Opinion Magazine
Number of visits: 9449073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પણ સંજોગોમાં રાજનીતિ દેશહિતની વિરુદ્ધ ન હોવી ઘટે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 May 2025

રવીન્દ્ર પારેખ

17 મે, 2025ને રોજ બે ઘટના સામે આવે છે. એકમાં, ભારત સરકારે પાકિસ્તાનની પોલ ખોલવા 40 સાંસદોની સાત ટીમ જુદા જુદા દેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ડેલિગેશન ઓપરેશન સિંદૂર અંગે સાચી વાતો જુદા જુદા દેશોને જણાવશે અને આતંકવાદ અંગે સરકારની ઝીરો ટોલરન્સ નીતિની જાણકારી આપશે. સાત ટીમના નેતાઓ તરીકે રવિશંકર પ્રસાદ, શ્રીકાંત એકનાથ શિંદે, શશિ થરૂર જેવા સાત નેતાઓ પસંદ થયા છે. શશિ થરૂર કાઁગ્રેસના નેતા છે એ ખરું, પણ તેઓ કાઁગ્રેસની પસંદગી નથી. કાઁગ્રેસ પાસેથી નેતૃત્ત્વ માટે ચાર નામો મંગાયેલાં, પણ કાઁગ્રેસે આપેલાં નામોમાં થરૂરનું નામ ન હતું. કાઁગ્રેસે આપેલાં નામોમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, રાજા બરાર અને ડૉ. સૈયદ નસીર હુસેનનાં નામો હતાં, પણ કેન્દ્ર સરકારે એને બાજુ પર રાખીને શશિ થરૂરનું નામ પસંદ કર્યું, એટલે કાઁગ્રેસનાં ભંવાં ચડે તે સમજી શકાય એવું છે. કાઁગ્રેસે આપેલાં નામોમાંથી કોઈ પસંદ થયું હોત, તો પક્ષનું માન જળવાયું હોત, પણ સરકારે થરૂરનું નામ પસંદ કરીને નબળી પસંદગી કરી છે એવું તો કાઁગ્રેસ પણ કહી શકે એમ નથી. એ વાત જુદી છે કે થરૂરે સોનિયા ગાંધીનાં નેતૃત્વ સામે સવાલો ઉઠાવેલા એટલે કાઁગ્રેસની ગુડ બુકમાં તેઓ ન જ હોય. અધૂરામાં પૂરું કાંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે સર્વાનુમતે ચૂંટવાની કાઁગ્રેસની મનસા પર થરૂરે ચૂંટણીમાં ઝંપલાવીને પાણી ફેરવી દીધેલું. એ સ્થિતિમાં કાઁગ્રેસ પોતાના તરફથી ટીમના નેતા તરીકે થરૂરનું નામ સૂચવે એ શક્ય જ નથી. વળી કાઁગ્રેસી થઈને થરૂર ઓપરેશન સિંદૂર સંદર્ભે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરે તે કાઁગ્રેસી આકાઓને ન જ ગમે. તેથી થરૂરની પાત્રતા ઘટી જતી નથી. કાઁગ્રેસના જ નહીં, થરૂર ત્રણેક ટર્મથી દેશના ઘડાયેલા સાંસદ છે. વધારામાં, યુનાઈટેડ નેશન્સમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે.

એ ખરું કે કાઁગ્રેસે સૂચવેલાં નામોમાં થરૂરનો સમાવેશ ન થયો, એમ જ કેન્દ્ર સરકારે સાત ટીમોના જે નેતાઓ પસંદ કર્યા છે, એમાં પણ વધુ સારી પસંદગીને અવકાશ હતો. બૈજયંત પાંડા, સુપ્રિયા સૂલે, શ્રીકાંત શિંદેને બદલે વધુ સારી પસંદગી થઈ શકી હોત. કૈં નહીં તો ઓવૈસીનું નામ બંધારણના જાણકાર વકીલ તરીકે તો ખરું જ, મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે પણ વિચારી શકાયું હોત. એટલીસ્ટ, ભારતમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રખાય છે, એવા દુષ્પ્રચારનો વિદેશમાં ઓવૈસી સબળ જવાબ હોત ! ખાસ કરીને પાકિસ્તાનને તેનું સ્થાન બતાવવામાં ઓવૈસીએ આક્રોશપૂર્ણ રીતે વ્યક્ત થવામાં કોઈ કસર રાખી નથી, એટલે ટીમના લીડર તરીકે એ વધુ પ્રભાવક રહ્યા હોત ! જો કે, ઓવૈસી ડેલિગેશનમાં છે એ ખરું. એ પણ ખરું કે આ ડેલિગેશનથી પાકિસ્તાન સુધરી જશે એમ માનવાની જરૂર નથી. એ તો વળી એકવાર લશ્કરી શાસનનો નમૂનો પૂરો પાડવાની ફિરાકમાં છે. તે એટલે કે બંકરમાં છુપાવા છતાં, પાક સરકારે અસીમ મુનીરને આર્મીનું ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ બિરુદ આપી દીધું છે. બને કે શાહબાઝ સરકારે સત્તા ટકાવવા આર્મી ચીફ મુનીરને રાજી કર્યા હોય, પણ અગાઉના આર્મી ચીફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયેલા ને તેવું મુનીર ન જ કરે એમ માનવાને કોઈ કારણ નથી. એ તો ઠીક, પણ વિદેશમાં ભારતીય ડેલિગેશને બચાવની કે સહાનૂભૂતિ ઉઘરાવવાની ભૂમિકામાં રહેવાનું નથી. તેણે તો સોય ઝાટકીને દુનિયા સમક્ષ પાકિસ્તાનની કુટિલ અને નિર્લજ્જ રાજનીતિને ઉઘાડી પાડીને અન્ય દેશો પાકિસ્તાનનાં સમર્થનમાં ઊભા જ ન રહે એવી સ્થિતિ ઊભી કરવાની છે.

બીજી તરફ ભારતમાં પણ, કટોકટીની પળોમાં દેશ એક છે, એ વાત વિસારે પડતી આવે છે. ખાસ કરીને કાઁગ્રેસની ભૂમિકા સંદિગ્ધ છે. થરૂરની ઘટના પહેલી બની કે ભારતના વિદેશ મંત્રી જયશંકરની વાત પહેલી સામે આવી તે સ્પષ્ટ નથી, પણ બંને વાતો એક જ દિવસે સામે આવી છે, એટલે કાઁગ્રેસની પ્રતિક્રિયા ઇરાદાપૂર્વકની છે કે યોગાનુયોગ છે, તે નક્કી કરવાનું મુશ્કેલ છે. 17 મે, 2025ને રોજ જ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધી, વિદેશ મંત્રી જયશંકરને એક સવાલ પૂછે છે કે ઓપરેશન સિંદૂરની વાત પાકિસ્તાનને અગાઉથી જણાવી દેવાઈ હતી કે કેમ? આવી જાણકારી કોને પૂછીને આપવામાં આવી? ઓપરેશન સિંદૂર શરૂ કરતાં પહેલાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો છે. જો કે, વિદેશ મંત્રાલયે રાહુલના દાવાને રદિયો આપતાં કહ્યું છે કે વિદેશ મંત્રી જયશંકરની વાતને રાહુલ ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. જયશંકરે ઓપરેશન સિંદૂરનો મેસેજ શરૂ થતાં પહેલાં નહીં, પણ શરૂ થતાંની સાથે કર્યો છે. જો કે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીને વિદેશ મંત્રાલયના ખુલાસાથી સંતોષ નથી. તેમણે એ કહેવાનું ચાલુ જ રાખ્યું છે કે વિદેશ મંત્રીએ સાર્વજનિક સ્તરે એ સ્વીકાર્યું છે કે ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરનો મેસેજ મોકલ્યો જ છે.

રાહુલ ગાંધીનો બીજો સવાલ એ હતો કે આ રીતે જાણકારી પાકિસ્તાનને આપવાથી ભારતે વાયુસેનાનાં કેટલાં વિમાન ખોયાં? રાહુલ ગાંધીએ એ વીડિયો ટાંકતાં કહ્યું કે એમાં જયશંકર એવું કહેતાં દેખાય છે કે અમે સેના પર નહીં, પણ આતંકી ઢાંચા પર હુમલો કરી રહ્યા છીએ. એક વાત સ્પષ્ટ છે કે પહેલગામમાં હુમલાખોરો વરદી આપીને આવ્યા ન હતા, તો પાકિસ્તાનને હુમલા પહેલાં કે પછી જાણ કરવાની જરૂર ન હતી. ભારત સેના પર નહીં, આતંકી થાણાં પર હુમલો કરે તો પાકિસ્તાન ભારતીય સેના કે રહેણાંકો પર હુમલો ન જ કરે એવી નીતિમત્તા પહેલેથી ધરાવતું નથી. છેલ્લી એર સ્ટ્રાઈક વખતે જમ્મુ-કાશ્મીરમાં 8 હજાર ઘરોને તેણે નિશાન બનાવ્યાં જ છે. પૂંછમાં જ 6 હજાર ઘરોને અને 7 શાળાઓને નિશાન બનાવાઈ છે. એ ખરું કે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો, પણ પાકિસ્તાન જાત પર ગયું જ નથી એવું નથી. આમ પણ ભારતના હુમલા વગર સરહદી હુમલાઓની નવાઈ નથી, એટલે પાકિસ્તાન સામે ભલમનસાઈ બતાવવાનો વિદેશ મંત્રી જયશંકરનો પ્રયત્ન પથ્થર પર પાણીથી વધારે કૈં નથી.

રાહુલ ગાંધીની એ દલીલ કે અગાઉથી જાણ કરવાથી પાકિસ્તાનને તૈયારીનો સમય મળી ગયો, એમાં વજૂદ નથી. આમ પણ પહેલગામ હુમલા પછી ભારતે તરત હુમલો કર્યો નથી ને પાકિસ્તાનને એ અંદેશો હતો જ કે આતંકી હુમલા પછી ભારત શાંત નહીં રહે, એટલે એ ભારત હુમલો કરે પછી જ તૈયારીમાં લાગે એવું નથી. એ કાયમ તૈયારીમાં જ હોય છે. તૈયારી ન હોય તો અણુ હુમલાની ધમકી આપીને કે આતંકી હુમલાઓ કરાવીને તે ભારતને ઉશ્કેરવાનું ન જ કરે.

એ દુ:ખદ છે કે પાકિસ્તાનને તૈયારીનો સમય ભારતે આપ્યો એ વાતે રાહુલ ટસના મસ થતા નથી, એટલું જ નહીં, પાર્ટી પ્રવક્તા પવન ખેરાએ તો વિદેશ મંત્રી જયશંકર પર અગાઉથી પાકિસ્તાનને  માહિતી આપી દેવાની વાતે ‘મુખબિરી’નો આરોપ મૂક્યો છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે વિદેશ મંત્રીએ પાકિસ્તાની આતંકીઓને બચાવવાનું કામ કર્યું છે. આવી હરકતોનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાની મીડિયાએ તેને પોતાની ફેવરમાં ગણીને વટાવી ખાધું. આટલું થવા છતાં કાઁગ્રેસને આમાં કશું ખોટું થયાનું લાગતું નથી. બને કે સર્વદલીય ડેલિગેશન માટે કાઁગ્રેસે આપેલાં નામો અવગણીને થરૂરની વરણી થઈ, તેની આ પ્રતિક્રિયા હોય ! એવું હોય તો શરમજનક છે.

આની સામે ભા.જ.પ.ના ઈન્ફર્મેશન ટેકનોલોજીના ચીફ અમિત માલવીયે રાહુલ ગાંધીને તે વખતના અંગ્રેજોના મદદગાર મીરજાફરનું પોસ્ટર બહાર પાડી પાકિસ્તાનના મદદગાર ગણાવી ઠેકડી ઉડાવી, તો કાઁગ્રેસી પ્રવક્તા પવન ખેરાએ એક પોસ્ટર બહાર પાડી વિદેશ મંત્રી જયશંકરને જયચંદની ઓળખ આપી, જેણે પણ અંગ્રેજોને મદદ કરી હતી. આવું પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક અને દેશને ઉઘાડો પાડવા જેવું છે. કાઁગ્રેસ ઉપરાંત તૃણમૂલ કાઁગ્રેસનાં મંત્રી એવી વાહિયાત દલીલ કરે છે કે વિદેશ જનારાં ડેલિગેશનનાં નામો સરકાર પસંદ ન કરી શકે. મમતાનાં દબાણમાં સાંસદ યુસૂફ પઠાણે તો ડેલિગેશનથી જ કિનારો કરી લીધો. દેશનો દુંશ્મન બાજુ પર રહી જાય અને ભા.જ.પ. અને વિપક્ષ સામસામે આવી જાય એ કોઈ રીતે ઇચ્છનીય નથી. આતંકી થાણાં પરના હુમલા વખતે તમામ વિપક્ષો સરકારની સાથે રહ્યા હોય ને હજી સાથે જ હોય, કારણ, ઓપરેશન સિંદૂર અટક્યું નથી, તો આવા આક્ષેપો દેશહિતની વિરુદ્ધ જાય છે ને એથી દુ:શ્મન તો નબળો પડતો નથી, પણ આબરૂ દેશની દાવ પર લાગે છે, એ કહેવું પડે એ દુ:ખદ છે. એ પણ કહેવું પડશે કે કોઈ પણ સંજોગોમાં રાજનીતિ એવી ન હોવી જોઈએ, જે દેશહિતની વિરુદ્ધ હોય? દરેક પક્ષોએ પોતાને પ્રમાણિકતાથી, સોગંદપૂર્વક પૂછવું જોઈએ કે વર્તમાન સંજોગોમાં જે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનું વાતાવરણ ઊભું થયું છે, તેનાથી દેશનું કોઈ હિત સધાય છે ખરું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2025

Loading

23 May 2025 Vipool Kalyani
← હાલ, પ્રો. મહમૂદાબાદને જામીન મળ્યાઃ અલબત્ત, માત્ર એથી વાત પતતી નથી
GPSC-ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સામે ઊહાપોહ કેમ છે? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved