Opinion Magazine
Number of visits: 9447110
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જય જય ‘વરવી’ ગુજરાત …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 December 2022

નર્મદની માફી સાથે કહેવું પડે છે કે એની ‘જય જય ગરવી ગુજરાત’ આજે ઘણી બધી રીતે ‘વરવી’ ગુજરાત થઈ ગઈ છે. એનો સો ટકા આનંદ છે કે ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભા.જ.પ.નું શાસન ફરી એક વાર સ્થપાયું છે ને ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ ‘ગુજરાતના નાથ’ બન્યા છે. એમને અને એમનાં મંત્રીમંડળને, વચ્ચે કોઈ બદલાવ વગર, પૂરો કાર્યકાળ ગુજરાતની સેવા કરવાનો મળે એવી શુભેચ્છાઓ પાઠવીએ. ગુજરાતી પ્રજા જે રાજકીય પરિણામો આપે છે તે આખા દેશની દિશા નક્કી કરવામાં માર્ગદર્શક બની રહે છે. દેશના વડા પ્રધાન ગુજરાતના છે ને તેમણે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઝળહળતું કર્યું છે તે હવે કોઇથી અજાણ્યું નથી. ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય સ્તરે તો ચમકી જ, પણ તેણે વૈશ્વિક સ્તરે ઑસ્કારનું બારણું ય ખખડાવ્યું છે તેની નોંધ લેવી પડે. એ કેમ ભુલાય કે દેશનો રાષ્ટ્રપિતા એક ગુજરાતી છે ને એ એક જ છે. એનો આનંદ છે કે એ રાષ્ટ્રપિતા તો વૈશ્વિક પિતાની ગરજ પણ સારે છે. ભારતનો લોખંડી પુરુષ પણ એક જ છે ને તે પણ ગુજરાતી છે. આ બંને ગુજરાતીઓએ આમ તો વકીલાત દેશ-વિદેશમાં કરી, પણ ભણ્યા ગુજરાતમાં ને ગુજરાતીમાં. ગાંધીજીએ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી, પછી તેનાં અનેક ભાષાઓમાં અનુવાદ થયા. વધારામાં, નવસારીના દાદાભાઈ નવરોજીએ માર્ચ, 1856થી 1865-‘66 દરમિયાન લંડનની યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના, હા, ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. એક સમયે લંડનમાં ગુજરાતી ચાલ્યું, પણ ગુજરાતમાં હવે ગુજરાતી શીખવામાં ગુજરાતીઓને નાનમ લાગે છે. ભારત ગુલામ હતું ત્યારે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરાવી અને ભારત આઝાદ થયું, ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો ને કરુણતા એ છે કે ગુજરાતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો સરકાર જ બંધ કરી રહી છે. ગુજરાતમાં માતૃભાષા તરીકે ગુજરાતી નહીં ભણાવાય તો શું બંગાળ, મહારાષ્ટ્રમાં ભણાવાશે? બીજી તરફ આપણે લવારા કરતા રહીએ છીએ કે ‘જય જય ગરવી ગુજરાત’, તો સીધું પૂછવાનું થાય કે ગુજરાતને આપણે ગરવી રહેવા દીધી છે ખરી? જો ગરવી હોય જ તો ગુજરાતમાં ગુજરાતીનો આટલો અનાદર કેમ?

શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા અંગે હાઇકોર્ટમાં થયેલ એક પી.આઈ.એલ.માં સ્પષ્ટ કહેવાયું છે કે ગુજરાતની 15 શાળાઓમાં ગુજરાતી ભણાવાતું જ નથી, એ મામલે હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા અંગે સરકારે નીતિ ઘડેલી છે, તો દરેક શાળામાં ગુજરાતી ભણાવાય તેની સરકારે તાકીદ કરવાની રહે ને જે શાળાઓ આ નીતિનો અમલ કરવામાં અખાડા કરતી હોય તેની સામે કડક પગલાં ભરવાનાં રહે. જો શાળાઓ સરકાર પાસેથી લાભ મેળવતી હોય તો શાળાની ગુજરાતી ભણાવવાની નીતિનો અમલ જે તે શાળાએ કરવાનો રહે જ. સરકારથી તેની જ નીતિનો અમલ ન કરાવાતો હોય તો હાઇકોર્ટ તેમાં દખલ કરશે ને એ અંગેનો સ્પષ્ટ નિર્દેશ આપશે એવું કોર્ટે કહ્યું છે. ખાનગી શાળાઓ કે બોર્ડ શાળાઓ ચલાવતાં હોય તો ગુજરાતી ફરજિયાતપણે ભણાવવાનું રહે જ છે એ કહેવાનું હોય નહીં, પણ સરકારે ઘડેલી નીતિનો અમલ કરાવવા હાઇકોર્ટે દખલ કરવી પડે એ કેવું?

હાઇકોર્ટને ખબર હશે જ, પણ ઘણાં નહીં જાણતા હોય કે અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં બાળકો શાળામાં ગુજરાતી બોલતાં પકડાય તો તેમને દંડ કરવામાં આવે છે. અહીં અંગ્રેજીનો મહિમા થાય એનો કશો વાંધો નથી, પણ ગુજરાતી ભાષાનું અપમાન એટલે છે કે તે બોલવાથી દંડ થાય છે ને આઘાતજનક એ છે કે ગુજરાતી બોલવા બદલ આ દંડ ગુજરાતમાં થાય છે અને વધારે આઘાત તો એ વાતે લાગે છે કે ગુજરાતીઓને એનો જરા જેટલો ય વાંધો નથી.

ગુજરાતી માધ્યમની સ્કૂલો તો બંધ થતી જ રહે છે, પણ જે સ્કૂલો ચાલે છે, એમાં પણ ગુજરાતી ભણાવવાની અનુકૂળતા નથી. એક તરફ ‘ભિક્ષાને બદલે શિક્ષા’નું સૂત્ર મુખ્ય મંત્રીએ આપ્યું હોય ને બીજી તરફ શાળાઓમાં ઓગણીસ હજારથી વધુ ઓરડાની અછત વચ્ચે શાળાઓ ચાલતી હોય એ પણ કમાલ જ છે ને ! રાજ્યની 700થી વધુ સ્કૂલો એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. એ પણ વિચિત્ર છે કે એક તરફ શિક્ષિત બેરોજગારો પાસે નોકરી નથી ને બીજી તરફ સ્કૂલો છે તો ભણાવવા માટે શિક્ષકો નથી. સરકારના કહેવા મુજબ બજેટમાં સૌથી વધુ જોગવાઇઓ શિક્ષણ માટે થાય છે, પણ વક્રતા એ છે કે સ્કૂલોમાં શિક્ષકોની જગ્યાઓ પુરાતી નથી. છેલ્લાં પાંચ વર્ષમાં 4 લાખથી વધુ નવા વિદ્યાર્થીઓએ સ્કૂલોમાં પ્રવેશ લીધો હોય, તો સરકાર એવું કઇ રીતે કહી શકે કે વિદ્યાર્થીઓ નથી મળતા એટલે સ્કૂલો બંધ થાય છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ દાખલો લઇએ તો ગયા એપ્રિલમાં 15 સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવાયેલો જેમાં 11 સ્કૂલો અંગ્રેજી માધ્યમની હતી. બીજી તરફ ગયે વર્ષે 69 સ્કૂલો બંધ થઈ તેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો 50 હતી. વારુ, નવી સ્કૂલો ખોલવાની જેટલી અરજીઓ આવે છે એમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો ખોલવાની એક પણ અરજી નથી. આ વર્ષે પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થવાનું વલણ અટક્યું નથી તે પણ ખરું. અંગ્રેજી માધ્યમનો આટલો ક્રેઝ એ માધ્યમની સ્કૂલો ચલાવતા સંચાલકોનો પણ છે, કારણ એ લોકો વધુ ફી વસૂલવાની મોકળાશ અંગ્રેજી માધ્યમને નામે મેળવી લે છે. એવી કમાણી ગુજરાતી માધ્યમની સ્કૂલોને નથી. એનું એક કારણ પ્રાથમિક સ્કૂલો સરકાર ચલાવે છે એ છે ને એમાં ફી નથી લેવાતી એટલે એનું ભારણ સરકારને માથે રહે છે. સરકાર પણ ઈચ્છે છે કે એ બોજ માથેથી જાય. એ તો જ શક્ય છે, જો ખાનગી સ્કૂલો વધે ને સરકારી સ્કૂલો બંધ થાય. બીજી ખાસ વાત એ પણ ખરી કે ઘણી બધી ખાનગી સ્કૂલો ખાનગીમાં મંત્રીઓ ને તેમના મળતિયાઓ ચલાવે છે. એમનો નફો ચાલુ રહે એટલે પણ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલોને ઉત્તેજન અપાતું રહે છે. અહીં અંગ્રેજી જાણવા-ભણવાનો જરા જેટલો પણ વાંધો નથી. વાંધો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થવા જઈ રહી છે, એનો છે. ગુજરાતી જાણનાર મહાન થઈ જ ન શકે એવો જે ભ્રમ ઊભો થઈ રહ્યો છે તે ઠીક નથી. નર્મદ કે ગાંધી ગુજરાતી હોવાને કારણે પાછળ પડ્યા નથી. ટાગોર કે અમર્ત્ય સેન બંગાળી હોવાને કારણે શરમાયા નથી, તિલક કે ગોખલે મરાઠી હતા એ વાત એમને ક્યારે ય નડતરરૂપ બની નથી. ટૂંકમાં, જે તે માતૃભાષાએ કોઈ પણ મહાન વ્યક્તિત્વને અવરોધ્યું નથી, તો ગુજરાત સરકાર જ કેમ અંગ્રેજીનો આટલો મહિમા કરીને લઘુતા અનુભવે છે તે નથી સમજાતું.

અંગ્રેજી માધ્યમને પોષનારા વાલીઓનો પણ તોટો નથી. કેવળ ગુજરાતી માધ્યમની સૂગ ગુજરાતીઓને છે એવું નથી. ગુજરાતીઓની રહેણીકરણી પણ ગુજરાતી રહી નથી. એટલા અક્કલવાળા લોકો છે જ કે શરીરનાં માપનાં કપડાં સીવવાને બદલે કપડાનાં માપનું શરીર ફેશનને નામે કરી રહ્યાં છે ને એને માટે જરૂર પડે તો સર્જરી કરાવવાનો ય તેમને વાંધો નથી. એ તો ઠીક, પણ ખાણીપીણીમાં પણ ગુજરાતીપણું ખાસ રહ્યું નથી. સાચું તો એ છે કે ગુજરાતમાં ગુજરાતી ખાણું બંધ થવા પર છે. લોકો પંજાબી ખાય છે, પણ કહેવાય છે ગુજરાતી, ચાઇનીઝ ખાય છે, પણ છે ગુજરાતી, સાઉથ ઇંડિયન હોટેલો ગુજરાતમાં છે એટલી સાઉથમાં ય નહીં હોય. અહીં જેટલું પંજાબી ખવાય છે, એટલું પંજાબમાં ગુજરાતી નહીં જ ખવાતું હોય. કેમ થાય છે, આવું? ગુજરાતીને ગુજરાતીપણું વ્હાલું કેમ નહીં હોય? શીખોને દાઢી, પાઘડી છે, સાઉથમાં મંત્રી ધોતી, લુંગીનો મહિમા કરશે, મહારાષ્ટ્રમાં પૈઠણીની કે માથે ટોપીની રીત હજી છે, ગુજરાતીમાં એવું બહુ જડતું નથી. આપણે તો ગરબાને પણ વેસ્ટર્ન કર્યા છે. ચણિયા-ચોળીવાળા ગરબા અમેરિકા કે ઈંગ્લેંડમાં ગવાય છે ને અહીં, વિદેશીપણું ઘૂસ્યા વગર રહ્યું નથી. અહીં પિત્ઝા, પાસ્તા, બર્ગરની બોલબાલા છે ને મૂઠિયાં, પાતરાં, ઢોકળાં, ફાફડાં, બટાકાવડાં, રોટલા, રોટલી, અથાણાં, પાપડ … અમેરિકામાં વિઝા મેળવી ચૂક્યાં છે. ગુજરાતીઓ વેપારી છે ને હજી એ સાચું છે, પણ બીજાની નકલ કરવામાં અને બીજાથી પ્રભાવિત રહેવામાં ગરવાપણું ઓછું બચ્યું છે એવું નથી લાગતું? ગુજરાતીપણું વિદેશમાં સાચવવામાં તો પૂરું ન થઈ જવું જોઈએ ને ! એ સ્થિતિમાં કયાં મોઢે ‘જય જય ગરવી ગુજરાત’ ગાવું એ પ્રશ્ન જ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ડિસેમ્બર 2022

Loading

19 December 2022 Vipool Kalyani
← ચીનનું વધુ એક છાંછિયું : ગલવાન પછી તવાંગ કેમ?
વિભાજન →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved