Opinion Magazine
Number of visits: 9447103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણથી મોટું પ્રદૂષણ ગુજરાતમાં બીજું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 March 2024

રવીન્દ્ર પારેખ

યુનિવર્સિટીથી માંડીને પ્રાથમિક સ્કૂલો સુધીમાં અનેક સ્તરે શૈક્ષણિક પ્રદૂષણ એટલું વિસ્તરેલું છે કે તેનો છેડો દેખાતો નથી. એમાં સૌથી નીંભર જો કોઈ હોય તો તે શિક્ષણ વિભાગ છે. આમ તો અધિકારીઓની ખાતાકીય બદલી થતી રહેતી હોય છે, પણ શિક્ષણ વિભાગ બદલવા માટે કોઈ કાનૂની પ્રક્રિયા થઈ શકતી હોય તો તે કરવા જેવી છે, કારણ કે હાલના વિભાગને લીધે શિક્ષણનો શતમુખી વિનિપાત ડગલે ને પગલે અનુભવાય છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે ધાર્મિક મુદ્દે જે વિવાદ સર્જાયો તે બીજા અનેક અનિષ્ટો નોતરે એમ છે. આમ પણ યુનિવર્સિટી હોસ્ટેલોને વિવાદોની કે અનિષ્ટોની નવાઈ નથી. શિક્ષણમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે એટલે તંત્રો કેવાં હોય તે સમજી શક્ય એવું છે. 37 નિષ્ણાતો હોવા છતાં બોર્ડની ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષાનાં પ્રશ્નપત્રમાં 26 ભૂલો નીકળી. તેમાં ભાષાની ભૂલો પણ હતી, તો બોર્ડે બચાવ કર્યો કે એ કૈં ભાષાનું પ્રશ્નપત્ર ન હતું એટલે ચાલે. પણ ‘દ્રુતગતિ’ને બદલે. ‘દૂતગતિ’ છપાય તો અર્થ બદલાય એ તો ખરું કે કેમ? વારુ, ભાષાનું પ્રશ્નપત્ર ન હતું, પણ છપાયું હતું તો ગુજરાતીમાં જ, તો તે ખોટું છપાય તો ચાલે? ખરેખર તો ભૂલ સ્વીકારવાની હોય, તેને બદલે બોર્ડના સાહેબ બચાવ કરવામાં પડે એ વધુ શરમજનક છે. બોર્ડનો ઉપકાર એ રીતે માનવાનો રહે કે કોઈ કોઈ પ્રશ્નપત્ર તે ભૂલો વગર પણ છાપે છે.

વાત પરીક્ષાની જ નથી, સ્કૂલોની બાબતમાં પણ સરકારનું ભ્રષ્ટ માનસ વખતોવખત છતું થતું રહ્યું છે. ખાનગીકરણનો જે પ્રવાહ વહેતો થયો છે એમાં શિક્ષણ પણ પ્રભાવી થયું છે. લોકોના ટેક્સ પર ચાલતાં તંત્રનો પણ સરકારને બોજ લાગે છે, એટલે જવાબદારીમાંથી છૂટવા, સરકારે, સરકારી સ્કૂલો બંધ કરતાં જઈને ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવા માંડ્યું. એને કારણે ખાનગી સ્કૂલોનો રાફડો ફાટ્યો. સરકારી સ્કૂલો ઘટવાને કારણે ખાનગી સ્કૂલોમાં એડમિશન લેવાની ઘણાં બાળકોને ફરજ પડી. ખાનગી સ્કૂલો નફાખોર દુકાનોની જેમ ચાલતી થઈ, એટલે સ્વાભાવિક જ તેની ફી ઘણાંને પરવડે એમ ન હતી. તે ન ભરી શકતાં બાળકોએ શિક્ષણ છોડવાનું આવ્યું. ખાનગી સ્કૂલોમાં સગવડો હશે, પણ શિક્ષણની બાબતમાં તો નાની મોટી ઉઘરાણીઓ પર જ તેનો કારભાર ચાલે છે. ખાનગીમાં મોટે ભાગે શિક્ષકો ઓછી લાયકાતવાળા અને ઓછા પગારવાળા જ ધંધે લગાડાય છે. આમ નફાકારક ધંધો હાથવગો થવાથી ઘણાં ખાનગી સ્કૂલો ખોલીને શિક્ષણને નામે કમાણી કરવા લાગ્યા. બધા આવો ધંધો ન પણ કરતા હોય, પણ ઘણા ખાનગી સ્કૂલનું લાઇસન્સ મેળવીને શૈક્ષણિક ટંકશાળ જ ચલાવતાં જણાય છે. સરકારમાંથી લાઇસન્સ કેવી રીતે મેળવાય છે તે સૌ જાણે છે, એટલે એને વિષે ન બોલ્યામાં ‘નવ’ ગુણ જ ઠીક રહે. ખાનગી સ્કૂલોને કોઈ ધારાધોરણ ભાગ્યે જ નડે છે. સાધારણ રીતે સ્કૂલને મેદાન હોય તે અનિવાર્ય હતું, હવે એવું લગભગ નથી. હવે તો સ્કૂલો બજારોમાં, વ્યાવસાયિક ક્ષેત્રોમાં, રહેણાંક વિસ્તારોમાં, એમ જ્યાં જગ્યા મળે ત્યાં ખોલી શકાય છે. આ ઉપરાંત અપૂરતા વર્ગો, શિક્ષકોની અછત જેવી ઊણપો હવે સહજ ગણાય છે. આ વાત ઘણાંને સાચી ન લાગે, પણ માત્ર સુરતમાં જ 29 ખાનગી સ્કૂલોની માન્યતા રદ્દ થાય એવી સ્થિતિ ઊભી થઈ છે. નાના વરાછા, પુણા, યોગીચોક, કાપોદ્રા જેવા વિસ્તારના શોપિંગ સેન્ટરમાં સ્કૂલો ખોલવામાં આવી છે. આ અંગે માનવ અધિકાર પંચ અને પ્રાથમિક શાળા નિયામકને એક અરજદાર દ્વારા 26 ઓકટોબર, 2021 ને રોજ ફરિયાદ કરાતાં તંત્ર જાગ્યું. આમ તો સ્વતંત્રપણે તપાસ કરવાનું કોઈને બહુ સૂઝતું નથી, પણ ફરિયાદ થાય છે તો તંત્ર તપાસ કરે છે. તપાસમાં હાથ લાગ્યું કે ઘણી સ્કૂલોમાં 7-12ની નકલ, ફાયર સેફટી સર્ટિફિકેટ કે સાધન, ભાડા કરાર જેવું ન હતું. એકાદ સ્કૂલ પાસે તો પાનની દુકાન પણ ચાલતી હતી. એ અરજદારે આવી 70થી વધુ સ્કૂલો સામે ફરિયાદ કરી તો તમામ સ્કૂલોને 18 મે, 2023 ને રોજ છ મહિનામાં ઘટતું કરવાના આદેશ અપાયા. એ પછી પણ એવી 29 સ્કૂલો નીકળી જે આદેશને ઘોળીને પી ગઈ. એમ થતાં પ્રાથમિક શિક્ષણ નિયામકે ડી.ઈ.ઓ.ને આદેશ આપ્યો કે આ સ્કૂલોની માન્યતા અંગે તથા વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં ખસેડી શકાય કે કેમ એ અંગે સ્પષ્ટતા કરો. જિલ્લા શિક્ષણાધિકારીએ 2 ડિસેમ્બર, 2023ના અહેવાલમાં ભલામણ કરી કે આ 29 સ્કૂલોની માન્યતા રદ્દ કરવા જેવી છે. હવે સ્થિતિ એ છે કે દસેક હજાર વિદ્યાર્થીઓને બીજી સ્કૂલોમાં ખસેડવા પડે એમ છે. જ્યાં પણ આ વિદ્યાર્થીઓ ખસેડાશે તે સ્કૂલોનું, તેનાં કોઈ વાંકગુના વગર ભારણ વધશે. વળી આ 29 સ્કૂલોની માન્યતા રદ્દ થશે તે નફામાં –

આ ઘટના એ રીતે આંખ ખોલનારી છે કે સ્કૂલો ખોલવાનું લાઇસન્સ, તે ક્યાં ખૂલવાની છે તે જાણ્યા વગર જ આપવામાં આવ્યું, નહિતર શોપિંગ સેન્ટરમાં કે પાનમાવાની નજીકમાં સ્કૂલો ખૂલે ખરી? જિલ્લા શિક્ષણાધિકારી માન્યતા રદ્દ કરવાની ભલામણ કરે છે, પણ સ્કૂલો કયાં ચાલે છે ને ત્યાં કેવીક સુવિધાઓ છે, એ અંગે ફરજ નથી પડતી તો 29 સ્કૂલોમાંથી એકેયની તપાસ કરતા નથી કે કરાવતા નથી. એ વાલીઓને શું કહેવું જે એ જોવાની પણ દરકાર કરતા નથી કે પોતાનું બાળક કેવાક વિસ્તારની સ્કૂલમાં ભણે છે? શિક્ષણના સર્વનાશમાં સરકાર જ જવાબદાર છે, એવું નથી, આ તો કદાચ વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓનો પણ સામૂહિક પ્રયાસ છે.

સાધારણ રીતે કોઈ પણ ઇમારતનો પાયો પહેલાં નખાતો હોય છે, પણ શિક્ષણમાં એથી ઊલટું છે. એમાં ઇમારત પરથી પાયા તરફની ગતિ જોવા મળે છે. નવી શિક્ષણ નીતિ 2020થી લાગુ તો કરી દેવામાં આવી, પણ 2024 સુધીમાં એ સ્થિતિ નથી કે શિક્ષણ નીતિ પૂર્ણ કક્ષાએ લાગુ થઈ શકે. કોઈએ નવી શિક્ષણ નીતિ લાગુ કરવા ચોખા મૂક્યા ન હતા કે કોઈ તેનાં વગર કાચું ખાતું ન હતું. તે થોડી મોડી લાગુ કરાઇ હોત તો પણ કૈં ખાટુંમોળું થવાનું ન હતું, પણ નીતિ લાગુ કરી દેવાઈ ને તે કઈ કઈ રીતે ઉત્તમ છે તેની વાતો પણ વહેતી કરવામાં આવી, પણ તેને માટેનું જરૂરી માળખું ઊભું કર્યાં વગર જ તે લાગુ કરવામાં તો ન જૂનું સખણું રહ્યું કે ન નવામાં કૈં ભલીવાર રહ્યો. અત્યારે તો બાવાના બે ય બગડ્યા જેવી સ્થિતિ છે. કેન્દ્રમાં એન.સી.ઇ.આર.ટી. (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ) પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમની માથાકૂટ કરે છે. જી.સી.ઇ.આર.ટી. (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ) ગુજરાતમાં છે, તે એન.સી.ઇ.આર.ટી.ને વફાદારીપૂર્વક અનુસરવા માટે જ છે. તેનું કશુંક મૌલિક તો ભાગ્યે જ જોવા-જાણવા મળે છે. ક્યાં ભણવાનું એનાં ઠેકાણાં નથી, એમ જ શું ભણવાનું એની પણ ભારે અવઢવ છે. નવું શૈક્ષણિક સત્ર 2024-’25. 2023-’24 જેવું જ જૂનું હશે એવી આગાહી છે. તે એટલે કે એન.સી.ઇ.આર.ટી., 2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ હોવા છતાં, પાઠ્યપુસ્તકો તૈયાર કરી શકી નથી. નવી શિક્ષણ નીતિ મુજબ આવનારા સત્રથી ધોરણ 9માં બે ભારતીય ભાષાઓ સહિત ત્રણ ભાષા અને ધોરણ 11માં એક ભારતીય ભાષા સહિત બે ફરજિયાત ભણવાની વાત હતી, પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી હજી તો આ જુલાઈ-ઓગસ્ટમાં ધોરણ ત્રણ અને છનાં નવાં પુસ્તકો બહાર પડે એવી શક્યતા જુએ છે. બહાર પડશે જ એવું નથી, બહાર પડે એવી શક્યતા છે. ધોરણ 9 અને 11ની વાત તો 2025-26માં ગઈ છે, તે પણ થાય ત્યારે, ખાતરી કોઈ નથી. શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું એમ છે કે ચાલુ સત્રમાં પુસ્તકો આવે તો વચ્ચેથી જૂનાં પુસ્તકો બદલવાનું અઘરું છે. એ ખરું, પણ સત્ર પૂરું થયાં પછી પણ નવાં પુસ્તકો ક્યાં આવે છે? 2020ની વાત, 2024 સુધીમાં કેટલાં સત્રો ગયાં, એકાદ ધોરણનું તો ઠેકાણું પડેને ! તૈયારી જ ન હતી, તો 2020થી નવી શિક્ષણ નીતિની વધામણી ખાવાની જરૂર હતી?

ટૂંકમાં, કેવળ અનિશ્ચિતતા, અરાજકતા અને અંધાધૂંધીથી આખું શિક્ષણ જગત પીડાય છે. નથી પુસ્તકોનાં ઠેકાણાં, નથી ભણાવવાના ઠેકાણાં કે નથી પરીક્ષાનાં ઠેકાણાં. જે ચાલે છે તે આગલી ટેવને કારણે ચાલે છે, બાકી, કોઈ ખરેખર કૈં સુધારવા મથે છે એટલે ચાલે છે એવું નથી. ચાલે છે તે ભ્રષ્ટાચાર, અનાચાર અને અહંકાર ! શિક્ષણ ખાતું બણગાં ફૂંકવામાંથી ઊંચું નથી આવતું ને પછીની બધી મહેનત બચાવમાં થાય છે. સાધન શુદ્ધિનો અભાવ અને અપ્રમાણિકતા કેન્દ્રમાં ન હોય તો માત્ર સુરતમાં જ 29 સ્કૂલોની માન્યતા રદ્દ કરવા સુધી વિચારવું પડે ખરું? 37 નિષ્ણાતો છતાં, પ્રશ્નપત્રમાં 26 ભૂલો થાય તે સહજ છે? આવી ભૂલો વિદ્યાર્થી કરે તો તેને ચલાવાય છે? 2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થવા છતાં 2024 સુધીમાં ધોરણ ત્રણનાં પુસ્તકો પણ તૈયાર ન થઈ શકે એ પ્રમાદ વિષે શું કહીશું? સૌથી જોખમી વાત તો એ છે કે ધાર્મિક કટ્ટરતા યુનિવર્સિટીને બારણે આવી ગઈ છે. લાગે છે કે એ કોઈ સુખદ પરિણામો આપશે? ઘણી વાર તો વહેમ પડે છે કે આખું શિક્ષણ જગત જ્વાળામુખીની ટોચ પર બેઠું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 માર્ચ 2024

Loading

22 March 2024 Vipool Kalyani
← શાશ્વત વસંતમાં
ઊડે શબ્દ રંગ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved