Opinion Magazine
Number of visits: 9446507
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જી-20ના માંડવે શી જિનપિંગ કેમ રિસાયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2023

રાજ ગોસ્વામી

તમે આ વાંચતા હશો, ત્યારે દિલ્હીમાં ભારત માટે અતિ મહત્ત્વનું જી-20 શિખર સંમેલન સંપન્ન થઇ રહ્યું હશે. 2022માં, બાલી-ઇન્ડોનેશિયામાં યોજાયેલા 17માં જી-20 સંમેલનમાં, ભારતે રોટેશન પ્રમાણે 2023ના સંમેલનનું યજમાનપદ સ્વીકાર્યું હતું. તે વખતે આપણે લખ્યું હતું કે જી-20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જી.ડી.પી.માં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે.

મૂળમાં આ અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન દેશોનું જી-7 જૂથ હતું, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20નું કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તેમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવા અન્ય વિષયો પણ સામેલ થતાં ગયા છે અને એ રીતે જી-20 કુટનીતિનું એક સમાવેશી મંચ બની ગયું હતું.

આ સમૂહમાં 19 દેશ સભ્યો છે, સમૂહનું 20મું સભ્ય યુરોપિયન યુનિયન છે. તેમાં ભારત ઉપરાંત ફ્રાન્સ, ચીન, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, તુર્કી, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, રશિયા, મેક્સિકો, જાપાન, ઇટાલી, ઇન્ડોનેશિયા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

જી-20 સંમેલનનું આયોજન વર્ષમાં એકવાર કરવામાં આવે છે, જો કે 2008થી શરૂ કરીને જી-20 સંમેલનનું આયોજન 2009 અને 2010માં બે વાર કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સમૂહના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પછી, તમામ દેશોના વડાઓ બેસીને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

નવી દિલ્હીમાં ભરાઈ ‘જી-20’ શિખર પરિષદના કેટલાક અગ્રેસરો : (ડાબેથી) વિશ્વ બેન્કના પ્રમુખ અજય બાંગા, બ્રાઝિલના પ્રમુખ લુલા ‘દ સિલ્વા (Luiz Inácio Lula da Silva), ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટૃપતિ માતામેલા સિરિલ રામાફોઝા તથા યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાના રાષ્ટૃપતિ જો બાઇડન

દિલ્હીમાં 20 દેશોના લગભગ 40 નેતાઓએ સંમેલનમાં ભાગ લીધો છે. વડાપ્રધાન મોદીએ શિખર સંમેલનને ઐતિહાસિક ગણાવ્યું છે કારણ કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં દેશો તેમાં સામેલ થઇ રહ્યા છે. જો કે, શિખર સંમેલનની ચમકદમક નીચે થોડાં અંધારાં કુંડાળા પણ પડ્યાં છે, જેની નોંધ પણ લેવી પડે તેમ છે.

દિલ્હી જી-20 સમૂહનું યજમાન છે એ આ વર્ષના સૌથી મોટા સમાચાર છે અને એ સમાચારની અંદર જ બીજા સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમેલનથી દૂર રહ્યા છે. એમ તો છ તારીખ સુધી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું પણ ઢચુપચુ હતું કારણ કે ફર્સ્ટ લેડી જિલ બાઈડનને કોવિડનો ચેપ લાગ્યો હતો, પણ રાષ્ટ્રપતિનો ખુદનો ટેસ્ટ નેગેટિવ આવતાં તેમણે દિલ્હી આવવાની હામી ભરી હતી.

પુતિન યુક્રેનના યુદ્ધમાં ભરાયેલા છે. તેમણે અગાઉથી જ વડા પ્રધાન મોદીને ફોન કરીને તેઓ જી-20 સંમેલનમાં હાજર રહી નહીં શકે તેની જાણ કરી હતી. તેમની જગ્યાએ રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કર્યું હતું.

સૌથી મોટું આશ્ચર્ય શી જિનપિંગનની ગેરહાજરીનું છે. ચીને તેમના સ્થાને વડા પ્રધાન લી કુઆંગને સંમેલનમાં ભાગ લેવા મોકલ્યા હતા. ઘરમાં લગ્ન લેવાયાં હોય અને ગામના ચાર મોટા પરિવારોમાંથી એકની ગેરહાજરી જેમ મંડપમાં ચર્ચાનો અને ગોસિપનો વિષય બને, તેવી રીતે શી જિનપિંગની દિલ્હીમાં ગેરહાજરી શંકા-કુશંકાઓનો મુદ્દો બની હતી. ચીની રાષ્ટ્રપતિએ છેલ્લે 2019માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્લપુરમમાં તેમનું સ્વાગત કર્યું હતું.

શી જિનપિંગ ‘રિસાઈ’ ગયા છે એ વાત કેટલી મહત્ત્વની છે તેની સાબિતી યજમાન ભારત અને મહેમાન અમેરિકા તેમ જ રશિયાએ તેના પર આપેલી પ્રતિક્રિયા છે. પહેલાં તો પુતિનની સાથે શી પણ નથી આવતા એ સંયોગ ગેરસમજ પેદા કરે તેવો છે એવું લાગતાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ રશિયન સમાચાર સંસ્થા તાસ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે રશિયાએ ચીન સાથે મેળાપીપણામાં આવું નથી કર્યું.

આ મામલે વ્હાઇટ હાઉસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વ્હાઇટ હાઉસના અધિકારી જેક સુલિવાને 5 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ચીન પાસે સંમેલનમાં ભાગ લેવાનો અને રંગમાં ભંગ પાડવાનો બંને  વિકલ્પ છે.  ખુદ રાષ્ટ્રપતિ બાઈડને પણ આ અંગે ‘નિરાશા’ વ્યક્ત કરી હતી.

ત્રીજી પ્રતિક્રિયા ભારત તરફથી આવી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે એ.એન.આઈ. સમાચાર સંસ્થા સાથે વાત કરતાં જિનપિંગની ગેરહાજરીની ‘સામાન્ય’ ગણાવતાં કહ્યું હતું, “મને લાગે છે કે જી-20માં અલગ-અલગ સમયે અમુક રાષ્ટ્રપતિઓ કે વડા પ્રધાનો કોઈને કોઈ કારણોસર ગેરહાજર રહ્યા છે, પરંતુ તે પ્રસંગે તેમાં તે દેશના પ્રતિનિધિ હોય છે અને પોતાના દેશની વાત મૂકે છે. મને લાગે છે કે દરેક નેતા પૂરી ગંભીરતાથી સંમેલનમાં આવે છે.”

છેલ્લા એક દાયકાથી ચીનના રાષ્ટ્રપતિ પદે રહેલા શી જિનપિંગ બીજી વખત જી-20 સંમેલનમાં ગેરહાજર રહ્યા છે. પહેલીવાર 2021માં તે સંમેલનથી દૂર રહ્યા ત્યારે કોવિડનો રોગચાળો ચરમસીમા પર હતો. તે વખતે ચીનની કડક ‘ઝીરો કોવિડ નીતિ’ હેઠળ તેમણે એકપણ વિદેશ યાત્રા કરી નહોતી.

તે એક સંમેલનને જો અપવાદ ગણીએ તો, આ વખતે દિલ્હીમાં ગેરહાજર રહેવાનો તેમના નિર્ણયના ઘણા રાજકીય સૂચિતાર્થો છે કારણ કે તેમણે કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ હેતુપૂર્વક આવવાનું ટાળ્યું છે. જિનપિંગ જી-20માં પહેલીવાર રિસાયા છે. કેમ?

જિનપિંગે આ નિર્ણય પાછળના કારણનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરહદ પર ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં ખટાશ આવી ગઈ છે. લદ્દાખ ક્ષેત્રમાં સરહદ પરનો વિવાદ ત્રણ વર્ષ પહેલા સૈનિક ટકરાવમાં ફેરવાઈ ગયો હતો, જેમાં 20 ભારતીય અને ચાર ચીની સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી, બંને દેશોએ તોપખાના, ટેન્કો અને ફાઇટર એરક્રાફ્ટ સહિત ભારે લશ્કરી હાજરી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેમની સ્થિતિ મજબૂત કરી છે.

ચીનના મુખ્ય ભૂ-રાજનૈતિક હરીફ અમેરિકા સાથે ભારતની વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી પર બેઇજિંગનું બરાબર ધ્યાન છે. બંને દેશોએ એકબીજાના પત્રકારોને હાંકી કાઢ્યા છે અને વેપારમાં તણાવ વધ્યો છે. ભારતે તાજેતરમાં જ ચીનને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે પાછળ છોડી દીધો છે. ટેકનોલોજી, અવકાશ સંશોધન અને વૈશ્વિક વેપારમાં બંને એશિયન દિગ્ગજો પ્રતિસ્પર્ધી બન્યા છે. આ ઉપરાંત, ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ચીનના ગાઢ સંબંધો અને વિવાદિત કાશ્મીર ક્ષેત્ર પર તેનું વલણ ભૂ-રાજનીતિને વધુ જટિલ બનાવે છે.

ચીનની દાંડાઈ કેટલી છે તે એ વાત પરથી સાબિત થાય છે કે જી-20ની બેઠકના પંદર દિવસ પહેલાં જ ચીને તેનો નકશો જારી કર્યો હતો, જેમાં સમગ્ર અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો ગણાવ્યું હતું. ચીન દર વર્ષે આવો નકશો જારી કરતું રહે છે એટલે તેના દાવામાં કશું ‘નવું’ નહોતું, પરંતુ રાજકીય વિશ્લેષકો કહે છે કે દિલ્હીમાં જી-20નો મંડપ બંધાયો હોય, તે જ વખતે આ નકશો જારી કરવો તે એટલી નિર્દોષ વાત પણ નથી.

એશિયન સોશિયલ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એ.એસ.પી.આઈ.) ખાતે દક્ષિણ એશિયા ઇનિશિયેટિવનાં નિર્દેશક ફરવા આમેર કહે છે કે જી-20 સંમેલનથી દૂર રહેવાના શી જિનપિંગના નિર્ણયમાં ભારતની યજમાન તરીકેની તેની ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોઈ શકે. ચીન નથી ઈચ્છતું કે ભારત જી-20ના સફળ સંમેલન યોજવાનો દાવો ખાટી જાય અને દક્ષિણ ગોળાર્ધ તેમ જ હિમાલયના દેશોનો અવાજ બને.

આમેર કહે છે કે રાષ્ટ્રપતિ શીનો નિર્ણય અપેક્ષિત હતો. એવું સહેજેય અનુમાન કરી શકાય કે ચીન ભારતને નેતૃત્વની બાગડોર સોંપવા ઇચ્છુક નથી, ખાસ કરીને એશિયા ક્ષેત્રમાં અને તેના પડોશમાં. ચીન આ પ્રદેશમાં તેની પ્રબળ ભૂમિકા અને પ્રભાવ જાળવી રાખવાનો ઈરાદો સેવે છે. ભારત તેમાં આડખીલી છે. જિનપિંગ ભારતના વધતા પ્રભાવને સ્વીકારવા માંગતા નથી.

જિનપિંગે ગયા ઓક્ટોબરમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કાઁગ્રેસના પ્રથમ દિવસે સંકેત આપ્યો હતો કે ભારત સાથેના સંબંધો સુધરશે નહીં. તેઓ જી-20માં હાજર નથી રહ્યા તેનો અર્થ એ થાય કે ભારતે સરહદ પર તનાવ માટે તૈયાર રહેવું પડશે. સામે પક્ષે ભારત પણ તેનું વલણ સખ્ત કરશે. સરવાળે ભારત-ચીનના સંબંધોની ખાઈ વધુ પહોળી થશે.

લાસ્ટ લાઈન :

“આંતરરાષ્ટ્રીય સંબંધો અને માફિયા વચ્ચે વધારે પડતી જ સમાનતા હોય છે”

− નોમ ચોમ્સ્કી, અમેરિકન રાજકીય વિચારક

(પ્રગટ ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 10 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

11 September 2023 Vipool Kalyani
← દેવીદેવતાઓ દર્શન માટે છે, દેખાડા માટે નથી …
ચાલો, હરારી પાસે – 19 : ‘એ.આઇ.’ જોડે મારી વાતચીત  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved