Opinion Magazine
Number of visits: 9483813
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૩૦) 

સુમન શાહ|Opinion - Opinion|27 July 2025

સુમન શાહ

કોઈ મને પૂછે કે – તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો, તો હું શું કહું એને? આમ તો તરત કહી દેવાય કે ભારતીય કે અમેરિકન, અથવા ભારતીય-અમેરિકન. પણ એ બીજો પ્રશ્ન પૂછે કે ભારતીય એટલે શું, અમેરિકન એટલે શું, તો એના શા ઉત્તરો આપવા? 

પણ એ ભાઈને એક પ્રશ્ન હું પૂછું કે સંસ્કૃતિ એટલે શું, તો એ મને શો ઉત્તર આપશે? 

અને જો ઉત્તર આપશે તો સૌ પહેલાં ધર્મને કેન્દ્રમાં મૂકશે. પણ હું એને પૂછું કે ધર્મ કોને કહેવાય, તો માથું ખંજવાળીને કહેશે, વેદો પુરાણો. કંઈક વધારે જાણતો હશે તો ઉમેરશે, ઉપનિષદો. 

ગઈ કાલે એ ભાઈ ફરીથી મળ્યો. મને કહે, પ્રાથમિકથી માંડીને કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ધર્મનું શિક્ષણ આપવાથી સંસ્કૃતિનો વિકાસ થાય. કેળવણીથી ધર્મસંસ્કાર મજબૂત થાય, ખીલે. સંસ્કારોનો વિકાસ એટલે સંસ્કૃતિ. હવે એના ચિત્તમાં ધર્મ + કેળવણી + સંસ્કારોની ખીચડી રંધાતી હતી. મેં એને પૂછ્યું : તમે કઈ યુનિવર્સિટીમાં ભણેલા? : ના રે, હું તો મૅટ્રિક પાસ છું. પણ એક આર્ટિકલ વાંચ્યો, એમાં આવુંબધું લખેલું છે : મેં કહ્યું, ભલે, આવજો, મળતા રહીશું. 

સંસ્કૃતિ વિશેની લોકમાન્યતામાં ‘આવુંબધું’ છે. સંખ્યાબંધ લોકો ધર્મના શિક્ષણનો આગ્રહ કરવા લાગ્યા છે, એ કાજે ગીતા બાઇબલ અને કુરાનને ધરી રહ્યા છે. થોડું વધુ જાણનારા લોકો ઋષિના આશ્રમોને ગુરુકુળ પ્રથાને બૉમ્બે બરોડા પૂણે જેવાં કીર્તિવન્ત વિદ્યાધામોને યાદ કરે છે. 

સંસ્કૃતિરક્ષા અને જ્ઞાનસંવર્ધન માટે આજકાલ એક શબ્દ રણકતો થયો છે, knowledge systems. મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશને ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ્સ IKSની સ્થાપના કરી છે. સદીઓ દરમ્યાન વિકસેલા ભારતીય જ્ઞાનવારસાના પુન:પ્રસરણ અને દૃઢીકરણ માટેની એ વ્યવસ્થાનું સ્વાગત થવું જોઈએ. 

અસ્તિત્વ, ચેતના અને તર્કબુદ્ધિના વિષયમાં શોધન-સંશોધન શીખવતાં વેદાન્ત, ન્યાય, સાંખ્ય; આર્યભટ્ટ અને ભાસ્કરની યાદ આપતી વૈદિક ગણિતવિદ્યા; ગ્રહો-ઉપગ્રહોની ગતિવિધિ સાથે સંકળાયેલી જ્યોતિષવિદ્યા; સ્થાપત્યકલાનો પરામર્શ આપતું વાસ્તુશાસ્ત્ર; સમગ્ર આયુર્વેદ; કૃષિશાસ્ત્ર; અર્થશાસ્ત્ર; રાજનીતિશાસ્ત્ર; ભાષાના વૈજ્ઞાનિક પદ્ધતિના નિદર્શનોમાં પ્રાચીનતમ એવું પાણિનીનું વ્યાકરણ કે ભરત મુનિથી માંડીને અભિનવગુપ્ત આનન્દવર્ધન કુન્તક જગન્નાથ કે વિશ્વનાથ વડે વિકસેલું સ્વયંસમ્પૂર્ણ કાવ્યશાસ્ત્ર — આ સઘળા બહુમૂલ્ય વારસામાં મને કે કોઈપણ બુધી જનને રસ પડે જ પડે. એટલે IKS માટે ભારતવાસી વિદ્વાનો અને અધ્યેતાઓએ અથાગ પરિશ્રમ કરવો પડે એ હકીકત છે, અને એ વિશે બહુ કહેવું મને જરૂરી નથી લાગતું. 

અન્યથા, એ માત્ર વારસો છે, માત્ર સ્મૃતિ છે, માત્ર ભૂતકાળ છે, માત્ર ઇતિહાસ છે. એ હકીકત વિશે પણ વધુ કહેવું બિનજરૂરી છે. 

સવાલ ઊભો રહે છે કે સંસ્કૃતિ એટલે શું? ધર્મ અને અન્ય વિષયના જ્ઞાની હોવું તે? ના! હું જો ધર્માનુસારી આચરણ નથી કરતો, હું જો જ્ઞાનાનુસારી જીવન નથી જીવતો, તો હું શી રીતે સંસ્કારી? કઈ સંસ્કૃતિનો અનુયાયી? લોકો મન્દિરો મસ્જિદો ને દેવળોમાં સંસ્કૃતિ ભાળે છે. પણ એ તો મકાનો છે. ઘરના ખૂણે પૂજાપાઠ સ્તુતિ કે પ્રાર્થના કરતો એક સામાન્ય જન મન્દિરે નથી જતો, તો એને શેમાં ગણીશું?

સંસ્કૃતિની વ્યાખ્યામાં રાજાઓ અને રાજશાસન પણ આવે. અશોક અને અકબરે યુદ્ધો કરીને સૅંકડોને હણ્યા પણ રાજ સાચવ્યું ને પ્રજાને સુરક્ષિત રાખી. બન્ને ગ્રેટ ગણાયા. એ ગ્રેટનેસનું કઈ સંસ્કૃતિ સાથે જોડાણ છે? ભલે, લોકશાહીમાં શું? ધોરી માર્ગો? સુરક્ષિત વાહનવ્યવસ્થા? ઓછા દરના કરવેરા? એ છે સંસ્કૃતિવિકાસ? એના વાહક રાજકારણીઓ મતપ્રાપ્તિ પછી જાતે એવું શું કરે તો સંસ્કૃતિરક્ષક કહેવાય? 

અમેરિકામાં પાર્કમાં મળી જતી ગર્ભવતી ભારતીય મહિલાને હું પ્રણામ ન કરી શકું કે અમેરિકન પડોશીની સેરેબ્રલ પાલ્સી ધરાવતી બાળકી માટે પ્રાર્થના ન કરી શકું, તો હું શી રીતે ભારતીય સંસ્કૃતિજન? અમદાવાદનો એક મજૂર સવારથી સાંજ સુધી પૂરી પ્રામાણિકતાથી શરીરશ્રમ કરે છે, એ સંસ્કારી નથી તો શું છે? વડોદરાનો એક સાહિત્ચચિન્તક સવારથી સાંજ સુધી પશ્ચિમની દુનિયાની જ્ઞાનસરિતાઓએ સરજેલા જ્ઞાનસાગરમાં નિમજ્જિત રહે છે, એ સંસ્કારી નથી? 

વાત એમ પણ છે કે મનુષ્ય આજે ઇતિહાસનું માત્ર ગૌરવજ્ઞાન નથી કરી શકતો. હું વર્તમાનને અને દૈનંદિનીય વાસ્તવિકતાને તાબે થઈને જ જીવી શકું છું. 

‘ટેસ્લા’ કારમાં ‘હનુમાનચાલીસા’ સાંભળું તે સાથે ‘વોલ્માર્ટ’ પ્હૉંચી જઉં એ દરમ્યાન વડોદરામાં મિત્ર જોડે વ્હૉટ્સૅપિન્ગ પણ કરી લઉં. AI – આધારિત વિજ્ઞાન અને ટૅક્નોલૉજિએ આજે માણસના ભાણામાં અનેક વસ્તુઓ પીરસી દીધી છે. 

એનું એક પરિણામ છે ભૂતકાળ સાથે સતત વિકસતો વિચ્છેદ – discontinuity with the past. બીજું પરિણામ છે સમજદારી અને કાર્ય વચ્ચે વિચ્છેદ – a split between understanding and action. મને હવે ખબર છે કે ગીતામાં કર્મફળનો સિદ્ધાન્ત છે – કર્મ કરવું પણ એના પરિણામને વિશે ઉદાસીન રહેવું. આ વાત મારી સમજદારીમાં બરાબર બેસી ગયેલી છે, એ માટે મારે ગીતાપારાયણ કરવાની, એટલે કે એ actionમાં ઊતરવાની હવે જરૂર નથી. વાત એ રીતે વિકસે છે કે ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્ત વિશે જ ઉદાસીન થઈ જઉં છું! મને એ માત્ર એક philosphical narrative લાગે છે, અને એ પછી ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્તનો પ્રતિસિદ્ધાન્ત anti-thesis શોધવા માંડું છું! 

અમેરિકામાં માણસ ઘરની બહાર પગ મૂકે એટલે એનું નાગરિકજીવન શરૂ થાય છે. એ કયો ધર્મ કઇ જાતિ કે વંશસૂચક કઇ અટક ધરાવે છે એ વીગતો ગૌણ બની જાય છે. આ નગરસભ્યતાથી ઊભી થતી સંસ્કૃતિમાં એકે ય ધર્મ નથી. ધર્મનો અર્થ કર્તવ્ય duty કરીએ, તો પેટમાં શું દુખે? ધર્મ એટલે, ફરજ, જવાબદારીનું પાલન. હું ચાલવા નીકળું છું તો ચીની દમ્પતી મને પૂછે કે આટલા દિવસથી કેમ દેખાતા ન્હૉતા, દક્ષિણ ભારતની કે તળ અમેરિકાની વ્યક્તિ કશા જ વિશિષ્ટ ઓળખાણ વિના પૂછે કે કેમ દેખાતા નથી, તો એ સંસ્કારી નથી? મને એ દમ્પતીનાં કે એ વ્યક્તિઓનાં નામોની ય ખબર નથી, એમને પણ મારા નામની ખબર નથી. 

આને માનવસંસ્કૃતિ કહેવાનો રિવાજ હતો. પણ ત્યારે માનવસંસ્કૃતિનું રસાયણ સરેરાશ માનવ્ય હતું. નગરસભ્યતાથી ઊભી થયેલી સંસ્કૃતિમાં તો વૈયક્તિક માનવ્ય શિરમોર સત્ય છે.  

હું સંસ્કૃતિની ચીલાચાલુ વ્યાખ્યામાં બેસે એવું નથી જીવતો એટલે કહી દઉં કે મારે કોઈ સંસ્કૃતિ નથી, તો ચાલે? હું પેલા ભાઈને પૂછીશ, જો મળશે તો.

= = =

(260725USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

27 July 2025 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—299
આયોજન અકસ્માત રોકે / હેરાનગતિ રોકે / ખર્ચ રોકે ! →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved