Opinion Magazine
Number of visits: 9448443
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નટવર ગાંધીના એક કાવ્યનો લગરીક રસાસ્વાદ

'ભભાઈ' ભરત પાઠક|Opinion - Literature|10 October 2014

                                ઉલ્લાસ કરીએ                     • નટવર ગાંધી

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
ન કે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને દૃષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.

 
(‘પેન્સિલવેનિયા અૅવન્યૂ’ નામક કવિનો કાવ્યસંગ્રહ, પૃ. 94-5)
 
શીખરિણી છંદમાં નિબદ્ધ આ કાવ્ય બે-ત્રણ વાર વાંચીએ ત્યારે એમાંના વિચાર અને ભાવની, લય અને પ્રાસની ગૂંથણી દેખાતી જાય અને ખબર પડે કે આપણને કેમ આ ગમે છે.
 
આ કાવ્ય એક ઉક્તિ છે; એક વ્યક્તિ બીજી વ્યક્તિને કશુક કહી રહી છે. જે કહેવાય છે તે વાત આમ તો સીધી સાદી છે : કે, “આ જગત આવું આવું છે, સારું ય છે અને નરસું પણ છે; પણ એમાં નભાવી લેવા કે ઉજાળી દેવા જેવાની સાથે સાથે માણવા જેવું પણ ઘણું ઘણું છે, જીવન હવે ઝાઝું નથી; આજુબાજુ જે જગત છે તેમાં જ તો વસવાનું છે – અને આપણે વસવું પણ ત્યાં જ છે – તો ચાલને, એમાં માણવા જેવું છે તે બધું માણીને ઉલ્લાસ કરીએ.”
 
આવી, ચાર વાક્યોમાં સમાવી શકાય તેવી સીધી સાદી વાત એ લખનારે ચૌદ પંક્તિના કાવ્યરૂપે કેમ રજૂ કરી હશે તેવો સવાલ સ્વાભાવિક થાય. એનો જવાબ ઉપર અપાયેલો ટૂંક સાર વાંચવાથી મળી રહેશે. સારરૂપ એવા ચાર વાક્યો આપણને એટલાં સ્પર્શી જતાં નથી જેટલી એ ચૌદ પંક્તિઓ સ્પર્શે છે. કારણ કે કાવ્ય વાચકના મનમાં જે ભાવ જગાડી શકે છે તે માત્ર ગદ્યાળુ વાક્યો જગાડી શકતા નથી. એ લખનાર કવિ છે; તે કશું સમજાવવા નથી બેઠો, એ માત્ર એક ભાવભર્યું નોતરું દેવા ચાહે છે. શાનું નોતરું છે આ? ચાલો, જરાક ધ્યાનથી તપાસીએ.  
 
નોતરું તો છેક છેલ્લે આવે છે; પણ એ સ્વીકારવાની ભલામણ તો કાવ્યની “અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ” એ પહેલી પંક્તિથી જ થઈ જાય છે. આગળ વધી આખું કાવ્ય એ ભલામણ આપણને ગળે ઊતરી શકે તે માટે હળવા શા અનાગ્રહી અવાજે, “આ જગત આમ જોઈએ તો આવું આવું છે” એમ બતાવતા જાય છે. અહીં એક ક્યારેક જ જોવામાં આવે તેવું પુનરાવર્તન તરત નજરે ચડે. ક્ષણભર એમ થાય કે દરેક નવી કડી કેમ એકની એક પંક્તિથી શરૂ કરી હશે? આ કાવ્યને જો સંગીતની પરિભાષામાં જોઈએ તો જવાબ મળે કે એ એક પંક્તિ ધ્રુવપંક્તિનું કામ બજાવે છે; ભાવને ઘૂંટે છે. પ્રત્યેક કડીને અંતે મૂકવાને બદલે પ્રારંભે મૂકી; કારણ એ ભાવ જ, એ કથન જ આ કાવ્યનું મુખ્ય અંગ છે, મુખ્ય ભાવ છે. જે જગતમાં જ વસવું છે તેની સર્વ ખૂબી-ખામી પહેલી બે કડીમાં કહી. જગતમાં સારું-નરસું જે બધું વિગતે ગણાવાતું હોય છે બધું, “હા છે; પણ તેથી કરીને કયાં ય ભાગી જવું નથી” તે વાત, માત્ર એ એક પંક્તિ પ્રારંભે મૂકીને કવિ કહે છે ત્યારે એ પોતાના નિશ્ચયમાં દ્રઢ છે તે તો બતાવે જ છે પણ આવી આવી બધી જાણ સાથેનો એ નિશ્ચય છે તે પણ દર્શાવે છે..
 
પછી ત્રીજી કડીમાં, સંસારની જંજાળો આડે માણસનું મન જે જોવાનું ભૂલી જતું હોય છે તે પ્રકૃતિનાં  સૌન્દર્યો યાદ કરાવીને એક શાંત, અને આનંદમય ભાવને જગાડે છે. અને એટલે હવે છેલ્લે બે જ પંક્તિમાં [હા, બે જ, કારણ કે હવે વધારે કહેવાનું હોય નહીં, વધારે કહેવા સમય પણ નથી અથવા તો જે સમય છે તે બોલવા-કહેવામાં ખરચવો નથી; માટે બે જ પંક્તિમાં-] ઉલ્લાસ કરવા નોતરે છે.
 
વળી જુઓ કે કવિ સખીને નોતરે છે. એ સખી કોણ? તમે કહેશો, “એ તો કવિ જાણે; અમે જેમને જોયા નથી, જેમની ઓળખાણ આ કવિતા સિવાય કશેથી છે નહીં, તે કવિની સખીને તો અમે ક્યાં ઓળખીએ છીએ?” પણ વિચારો કે કદાચ કવિ આપણને જ કહે છે કે, “ચાલ, ઉલ્લાસ કરીએ”; આપણે જ એ સખી છીએ – તો? કવિએ આ કાવ્ય એક વિકસેલા, ખીલેલા પ્રેમની ભૂમિકાએ રચી છે, એમનું સંબોધન "સખિ" (આપણે ગુજરાતીમાં દીર્ઘ 'ઈ' વાપરીએ છીએ, પરંતુ છંદમાં 'ખિ' બેસે છે એટલું જ નહીં પણ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે સંબોધન હોય ત્યારે હ્રસ્વ 'ઇ' વપરાય છે તે દૃષ્ટિએ જોતાં એ ‘સખિ’ સંબોધન) વાચકને ઉદ્દિશીને હોય તો પણ એ સુયોગ્ય છે, સુચારુ છે; કારણ કે કાવ્ય નીચે જેનું નામ છે તે ભલે પુરુષ છે; પરંતુ કાવ્યમાં જે કહેનાર છે તે સ્ત્રી હોય તેમ જોઈ જોશું તો ‘સખિ’ સંબોધન તો સમજાશે જ અને વળી એમ પણ ખ્યાલ આવશે કે, “હા, આવી પ્રેમભરી દૃષ્ટિ, સ્વીકારની દૃષ્ટિ, કદાચ સ્ત્રીની જ હોય.” ખરું પૂછો તો કવિ સ્ત્રી-પુરુષ ઉભય હોય છે. 
 
આટલે સુધી વાંચવા બદલ આભાર; પણ હવે પાછા એ કાવ્ય જ વાંચો; આ વિવરણ ભૂલી જાઓ; જુઓ તમને ય નવુ જડશે.
 
ઓક્ટોબર ૮, ૨૦૧૪. આસો સુદ પૂનમ, વિ..સં. ૨૦૭૦ 
 
ગ્લેન્ડેલ હાઈટ્સ, ઈલિનોઈસ, યુ.એસ.એ.           

Loading

10 October 2014 admin
← મૈત્રી તે ઔષધ
સબૂર … ક્યાં જઈ રહ્યા છીએ આપણે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved