એક વાર્તા છે. નાની માછલીઓ ભેગી થઈને વડી માછલીને મળવા જાય છે ને ફરિયાદ કરે છે કે મોટી માછલીઓ, નાની માછલીને ગળી જાય છે તે બરાબર નથી. આ અન્યાય છે. વડી માછલીએ શાંતિથી ફરિયાદ સાંભળી ને ચુકાદો આપ્યો કે મોટી માછલી નાનીને ગળી જાય તે બરાબર નથી. એનો ઉપાય એ છે કે હવેથી નાની માછલી, મોટી માછલીને ગળી જાય. નાની માછલી, મોટીને ગળી શકે એમ નથી એમ સમજાઈ જતાં નાની માછલીઓ વીલે મોઢે પાછી ફરી ગઈ.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં યુક્રેનની સ્થિતિ નાની માછલી જેવી છે. તે ગમે એટલી કોશિશ કરે તો પણ રશિયાને ગળી શકે એમ નથી. મોડા વહેલાં તેણે વીલે મોઢે પાછા જ ફરવાનું થાય એમ બને. એમાં કોઈ શક નથી કે યુક્રેન પૂરી તાકાતથી રશિયાનો સામનો કરી રહ્યું છે, પણ જે ક્ષમતા ને વિસ્તાર રશિયાનો છે, એ જોતાં અછતનો સામનો યુક્રેને કરવાનો આવે ને ત્યારે હથિયાર હેઠાં મૂકવાં સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય, એ સમયે મોડું થયું હશે ને એ દરમિયાન જે નુકસાન જાનમાલનું થશે એનો હિસાબ સરભર કરવાનું મુશ્કેલ જ હશે. યુક્રેને એ વિચારવાનું રહે છે કે હારવાનું નિશ્ચિત જ હોય તો નિર્દોષોનાં જીવ ગુમાવીને પછી ઘૂંટણીયે પડવાનો કોઈ અર્થ ખરો? અહીં યુક્રેનને નાહિંમત કરવાનો હેતુ નથી, પણ તેની બહાદુરી રશિયાને ઉશ્કેરી રહી છે ને તે વધારે જંગાલિયત તરફ વળી રહ્યું છે ત્યારે યુક્રેનની બહાદુરી તેને પોતાને તો ભારે નથી પડી રહીને તે વિચારવાનું રહે.
ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસકોવે સી.એન.એન.ને આપેલા ઇન્ટરવ્યૂમાં સાફ કહ્યું છે કે અમારા જીવ પર આવશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતાં અચકાઈશું નહીં. આ અસ્તિત્વનું જોખમ નક્કી કોણ કરશે? એ બીજા દેશો નક્કી કરશે? ને એમ નક્કી થશે તો તેને રશિયા માની લેશે? અસ્તિત્વનું જોખમ ખરેખર ઊભું થાય તે પહેલાં, રશિયાને પોતાની ઉપર જોખમ લાગે ને તે કોઈ નિર્ણય લે તો તેને કોઈ પડકારે એ વાતમાં માલ નથી ને ધારો કે એ પરમાણુશસ્ત્ર વાપરે છે તો કેવું જોખમ ને કેટલાં જોખમ ઊભાં થાય તે કહેવાની જરૂર નથી. એક મહિનાથી આ યુદ્ધ ચાલે છે ને રશિયન સેનાએ બુધવારે પરમાણુ પરીક્ષણ લેબ અને ચૅરનીહિવ પુલ ઉડાવી દીધો છે. આ પુલનો ઉપયોગ ફસાયેલા નાગરિકોને ઉગારવા માટે કરાતો હતો. એ તૂટવાને કારણે 2.9 લાખ લોકો ત્યાં ફસાઈ ગયા છે ને વીજળી, પાણી, ગેસની અછતનો સામનો કરી રહ્યા છે. એકાદ લાખ લોકોને ભોજન, પાણી ને દવા વગર જીવવાનું આવ્યું છે. આ સ્થિતિમાં યુદ્ધ ચાલુ રહે તે ઈચ્છવા જેવું ખરું? એક વાત બહુ સ્પષ્ટ છે કે રશિયાને કોઇની શરમ નડે એમ નથી. તે અમેરિકાથી ડરે તે કરતાં અમેરિકા તેનાથી ડરતુ હોય તેવું વધારે લાગે છે. બાઈડને યુરોપ મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે રશિયા જૈવિક, રાસાયણિક કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે તેમ છે. ચીન બીજા કોઈ કાવતરામાં વ્યસ્ત હોય તેમ તે અત્યારે રશિયા-યુક્રેન યુદ્ધથી દૂર છે, પણ તેને જાત પર જવાની નવાઈ નથી, એટલે એ તલવાર તો માથે લટકતી જ રહેવાની છે. અમેરિકાએ યુક્રેનને શસ્ત્રોની મદદ કરવાનું કહ્યું છે, નાટો દેશો પણ મદદ કરવા તૈયાર છે, પણ લડવાનું યુક્રેને છે. સૈનિકો કે નાગરિકો યુક્રેનના મરવાના છે. યુક્રેનની ભૂગોળ હવે ખંડિયેરોમાં બતાવાય છે. અમેરિકાએ યુક્રેનને એન્ટિ-ટેન્ક મિસાઇલની મદદ કરી છે. નાટોએ યુક્રેનને ન્યુક્લિયર, કેમિકલ, જૈવિક અને રેડિયોલોજીકલ હુમલાથી બચવા માટે જરૂરી સાધનો મોકલવાની વાત કરી છે, પણ અમેરિકા કે નાટોની આ મદદ યુદ્ધ અટકાવવા માટેની નથી. તે યુદ્ધ ચાલુ રાખવા માટેની છે. એથી યુક્રેન બેઠું ન થાય એવી શક્યતાઓ જ વધે છે. એ શરમજનક છે કે કોઈ દેશ રશિયાને રોકી શકે એમ નથી. યુનોની, અમેરિકાની ને નાટોની ભૂમિકા જરા પણ એવી નથી કે રશિયાને કોઇની શરમ પડે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે માનવીય સ્થિતિને લઈને એક ડ્રાફ્ટ રજૂ કર્યો, તેમાં ભારત અને બીજાં દેશો મત આપવાથી દૂર રહ્યા છે, જ્યારે ચીને તેને સપોર્ટ કર્યો છે. આ યુદ્ધ અંગે મતો ઉઘરાવાય છે, પણ એમાં ક્યાં ય યુદ્ધને રોકવાની વાત સંભળાતી નથી.
પુતિનના સિનિયર એડવાઇઝર એનતોલી ચુબાઇસે રાજીનામું આપવું પડ્યું છે, કારણ તેમણે યુક્રેન હુમલાનો વિરોધ કર્યો હતો. એટલે પુતિન, સમર્થકોને જ પાસે રાખે છે એનું આ ઉદાહરણ છે ને તે પણ એવા સમર્થકો જે યુદ્ધ ચાલુ રહે તેમાં માનતા હોય. આ સ્થિતિમાં પુતિન વધારે આક્રમક બને ને તે પરમાણુ શસ્ત્રો સુધી પહોંચે તો નવાઈ નહીં. એવું કશું થાય તો તેથી જગતનું શું ભલું થશે તે સમજી શકાય તેમ છે. રશિયાએ પણ પંદરેક હજાર સૈનિકો ગુમાવ્યા છે ને ત્રીસેક હજાર જેટલા ઘાયલ થયા છે એટલે એ પણ બહુ ખાટી ગયું છે એવું નથી, પણ આ સ્થિતિ તેને નરમ પાડવાને બદલે વધારે ગરમ કરે એમ બને.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી મંત્રણા માટેની તૈયારી બતાવે છે, પણ રશિયા એ બાબતે ઉદાસીન છે. ઝેલેન્સ્કીની પણ કેટલીક બાબતો સમજાતી નથી. તે વારંવાર બીજા દેશોને અપીલ કરે છે ને રશિયાને રોકવાનું કહે છે. ત્રણેક દિવસ પર યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટોને રોકડું પૂછ્યું છે કે તે તેની સાથે યુક્રેનને જોડશે કે નહીં? આમ જોઈએ તો રશિયા-યુક્રેનના યુદ્ધમાં નાટો પડેલું છે. યુક્રેને નાટો સાથે જોડાવાની વાત કરી તો તેનો રશિયાને વાંધો પડ્યો, કારણ યુક્રેન જોડાય તો નાટો તેને બારણે ખડકાય ને મૂડીવાદી દખલ વધી પડે ને રશિયા તે સહન કરે એમ ન હતું. તેણે યુક્રેનને ચેતવણી આપી કે જો તે નાટો સાથે જોડાશે તો તેણે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. યુક્રેન રશિયા સાથે રહેવા માંગતુ જ ન હતું એટલે યુદ્ધ શરૂ થયું. આ દરમિયાન અમેરિકા અને નાટોની નીતિ પણ શરૂઆતમાં યુક્રેનને પટાવવા જેવી જ રહી. અમેરિકા ને બ્રિટને તેને રક્ષણની ખાતરી આપીને અણુશસ્ત્રો વગરનું કરી મૂક્યું. જો તેની પાસે અણુશસ્ત્રો હોત તો રશિયાએ યુદ્ધ કરતાં પહેલાં સો વાર વિચાર કર્યો હોત.
યુક્રેને જોડાવાની વાત કરી હતી, પણ નાટો સાથે જોડાવાનું બાકી હતું એટલે યુદ્ધ શરૂ થયું તે સાથે જ નાટોએ એમ કહીને મદદ કરવાની ના પાડી કે યુક્રેન, નાટો સાથે જોડાયું નથી. અમેરિકાએ પણ મોંની લાપસી ઘણી પીરસી, પણ તે મદદ કરવામાં પાછી પાની જ કરતું રહ્યું. આ દરમિયાન યુદ્ધે તેનું ભીષણરૂપ પ્રગટ કરી દીધું હતું. અનેક શહેરો ધ્વસ્ત થઈ રહ્યાં હતાં, ત્યાં ઝેલેન્સ્કીએ એકાએક જાહેર કર્યું કે તે નાટો સાથે નહીં જોડાય. બને કે રશિયાને જેનો વાંધો હતો તે, નાટો સાથે યુક્રેનની ન જોડાવાની વાતે કદાચ નરમ પડે એ હેતુ હોય. એ તો સારું છે કે રશિયાએ એ વાત કાને ધરી નથી, કારણ તે તો લડી લેવાના મૂડમાં જ છે, પણ ધારો કે રશિયાએ યુક્રેનની નાટો સાથે ન જોડાવાની વાત માની લીધી હોત, તો શું તેણે નાટો સાથે ખરેખર જ ન જોડાવાનું નક્કી કર્યું હોત? એવું જ હતું તો તેને એ પૂછવાની જરૂર કેમ પડી કે નાટો તેની સાથે યુક્રેનને જોડવા તૈયાર છે કે નહીં? યુદ્ધને મહિનો થયો, પણ અમેરિકાએ કે નાટોએ એવી ખાસ કોઈ મદદ કરી નથી જે યુદ્ધ રોકવામાં ઉપકારક નીવડે કે રશિયાને પોતાને વિષે વિચાર કરવાની જરૂર ઊભી થાય. રશિયા પર અમેરિકા અને બીજા દેશોએ પ્રતિબંધો મૂક્યાં છે, પણ તેથી રશિયાનું કોઈ કામ અટક્યું નથી. રશિયાએ કિંમત ચૂકવવી પડશે એવી જાહેરાતો અમેરિકાએ ઘણી કરી, પણ રશિયાએ કિમત ચૂકવી હોય એવું તો બહુ લાગતું નથી, ઊલટું, યુક્રેન કિંમત ચૂકવી રહ્યું હોય એવું વધારે લાગે છે.
એટલું નક્કી છે કે આ યુદ્ધથી રશિયા કે યુક્રેનને બહુ ખાટવાનું નહીં થાય ને ભૂલેચૂકે રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરે તો પણ તે વિજયી નહીં થાય, કારણ, એમ કરીને તે વિશ્વયુદ્ધને જ આમંત્રણ આપશે ને બીજા દેશો તેને માફ નહીં કરે ને તેણે જે કિંમત ચૂકવવાની થશે તે તેનાં ધબકારને નિયમિત નહીં જ રહેવા દે. એવું કૈં થાય તો અનેક દેશો એમાં કોઈ વાંકગુના વગર સંડોવાશે ને સિલકમાં રાખ જ હાથમાં આવે એમ બને. આ હાલત હોય ત્યારે પ્રાર્થના એટલી જ કરવાની રહે કે આ યુદ્ધ અટકે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 માર્ચ 2022