ અસરકારક બનાવતી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને બાબાસાહેબે સૂચવેલા સુધારા સાથે કાયમી ધોરણે અમલી બનાવવાની સબળ માગ ઊઠાવવાની આવશ્યકતા છે. દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તેવી (અંશત: અલગ મતદાર મંડળની જોગવાઈ જેવી) આ શરત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા બનવો જોઈએ. 

પૂના કરારના ત્રાંણું વરસના અંતિમ દિવસે ગાંધીના ગુજરાતના દલિતો સંકલ્પ દિન(૨૩મી સપ્ટેમ્બર)ની ઉજવણીમાં રમમાણ છે. યુવાન આંબેડકરે વડોદરા રાજ્યમાં આભડછેટના કારણે ઘર ન મળતા નોકરી છોડવી પડી હતી. ૨૩મી સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ વડોદરા છોડતાં પહેલાં તેમણે સજળ આંખે નાતજાતના ભેદને તેના મૂળમાંથી ખેંચી કાઢવાનો સંકલ્પ કર્યો હતો. તેની સ્મૃતિમાં ઉજવાતા સંકલ્પ દિવસે દલિતો પૂના કરારની પાયાની પણ વિસારે પાડી દેવાયેલી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને નવા રૂપે અમલી બનાવી બાબાસાહેબના અલગ મતાધિકારના સંકલ્પને સાકાર કરવાનું પ્રણ લેશે કે? 

e.mail : maheriyachandu@gmail.com

Loading

1 October 2025 Vipool Kalyani
← સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
બધા ધર્મોના લોકોને ગાંધીનો અહિંસક તમાચો!  →

Search by

Opinion

  • મુંબઈની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિઃ એરપોર્ટ અને મેટ્રોનો ઉત્સાહ ખરો પણ વિકાસની વાસ્તવિકતા શું?
  • મોદીજીની જાદુઈ કળા !
  • પ્રતિસાદ આપવાનો ધર્મ કોનો ?
  • બાળકો માટે લોકશાહી વિશેનો પાઠ
  • ચલ મન મુંબઈ નગરી—310 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના
  • શૂન્ય …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved