Opinion Magazine
Number of visits: 9509338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી વરસે એક પ્રગટ મંથન : ધર્મ વિ. રિલિજિયન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 January 2024

આપણે ત્યાં ધર્મને નામે ખેલાતી રાજનીતિ વાસ્તવમાં રિલિજિયનનું રાજકારણ છે – કેવળ ધર્માંધ જ નહીં, અંધ પણ … અખો કહેશે : ‘આંધળો સસરો ને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ.’ સરવાળે, ‘અંધે અંધ અંધારે મળ્યાં, તલ મહીં જ્યમ કોદરા ભળ્યાં.’

રાધાકૃષ્ણન્‌ અને ક્ષિતિમોહનનું માનવું હતું કે કોઈ ધર્મગ્રંથમાં બંધાયેલ હિંદુ ધર્મ નથી. એક ગ્રંથ, એક પંથ એવી જડબેસલાક એની તાસીર નથી

સંકેલાતા વરસમાં યાદગાર શું વાંચ્યું, એવી એક મોજણીમાં હમણાં નિવૃત્ત રાજનયિક (ડિપ્લોમેટ) વિવેક કાત્જુના પ્રતિભાવમાં મને રસ પડ્યો. એમણે કહ્યું કે નવું તો ઠીક પણ એક પુસ્તકનું પુનર્વાચન કર્યું એ મારે તમને ખાસ કહેવું જોઈએ. જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એની વચ્ચે નોળિયાને જેમ નોળવેલ તેમ મેં ક્ષિતિમોહન સેન કૃત ‘હિંદુઈઝમ’ ફરીને વાંચવા લીધી. દાયકાઓ પૂર્વે મારા પિતામહ (સ્વતંત્ર ભારતના ત્રીજા ગૃહ પ્રધાન ડો. કૈલાસનાથ કાત્જુએ) મને કોઈક પ્રસંગે તે ભેટ આપી હતી.

પ્રકાશ ન. શાહ

વિવેક કાત્જુનો આ ઉલ્લેખ વાંચ્યો ત્યારે હું છ દાયકા પાછળ ચાલી ગયો, જ્યારે આ પુસ્તકનો મને ય કંઈક સાક્ષાત્કારક પરિચય થયો હતો. ઉમાશંકર જોશીએ જેમને ક્યારેક ‘વડલા જેવા સારસ્વત’ તરીકે ઓળખાવેલા એ ર.છો. પરીખની અધ્યક્ષતામાં વિલે પાર્લે(મુંબઈ)માં મળેલી સાહિત્ય પરિષદમાં એક અદના પ્રતિનિધિ તરીકે સામેલ થયો, ત્યારે અધિવેશન પછીના રોકાણ દરમ્યાન તારાપોરવાલા બુક કંપનીની મુલાકાતે જવાનું થયું હતું … અધધ, આટલાં બધાં પુસ્તકો ને આટલી મોટ્ટી દુકાન, એ પહેલો સાક્ષાત્કાર. (પછી તો મુંબઈમાં જ ‘સ્ટ્રેન્ડ’થી માંડી પણે ન્યૂ યોર્કમાં ‘બાર્ન્સ એન્ડ નોબલ’ સરખી પાંચમજલી મુલાકાત લેવાનુંયે બન્યું છે.) ત્યાં મેં રૂપકડું પેંગ્વિન / પેલિકન પ્રકાશન, ક્ષિતિમોહન સેનનું ‘હિંદુઈઝમ’ જોયું અને ખરીદ્યું. કંઈક હિંદુત્વ વર્તુળોનો નિકટ પરિચય, કંઈક ગાંધી-નેહરુ-પટેલ સરજી એકંદરમતીનું સહજ ખેંચાણ, કંઈક રામકૃષ્ણ પરમહંસ ને વિવેકાનંદનાં સાહિત્યનો – એમના વ્યાપક અભિગમનો સંપર્ક, એ દિવસોમાં સમજમથામણમાં રાધાકૃષ્ણન્‌નું ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ ઉપયોગી જણાયું હતું, અને હવે હાથમાં આવ્યું ક્ષિતિબાબુનું પુસ્તક.

મને લાગે છે, વાચકને મારે ક્ષિતિબાબુ વિશે બે શબ્દો કહેવા જોઈએ. શાંતિનિકેતનમાં એ રવીન્દ્રનાથના નિકટ સહયોગી હતા. પોતે સંસ્કૃતના પ્રખર પંડિત, પણ તે ઉપરાંત હિંદી, રાજસ્થાની, અરબી, ફારસી, ગુજરાતી – હા, ગુજરાતીમાંયે સહજ ગતિ. રાધાકૃષ્ણને મુખ્યત્વે સંસ્કૃત પરંપરામાં અકુતો ભય વિહાર કર્યો હશે, પણ ક્ષિતિબાબુને કબીર સહિતની ધારાનો, લોકપરંપરાનો એવો ઊંડો પરિચય કે એક અર્થમાં રાધાકૃષ્ણન્‌ની સ્કોલરશિપને ય લાંઘી જઈ શકે. હિંદુ-મુસલમાન યુક્ત સાધનામાં એમનો પ્રવેશ, સૂફી સંસ્પર્શ, ધર્મને સંવારતાં સંગીત ને સાંસ્કૃતિક બળોની કદરબૂજ, એક અર્થમાં નિરીશ્વરવાદી એવાં જૈન ને બૌદ્ધ દર્શનોમાં હિંદુ પરંપરામાં વિકલ્પ વૈવિધ્યનું સાતત્ય જોતી દૃષ્ટિ અને લોકાયત સરખા ભૌતિકવાદી દર્શનનોયે પરિચય. ઋગ્વેદના નાસદીય સૂક્તમાંથી એ એક અદ્દભુત ઉદ્દગાર લઈ આવ્યા – બધા દેવતાઓ ય પાછળથી આવ્યા, બ્રહ્માંડના સર્જન સાથે … આખાં 138 પાનાં માત્ર, અને આખી અપરૂપ સૃષ્ટિ જાણે હસ્તામલકવત્.

ગમે તેમ પણ, રાધાકૃષ્ણન્‌ અને ક્ષિતિમોહન સેનના સેવને સમજાયું તે એ કે કોઈ ધર્મગ્રંથમાં બંધાયેલ હિંદુ ધર્મ નથી. કોઈ એક ઉદ્દગાતા, એક ગ્રંથ, એક પંથ એવી જડબેસલાક એની તાસીર નથી. એમાં ખાસું ખુલ્લાપણું છે. ગીતાંજલિકાર કહી શકે કે હું મારા માલિકને ચાહું છું, કેમ કે એણે મને નકારવાનો અધિકાર આપ્યો છે. ખુલ્લાપણાના સ્પર્શે મને જે સમજાઈ રહ્યું તે એ કે આ ધર્મને ધોરણે કોઈ બદ્ધ રાજકીય વિચારધારા હોઈ શકે નહીં. (એક સન્માન્ય વડીલ લક્ષ્મણરાવ ઈનામદારને (વકીલ સાહેબને), મુખે ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ વિશે સાંભળ‌વા મળેલી ફરિયાદ એ હતી કે એમાં બધું જ છે, સિવાય કે હિંદુ રાષ્ટ્ર!)

વિવેક કાત્જુએ મને અંતે આગળ લઈ જઈ શકતી પાછળ નજરના દિવસો સંભારી આપ્યા તે સાથે અંબોળું કે ભારતીય પરંપરાની ધર્મ એ સંજ્ઞા એના જાડા અંગ્રેજી અનુવાદમાં ‘રિલિજિયન’ તરીકે સમજાય છે એ દુરસ્ત નથી ધર્મ કોઈ એકલટ્ઠ કિતાબનો મોહતાજ નથી. આપણા સમયમાં ગાંધી-વિવેકાનંદ સરખાનાં જીવનકાર્યમાં, એમના ક્ષર અને અક્ષર દેહમાં, ધર્મનો ગૂઢ એટલો જ ગાઢ ને વળી વ્યાપક અર્થ ચરિતાર્થ થતો માલૂમ પડે છે. ચતુર્વેદી બદરીનાથ, આમ તો, એમના મહાભારત પરના કામ વાસ્તે સુપ્રતિષ્ઠ છે. બે’ક દાયકા પર એમને એ માટે સાહિત્ય અકાદેમી એવોર્ડ પણ મળ્યો હતો. પણ મને સવિશેષ રસ આ સંદર્ભમાં એમની ધર્મ-પર્યેષણામાં પડ્યો છે. ‘ધર્મ, ઈન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઓર્ડર’ (1993) અને મરણોત્તર પ્રકાશન ‘ધર્મ: હિંદુઈઝમ એન્ડ રિલિજિયન્સ ઈન ઇન્ડિયા’ (2019) વાંચીએ ત્યારે સમજાય છે કે રાષ્ટ્રની ‘ચિતિ’ રૂપે જે ધર્મનો મહિમા છે તે હિંદુ ધર્મ નથી, ‘ધર્મ’ છે.

હવે તરતમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ખુલ્લું મૂકવામાં છે તે અવસરે લાલકૃષ્ણ અડવાણીને મોળા આમંત્રણનું આયોજકોનું વલણ ચર્ચામાં છે. આંદોલનના સ્થપતિ બાબતે આવું વલણ ખૂંચે પણ ખરું. પરંતુ, આંદોલન દરમ્યાન અડવાણીએ ‘ધર્મ’ના સાંકડા અર્થની જે રાજનીતિ કરી તેના લાભાર્થીઓ આજે સત્તારૂઢ છે ત્યારે એમણે અને લાભાર્થીઓએ ‘જે જીત્યું તે સિકંદર’ના ઠાઠમાંથી લગીર જાતમાં ઝાંખીને વિચારવા જેવું ચોક્કસ છે કે આપણે રિલિજિયનને વળગીને સત્તાએ પહોંચ્યા, પણ જે છૂટી ગયો તે તો ધર્મ છે. જસ્ટિસ વર્માએ હિંદુત્વને ‘અ વે ઓફ લાઈફ’ તરીકે પોતાના ચુકાદામાં ઘટાવ્યું એમાં જે વિચારગોથું હતું તે માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે એમને કંઈક પકડાયું હશે તે 2002 અંગેના એમના અભિગમથી સમજાય છે.

ચતુર્વેદી બદરીનાથે છેડેલો એક વિચારોત્તેજક મુદ્દો જેમ ધાર્મિક (રિલિજિયસ) કટ્ટરવાદ તેમ સેક્યુલર કટ્ટરવાદનો પણ છે. (અલબત્ત, સેક્યુલર અભિગમ દેશની જે બિનકોમી વ્યાખ્યા પર ભાર મૂકે છે. તેની સાથે તેઓ સંમત છે.) કાશ, સૌ રિલિજિયસ પેચપવિત્રા છાંડી ‘ધર્મ’ને ધોરણે વાત કરી શકે!

દરમ્યાન, આભાર, વિવેક કાત્જુ, પ્રગટ મંથનની આ તક માટે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 જાન્યુઆરી 2024

Loading

3 January 2024 Vipool Kalyani
← આધુનિક પ્રગતિનું ખર્ચ શું? કોના માટે અને કોના ભોગે?
અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર કેવા હતા ? →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved