Opinion Magazine
Number of visits: 9725317
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વોચ્ચ અદાલતની સાફ વાત: ઈ.ડી. એ કંઈ કેન્દ્રનો હાથો નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 May 2025

સુપ્રીમ ટકોર

સહયોગી સમવાયતંત્ર ક્યાં ખોવાઈ ગયું?

2014માં સહયોગી સમવાયતંત્રની રંગદર્શી વાતો કર્યા પછી વિપક્ષી રાજ્ય સરકારોની સ્વાયત્તતા પર ધોંસ ને ભીંસના રાજકારણ સામે સર્વોચ્ચ અદાલતે ધરેલ લાલબત્તી ન જોવી હોય તો જ ન જોવાય એવી છે. આશા છે તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધોરણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.

પ્રકાશ ન. શાહ

સત્તા માત્રની પ્રકૃતિ કેન્દ્રીકરણની હોય છે એટલે સ્વાભાવિક જ લોકશાહી બંધારણમાં અંકુશ અને સમતુલાની તરેહવાર જોગવાઈ થકી આ એકહથ્થુ શક્યતા સામે નાગરિકની અને નાગરિક સંસ્થાઓની સ્વાયત્તતાની બાલાશ જાણવાની કોશિશ રહેતી હોય છે. 

આપણા જેવા વિશાળ દેશમાં કાયદા ઘડનારી સંસ્થા, કાયદા પળાવનારી સંસ્થા અને નાગરિકના સંદર્ભમાં એ બંનેની ભાળસંભા રાખનાર ન્યાયપાલિકા, આ ત્રણ – લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી – તો હોય જ. પણ તે સાથે દેશભરનાં જે રાજ્ય એકમો, એમનાં ક્ષેત્ર પરત્વે સમાદરની દૃષ્ટિએ સમવાયી વ્યવસ્થા પણ હોય જ. 

રાષ્ટ્રીય ધોરણે રાજ્યકર્તા પક્ષ અને જે તે રાજ્યના સત્તાપક્ષ જ્યારે અલગ અલગ છાવણીના હોય ત્યારે, ખાસ કરીને રાજ્યોના અધિકારક્ષેત્રની જાળવણીમાં સમવાયી અભિગમ ને આગ્રહ જરૂર બની રહે છે. 

લગભગ પાઠ્યપુસ્તકિયા કહી શકાય એવો આ મુખડો બાંધવા પાછળનો ધક્કો દેશની સર્વોચ્ચ અદાલતના બે તાજેતરના ચુકાદાઓથી લાગેલો છે, અને તે સાથે એ પણ સમજવાને સમજાવવાનો સ્વાભાવિક ખયાલ છે કે બંધારણ એ કોઈ સૂફિયાણી સલાહ આપતી ડાહી ડોશી માત્ર નથીઃ નિયમસરની કારવાઈ માટે ફરજ પાડી શકે એવી એક યંત્રણા (મિકેનિઝમ) એ ચોક્કસ છે.

સંખ્યાબંધ ગેરભા.જ.પી. રાજ્યોમાં, વિધાનસભાએ પસાર કરેલ ખરડા પર રાજ્યપાલો ચપ્પટ બેસી રહે એ હમણેનાં વારસોનો ધરાર રવૈયો રહેલ છે. ખરું જોતાં, સામાન્યપણે, રાજ્યપાલ એમને જરૂરી લાગે તો જે તે ખરડાને પુનર્વિચાર માટે મોકલી જરૂર શકે છે. પણ ધારાગૃહ એ ફરીને મોકલે તો રાજ્યપાલે એના પર હસ્તખત કરી પ્રક્રિયા પૂરી કરવી રહે. છેલ્લા દસકામાં કેન્દ્રનીમ્યા રાજ્યપાલો ગેરભા.જ.પી. રાજ્યોના ચોક્કસ ખરડાઓ પર લાંબા ગાળા લગી ચપ્પટ બેસી રહ્યાનો જે સિલસિલો ચાલ્યો તેમાં સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા પછી એક મુક્તિદ્વાર ચોક્કસ જ ખૂલ્યું છે અને સમવાયતંત્રનાં ધારાધોરણ તેમ જ ભાવનાનો ભંગ કરી કેન્દ્રની ધોરાજી ચલાવવા સામેની બંધારણીય જોગવાઈએ પોતાનું શહુર ને શક્યતા દાખવ્યાં છે. 

તામિલનાડુ સરકાર અને બીજાઓએ સર્વોચ્ચ અદાલત સમક્ષ કરેલી એક યાચિકાના સંદર્ભમાં જે ચુકાદો આ દિવસોમાં સાધ્યો છે એમાં પણ સમવાયતંત્ર સહજ સ્વાયત્તતાનો સ્વીકારપુરસ્કાર માલૂમ પડે છે. કેન્દ્રનીમ્યા રાજ્યપાલો દિલ્હીના પક્ષીય દબાણથી રાજ્યવિધાનસભામાં પારિત ખરડા દાબી રાખે એ જેમ ખોટું હતું અને છે તેમ રાજ્ય અંતર્ગત અપેક્ષિત કારવાઈમાં કેન્દ્રીય સંસ્થાઓ ભીંસ ને ભરડાનું રાજકારણ ખેલવા માટે હાથાની ગરજ સારે તે બિલકુલ દુરસ્ત નથી. પણ છેલ્લાં વર્ષોમાં કેન્દ્ર સરકાર હસ્તકના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) થકી આવી ચેષ્ટા ખાસી વધી ગઈ છે. કેન્દ્ર સરકારને ઇશારે હાથ ધરાતી આવી કામગીરીમાં વાજબીપણું કેટલું ઓછું હશે અને મનમુરાદશાહી કેટલી બધી હશે એનો અંદાજ એ એક સાદી પણ બુનિયાદી વિગત પરથી સરળતાથી મળી રહે છે કે ઇ.ડી.એ સહસા ખાબકી અને ત્રાટકી ચક્રવ્યૂહ રચ્યો હોય, તપાસને નામે બરાબર ભીંસ ને ભરડાની જમાવટ કરી હોય, એવી ઘટનાઓમાં તપાસને અંતે વાસ્તવિક સજાનું પ્રમાણ એક ટકાથી વધુ કિસ્સામાં નથી. છેલ્લાં દસ વરસની ઈ.ડી. કારવાઈનું આ સરવૈયું કેન્દ્ર સરકારની મનમુરાદશાહીનું એટલું બોલતું ઉદાહરણ છે કે એને વિશે કદાચ કશું જ વધુ કહેવાની જરૂરત ન હોવી જોઈએ. 

2014માં સત્તારૂઢ થયા પછી વડા પ્રધાન મોદીએ સંસદમાં અને બહાર એક શબ્દ જોડકું ઉત્સાહભેર રમતું મેલ્યું હતું – કો ઓપરેટિવ ફેડરલિઝમ, સહયોગી સમવાયતંત્ર. જો કે, કમનસીબે આ દસકાનો અનુભવ સતત એથી વિપરીત તરેહનો રહ્યો છે. અગાઉની કેન્દ્ર સરકારો પરત્વે પણ આવા પ્રશ્નો નહીં થતા હોય એમ કહેવાનો આશય અલબત્ત નથી. પણ, આ દસકો સમવાયતંત્રના સતત ભંગનો રહ્યો છે અને વિધાનગૃહોમાં પક્ષીય બલાબલ બદલા વાસ્તવિક લોકચુકાદો બચાડો માર્યો ફરે એવી હીન અવસ્થા બલકે અનવસ્થા સરજવાની રાજનીતિનો રહ્યો છે. 

આશા અને ઉમેદ એટલી જ રહે કે સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધુરીણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 મે 2025

Loading

29 May 2025 Vipool Kalyani
← ભૂદાન આંદોલન: એક અધૂરી ક્રાંતિની પોણી સદીએ …
અન્ડરવેરને ખીસું →

Search by

Opinion

  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved