Opinion Magazine
Number of visits: 9445933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદિવાસીઓના અસ્તિત્વ અને અધિકારોની રક્ષાનો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 August 2025

ચંદુ મહેરિયા

એકવીસમી સદીની પહેલી પચીસીની પૂર્ણાહૂતિના આરે ઊભા રહીને દેશ અને દુનિયાના આદિવાસીઓની સ્થિતિ વિશે વિચારીએ છીએ તો શું લાગે છે? આજે પણ આદિવાસીઓનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ બરકરાર છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, અમાનવીય શોષણ અને અત્યાચારો, વેઠિયા મજૂરી અને બાળ મજૂરી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અભાવ, વિસ્થાપન અને સ્થળાંતર જેવી અનેક સમસ્યાઓથી તેમને પીડવામાં આવી રહ્યા છે. તેમના જળ, જંગલ અને જમીન છીનવાઈ રહ્યાં છે. 

આદિવાસી, ગિરિજન, વનવાસી, વનબંધુ, અત્વિકા, અનુસૂચિત જનજાતિ અને ટ્રાયબલ જેવા વિવિધ નામે ઓળખાતા આદિવાસીઓ પૃથ્વી પરના મૂળનિવાસી અને આદિ કાળથી વસતા અસલ વતની છે. વિશિષ્ટ સંસ્કૃતિ, ભૌગોલિક અલગાવ, કથિત મુખ્ય સમાજ સાથે સંપર્કનો સંકોચ, આદિમ લક્ષણોના સંકેત, પછાતપણું જેવી વિશેષતા ધરાવતા આદિવાસીઓની વિશ્વના ૯૦ દેશોમાં આશરે ૪૭.૬ કરોડ (વિશ્વની કુલ વસ્તીના ૬ ટકા) વસ્તી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં તેમની વસ્તી ૮.૬ ટકા (૧૦.૪ કરોડ) છે. ગુજરાતમાં ૮૯.૧૭ લાખ (કુલ વસ્તીના ૧૪.૮ ટકા) છે. દુનિયામાં, દેશમાં કે રાજ્યમાં ભલે તેમની વસ્તી લગભગ ૧૦ ટકાની આસપાસ હોય પરંતુ ગરીબીમાં તે અવ્વલ છે. કુલ ગરીબોમાં આદિવાસી ગરીબો સૌથી વધુ અર્થાત ૧૫ થી ૨૦ ટકા જેટલા છે. ભારતના કુલ ભૂભાગમાં ૨૦ ટકા આદિવાસી ક્ષેત્ર છે. રાષ્ટ્રીય સંસાધનોના ૭૦ ટકા ખનિજ, જંગલ, વન્ય પ્રાણી, જળ સંસાધન અને માનવ શ્રમ ત્યાં જ ઉપલબ્ધ છે. પરંતુ આદિવાસીઓ તેમના અસ્તિત્વ માટે નિરંતર સંઘર્ષ કરતા રહે છે. સરકારી વિકાસ યોજનાઓ તેમને વિસ્થાપિત કરે છે અને બે ટંક રોટલાના સાંસા તેમને સ્થળાંતરિત કરે છે. ભલે દેશનો સામાન્ય સાક્ષરતા દર ૭૩ ટકા હોય આદિવાસી સાક્ષરતાનો દર તેનાથી ઘણો નીચો ૫૯ ટકા જ છે. તેમાં આદિવાસી પુરુષોની સાક્ષરતા ૬૮.૫૩ ટકા અને મહિલા સાક્ષરતા ૪૯.૩૫ ટકા જ છે. 

દુનિયાના સૌથી નબળા અને વંચિત સમૂહ એવા આદિવાસીઓની સ્થિતિમાં બદલાવ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેમનો માર્ગ આસાન નહોતો. યુનો રચિત વર્કિંગ ગ્રુપ ઓફ ઈન્ડિજિનસ પોપ્યુલેશનની પહેલી બેઠક ૯મી ઓગસ્ટ ૧૯૮૨ના રોજ જિનિવામાં મળી હતી. તેણે આદિવાસી અધિકારોનું ઘોષણાપત્ર તૈયાર કરવું શરૂ કર્યું. ફસ્ટ ડ્રાફ્ટમાં આદિવાસીઓને તેમના વિસ્તારોમાં પારંપરિક શાસન વ્યવસ્થા લાગુ કરવાનો આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો હતો. જળ, જમીન, જંગલ પર અને ઉપલબ્ધ કુદરતી સંશાધનો પર પહેલો અધિકાર આદિવાસીઓનો રહેશે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રકારના આધિકારોનો અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ૧૯૮૨ થી ૧૯૯૪ એમ બાર વરસ સુધી પહેલો ડ્રાફ્ટ ચર્ચાતો રહ્યો. સતત સંઘર્ષ અને અથાક મહેનત પછી પચીસ વરસે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ યુનોમાં આદિવાસી અધિકારોનું ઘોષણા પત્ર સ્વીકૃત થઈ શક્યું હતું. વિશ્વના ૧૪૪ દેશોએ ઘોષણાપત્રનું સમર્થન કર્યું હતું, જ્યારે ૧૧ દેશો તટસ્થ રહ્યા હતા. દુનિયાના વિકસિત દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં વિરોધ કર્યો પણ પછી તેને સ્વીકાર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯માં અને ન્યૂઝીલેન્ડે ૨૦૧૦માં તેનો સ્વીકાર કર્યો હતો. આદિવાસીઓનો જંગલ, જમીન અને જળ સંસાધનો પર એકાધિકાર, આત્મ નિર્ણય અને સ્વશાસનનો અધિકાર, પૂર્વ સંમતિથી જ આદિવાસી વિસ્તારોના સંસાધનોનો ઉપયોગ વગેરે આદિવાસી અધિકારો ઘોષણાપત્રમાં સામેલ હતા. જો કે ઘોષણાપત્ર કાનૂની રીતે બાધ્યકારી નથી પરંતુ તેનાથી નૈતિક દબાવ બની રહે છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૫ થી ૨૦૦૪ અને ૨૦૦૫ થી ૨૦૧૫ એમ બે દાયકા વિશ્વ આદિવાસી દાયકા રૂપે મનાવીને આદિવાસી અધિકારો માટે જાગૃતિ આણી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આદિવાસી અધિકારો માટેની નવમી ઓગસ્ટ ૧૯૮૨ની પહેલી બેઠકની સ્મૃતિમાં ૧૯૯૪માં દર વરસે ૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન INTERNATIONAL DAY OF INDIGENOUS PEOPLES) મનાવવાનું યુનોએ નક્કી કર્યું હતું. ૧૯૯૫થી વિશ્વ નવમી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ મનાવે છે. 

વિશ્વ આદિવાસી દિવસ ઠાલી ઉજવણીનો દિવસ નથી પરંતુ તેની પાછળ કેટલાક ઉદ્દેશ રહેલા છે. આદિવાસીઓની આગવી સંસ્કૃતિ, વિશિષ્ઠ જીવનશૈલી, ભાષા અને અસ્તિત્વનો સ્વીકાર અને રક્ષણ, સમાજની કથિત મુખ્ય ધારાથી કપાયેલા આદિવાસીઓનું સન્માન, તેમના યોગદાનને માન્યતા, તેમના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત જ્ઞાનનું જતન-સંવર્ધન, બહારના તત્ત્વોથી તેમના જળ, જમીન, જંગલનું રક્ષણ, અધિકારો માટેની જાગૃતિ અને શોષણ સામે સંઘર્ષ, તે માટેની પ્રતિબધ્ધતા અને સંકલ્પના ઉદ્દેશ સાથે આદિવાસી દિવસની ઉજવણી થાય છે. દર વરસે કોઈ ચોક્કસ થીમ સાથે દુનિયામાં આદિવાસી દિવસ મનાવાય છે. ૨૦૨૩ના વિશ્વ આદિવાસી દિવસની ‘થીમ પારંપરિક જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા’, ૨૦૨૪માં ‘સ્વનિર્ણય માટે પરિવર્તનના વાહક તરીકે આદિવાસી યુવાનો’  અને ૨૦૨૫માં ‘આદિવાસીઓનો આત્મનિર્ણયનો અધિકાર, ખાધ્યસુરક્ષા અને સાર્વભૌમત્વનો માર્ગ’ની થીમ યુનોએ નક્કી કરી છે.

ભારતમાં ૭૦૦ આદિવાસી જનજાતિ છે. પ્રકૃતિપૂજક આદિવાસીઓ વિકાસમાં છેલ્લે છે. એટલે બંધારણના વિવિધ અનુચ્છેદ હેઠળ આદિવાસીઓને વિશેષ સગવડો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ, નોકરી અને રાજનીતિમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અનામતની જોગવાઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના રાજકીય પ્રતિનિધિત્વ માટેની આ જોગવાઈઓને કારણે જ કદાચ આજે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના પદે આદિવાસી મહિલા વિરાજમાન છે. આઝાદીના પંચોતેર વરસો પછી શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજનીતિમાં આદિવાસીઓ થોડી પ્રગતિ સાધી શક્યા છે પરંતુ મંજિલ હજુ ઘણી દૂર છે.

અન્ય સમાજોની જેમ આદિવાસીઓમાં પણ પ્રભુત્વ ધરાવતો વર્ગ પ્રગતિમાં આગળ છે. પરંતુ કેટલીક આદિવાસી જાતિઓ સુધી કોઈ વિકાસ પહોંચ્યો નથી. એટલે સરકારે તેના તરફ વિશેષ લક્ષ આપ્યું છે. ઉછંગરાય ઢેબર કમિશનની ભલામણો પરથી ૧૯૭૫માં ૫૨ અને ૧૯૯૩માં ૨૩ આદિવાસી જાતિઓને વિકાસમાં અતિપછાત તરીકે ઓળખવામાં આવી હતી. તેથી દેશની ૭૦૫ અનુસૂચિત જનજાતિમાં ૭૫ અતિ પછાત આદિવાસી જાતિઓ છે. પહેલાં તેની પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ (PTG) કે આદિમ જાતિ તરીકે સરકારી ઓળખ હતી. ૨૦૦૬થી તે બદલાઈને PVTG (PARTICULARLY VALNERABLE TRIBAL GROUPS, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ)ની થઈ છે. ગુજરાતની ૩૧ ટ્રાઈબ્સમાં કાથોડી, કોટવાળિયા, કોલધા, પઢાર અને સિદ્દી એ પાંચ  પી.વી.ટી.જી. છે. 

ત્રણ દિવસ પછી આવતો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના ઉલ્લાસ સાથે સંકલ્પનો પણ દિવસ છે. આ સંકલ્પ સમાજ અને સરકાર બંનેએ લેવાનો છે. જ્યાં આદિવાસી વસ્તી ઓછી છે અને તે વોટ બેન્ક નથી તેવા અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો અને સમાજે ૨૦૦૮-૯માં અને તાઈવાને ૨૦૧૬માં આદિવાસીઓની જાહેર માફી માંગી હતી. સર્વોચ્ચ કેથોલિક ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે પણ આદિવાસીઓ પ્રત્યેના અન્યાય માટે જ્ઞમાયાચના કરી હતી. પરંતુ ભારતમાં તો બિનઆદિવાસીઓને આદિવાસીઓની યાદ તેમના ધર્મપરિવર્તન વખતે જ આવે છે. આ વલણ બદલાય તો આદિવાસી દિવસની ઉજવણી સાર્થક બને.

e.mail : maheriyachandu@gmail.com

Loading

13 August 2025 Vipool Kalyani
← વ્યૂહાત્મક નહીં, મૂલ્યાત્મક મૂલવણીના પ્રશ્નોની વાત છે!
પુસ્તકની મનોવ્યથા— →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved