Opinion Magazine
Number of visits: 9448978
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુરાધા : કૈસે દિન બીતે, કૈસે બીતી રતીયાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2023

રાજ ગોસ્વામી

ફ્રેંચ સાહિત્યમાં યથાર્થવાદના પ્રણેતા ગણાતા ગુસ્તાવ ફ્લુબર્ટ(1821-1880)ની, 1856માં, એક નવલકથા પ્રકાશિત થઇ હતી, ‘મેડમ બોવરી.’ આ નવલકથા મૂળ ફ્રેન્ચમાં લખવામાં આવી હતી અને ઓછામાં ઓછા 19 વખત અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવી હતી. ‘મેડમ બોવરી’ 10 ફિલ્મો અને ટી.વી. સિરીઝની પ્રેરણા બની હતી. એમાં બે જાણીતી હિન્દી ફિલ્મો હતી. તેની વાત પછી કરીએ.

અંગ્રેજી-ફ્રેંચ સાહિત્યની સૌથી ઉત્કૃષ્ઠ નવલકથાનો જેને ખિતાબ મળેલો છે તે ‘મેડમ બોવરી’ની આ લોકપ્રિયતાનું કારણ તેની નાયિકા એમ્મા બોવરી અને તેની વિષયવસ્તુ હતી. એમ્માનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ અત્યંત રોમેન્ટિક છે અને તેને સુંદર દેખાવાની, એશોઆરામ કરવાની, ઉત્કટ રીતે જીવવાની અને ભદ્ર વર્ગના લોકો વચ્ચે હરવા-ફરવાની ઝંખના છે.

તેનો પતિ, ચાર્લ્સ, દેહાતી છે અને ગામડામાં ડોકટરી કરે છે. તેને લોકોની સારવાર કરવા સિવાય કશામાં રસ નથી. બંને વચ્ચે દેખીતી અસમાનતા છે, પણ ચાર્લ્સ પત્નીને સમર્પિત છે અને તે રંગરેલિયાં કરતી હોવા છતાં તેને પત્નીમાં કોઈ કમી નજર આવતી નથી.

રોમેન્ટિક કલ્પનાઓ અને જીવનની વાસ્તવિકતાઓ વચ્ચેની આ અસમાનતામાં એમ્મા ફસાઈ જાય છે અને એક મોટા દેવા તળે દબાઈને અંતે આત્મહત્યા કરે છે. તે મનનું જીવી હતી અને મન થયું એટલે જ મરી ગઈ. ગુસ્તાવે ઘરેલું જીવન જીવતી એક કલ્પનાશીલ સ્ત્રીની એકવિધતતા અને જીવનમાં નવીનતા માટેની તેની ભૂખ પર હતાશા અને નિરાશાની મનોવૈજ્ઞાનિક વાર્તા લખી હતી.

એમ્મા એક બિનપરંપરાગત સાહિત્યિક પાત્ર હતું. એ તેની કામુકતા હતી કે પછી ભૌતિક જીવન પ્રત્યેનો તેનો અસંતોષ હતો, જે તેને અસાધારણ અને વિનાશક જીવન તરફ લઇ જાય છે? ગુસ્તાવે ઊભો કરેલો આ પ્રશ્નથી ઘણા ફિલ્મ સર્જકો ‘મેડમ બોવરી’ તરફ આકર્ષાયા હતા. ઉપર કહ્યું તેમ, હિન્દીમાં આ નવલકથા પરથી બે શાનદાર ફિલ્મો બની હતી.

1960માં, ઋષિકેશ મુખર્જીએ તેના પરથી પ્રેરાઈને ‘અનુરાધા’ બનાવી હતી. 1993માં, કેતન મહેતાએ તેના પરથી ‘માયા મેમસાબ’નું નિર્માણ કર્યું હતું. બંને વચ્ચે તાત્ત્વિક ફરક એ હતો કે ઋષિકેશ મુખર્જીએ ‘મેડમ બોવરી’નો માત્ર મૂળ પ્લોટ જ ઉઠાવ્યો હતો. તેમની અનુરાધા સ્વચ્છંદી નહોતી, પણ લગ્ન જીવનથી કંટાળેલી છે. કેતન મહેતા ‘મેડમ બોવરી’ની એકદમ વફાદાર રહ્યા હતા (ત્યાં સુધી કે ‘માયા મેમસાબ’ નામ પણ મળતું આવતું હતું) અને તેમની માયાને વ્યભિચારી એમ્મા કરતાં એક ડગલું લઇ જઈને ભ્રમણામાં (સાદી ભાષામાં ગાંડી) જીવતી બતાવી હતી.

‘માયા મેમસાબ’ બીજાં બે કારણોથી પણ ચર્ચામાં રહી હતી; એક તો તેમાં એમ્મા(માયા)ની ભૂમિકા મહેતાની પત્ની દીપા સાહીએ કરી હતી અને બે, તેના પ્રેમીની ભૂમિકા શાહરૂખ ખાને કરી હતી. ‘માયા મેમસાબ’ એક માત્ર ફિલ્મ છે, જેમાં ખાને બોલ્ડ બેડરૂમ સીન ભજવ્યું હતું. આ ફિલ્મની વાત આવતા અંકે. આજે આપણે ઋષિ’દાની ‘અનુરાધા’ને મળીએ.

‘અનુરાધા’ ઋષિ’દાની ‘ચુપકે ચુપકે,’ ગોલ માલ,’ ‘અભિમાન,’ ‘ગુડ્ડી’ અથવા ‘આનંદ’ જેવી પ્રખ્યાત નથી, પરંતુ તેની નોંધ લેવી પડે તેવી ગહેરાઈવાળી હતી. સચિન ભૌમિક નામના જાણીતા ફિલ્મ લેખકે ‘મેડમ બોવરી’ પરથી બંગાળીમાં એક ટૂંકી વાર્તા લખી હતી, જે ‘અનુરાધા’નો આધાર બની હતી. ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બેર માટે નામાંકિત થઈ હતી.

1954ની ફેમિના મિસ ઇન્ડિયા લીલા નાયડુની આ પહેલી ફિલ્મ હતી, જેને તે વર્ષે આંતરરાષ્ટ્રીય પત્રિકા ‘વોગ’માં દુનિયાની દસ સૌથી ખૂબસુરત સ્ત્રીઓમાં સ્થાન મળ્યું હતું. લીલાએ માત્ર 9 ફિલ્મોમાં જ કામ કર્યું હતું. લીલા પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રામૈયા નાયડુ અને તેમની સ્વિસ-ફ્રેન્ચ પત્રકાર પત્ની માર્થેની પુત્રી હતી. તે ભારત અને ફ્રાન્સમાં મોટી થઈ છે.

બિમલ રોયના સહાયક રહી ચુકેલા ઋષિ’દાએ તેમની ત્રીજી ફિલ્મ ‘અનુરાધા’માં નવોદિત લીલા નાયડુને એટલા માટે જ પેશ કરી હતી કારણ કે એમ્મા બાવરી ફ્રેંચ સ્ત્રી હતી.

વાર્તા કંઇક આવી હતી. એક પ્રખ્યાત રેડિયો ગાયક અને નૃત્યાંગના અનુરાધા રોય (લીલા) એક આદર્શવાદી અને સામાન્ય ઘરના ડોકટર નિર્મલ ચૌધરી(બલરાજ સાહની)ના પ્રેમમાં પડે છે. અનુરાધાના પિતા આ સંબંધની વિરુદ્ધ છે. અનુરાધાના પિતા ઈચ્છે છે કે તે લંડનથી આવેલા દીપક (અભિ ભટ્ટાચાર્ય) સાથે લગ્ન કરે, પણ અનુરાધા તે પ્રસ્તાવ ઠુકરાવી દે છે. દીપક અનુરાધાને શુભકામનાઓ આપે છે, અને ભવિષ્યમાં તેને ક્યારે ય કોઈની જરૂર પડે તો મદદ કરવાનું વચન આપીને જતો રહે છે.

લગ્ન અને એક પુત્રી પછી, અનુરાધાને ગામમાં રહેવાનો કંટાળો આવે છે. તેનું ગાવાનું બંધ થઇ ગયું છે અને તે ઘરની ચાર દીવાલોમાં પુરાઈ જાય છે. વર્ષો પછી તેના પિતા તેની મુલાકાત લે છે અને યુગલને શહેર આવી જવા કહે છે. નિર્મલ કહે છે થોડાં વર્ષ પછી વિચારીશું.

દરમિયાનમાં, દીપક તેની પ્રેમિકા સાથે કાર અકસ્માતનો ભોગ બને છે. ડૉ. નિર્મલ પ્રેમિકાની સર્જરી કરે છે. તે દરમિયાન દીપકને અનુરાધાની મુશ્કેલીઓનો અહેસાસ થાય છે અને તે નિર્મલને છોડીને શહેરમાં જવા અને સંગીતના શોખને આગળ ધપાવા માટે સલાહ આપે છે.

અનુરાધા માટે હવે સંગીત પસંદ કરવું કે પતિ, તેની દુવિધા ઊભી થાય છે. ડૉ. નિર્મલે પણ પોતાને છોડીને શહેરમાં તેનું પોતાનું જીવન ફરી શરૂ કરવાની અનુરાધાની ઈચ્છા સ્વીકારે છે. બરાબર આ નિર્ણાયક ક્ષણે અનુરાધા નિર્ધાર કરીને ડો. નિર્મલને કહે છે, “તમે તેને (દીપકને) જતા રહેવાનું અને ફરી પાછા નહીં આવવાનું કેમ કહેતાં નથી?” અર્થાત, અનુરાધા પતિને છોડવા તૈયાર નથી.

ફિલ્મના એક જમા પાસું તેનું સંગીત હતું. ‘અનુરાધા’માં, શાસ્ત્રીય સંગીતકાર પંડિત રવિશંકર, ગાયિકા લતા મંગેશકર અને ગીતકાર શૈલેન્દ્રની અનપેક્ષિત જુગલબંધી હતી. ફિલ્મનો આત્મા તેના સંગીતમાં છે, કારણ કે ફિલ્મની નાયિકા ગાયિકા છે. કુલ 5 ગીતો હતાં; કૈસે કૈસે સપનો મેં, સંવારે સંવારે કહે મોસે, કૈસે દિન બીતે કૈસે બીતી રતીયાં, બહુત દિન હુએ અને હાઈ રે વોહ દિન ક્યોં ના આયે.

ફિલ્મમાં એક દૃશ્ય છે. દીપકના આગ્રહથી અનુરાધા ગીત ગાય છે. ગીત ભલે દીપકની ફરમાઈશનું છે, પણ તેનું કેન્દ્ર ડો. નિર્મલ છે, જે તેનાં મેડિકલ થોથાંમાં વ્યસ્ત છે. ચાલુ ગીતે નિર્મલ કોઈ કામથી બહાર પણ જાય છે. દીપક એ ગીતમાં અનુરાધાનાં નહીં વહેલાં આંસુ જુએ છે, તેના અવાજમાં પતિ તરફથી મળતી ઉપેક્ષાની પીડા અનુભવે છે. એ ગીતમાં ‘અનુરાધા’ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર છે. 

કૈસે દિન બીતે, કૈસે બીતી રતીયાં

પિયા જાને ન હાયે

નેહા લગા કે મૈં પછતાઈ

સારી સારી રૈના નીન્દીયા ન આયી

જાન કે દેખો મેરે જી કી બતિયા

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 20 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

21 September 2023 Vipool Kalyani
←  રંગ
ચાલો, હરારી પાસે – 24 :  આપમૅળે ડેટાની ચોખ્ખાઈ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved