Opinion Magazine
Number of visits: 9448561
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી ભાષાની એક મહાન નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|13 October 2014

“રોહિણી, સત્યકામ, હેમંત, બેરિસ્ટર, ગોપાળબાપા, અચ્યુત, રેખા, એ છે મારું આવતી કાલનું ગુજરાત. તેને સાવ ભૂંસી નાખવાં શક્ય નથી.”

હા, આત્મશ્રદ્ધા અને આત્મશ્લાઘા વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે. પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ શબ્દોમાં એક સાચા સર્જકની આત્મશ્રદ્ધા ભરી પડી છે, તેમાં આત્મશ્લાઘાનો અંશ પણ નથી. આ, અને બીજાં અનેક પાત્રોને સજીવ કરીને વાચકના મનમાં કાયમી સ્થાન મેળવનાર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ની ગણના આપણી ભાષાની થોડી ઉત્તમોત્તમ નવલકથાઓમાં કરવી પડે.

ત્રણ ભાગમાં વિસ્તરેલી આ નવલકથા માત્ર સુદીર્ઘ જ નથી, તેના કથાપટમાં જેટલી વિશાળતા છે તેટલી જ ગહનતા પણ છે. તેનો પહેલો ભાગ બહાર પડ્યો ૧૯૫૨માં. દેશમાં આઝાદી આવી હતી, પણ દેશના ભાગલા અને ગાંધીજીની હત્યાને કારણે એનો આનંદ ઝાઝો નહોતો. બીજો ભાગ પ્રગટ થયો ૧૯૫૮માં. આઝાદ ભારતના તંતુઓ વિદેશો સાથે, ત્યાંની ઘટનાઓ સાથે જોડાતા થયા હતા અને વિશ્વના દેશોની સભામાં પોતાનું સ્થાન મેળવવા ભારત મથી રહ્યું હતું. પણ તે પછી વર્ષો વીતતાં ગયાં. ત્રીજા ભાગ માટેની આતુરતા ધીમે ધીમે સંદેહમાં બદલાવા લાગી. દર્શક પાસેથી ત્રીજો ભાગ મળશે? નહિ મળે? મળશે તો ક્યારે?

અને છેવટે ૧૯૮૫માં ત્રીજો અને છેલ્લો ભાગ પ્રગટ થયો. હા, એવા વાચકો અને વિવેચકો ત્યારે પણ હતા અને આજે પણ છે જે ત્રીજા ભાગ કરતાં બીજા ભાગ વિષે અને બીજા ભાગ કરતાં પહેલા ભાગ વિષે વધુ ઉમળકાથી વાત કરતા હોય. રોહિણી અને સત્યકામ વચ્ચેનો પ્રેમ એ આ કથાનું સળંગસૂત્ર છે એ સાચું. પણ દર્શકને માત્ર પ્રણયની વાત કરવામાં જેમ ‘દીપનિર્વાણ’માં રસ નહોતો તેમ આ નવલકથામાં પણ નહોતો. તેમની નેમ કથાને ઘણા વ્યાપક ફલક પર મૂકી આપવાની રહી છે. રઘુવીર ચૌધરીએ કહ્યું છે તેમ ‘ગુજરાતી વાચકને વૈશ્વિક અનુભવોમાં ભાગીદાર બનાવવામાં એમનો ફાળો બીજા કોઈ ગુજરાતી લેખક કરતાં વધારે છે.’

વખત પહેલાં એક કન્નડ લેખક વિષે લખતાં આપણા એક આવા વિવેચકે લખ્યું કે “એના નાયકે ‘મોટા’ અને ‘ઐતિહાસિક’ બનવા દર્શકના સત્યકામ જેમ યુદ્ધ કાળના જર્મનીમાં કે કશે જવું પડતું નથી.” અરે ભઇલા, દુનિયાની કેટલીયે ઉત્તમોત્તમ નવલકથાનાં પાત્રોને તેના લેખકોએ ઠેર ઠેર ફેરવ્યાં છે. નામ ગણાવવા બેસીએ તો પાર ન આવે. દર્શક ખોટા, એ બધા ખોટા, સાચા એક પેલા કન્નડ લેખક જ? આવા વિવેચકોને જવાબ આપવા માટે જ કદાચ વર્ષો પહેલાં દર્શકે લખ્યું હતું : “સર્જન કોઈને માટે થતું નથી; કોઈને ઉપયોગી અવશ્ય થાય છે. વિવેચક ને વાચકે કરેલી કદર સહાયભૂત થાય છે. પણ સર્જનનાં ફૂલો તો ચડે છે અંતરદેવતાને.”

આ નવલકથા અંગેની એક સાચી વાત યશવંત શુક્લે કહે હતી : “ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતી ભાષા સાહિત્યક્ષેત્રની એક અપૂર્વ ઘટના છે. આ પૂર્વે વિશાળકાય નવલકથાઓ આપણને મળી છે. સરસ્વતીચંદ્રના ચાર ખંડોને તો ભૂલાય જ કેમ? કથાત્રયીઓ પણ ગુજરાતીમાં દર્શાવી શકાશે. પણ તુલનાની તરખડમાં પડ્યા વિના ઝેર તો પીધાં છે જાણી જાણીને હું અપૂર્વ ઘટના એટલા માટે કહું છું કે ગુજરાતના જ નહિ, ભારતના સીમાડા સુધ્ધાં ઓળંગીને, આ બૃહદ નવલકથાએ જાગતિક સંદર્ભ પ્રયોજ્યો છે. ગુજરાતી ભાષામાં અવતરેલી વૈશ્વભાવ નિરૂપતી આ એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કથા છે.” આ નવલકથાનું નાટ્ય રૂપાંતર ૧૯૬૨-૬૩માં અત્યંત સફળતાથી ભજવાયું હતું. તેનો સૌથી પહેલો પ્રયોગ સુરતના રંગ ઉપવનમાં ૧૯૬૨ના ઓક્ટોબરની બાવીસમી તારીખે રજૂ થયો હતો. રોહિણીની ભૂમિકામાં વર્ષા આચાર્ય (જે પછીથી વર્ષા અડાલજા બન્યાં), સત્યકામની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અને ગોપાળબાપાની ભૂમિકામાં વિષ્ણુકુમાર વ્યાસને રજૂ કરતું આ નાટક ગુજરાતી રંગભૂમિનું એક સીમાચિહ્ન બની રહ્યું.

આપણી ભાષામાં નવલકથાઓને બે ખાનાંમાં વહેંચી નાખવાનો ચાલ છે. નવલકથા આજની વાત કરે છે? તો નાખો એને સામાજિક નવલકથાના ખાનામાં. નવલકથા ગઈ કાલની વાત કરે છે? તો નાખો એને ઐતિહાસિક નવલકથાના ખાનામાં. ચણે તો ચકલું, નહિતર મોર, એ ન્યાયે. અને વળી ઐતિહાસિક નવલકથાના લેખકને માથે એક બિન-સાહિત્યિક જવાબદારી નાખવામાં આવે છે : ‘ઇતિહાસ’ને વફાદાર રહેવાની. કોઈ પાત્ર, કોઈ પ્રસંગ, જરા આઘું પાછું થયું કે બૂમ પડે, ઇતિહાસના દ્રોહની. આપણા કેટલાક વિવેચકોએ આવાં કારણો આગળ કરીને કનૈયાલાલ મુનશીને માથે માછલાં ધોયાં હતાં. પણ એ વિવેચકોનાં આજે નામ પણ ભૂલાઈ ગયાં છે, જ્યારે જય સોમનાથ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ હજી આજે ય વંચાતી રહી છે. આપણી પહેલી નવલકથા કરણઘેલો લખનાર નંદશંકર મહેતા ઇતિહાસ પ્રત્યેની અને અંગ્રેજ સરકાર પ્રત્યેની વફાદારી સાચવી શક્યા તેટલી નવલકથા પ્રત્યેની વફાદારી સાચવી ન શક્યા. દર્શક નવલકથાકાર તરીકે નંદશંકરના નહિ, મુનશીના અનુગામી છે. આથી જ તેમણે કહ્યું છે : “ઝેર તો પીધાં છે જાણી જાણી વર્તમાન કાળની ઐતિહાસિક કથા છે. તેમાં કેટલાંક પાત્રો યથાવત છે, કેટલાંક ઐતિહાસિક કલ્પનામાંથી પ્રગટ્યાં છે, પણ ઇતિહાસના સારને લાગેવળગે છે ત્યાં સુધી તે ઐતિહાસિક ગણાય. અહીં ઇતિહાસ એટલે ઇતિહાસનું પાઠ્યપુસ્તક લક્ષમાં નથી. ઝેર તો પીધાં છે જાણી જાણી તેમ જ મારી બીજી નવલકથાઓમાં ઇતિહાસને તેના પ્રદીપ રૂપે પ્રગટ કરવા મેં કોશિશ કરી છે, કારણ કે ઇતિહાસનું પ્રત્યક્ષીકરણ જ લોકસ્ય ચક્ષુઃ છે.”

કથાના આરંભે મહારાજા સયાજીરાવ દૂર દેખાતી ટેકરીઓ દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરોમાંથી આવેલો એક ખેડુ માણસ પ્રણામ કરીને શ્રીમંત સયાજીરાવને ફળ ભેટ ધરે છે. હાથમાંનું દૂરબીન બાજુએ મૂકીને મહારાજ પૂછે છે, ‘શું છે?’ ‘બોર.’ કાગદી લીંબુ જેવડાં બોરને જોઈને રાજવીએ પૂછ્યું. ‘બોર! આવડાં મોટાં? ક્યાંથી લાવ્યા?’ ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’ આપણા કેટલાક વિવેચકો પણ સતત દૂરબીન માંડીને દૂરની ટેકરીઓ જોતા રહે છે. દર્શક જેવો કોઈ લેખક ઝેર તો પીધાં છે જાણી જાણી જેવી નવલકથા લઈને આવે ત્યારે પૂછે છે : ‘આ શું છે?’ કારણ તેઓ તો દૂર દેશની ટેકરીઓ પરની નાનકડી ચણોઠીને દૂરબીનથી જોઈને શ્રીફળમાં ખપાવતા હોય છે. એટલે સત્તાવાહી સ્વરે પૂછે : ‘ક્યાંથી લાવ્યા?’ ગોપાળબાપા મહારાજને જે જવાબ આપે છે તે જ જવાબ આવા વિવેચકોને દર્શક પણ કદાચ આપે : ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’

લગભગ ૬૦૦ પાનાંમાં વિસ્તરેલી આ નવલકથાનો સાર થોડા શબ્દોમાં આપવાનું શક્ય નથી. પણ સપાટી પરથી જોતાં આ રોહિણી અને સત્યકામ વચ્ચેના યોગ, વિયોગ, અને સંયોગની કથા છે. યશવંતભાઈ દોશી આપણા એક અત્યંત સ્વસ્થ, તટસ્થ, અને સમતોલ સમીક્ષક હતા. તેમણે આ નવલકથા વિષે લખ્યું છે : “ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ, અને ઝેર તો પીધાં છે જાણી જાણી. આ નવલકથાના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કલાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહિ, પણ જગત ભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. વિશ્વ સાહિત્યમાં મહાન લેખકોએ જ આવી કૃતિઓનું નિર્માણ કર્યું છે.”

XXX XXX XXX

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 12 ઓક્ટોબર 2014

Loading

13 October 2014 admin
← સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે?
તમે મને હજીય ના ઓળખ્યો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved