Opinion Magazine
Number of visits: 9449243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૨) : ‘સંયોગાત્’ 

સુમન શાહ|Opinion - Opinion|23 December 2023

સુમન શાહ

‘સંયોગ’-ને વિશેનો બીજો મહત્ત્વનો ફલિતાર્થ એ છે કે ‘સંયોગ’ કદી એના સિદ્ધ રૂપમાં હોતો નથી. સર્જકે કૃતિના પાઠ રૂપે લખેલો ‘સંયોગ’ પણ પૂરો સિદ્ધ એટલા માટે નથી કે તેનો ભોક્તા પેલો ભાવક હજી પધાર્યો નથી હોતો. દેખીતું છે કે ‘સંયોગ’ ભાવક વડે ઉદ્ભાવિત થાય ત્યારે જ પૂર્ણ રૂપેણ સિદ્ધ થયો ગણાય. 

જે કાળે કવિ વડે મુખેથી બોલાઇને કાવ્યપઠન થતું હશે તે કાળે તત્ક્ષણે ભાવકની શક્તિમતિ અનુસાર ‘સંયોગ’ સિદ્ધ થતો હશે એમ માનવું સદોષ નથી. પણ ‘સંયોગ’-ની અનિવાર્યતા ભાવક છે, એ સત્ય છે. આપણા જમાનામાં કૃતિ ‘ડેડ પ્રિન્ટ’ રૂપે મળે છે, ત્યારે તો એ સત્ય સવાયું સત્ય પુરવાર થાય છે.

ટૂંકમાં, મારું મન્તવ્ય છે કે ભરતવ્યાખ્યાયિત ‘સંયોગાત્’-માં સમગ્ર સાહિત્યતન્ત્ર – ટોટલ લિટરરી સિસ્ટમ – આવી જાય છે : એક તરફથી, એ કવિકર્મ છે તો બીજી તરફથી, ભાવકકર્મ છે. પહેલી વાર જોતાં લાગે કે ‘સંયોગ’ વડે સાહિત્યકૃતિ રચાઈ, પરન્તુ બીજી વાર જોતાં લાગે કે એ જ ‘સંયોગ’ વડે ભાવક માટે રસાનુભવ સંભવ્યો.  

‘સંયોગાત્’-ની આ સમાન્તરે પ્રભવતી ગુણધર્મિતા – પૅરેલલ ફન્કશન – તરફ આપણા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું.

એક બીજો પ્રશ્ન પણ વિચારણીય છે : ‘સંયોગાત્’-નું અસ્તિત્વ કેવાક રૂપમાં છે? એટલે કે, એનું ‘ઑન્ટોલૉજિકલ સ્ટેટસ’ શું છે? 

સંયોગ રાસાયણિક – કૅમિકલ – પ્રકારના હોય છે, જેમાં સંયોજ્ય ઘટકો પોતાના ગુણધર્મો ગુમાવે છે અને કોઈ નવ્ય રૂપમાં જુદી જ ગુણધર્મિતા માટે હમ્મેશને માટે બદલાઈ જાય છે. કામચલાઉ દાખલો, દૂધ અને મેળવણથી બનતું દહીં. 

બીજું, સંયોગ યાન્ત્રિક – મિકેનિકલ – પ્રકારના હોય છે, જેમાં સંયોજ્ય ઘટકો પોતાના ગુણધર્મો ગુમાવ્યા વિના, સ્વ રૂપે ટકીને, બદલાયા વિના, જુદી જ ગુણધર્મિતા ધારણ કરે છે. કામચલાઉ દાખલો, બારસાખ અને બારણાં. બન્ને બદલાયા વિના બંધ-ઉઘાડપરક ધર્મ બજાવે છે.

જાણવું જરૂરી એ છે કે સાહિત્યકૃતિમાં વિભાવાદિનો આવો રાસાયણિક સંયોગ હોય છે કે યાન્ત્રિક? હું ઉત્તર આપવાની કોશિશ કરું : 

ભાષા બોલાય છે, સાંભળીને ગ્રહાય છે, એનો અર્થ એ કે ભાષા સામયિક છે – ટૅમ્પોરલ. પણ ભાષા લખાય છે, વાંચીને ગ્રહાય છે, એનો અર્થ એ કે ભાષા અવકાશપરક અથવા સ્થળપરક પણ છે – સ્પાસિયલ. 

એટલે ભાષાના દ્રવ્યથી રચાયેલો વિભાવાદિનો સંયોગ પણ સામયિક તેમ જ સ્થળપરક, બન્ને છે. 

રંગમંચ, સન્નિવેશ, અને તે પર અભિનય કરતો નટચમૂ એમ દર્શાવે છે કે સંયોગ સ્થળપરક છે.  

વિભાવાદિ સામયિક છે કેમ કે પોતાના મૂળ ગુણધર્મો ગુમાવતા નથી પણ રસપ્રક્રિયા ખાતર તેને જતા કરે છે. 

એટલે જ દુષ્યન્ત-શકુન્તલા હૂબહૂ દેખાય છે પણ પળ-બેપળ પછી તેઓ કાન્ત-કાન્તા અનુભવાય છે. એટલું જ નહીં, કાન્ત-કાન્તા વચ્ચે પ્રણયની ચાટૂક્તિઓ જે સ્થળે જે સમયે થઈ તેનું તેમ જ ચાટૂક્તિઓની ભાષાનું પણ તિરોધાન થઇ જાય છે. 

જે કંઇ વિશિષ્ટ લેખન કે નાટ્ય હતું – પર્ટિક્યુલર, એ સર્વસાધારણ – જનરલ કે યુનિવર્સલ રૂપ પામે છે, જેને માટે આપણે કહેતા હોઈએ છીએ કે કલાનો આવિષ્કાર થયો. 

કલાનો આવિષ્કાર દૃશ્ય નથી હોતો, પણ કલા હમેશાં વ્યંજિત થતી હોય છે. કલાના એવા વ્યંજક આવિષ્કારની સત્તાએ કરીને સ્તો જર્મન કવિ ગ્યુઇથે “શાકુન્તલ”-ને માથે મૂકીને નાચી શકેલા. દર્શન કે વાચન પછી કોઈપણ અધિકારી આમ નાચી ઊઠતો હોય છે; એની ગ્યુઇથેની બની એવી વારતા નથી બનતી, એટલું જ ! 

જુઓ ને, આધુનિક નાટકોમાં તો વિભાવાદિને વિશેનું દૃષ્ટિબિન્દુ જ બદલાઈ ગયેલું. રતિ સ્થાયીભાવનાં આલમ્બન દુષ્યન્ત-શકુન્તલા હૂબહૂ હોવાં જ જોઈએ એ વાત પર ચૅંકડી મુકાઈ ગયેલી. તેઓ સારા અનુભાવક હોય, વ્યભિચારી ભાવો વ્યક્ત કરી શકે, એટલે કે એવા સમર્થ અભિનયકાર હોય, તો બસ છે. ઉદ્દીપન વિભાવની જરૂરત પર પણ ચૅંકડી મુકાઈ ગયેલી. કાલિદાસે વર્ણવ્યા મુજબનો લતામણ્ડપ ઊભો કરવો અનિવાર્ય નથી. 

તાત્પર્ય એ કે કૃતિ યુનિવર્સાલિટી હાંસલ કરે ને કલા રૂપે અનુભવની વસ્તુ રૂપે સંસારમાં પ્રસરે એ જ કલાસર્જનનું ધ્યેય હોય છે. 

મારા આ ઉત્તરના અંકે કરવાજોગ સાર બે છે : ૧ : ‘સંયોગાત્’ રસનિષ્પત્તિપ્રક્રિયા તો છે જ પણ કલાનુભવની જનક એ એક પૂર્વપ્રક્રિયા પણ છે : ૨ : રસ માત્ર અનુભાવ્ય છે અને હમેશાં વ્યંજિત અથવા ધ્વનિત થાય છે. 

એને તેથી, આનન્દવર્ધનપ્રણીત ધ્વનિસમ્પ્રદાયને રસસમ્પ્રદાયની અનિવાર્ય પૂર્તિ રૂપે જોવાની જરૂરત છે. અભિનવગુપ્ત બન્નેના અધ્યેતા રહ્યા હતા તે કેટલું સૂચક અને પ્રેરણદાયી છે ! 

હું એમ પણ કહેવા માગું છું કે ‘સંયોગ’-ના આ સ્વરૂપ અને કાર્યનો વિચાર રસસૂત્રના એ પ્રાચીન ટીકાકારોને પણ આવેલો છે, અલબત્ત, એમની પોતાની રીતભાતમાં. એક અછડતી નજરે એમની જ રીતેભાતે જોઈ લઈએ :   

અભિનવગુપ્તે લોલ્લટ, શંકુક અને ભટ્ટનાયકનાં મન્તવ્યો રજૂ કરીને વિશદ સમીક્ષા કરી છે. એમાં વીગતે ઊતરવાની અત્રે જરૂરત નથી; માત્ર સાર ગ્રહણ કરીએ : 

લોલ્લટ વિભાવાદિને સ્થાયી સાથે જોડે છે, તેને સ્થાયી ચિત્તવૃત્તિનું કારણ ગણે છે, અને  અનુભાવોને કાર્યરૂપ ગણે છે. પરન્તુ અનુભાવ જો કાર્યરૂપ હોય તો એને રસના કારણોમાં કેવી રીતે ગણાવાય? મારા મતે સ્પષ્ટ એ થાય છે કે લોલ્લટે સ્થૂળ કાર્યકારણ ભાવ કલ્પીને વિભાવાદિના જોડાણને ‘યાન્ત્રિક’ ગણી લીધું છે. 

શંકુકે લોલ્લટના અર્થઘટન સામે વાંધો ઉઠાવતાં કહ્યું છે કે ઉપચિત એટલે કે એકત્ર કરેલા સ્થાયીને રસ ન કહેવાય. કેમ કે એવું કરવા જતાં, ભાવોને અભિધેય, એટલે કે કહેવા યોગ્ય, ગણવા પડે, અને તેને દોષ કહેવાય. કેમ કે, ચોખ્ખું છે કે એમ કરવાથી રસન કે આસ્વાદન થઇ જ ન શકે. હું દાખલો આપું કે ‘આ સાંજ કેવી સુન્દર છે’ એ વાક્યનો અર્થબોધ થાય, પણ એથી કરીને રસાનુભવ થોડો થાય? 

શંકુક ઉમેરે છે કે ઉપચિત સ્થાયીને રસ માનીએ તો પણ કશો ઉપકાર નહીં થાય; અને એમ પણ કહે છે કે ઉપચયમાં પણ મન્દ, મન્દતર, મન્દતમ એમ કોટિઓ હોય છે. જેમ કે, શોક પ્રારમ્ભે તીવ્ર હોય છે, પણ પછી એમાં તનુતા અને મન્દતા આવે છે અને ભાવોનો અપચય થાય છે. ક્રોધ, ઉત્સાહ, અને રતિ સ્થાયીભાવોની અનુક્રમે અમર્ષ, દૃઢતા, અને સેવન વગેરે પોષક સામગ્રીનો જો વિપર્યય કરવામાં આવે તો એ ભાવોનો હ્રાસ થાય છે. શંકુકના આ વિચારો એમ સૂચવે છે કે ‘સંયોગ’-ને તેઓ ‘સામયિક’ અથવા ‘અવકાશપરક’ ગણીને ચાલ્યા છે. પણ વિભાવોને કારણ, અનુભાવને કાર્ય, અને વ્યભિચારીને સહચારી લેખે છે. મતલબ, તેઓ ‘સંયોગ’-ને ‘યાન્ત્રિક’ ગણીને પણ ચાલ્યા છે. 

ભટ્ટનાયકનું મન્તવ્ય છે કે રસ નથી તો પ્રતીત થતો, નથી ઉત્પન્ન થતો, કે નથી એની અભિવ્યક્તિ થતી – રસો ન પ્રતીયતે નોત્પદ્યતે નાભિવ્યજ્યતે. 

ભાવકને રસની પ્રતીતિ બે પ્રકારે જ થઈ શકે છે, પરગત કે સ્વગત. પરગત તે દુષ્યન્ત વગેરે; પાત્રગત અથવા દુષ્યન્તનો અભિનય કરનાર, નટગત. પરગત માની લઈએ, તો એ ભાવ સાથે ભાવકને શી લેવાદેવા? એ બાપડો ઉદાસીન થઈ જશે. એથી જુદું એ કે પ્રતીતિને સ્વગત માની લઈએ, તો કરુણ રસમાં ભાવકને દુ:ખનો જ અનુભવ થશે. ભટ્ટનાયક ઉમેરે છે કે રસપ્રતીતિવિષયક આ દોષ રસઉત્પત્તિ (રસને વિશેનો લોલ્લટનો ઉત્પત્તિવાદ) વિશે પણ એટલા જ સંભવિત છે. પરન્તુ રસ અભિવ્યક્ત થાય છે, એમ પણ ન કહેવાય કેમ કે અભિવ્યક્તિ એની થઈ શકે જેનો પહેલાં અનુભવ થયો હોય. રસપ્રતીતિ અને રસઉત્પત્તિના દોષ રસઅભિવ્યક્તિ વિશે પણ એટલા જ સંભવિત છે.

ભટ્ટનાયક રસાનુભવના ત્રણ તબક્કા કલ્પે છે : અભિધાવ્યાપાર, ભાવકત્વવ્યાપાર અને ભોગીકૃતિ. તેઓ એમ પણ કહે છે કે આ ત્રણ વૃત્તિઓ છે. શબ્દની અભિધાશક્તિથી ભાવકને દુષ્યન્ત શકુન્તલા લતામણ્ડપ વગરેનો અર્થબોધ થાય છે. ભાવકત્વવ્યાપારથી રસ ભાવિત થાય છે – કાવ્યનો પ્રસંગ હોય ત્યારે, રચના દોષરહિત અને ગુણાલંકારયુક્ત હોય છે તેથી; અને નાટકનો પ્રસંગ હોય ત્યારે, ચાર પ્રકારના અભિનયથી. આ એક સ્વરૂપનો સાધારણીકરણ-વ્યાપાર છે. એથી ભાવકના મોહ રૂપી અજ્ઞાનનું નિવારણ થઈ જાય છે અને વિભાવાદિનું સાધારણીકરણ થઈ જાય છે. એ રસ ભોગવાય છે, તેથી ભોગીકૃતિ; એ ત્રીજી વૃત્તિ છે. એથી સત્ત્વગુણનો ઉદ્રેક થાય છે. અને સ્વપ્રકાશાનન્દ ચિન્મય સંભવે છે, સ્વસંવેદનાની વિશ્રાન્તિ અનુભવાય છે, અને એનો આસ્વાદ બ્રહ્માનન્દ સમકક્ષ હોય છે. 

અભિનવગુપ્ત કહે છે, પોતે ભટ્ટનાયકના તેમ જ ભટ્ટ લોલ્લટના મતને નથી સ્વીકારી શકતા. શંકુક વિશે કહે છે કે – અમે એ નથી જાણતા કે પ્રતીતિ ઇત્યાદિથી ભિન્ન ભોગ તે વળી શું. વિષયની પ્રતીતિને જ ભોગ કહેવાય. એમના મતે રસની પ્રતીતિ જ નથી થતી, તો એનો ભોગ તો થાય જ શી રીતે? અને જો કહો કે રસન અથવા આસ્વાદન થાય છે, તો એ પણ પ્રતીતિ જ છે ને ! અભિનવગુપ્તે આ વિષયને વિસ્તારથી ચર્ચ્યો છે. પણ પૂછે છે આટલું કે – તો રસનું પરિશુદ્ધ તત્ત્વ કયું? કહે છે, મુનિએ દર્શાવ્યું છે એથી કોઈ નવી વાત નથી કરવી – કાવ્યાર્થોને ભાવિત કરવા છે. કાવ્યાર્થ જ રસ છે – કાવ્યાર્થાન્ ભાવયન્તિ ઇતિ I તત્કાવ્યાર્થોરસ: I 

[મારો એક બીજો લેખ, “મુનિ ભરતના ‘રસસૂત્ર’-ના અધ્યયન-અધ્યાપનકારો જોગ”, મારા “સિદ્ધાન્તે કિમ્” (૨૦૦૯) પુસ્તકમાં છે, જોવા વિનન્તી.] 

= = =

(12/22/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

23 December 2023 Vipool Kalyani
← ત્રણ રચના
ચલ મન મુંબઈ નગરી—228 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved