Opinion Magazine
Number of visits: 9446689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એક અનોખો રાજવી’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|23 April 2023

પુસ્તક પરિચય 

‘એક અનોખો રાજવી’ : મૂળ લેખક – રાજમોહન ગાંધી : અનુવાદ – અશોક મેઘાણી : નવજીવન પ્રકાશન, ફેબ્રુઆરી 2023, પાનાં : 272, કદ : રૉયલ, પેપરબૅક કિં. રૂ. 375/-

‘કળિયુગના હરિશ્ચન્દ્ર’ના વિસ્તૃત અંગ્રેજી જીવનચરિત્રનો ઉત્તમ ગુજરાતી અનુવાદ

‘એક અનોખો રાજવી’ પુસ્તક ગરાસદાર સ્વાતંત્ર્યસૈનિક દરબાર ગોપાળદાસ દેસાઈ(1887-1851)ના, રાજમોહન ગાંધીએ લખેલા વિસ્તૃત જીવનચરિત્ર The Prince of Gujarat : The Extraordinary Story of the Prince Darbar Gopaldas Desai (2014)નો અમેરિકા-સ્થિત અશોક મેઘાણીએ કરેલ ખૂબ વાચનીય અનુવાદ છે.

અનુવાદકના પિતા ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’ નવલકથામાં ‘દરબારશ્રીના જીવનમાંથી પ્રેરણા લઈને સર્જેલી વિભૂતિ’ એવા સુરન્દ્રદેવજીનું પાત્ર ઊભું કર્યું છે.

ગુજરાતના સેંકડો રજવાડાંના શાસકોમાંથી ગોપાળદાસ સંભવત: એકમાત્ર રાજા હતા કે જેમણે આઝાદીની લડત માટે પોતાની રિયાસતનો ભોગ આપ્યો. લડતમાં ભાગ લેવા બદલ અંગ્રેજ હકુમતે સૌરાષ્ટ્રના ઢસા અને રાયસાંકળી તેમનું રાજ જુલાઈ 1922માં જપ્ત કર્યું.

એ રાજ તેમણે કુટુંબ કલહ તેમ જ કાવતરાં વચ્ચે કુનેહપૂર્વક મેળવ્યું હતું, અને તેનું પ્રગતિવાદી મૂલ્યોને અમલમાં મૂકીને જતન કર્યું હતું, જે રાજમોહને અનુક્રમે ત્રીજા અને ચોથા પ્રકરણમાં વર્ણવ્યું છે.

ઉપરાંત, તેઓ એવા પણ એક માત્ર રાજા હતા કે જેમણે રાજ્ય પાછું મેળવ્યા બાદ કોઈ પણ શરત કે વળતર વિના તરત જ મે 1947માં ભારતીય સંઘરાજ્યમાં ભેળવી દીધું હોય.

મોટા ભાગના રજવાડા રૈયતલૂંટ, ઐયાષી અને અંગ્રેજોની કદમબોશી કરી રહ્યા હતા, તેવા સમયે એક વાર ‘પોતાની પ્રજા અને બીજાની મદદ માટેના ખર્ચ પાછળ ગોપાળદાસે લગભગ એક લાખ રૂપિયાનું કરજ કર્યું હતું’ અને ‘કુટુંબનાં ઘરેણાં વેચીને એ દેણું ચૂકતે થયું’.

સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેને ગોપાળદાસને ‘કળિયુગના હરિશ્ચન્દ્ર’ કહ્યા છે. ‘પટેલબંધુ’ નામના સામયિકના 1922ના ઉનાળામાં પ્રસિદ્ધ થયેલા અંકમાં મણિબહેને એમના લેખમાં ગોપાળદાસનું આ મુજબનું ગૌરવ કર્યું છે, એમ રાજમોહન ટાંકે છે.

લેખક પ્રસ્તાવનામાં નોધે છે : ‘ભારતનો મોટો ભાગ આ માણસના જીવનમાં બનેલી અસાધારણ ઘટનાઓ અને એમના અદ્દભુત પ્રદાન વિશે અજ્ઞાત કેમ છે ?’ પુસ્તકના પોણા ત્રણસો વિગતસભર પાનાંમાંથી પસાર થતાં આ સવાલ બિલકુલ પ્રસ્તુત લાગે છે.

પુસ્તકના 45 પાનાંના ત્રીજા પ્રકરણ ‘તાલુકદાર એની પ્રજા અને રાજ 1912-1991’માં ગોપાળદાસના શાસનકર્તા તરીકેના સંખ્યાબંધ ઉજળા પાસાંનું વિવરણ થયું છે.

જેમ કે, આઝાદી પૂર્વે ગરાસની જમીન અને મકાનો એ રાજાની માલિકીના ગણાતા એ ઐતિહાસિક હકીકતનો ઉલ્લેખ કરીને લેખક નોંધે છે : ‘ગોપાળદાસે ખેડૂતોને તેમની જમીન અને ઘરની માલિકી સોંપી દીધી’.

ભારતમાં બંધારણીય રીતે છેક 1992માં આવેલું પંચાયત રાજ ‘ઢસામાં 1915’માં આવી ગયેલું. સૌરાષ્ટ્રનો 1950ના દાયકાનો જમીનસુધારો લાવ્યા ગોપાળદાસે ‘વર્ષો પહેલાં પોતાનાં તાલુકાઓમાં દાખલ કરેલો’.

તેમણે ખેડૂતોને શાહુકારના દેવા અને ચૂકવાણાની બાબતે પારદર્શક ન્યાયપૂર્ણ પદ્ધતિ દાખલ કરી. તેમની પરનું રાજ્યનું દેવુ માફ કર્યું, દુકાળમાં તેમને સહાય કરી અને તેમનો પાક ચોરીથી બચે તેવો પ્રબંધ કર્યો.

સુધારક શાસક ગોપાળદાસે કોલ્હાપુરના શાહૂ મહારાજની જેમ હંમેશાં અંત્યજોને સમાન દરજ્જો આપતી નીતિઓ કુનેહપૂર્વક ઘડી. તેમાં સાર્વજનિક કૂવા પરથી દલિતો માટે પાણીથી લઈને સમાવેશી અત્યંજ પરિષદોના સફળ આયોજન સુધી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

‘દીકરીને હું દલિત છોકરા સાથે પરણાવીશ’ એવી ઇચ્છા તેમણે પત્ની ત્રણ દીકરાના જન્મ પછી ગર્ભવતી હતાં ત્યારે જાહેર કરી હતી. તેમનાં સ્વતંત્રમતિ, સ્વમાની પત્ની ભક્તિલક્ષ્મી પણ ગાંધીવારસાનાં એક અગ્રણી નારીરત્ન ગણાય છે. કન્યાકેળવણી અને નારીસન્માન, પુસ્તકાલય પ્રવૃત્તિ અને કોમી એખલાસ માટે તેમણે કરેલાં કામ નોંધપાત્ર છે.

પોતાની જનતાની નજીક જઈ શકાય તે માટે તેઓ લોકો વચ્ચે જઈને ચોપાટ રમતા, નાચગાન કરતા, અંત્યજો સાથે રાસડા લેતાં નીચે પણ નમતા. લોકોની નાડ પારખવા તેમણે વેષાંતરમાં કરેલા વિહારના કિસ્સા પણ લેખકે નોંધ્યા છે.

મન-વચન-કર્મથી પોતાનું ‘રાજાપણું’ છોડી ચૂકેલા શાસક લોકો સામે મુગટ નહીં, ગાંધી ટોપી પહેરીને જતા. તેઓ ક્યારે ય કોઈને તુકારે બોલાવતા નહીં. સરદાર પટેલે કહ્યું હતું કે પગપાળા ચાલે છે.

રાજ્ય જપ્ત થયું ત્યારે દરબારને લોકોએ આપેલા ટેકાના અને પાછું મળ્યું ત્યારે તેમણે કરેલા ઉજવણાના રોમહર્ષક વર્ણનો રાજમોહને આપ્યાં છે.

આઝાદી ચળવળમાં શરૂથી લઈને બંધારણ સભાના સભ્યપદ સુધીના લગભગ દરેક તબક્કામાં ગુજરાતમાં ગોપાળદાસના પ્રદાનનું રાજમોહને વિશ્લેષણ કર્યું છે. તેમાં પ્રારંભિક તબક્કે પ્રજા અને પરિવાર માટેની ચિંતાને કારણે તેમણે અનુભવેલી ખેંચતાણનું બયાન રસપ્રદ છે.

રાજ્ય જપ્ત થયું તે પહેલાં અંગ્રેજ સરકારના અધિકારીઓની તેમ જ એજન્ટો જોહુકમીભર્યાં ફરમાનો અને માગણીઓ સામે તેઓ કેવા અણનમ રહ્યા તેના ઉત્તેજનાપૂર્ણ કિસ્સા લેખકે નોંધ્યા છે.

ગોપાળદાસ અને ભક્તિલક્ષ્મીએ કેટલી ય વખત જેલ ભોગવી. સ્વાતંત્ર્ય સંગ્રમાના હજારો પરિવારોની જેમ ગોપાળદાસના ચાર પુત્રો સહિતના પરિવારના વિચ્છેદ અને આંશિક ફેરમેળાપને લેખકે સંયત સંવેદનશીલતાથી નિરૂપ્યો છે.

પુસ્તકની શરૂઆતમાં, છેક પ્રાચીન સમયથી ઓગણીસમી સદીના ગુજરાતની રૂપરેખા મળે છે. ત્યાર બાદ નાયકના જીવનને સમાંતરે સ્વાતંત્ર્ય-સંગ્રામનો આલેખ પણ છે.

મુખ્યમંત્રીપદનો અસ્વીકાર કરીને પણ ત્રીજા-ચોથા દાયકાના ગુજરાતના રાજકરણમાં ગોપાળદાસની ભજવેલી નિર્ણાયક ભૂમિકા વિશે પણ વાંચવા મળે છે.

પ્લેટોના ફિલોસૉફર કિન્ગની વિભાવનાની આછેરી ઝલક આપતા ગોપાળદાસના અનેક માનવસહજ પાસાં પણ જોવા મળે છે : એક પરિવારજનના ઝેરપ્રાશન જેવાં બાળપણના પ્રસંગની અસર, અંગ્રેજોની કેટલીક બાબતો માટે માન, હોકા-સિગરેટ-ચાનાં બંધાણ, હૃદયનો વ્યાધિ, રમૂજવૃત્તિ, વાળની માવજત અને અન્ય.

વિશ્વકક્ષાના સંશોધક રાજમોહને સરદાર પટેલ સહિત છ અગ્રણી ભારતીયોના પૂરાં કદનાં ચરિત્રો લખ્યાં છે.

સન્નિષ્ઠ અનુવાદક અશોક મેઘાણી તેમના પિતાના ચાર પુસ્તકો (‘સંત દેવીદાસ’, ‘વેવિશાળ’ અને ‘રંગ છે બારોટ’) ઉપરાંત કાકા કાલેલકરના ‘હિમાલયનો પ્રવાસ’ને અંગેજીમાં લઈ ગયા છે.

તાજેતરમાં અશોકભાઈ કર્મશીલ મિત્તલ પટેલના ‘સરનામાં વિનાનાં માનવી’ પુસ્તકનો દિવંગત જયંત મેઘાણીએ કરેલા અનુવાદને પૂર્ણતાએ લઈ ગયા છે, જે નવજીવને બહાર પાડ્યો છે.

પ્રસ્તુત પુસ્તક એ તેમનો પહેલો ગુજરાતી અનુવાદ છે. અશોકભાઈએ અનુવાદની ગુણવત્તાની બાબતમાં નક્કી કરેલા, ‘બીજી ભાષામાંથી થયેલો અનુવાદ છે એવો વાંચનારને ખ્યાલ પણ ન આવે’ એ માપદંડ અનુસાર આ ‘સારો અનુવાદ’ છે, ખરેખર તો ઉત્તમ અનુવાદ છે.

રાજમોહને નોંધ્યું છે તેમણે આ પુસ્તક ‘ગોપાળદાસની યાદને અત્યાર સુધી નહીં મળેલો ન્યાય મેળવવાના પ્રયત્ન તરીકે’ લખ્યું છે. લેખકે ન્યાય અપાવ્યો છે. 

[વિશ્વ પુસ્તક દિન, 2023]

-X-X-X-X-

પ્રાપ્તિસ્થાન : 

[1] ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

[2] નવજીવન, સંપર્ક : 079-27540635, 27542634

[‘દિવ્ય ભાસ્કર’માં આજે [23 ઍપ્રિલ 2023] આવેલા પુસ્તક પરિચયમાં થોડાં ઉમેરણ સથેનો લેખ, 800 શબ્દો] 
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

23 April 2023 Vipool Kalyani
← લોકસભા ચૂંટણી 2024 : મંડલ-કમંડલ પાર્ટ-2
લોકશાહીમાં મતભેદો તો હોય, પણ તેથી કૈં વડાપ્રધાનને મોતની ધમકી ન અપાય … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved