Opinion Magazine
Number of visits: 9448503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સફાઈમાં ખુદાઈ જોનારા લોકસેવક બબલભાઈ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|13 October 2014

શારીરિક શ્રમથી કસાયેલું શરીર, બીજાને માટે ઘસાઈ છૂટવાની વૃત્તિવાળું મન અને અટપટા પ્રશ્નનો તોડ કાઢી શકે એવી તીક્ષ્ણ બુદ્ધિ – આ મારી કલ્પનાના સેવકની લાયકાત છે. ગ્રામસેવક આખરે તો પ્રજાનો સેવક છે. પ્રજા એની શેઠ છે. જે સેવકની જરૂરિયાત શેઠ કરતાં વધારે એની સેવા શેઠ કઈ રીતે લઈ શકે? સેવક તો એ કે જે વધારેમાં વધારે આપે અને ઓછામાં ઓછું લે."

રવિશંકર મહારાજે બબલભાઈ મહેતાના પુસ્તક 'મારું ગામડું'ની પ્રસ્તાવનામાં લોકસેવકની આવી વ્યાખ્યા આપી છે, પણ ખરું જોતાં તો આ બબલભાઈના વ્યક્તિત્વનો જ ચિતાર લાગે છે. બબલભાઈ ગુજરાતના એવા ઉચ્ચ કોટિના લોકસેવક હતા, જેમનું વ્યક્તિત્વ અને જીવન લોકસેવા કરવા તત્પર લોકો માટે એક આદર્શ પૂરો પાડે છે. ઉપદેશ નહીં પણ આચરણ થકી પ્રેરણામાં માનતા બબલભાઈનો ગંદકી સામેનો આજીવન સંઘર્ષ આજે સ્વચ્છ ભારત અભિયાનના દિવસોમાં યાદ આવ્યા વિના રહેતો નથી.

'સફાઈમાં જ ખુદાઈ'નો મંત્ર તેમણે માત્ર આપ્યો નહોતો, પરંતુ જીવી બતાવ્યો હતો. બબલભાઈ જેવો સ્વચ્છતા માટે સમર્પિત સેવક ગુજરાતમાં તો ઠીક આખા દેશમાં મળવો મુશ્કેલ છે. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે બબલભાઈએ જીભ કરતાં પોતાના હાથનો ઉપયોગ વધારે કર્યો હતો. કહેવાય છે કે બબલભાઈ પોતાની સાથે કાયમ એક ઝાડું રાખતા અને જ્યાં ક્યાં ય પણ કચરો કે ગંદકી જુએ ત્યાં જાતે જ સફાઈકામ કરવા મચી પડતા. ગાંધીસંસ્કારના આદર્શ લોકસેવક એવા બબલભાઈનાં પગલાં જ્યાં જ્યાં પડયાં ત્યાં ત્યાં સ્વચ્છતાનો ઉજાસ ફેલાયો હતો.

બબલભાઈ મહેતાનું નામ નવી પેઢીના લોકો માટે અજાણ્યું છે, એ આપણા સમાજની નબળાઈ અને નગુણાઈ જ કહેવાય. જીવનના અંતિમ શ્વાસ સુધી લોકસેવામાં વ્યસ્ત રહેનારા બબલભાઈ ન કોઈ સંસ્થાના સભ્ય બન્યા કે ન કદી કોઈ સંસ્થા કે તંત્રનું પદ સંભાળ્યું. આવા અકિંચન લોકનેતાને યાદ રાખવા અને યાદ કરતા રહેવામાં આપણા સમાજનો જ સ્વાર્થ છે. ૧૦મી ઓક્ટોબર, ૧૯૧૦ના રોજ સાયલા ખાતે જન્મેલા બબલભાઈનું બાળપણ તેમના વતન હળવદમાં વીત્યું હતું. માત્ર એક વર્ષની નાની ઉંમરે પિતા પ્રાણજીવનદાસના અવસાન પછી તેમનું લાલનપાલન માતા દિવાળીબાએ જ કરેલું. બબલભાઈના વ્યક્તિત્વ પર દિવાળીબાનો વિશેષ પ્રભાવ હતો, ખાસ કરીને તેમની સ્વચ્છતા અને કરકસરની બાબતમાં. પોતાની આત્મકથા 'મારી જીવનયાત્રા'માં તેમણે નોંધ્યું છે, "અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું નવું થઈ જતું. મને એ બહુ ગમતું. અમારા ઘરમાં વાસણ થોડાં હતાં પણ બા એ ઊટકીને ચકચકિત રાખતી … મારા ઘડતરમાં મારી બાનો બહુ મોટો ફાળો છે." બાના સુઘડતા-સ્વચ્છતાના ગુણોથી આકર્ષાયેલા-પોષાયેલા બબલભાઈને કદાચ એટલે ગાંધીજીનો ગ્રામસફાઈનો વિચાર વધારે સ્પર્શી ગયેલો. બબલભાઈ માસરા કે થામણામાં રહેતા હોય કે અન્ય ગમે તે ગામ કે શહેરમાં ગયા હોય, સવારના એકાદ-બે કલાક તો તેઓ ગ્રામસફાઈમાં જ ગાળતા હતા.

બબલભાઈએ 'મારું ગામડું' નામના પુસ્તકમાં 'ગ્રામસફાઈ'ના પ્રકરણમાં આપણા દેશનાં ગામડાંઓમાં ગંદકી કેવડી મોટી સમસ્યા છે, એ વિશે લખ્યું છે, "શું ગામડાંના લોકોની ગરીબાઈનો સવાલ નાનોસૂનો છે? એમની દેવાદાર સ્થિતિનો પ્રશ્ન ઓછો વિકટ છે? કે બધા એવી મહત્ત્વની વાતો છોડીને સફાઈ સફાઈ કરી રહ્યા છે! – ગામડાનો અનુભવ ન હોય એવો માણસ સહેજે આવું બોલી ઊઠે. પણ ગામડામાં જે ગયો છે અને ત્યાં જઈને રહ્યો છે એને પાકો અનુભવ થયો છે કે, ગામડાની ગરીબાઈ, દેવાદાર સ્થિતિ અને એ ઉપરાંત હાડમારીઓનો કાંઈ પાર નથી, પણ એ બધાથીયે આગળ વધી જાય એવો – આપણી આંખ ફાડીને અંદર પેસી જાય એવો – પ્રશ્ન ત્યાંની ગંદકીનો છે."

આજીવન ગંદકી સામે જંગ ચલાવનારા બબલભાઈના જીવન-કાર્યમાંથી ત્રણ સ્પષ્ટ સંદેશા મળે છે, જે સ્વચ્છ ભારતના અભિયાનને સફળ જ નહીં સાર્થક કરવું હોય તો ગાંઠે બાંધી રાખવા જેવા છે. એક, લોકોને ઠાલો ઉપદેશ આપી દેવાથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન આવી જવાનું નથી, ગંદકીની જાતે સફાઈ કરીને જ તેમને સફાઈ માટે સભાન-સક્રિય બનાવી શકાશે. બીજો, ગંદકી પ્રત્યે લોકોમાં સૂગ ઉત્પન્ન કરવી પડશે અને તો જ માણસ ગંદકી કરતાં શરમાશે, ગંદકી કરતો અટકશે અને જ્યાં ગંદકી હોય ત્યાં સ્વચ્છતા માટે પ્રયાસ કરશે. ત્રીજો, ગંદકી સાફ કરવી એ કોઈ નીચલી ગણાતી જાતિના લોકોનું કામ નથી, એ આપણું સૌનું કામ છે. સફાઈના કામમાં શરમ પણ ન હોવી જોઈએ અને એ કામ કરનાર પ્રત્યે સૂગ કે હીન ભાવ તો ન જ હોવો જોઈએ.

એ પણ યાદ રહે કે બબલભાઈએ માત્ર સડક-મહોલ્લા નહીં લોકોનાં દિલોદિમાગ પણ સ્વચ્છ અને સ્વસ્થ કર્યાં હતાં. બબલભાઈ જેમ દેશનો દરેક નાગરિક સફાઈમાં ખુદાઈ જોતો થશે ત્યારે જ ગંદકીના દૈત્યને નાથી શકાશે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “સંદેશ”, 12 અૉક્ટોબર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=2997557

Loading

13 October 2014 admin
← સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે?
તમે મને હજીય ના ઓળખ્યો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved