Opinion Magazine
Number of visits: 9504408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યારાના વિદ્યાવતીએ આલેખેલાં સમૃદ્ધ વ્યક્તિચિત્રોનો સંચય

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 August 2023

પુસ્તક પરિચય

દક્ષાબહેન વ્યાસ

‘પથપ્રદીપ’ વ્યારાના વિદુષી દક્ષાબહેને આલેખેલાં સત્તાવીસ વ્યક્તિચિત્રોનો સંચય છે. લેખિકા નિવેદનમાં જણાવે છે કે ‘મારા ઘડતર અને વિકાસમાં સીધી કે આડકતરી રીતે ભાગ ભજવનારા અને મને આપ્તજન ગણનારા કેટલાક ગુરુજનોની હૃદયસ્થ છવિઓ અહીં અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે.’

અહીં દક્ષાબહેનનાં અધ્યાપકો, શાળાશિક્ષકો, માતપિતા અને વિદ્યાગુરુઓ છે. જાણીતા સાહિત્યકારો ઉપરાંત વ્યારાના જાહેરજીવનના સેવકોના વ્યક્તિચિત્રો પણ આલેખાયાં છે. દક્ષાબહેને પ્રાસાદિક શૈલીમાં વ્યક્ત કરેલા આદર અને કૃતજ્ઞતાભર્યા હૃદયભાવની સાચકલાઈ વાચકને પહોંચે છે. 

બ્યાશી વર્ષની વયે પણ સામાજિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય વિવેચક-સંશોધક-અનુવાદક-સંપાદક દક્ષાબહેનના સદભિ: સંગના નિમિત્ત અનેક છે.

સૂરતની એમ.ટી.બી. કૉલેજના પ્રવેશ ટાણે ‘પરમ આદરણીય મનીષી’ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પહેલવહેલાં નિકટદર્શન થયાં, અને પછી આ મૂર્ધન્ય વિવેચકના માર્ગદર્શનનો લાભ દક્ષાબહેનને મળતો જ રહ્યો.

કૉલેજના આચાર્ય હતા ‘સદભાવ સભર મહેતા સાહેબ (કુંજવિહારી મહેતા)’. ‘એમની ધાક નહીં, પણ પ્રભાવ અને પ્રેમ’. આ કૉલેજના અધ્યાપક અને ગુજરાતીના જાણીતા કવિ જયંત પાઠક ‘વિદ્યાગુરુ પાઠક સાહેબ’ તે દક્ષાબહેનના સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા પરના પીએચ.ડી. સંશોધનના ગાઇડ.

થિસીસ પરથી પ્રસિદ્ધ થયેલું પુસ્તક ગુજરાતી વિવેચનમાં મહત્ત્વનું ગણાય છે. ગાઇડે થિસીસ પર ‘પાંચમા લખાણે સ્વીકૃતિની મહોર’ મારી. તે થિસીસ લખવામાં ‘વાત્સલ્યમૂર્તિ હીરાબહેન પાઠક’ના સતત ધક્કા અને માર્ગદર્શન મોટું પરિબળ હતાં. દક્ષાબહેને પીએચ.ડી. માટેના સંશોધનનો ઉલ્લેખ સાત વ્યક્તિચિત્રોમાં કર્યો છે.

પોરબંદરની કૉલેજમાં અધ્યાપન દરમિયાન એક વાર કાર્યક્રમના વક્તા ‘સૌહાર્દપૂર્ણ મહામના ગુલાબદાસ બ્રોકર’નો પરિચય દક્ષાબહેનને આપવાનો આવ્યો.

એ કૉલેજના આચાર્ય હતા ‘સૌજન્યમૂર્તિ રમણલાલ ઉમરવાડિયા’, સંસ્થાના આધારસ્તંભ હતા ‘વાત્સલ્યમૂર્તિ બાપુજી : શેઠશ્રી નાનજી કાળિદાસ મહેતા’ અને સંસ્કૃતના બહુશ્રુત અધ્યાપક ‘સાત્ત્વિકતાની અનોખી પ્રતિમા : શંકરદેવ વિદ્યાલંકાર’. આ ત્રણેય વ્યક્તિઓ અહીં છે.

દક્ષાબહેનને તેમની ‘સિસૃક્ષાને ઉજાગર કરનારા’ સંપાદકો મળ્યા – ‘ઋજુહૃદયી શાલીન ભગવતી કુમાર શર્મા’ અને ‘સ્નેહસભર પ્રબોધભાઈ રમણલાલ જોશી’.

‘શબ્દયાત્રાના સંગાથી : નવીન કા. મોદી’ સાથે શાળાકાળથી ‘જોગાનુજોગ મૈત્રીના તાણાવાણા બંધાયા’. નવીનભાઈએ દક્ષાબહેનનો પીએચ.ડી. થિસિસ કલાકો વીતાવીને ટાઇપ કરાવેલો.

લેખિકાની કલમે ‘નખશીખ સજ્જન જયંત પંડ્યા’ અને ‘સંસ્કૃતિપુરુષ દર્શક’ મળે છે. પ્રાસયુક્ત પદાવલીઓમાં તેઓ દર્શક વિશે લખે  છે : ‘સાંપ્રત સાથે સાતત્યપૂર્વક રહીને તેઓ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને ઉપાસતા રહ્યા અને પ્રશિષ્ટતાને પ્રતિબિબિંત કરતા રહ્યા.’

વ્યારાના લોકો માટે દક્ષાબહેને કરેલું યાદગાર કામ એટલે ‘અરધી-પોણી સદી પહેલાંના આ ધુળિયા ગામ’ના શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયની કાયાપલટ. તેના પર તેમણે ‘યાત્રાપથ’ પુસ્તક પણ લખ્યું છે.

ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિ લોકકેળવણી સુધી વિસ્તરી. દક્ષાબહેને ગામીત આદિવાસી સમુદાય પર પણ સંશોધન કર્યું છે. દક્ષાબહેનને અનાથ બાળકો, બાળમજૂરો, અપરાધમાં આવેલાં બાળકો અને  સેક્સ વર્કર્સના સંતાનો માટે પણ કામ કર્યું છે.

અખિલ હિંદ મહિલા પરિષદના ભગિની સમાજના વ્યારા એકમમાં તેમણે મહિલાઓને બૌદ્ધિક પ્રવૃત્તિ તરફ વાળવાના ઉપક્રમો ચલાવ્યાં અને મહિલાઓ માટે નિ:શુલ્ક કાનૂની સહાય કેન્દ્રમાં છ વર્ષમાં છસોથી વધુ કેઇસેસ પર કામ કર્યું.   

તેમના આ પાસા વિશે બારડોલીના અંગ્રેજીના અધ્યાપક અને સાહિત્યના અભ્યાસી સંધ્યા ભટ્ટે લીધેલી અને ઑક્ટોબર 2016ના ‘શબ્દસૃષ્ટિ’માં પ્રસિદ્ધ થયેલી તેમની મુલાકાતમાં જાણવા મળે છે.

‘વ્યારા મારું વતન એટલે એના કણ કણ માટે વહાલ જાગે. એના વિકાસ-રકાસથી આંદોલિત થવાય. આ વતનની લાગણીની માપણી ન થાય’, એમ કહેનાર દક્ષાબહેન વ્યારાના સાર્વજનિક જીવનનો આદરપાત્ર હિસ્સો હોય તે સ્વાભાવિક છે.

એટલે વ્યારાના ત્રણ સામાજિક કાર્યકરો પણ અહીં છે : ‘સૌના લાડકવાયા ડૉ. મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ’, ‘સારસ્વત ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ’ અને ડૉ. માર્કંડ નરેન્દ્ર ભટ્ટ.

‘ગુરુકૃપા હિ કેવલમ’માં શાળા અને કૉલેજમાં લેખિકાના સત્તરેક શિક્ષકોનો મિતાક્ષરી પરિચય છે. છેલ્લો લેખ માતાપિતા પરનો છે. તેમાં માતુશ્રી સરસ્વતીબહેનની મહત્તા ઉપરાંત તેમણે માંદગીઓ અને સારવારમાં વેઠેલી યાતનાઓનું  બયાન સ્પર્શી જાય છે.

પુસ્તકનાં પાત્રો એકંદરે ચીલે ચાલનારા અને સપાટ છે, પણ તેમની વચ્ચે નોખાં તરી આવે છે ઉપેક્ષિત વાર્તાકાર તેમ જ શિક્ષણસંશોધક પ્રફુલ્લ દવે ઉર્ફે ઇવા ડેવ, અને રૅશનાલિસ્ટ રમણ પાઠક. ‘વાગ્દેવીના વિરલ વાણોતર : મહેન્દ્ર મેઘાણી’નું અત્યંત ઉચિત ગૌરવ અહીં થયું છે.

તેમના નાના ભાઈ ગ્રંથવિદ અને પ્રકાશક ‘જયંત મેઘાણી : શીલ સુવાસિત વ્યક્તિત્વ’ આ સંચયનું સૌથી સુંદર શબ્દચિત્ર છે. તેની નજીક વ્યારાના અંગેજીના શિક્ષક વિનુભાઈ મજમુદાર છે.

લગભગ દરેક શબ્દચિત્રમાં નાયક/નાયિકાના કદકાઠી, વરણવેશ અને વાણી-વ્યવહાર-વર્તનનું વર્ણન છે. કેટલાકને પહેલવહેલા કેવી રીતે નજીકથી મળવાનું બન્યું તેની મુગ્ધતાભરી સાંભરણો છે.

તદુપરાંત વ્યક્તિઓની સાહિત્યિક કે બૌદ્ધિક ઊંચાઈ તેમ જ તેમની ઉમદા ક્ષણો લેખિકા અસરકારક રીતે નોંધે છે. ઇવા ડેવ કે ગાંડુભાઈ દેસાઈ જેવામાં ક્વચિત લોકાપવાદના ઇંગિતો પણ છે. દર્શક, વર્ષા અડાલજા અને ડૉ. મહેન્દ્રભાઈના સમગ્ર પ્રદાનનું અવલોકન છે.

વ્યક્તિચિત્રોમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી મળી આવે છે. જેમ કે ર.વ. દેસાઈના ‘પૂર્ણિમા’ નાટકમાં વર્ષાબહેને રાજેશ્વરીનો અભિનય એટલી તન્મયતાથી કર્યો કે એમના પિતા ગુણવંતરાય આચાર્યને તેમની દીકરી સાચેસાચ નાચનારી બની છે એવી લાગણી થઈ અને હૃદયરોગનો હુમલો આવ્યો.

ડૉ. મહેન્દ્રભાઈ ‘લાંચ લેવી ફરજિયાત જેવી બની જતાં હોમિયોપાથિક કૉલેજ બંધ કરવાનો નિર્ણય કર્યો.’ વ્યારાની શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રવાસ દરમિયાન આદિવાસીઓએ ગેરસમજથી કરેલા હુમલામાં એક વિદ્યાર્થી મૃત્યુ પામ્યો. તેનાથી આઘાત પામેલા બે શિક્ષકો ઇશ્વરભાઈ દેસાઈ અને પટેલ સાહેબ પોતે જ શાળા છોડીને ચાલ્યા ગયા.

સહવાસચિત્રો અને સંસ્મરણો ઉપરાંત ‘મૂલ્યવાન ખજાનાની પેઠે’ જાળવેલા પત્રો પુસ્તકની વાચનીયતામાં ઉમેરો કરે છે. લેખિકાએ ચરિત્રનાયકોના ટાંકેલા ભાવવાહી પત્રો તેમને ડૉક્ટરેટ માટે માર્ગદર્શન કે અભિનંદન આપતાં, થિસીસ માટે કે પુસ્તકની પ્રશંસા કરનારા અને તેમની નાજુક તબિયતની ચિંતા બતાવનારા છે. વર્ષાબહેનના જીવનકાર્ય પરના લેખનો ઘણો હિસ્સો પત્ર દ્વારા પ્રશ્નોત્તરીને આધારે લખાયો છે.

પત્રોની જેમ કેટલીક વ્યક્તિઓનો અંત પણ વ્યક્તિચિત્રોનો હૃદયસ્પર્શી હિસ્સો છે. હીરાબહેનની અને ઉમરવડિયાની કૅન્સરના છેલ્લા દિવસોમાં અસ્પતાલોમાં થયેલી મુલાકાતનાં ટૂંકા વર્ણનો છે. આખરી વર્ષોની લાચાર અવસ્થામાં રમણ પાઠકની તાકાત અને નવીનભાઈની ધીરજ લેખિકા નોંધે છે.

દર્શકના અવસાન પર એ લખે છે : ‘કેટકેટલું સંચિત એમની સાથે જ ચાલ્યું ગયું’. ‘જયંત મેઘાણીની શીલસુવાસિત હસ્તી કમ્પ્યૂટર પર કામ કરતાં કરતાં જ પરધામે પહોંચી ગઈ’. જયંત પાઠકે ક્યારેક લખેલી પંક્તિ શબ્દશ: સાચી પડી : ‘બસ, આમ જ હીંચકે ઝૂલતાં ઝૂલતાં જાય મીંચાઈ આંખ’.

અદકી, ઓળઘોળ, સવાદિયા જેવા શબ્દો મળે; તો બીજી બાજુ પટુકરણ, સુસ્વતા, વૈખરી, પદસંચાર, સિસૃક્ષા, અશેષપણું જેવા શબ્દો. શબ્દસમૂહો કે વાક્યો પણ કેવાં ?- ‘ચૂંધી એવી કે મસોતું પણ ઉજળું દૂધ’, ‘કાળે બહુ વહેલા અંગુઠે વાઢ મેલ્યો’, ‘મરવાનું મન થાય તેવી સ્મશાનભૂમિ’ ‘વિદ્યાર્થી પર હાથ ઉગામવાનું સપનું પણ એમને નહીં આવ્યું હોય’; બીજી બાજુ, ‘ગુરુમહિમા ગળથૂથીમાં ઊતરેલો’ અને ‘અનાહત નાદનો અનુભવ’.

પુસ્તકના મુખપૃષ્ઠ પર નાની પણ સ્વચ્છ છબિઓ કોલાજના કેન્દ્રમાં પુણ્યશ્લોક મહેન્દ્ર મેઘાણી છે. ઓછા સ્પેસિંગ અને ચુસ્ત કમ્પોઝીંગ છતાં 160 પાનાનું ‘પથપ્રદીપ’ પુસ્તક વાચનક્ષમ બન્યું છે. અલબત્ત, ઘડાયેલા વાચક-સંપાદકને કેટલીક મર્યાદાઓ નજરે ચડવાની.

સ્વામી આનંદના ‘ધરતીની આરતી’, વાડીલાલ ડગલીના ‘થોડા નોખા જીવ’ કે રઘુવીર ચૌધરી ‘સહરાની ભવ્યતા’ પુસ્તકોમાં આલેખાયેલાં વ્યક્તિચિત્રો/ચરિત્રલેખો પછીની હરોળમાં મૂકી શકાય તેવું આપણા સમયનું, વ્યક્તિચિત્રોનું આ એક નોંધપાત્ર પુસ્તક છે.

[પ્રકાશક :શબ્દલોક પ્રકાશન, 760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ 380001, પાનાં 160, રૂ.200/-]

[1000 શબ્દો]
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલા મારા લેખની વિસ્તૃત વર્ઝન]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 August 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે – 14
અમેરિકન લોકતંત્ર બરાબર વમળમાં ફસાયું છે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved