એચ.એલ. કૉમર્સ કૉલેજ(એચ.એલ.)માં અમારા અંગ્રેજીના પ્રૉફેસર ડૉ. એસ.ડી. દેસાઈસાહેબ ગઈ કાલે ઈશ્વરલીન થયા. સ્મરણોની આખી વણઝાર આંખ ને મન સમક્ષ ખડી થઇ ગઈ. ચિનુ મોદીનો શેર છે –
“એકસામટી ક્યાં આવે છે?
યાદોનાં તો ધાડાં છે.”
1982માં એચ.એલ.માં દાખલ થયો. સાહેબ અને પ્રૉફેસર એ.એમ. મહેતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઈન-ચાર્જ. પ્રથમ વર્ષે યુવક મહોત્સવમાં સુગમસંગીત હરીફાઈમાં હું પસંદ થયો ને પછી તો અમારી વચ્ચે એવો નાતો બંધાયો તે છેવટ સુધી એકબંધ રહ્યો. કોલેજકાળ દરમિયાન અમે કાવ્યગાનની સંસ્થા “સ્પંદન” સ્થાપેલી તેના દરેક કાર્યક્રમમાં સાહેબ હાજર હોય ને પ્રથમ હરોળમાં બેસીને અમને ઉત્તેજન આપે. 1991માં હું પ્રિન્સિપાલ સંઘવીસાહેબના આગ્રહથી એચ.એલ.માં વિઝિટિંગ ફૅકલ્ટીમાં વાણિજ્યિક કાયદો એ વિષય માટે જોડાયો. પછી તો સાહેબ સાથે મળીને એચ.એલ.માં અમે અનેક સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરી. દરેક રિહર્સલમાં સાહેબ છેક સુધી હોય.
કલાપ્રેમી અને સાચા અર્થમાં ભાવક એવા સાહેબ ઉત્તમ વિવેચક હતા. આનંદવર્ધને સહૃદયી ભાવક માટે કહ્યું છે કે સર્જકના હૃદય સાથે પોતાના હૃદયનું તાદાત્મ્ય સાધી શકે તે સહૃદયી ભાવક. આમ થાય ત્યારે ભાવક સર્જકની કક્ષાએ પહોંચે છે. સાહેબ એવા ભાવક હતા. દરેક કાર્યક્રમમાં આવે તો શ્રોતા તરીકે પણ સજ્જ થઇને આવે.
વિશ્વકોશમાં 2010થી શરૂ થયેલી મારી “કાવ્યસંગીતશ્રેણી”માં સાહેબ લગભગ છેક સુધી નિત્ય શ્રોતા હતા. “કાવ્યસંગીતશ્રેણી”માં પ્રત્યેક કવિના કૅન્વાસને સંગીતની નજરથી જોવાનો મારો પ્રયાસ હોય છે. જે કવિ ઉપર કાર્યક્રમ હોય તે કવિનાં સર્જનમાંથી પસાર થઈને જ સાહેબ શ્રોતા તરીકે આવતા. કાર્યક્રમમાં આવા ભાવકો હોય તો કલાકાર ન્યાલ થઇ જાય. દરેક કાર્યક્રમ પછી સાહેબ એનું તલસ્પર્શી વિવેચન કરતા અને પીઠ તો થાબડતા જ; પણ સ્તરમાં ઊંચે ને ઊંચે જવા માટે હંમેશાં પ્રેરણા ને પ્રોત્સાહન આપતા. દરેક કલાભાવક ને કલાવિવેચનના ક્ષેત્રમાં પ્રવેશવા ઇચ્છુક વ્યક્તિએ સંગીત,નૃત્ય અને નાટક ઉપરનાં સાહેબનાં વિવેચનોમાંથી પસાર થવું જોઈએ એવું મારું નમ્રપણે માનવું છે.
દરેક ગુરુપૂર્ણિમા અને સાહેબની દરેક વર્ષગાંઠે (2 નવેમ્બર) એમને હું યાદ કરતો તે એમને બહુ ગમતું.
2 ડિસેમ્બર વિશ્વકોશમાં “વિશ્વસંસ્કૃતિ દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસે સાધારણ રીતે વિશ્વની અન્ય ભાષાઓનાં કાવ્યોના ગુજરાતી અનુવાદો, જે ગેય હોય તે, સંગીતમાં હું રજૂ કરતો હોઉં છું. 2019માં સાહેબે કરેલો ડેવિડ હાર્કિન્સના એક કાવ્ય “She is gone”નો ગુજરાતી અનુવાદ મેં ગાઈને સાહેબને એક સરપ્રાઈઝ આપેલી તે સાંભળીને સાહેબના મુખ પરનો આનંદ હજી આંખ સમક્ષ છે. અનુવાદ મેં માત્ર ગિટારના લયે ગાયેલો. સાહેબે હરિગીત છંદનું મીટર વાપરીને (એ હરિગીત છંદ નહોતો પણ એના જેવું મીટર મને લાગેલું) પ્રિય વ્યક્તિના અવસાન પર એના સંગાથ બદલ આભાર માનતું આ કાવ્ય છે. સાહેબનો અનુવાદ “પરબ”માં પણ છપાયેલો. મારા માનવા પ્રમાણે સાહેબે મૃદુલાબહેનના અવસાન પછી આ અનુવાદ કરેલો તે અહીં પ્રસ્તુત કરીને સાહેબને અંજલિ આપું છું –
એ નથી …
એ નથી તો અશ્રુ સારું?
કે ખુશ રહું તે જીવિત છે?
આંખ મીંચું, પ્રાર્થું હું આવે ફરી મુજ પાસ એ ?
કે આંખ ખોલીને નિહાળું જે મને દેતી ગઈ?
ખાલી લહું મુજ હૃદય કે દેખી શકું એને નહીં?
કે પરસ્પર પ્રેમ અર્પ્યો તે છલોછલ અનુભવું?
કાલ જે હજુ આવશે તે ભૂલીને હું કાલમાં જીવ્યાં કરું?
કે કાલ કેવી ભવ્ય થાશે કાલથી, તે ઉજવું?
એ નથી તે યાદ તાખીને ફરું?
કે સ્મૃતિ હૃદયે ધરી તેને જીવિત રાખ્યાં કરું?
રોતો રહું બની ચિત્તશૂન્ય?
કે રહું હું રિક્ત આ મુખ ફેરવી?
કે કરું એ જે મને કરવા ચહે
હસતો રહું, જાગી જઈ, ને પ્રેમથી જીવિત રહું”
અંગ્રેજીમાંથી અનુવાદ : ડૉ. એસ.ડી. દેસાઈ
સાહેબની સ્મૃતિને વંદન
સૌજન્ય : અમરભાઈ ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર