લાઇટ થાય ત્યારે જ કહેવાય કે ઇલેક્ટ્રિક કનેક્શન રાઇટ છે. હ્યુમન કનેક્શનમાં ક્યારે કહેવાય કે લાઇટ થઇ? બે જણ સમ્મુખ થાય ને કશું પણ બોલ્યા વિના સમ્બન્ધની ગાંઠ વળે, એ શુભ ઘડી ક્યારે આવે? એ મુહૂર્ત કયું?
જોશીમા’રાજ કુંડળી જોઇને મૂરતિયાના ને કન્યાના ‘ગુણ’ ગણી-મેળવી આપે, અને એઓ લગનના ગોરમા’રાજ હોય તો મુહૂર્ત પણ કાઢી આપે. માબાપો ખુશ થઈ જાય. તારીખ-વાર ને એ ઘડી ગોખતાં થઇ જાય. પણ મુહૂર્ત છેલ્લે તો મા’રાજને જ યાદ હોય છે, અથવા એવું ભાસે છે, અને એ કહી દે છે – કન્યા પધરાવો, સાવધાન …
પણ આજકાલ તો દુલ્હનિયા જ્વૅલરી, હૅઅરસ્ટાઈલ કે મેકઅપથી જ પરવારી નથી હોતી. કોઈ કોઈ તો ઍક્સ્પર્ટ બ્યુટિશ્યનને ભાડે રાખે છે. દુલ્હો પણ ડ્રેસઅપ વગેરેમાં ઘણો જ ગૂંચવાઈ ગયો હોય છે. સૂટ-બૂટ-ટાઇ પછી માથે ફૅંટો પ્હૅરીને બાપોતી પ્રથાને સાચવી લે છે. પણ આ બધાંમાં પેલા મુહૂર્તનો લોચો વળી જાય છે.
અમેરિકામાં હું ઘણી વાર ગુજરાતી વેડિન્ગ સૅરેમનીમાં ગયો છું. મા’રાજ સંસ્કૃત તો જે બોલ્યા હોય, એ જાણે ને જાણકાર જાણે, પણ જે બોલ્યા હોય એનું એમણે ત્યાંની નવી પેઢી માટે અંગ્રેજી પણ કરવું પડે છે. બને છે એવું કે મા’રાજે પોતાના અંગ્રેજીમાં ઘણા ગોટા વાળ્યા હોય છે. પરણનારાંને અને ફ્રૅન્ડ્સને હસવું આવે છે. એકૉર્ડિન્ગ શ્કૅજ્યુઅલ જીવનારી એ નવી પેઢી, એટલું ચલાવી લે છે. પણ એમાં ને એમાં પેલું મુહૂર્ત તો બચારું વીતી ગયું હોય છે.
પશ્ચિમના સમાજોમાં, ગોરમા’રાજનું કામ કરનારાને મિનિસ્ટર અથવા વેડિન્ગ ઑફિસ્યન્ટ કહેવાય છે. ઉમદા વ્રતો લેવરાવે, પેલાં બન્ને ઠાવકાં થઈને બોલી બતાવે. પછી મિનિસ્ટર ઘોષણા કરે કે – હવે તમે પતિ અને પત્ની છો, પતિને કહે, તમે ચુમ્બન કરી શકો છો. ચુમ્બન થાય ત્યારે જ માનવાનું કે વિધિ સમ્પન્ન થયો. આમ તો પેલાં કેટલીયે વાર ડેટિન્ગ પર ગયાં હોય છે ને કેટલીયે વાર ચુમ્બન વગેરે કરી ચૂક્યાં હોય છે. છતાં, એ ફૉર્માલિટીને પતિ અનુસરે છે, પત્ની પણ અનુસરે છે. કેમ કે ચુમ્બન કરવામાં કશું ગુમાવવાનું તો હોતું નથી.
જોવા જઇએ તો, મુહૂર્ત અને લગ્નનો વિધિ આપણે ત્યાં પવિત્ર ખરો પણ એ એક ફૉર્માલિટી છે. પશ્ચિમના સમાજોમાં પણ ‘પ્રોનાઉન્સમૅન્ટ ઑફ મૅરેજ’ કહેવાતી એ એક ફૉર્માલિટી જ છે.
પ્રવર્તમાન જાગતિક વાદવિવાદોમાં બે મુખ્ય છે : લોકશાહીનું ભવિષ્ય અને લગ્નસંસ્થાની જરૂરિયાત.
રાજનીતિ-વિજ્ઞાનીઓએ અને રાજનીતિ-ફિલસૂફોએ લોકશાહી વિરુદ્ધ લખેલાં પુસ્તકો અનેકાનેક છે. એથી જાગેલી ચર્ચા હવે ‘બીટર નેશનલ ડીબેટ’ ગણાય છે. લોકશાહીથી રૂડી શાસનપ્રણાલિ હોઈ શકે નહીં એના સ્વીકાર પછી પણ નિષ્ણાતોને ભારત, યુ.કે. અને યુ.ઍસે.ની ઉત્તમ મનાયેલી લોકશાહીઓ આજે સડેલી દીસે છે. આપણે ભારતીયો તો એ સડો રોજે રોજ જોઈ-અનુભવી રહ્યા છીએ. વાણીસ્વાતન્ત્ર્ય અને સૅક્યુલારિઝમ હવે નામનાં જ બચ્યાં છે. પરિણામે લોકશાહીનો આત્મા નષ્ટભ્રષ્ટ થઈ રહ્યો છે. રાજાશાહી અને સરમુખત્યારશાહીના દુષ્ટ અવશેષો લોકશાહીમાં નવે રૂપે જાગ્યા છે. લોકશાહો બાદશાહોની જેમ વર્તે છે. રાજ લોકોનું કહેવાય છે પણ હકીકતમાં એ પાર્ટિનું, પાર્ટિના મળતિયાઓનું અને વચેટિયાઓનું હોય છે. લોકશાહી હવે સત્તાકારણને માટેનું ગલીચ રાજકારણ છે. લોકને એ થકવે છે બહુ. વગરે.
દુલ્હનિયા
પ્રોનાઉન્સ્મૅન્ટ ઑફ મૅરેજ
Picture Courtesy : Tweeter. Pinterest.
લગ્નસંસ્થાની જરૂરિયાત રહી નથી અથવા એ આજે પ્રશ્નાર્થ હેઠળ આવી ગઈ છે ને તૂટું તૂટું થઈ રહી છે, કે થઈ ગઈ છે, એ ખરું, પણ એનાં કારણો એના જન્મ અને વિકાસમાં પડેલાં છે :
નૃવંશવિજ્ઞાનીઓ જણાવે છે કે એક પુરુષ અને એક સ્ત્રી લગ્નથી જોડાયાં હોય એવો પહેલવહેલો સમારમ્ભ ઈ.પૂ. ૨,૩૫૦-માં થયો હતો, મૅસોપોટેમિયામાં. ત્યાર બાદ સદીઓ પછી લગ્ન એક સંસ્થા રૂપે વિકસ્યું. લગ્નસંસ્થા ૪,૩૫૦ વર્ષ પુરાણી કહેવાય છે. એમાં હીબ્રુઓ, ગ્રીકો અને રોમનોનો ફાળો મોટો હતો. પરન્તુ એ પૂર્વે ૩૦-૪૦ મનુષ્યો જૂથમાં રહેતા, પુરુષો એમાં નેતૃત્વ લેતા, એકથી વધુ સ્ત્રીઓને સહભાગે ભોગવતા, ને સન્તાનો થતાં. આપણે ત્યાં કન્યાદાન થાય છે. પ્રાચીન ગ્રીસમાં ય પિતા દીકરી અર્પણ કરતો. ક્હૅતો કે : કાયદેસરનાં હક્કદાર સન્તાનો પેદા કરવા તમને હું મારી દીકરી સૉંપું છું : પ્રાચીન હીબ્રુ પુરુષો અનેક સ્ત્રીઓને પત્ની બનાવી શકે એવો રિવાજ હતો. ગ્રીક અને રોમન પુરુષો પરણેલા હોય તો પણ વાસનાતૃપ્તિ માટે રખાતો રાખી શકતા, વેશ્યાઓ અને ટીનએજ છોકરાઓ જોડે સમાગમ કરી શકતા. સન્તાનો પેદા કરવામાં પત્ની નિષ્ફળ જાય તો એને પીયર મોકલી દેતા, ને બીજીને પરણતા.
કૃષિસભ્યતાનો ઉદય થવાને કારણે સમાજને વધારે સ્થિર થવાની જરૂર પડેલી, અને એ થયેલો. લગ્ન પાછળનો મૂળ આશય નક્કી થયેલો કે એક સ્ત્રી સાથે એક પુરુષ બંધાય, લગ્નાય. નક્કી થાય કે સન્તાનો એમનાં જ શરીરથી છે, ને તેથી, એ પુરુષનાં, તેઓ વારસદાર પણ છે. પરિણામ એ આવ્યું કે સ્ત્રી લગ્નને કારણે જ પુરુષની મિલકત ગણાવા લાગી. યુરપમાં રોમન કૅથોલિક ચર્ચ ક્રમશ: શક્તિશાળી બને છે અને લગ્નની કાયદેસરતા માટે પાદરી અનિવાર્ય મનાવા લાગે છે. એ રીતે ત્યાં લગ્નમાં ધર્મ પ્રવેશ્યો.
ભારતમાં તો લગ્નસંસ્થાનો ધર્મ સાથેનો સમ્બન્ધ પહેલેથી જ અતૂટ રહ્યો છે. પ્રાચીનતમ કાળે આપણે ત્યાં પણ ‘એક સ્ત્રી-એક પુરુષ’ પ્રથા ન્હૉતી. બહુપ્રિયાપુરુષો હતા. બહુવલ્લભા સ્ત્રીઓ હતી. સ્વકીયા-પરકીયાના ભેદ ન્હૉતા. એકપત્નીવ્રત મોટો આદર્શ ગણાયો તે તો લગ્નસંસ્થાના ઉદય પછી. ભારતમાં લગ્ન ત્યારથી મહા મોટો સંસ્કાર મનાય છે, પવિત્ર બન્ધન કહેવાય છે. લગ્ન પ્યુબર્ટિના પ્રારમ્ભથી થાય અને છોકરો-છોકરી વર્જિન હોય. લગ્ન માબાપોએ ગોઠવવાની વસ્તુ ગણાતી. એ અર્થમાં લગ્નનું સ્વરૂપ પહેલેથી ઍરેન્જ્ડ મૅરેજનું રહ્યું છે. લગ્ન બે વ્યક્તિઓનાં થાય પણ સાથોસાથ બે પરિવારનાં ય થાય. માબાપોની લગ્નેતર આશા-અપેક્ષાઓને કારણે લાકડે માંકડું વળગાળવાના બનાવો પણ બનતા. ડોસા-ડોસી કદાચ સ્વાનુભવે એમ માનતા કે ઘીના ઠામમાં ઘી ભળી જશે ને બધું થાળે પડી જશે, પ્રેમ પણ થઈ જશે.
પરન્તુ ભારતીય લગ્નસંસ્થાનો વિકાસ સ્વચ્છ નથી રહી શક્યો. એમાં, પ્રેમ જ લટકતો થઈ ગયો. ભારતીય લગ્નસંસ્થા ક્રમશ: પતનગામી થઈ ગઈ. બાળલગ્ન વૃદ્ધલગ્ન સતીપ્રથા વિધવાપ્રથા અને દહેજપ્રથાએ એના આત્માને રહૅંસી નાખ્યો. સન્તતિનિયમને મુક્ત સહચાર અને સમાગમને વેગ આપ્યો અને તેથી વર્જિનિટી અને પ્યુબર્ટિની તો ઍસીતૅસી થઈ ગઈ. મૈત્રીકરાર અને લિવ-ઇને દામ્પત્યભાવનાના રૂઢ ખયાલને ધૂળભેગો કરી દીધો. ફ્રી-સૅક્સકૉમ્યુન અને વાઇફ-સ્વૅપિન્ગના આગમને કરીને બધાં જ પવિત્ર બન્ધનોના ધજાગરા ઊડી ગયા.
હું પેલી શુભ ઘડીની વાત કરતો હતો. મેં પૂછેલું કે એ ઘડી ક્યારે આવે. એ ઘડી માટેની કોઈ જ જોગવાઈ લગ્ન, સમાજ, સંસ્કૃતિ કે સભ્યતા નહીં કરી શકે. મારે કહેવું છે કે કેટલીક વ્યક્તિઓના જીવનમાં એ મુહૂર્ત આવતું જ નથી. કેમ કે તે વ્યક્તિઓ કાં તો ભૂતકાળના ભારથી ઝૂકી ગઈ હોય છે અથવા તેઓ ભવિષ્યની કલ્પનાઓમાં અદ્ધરિયું જીવતી હોય છે. બને છે એવું કે વર્તમાન એ વ્યક્તિઓના હાથમાંથી સરકી જાય છે ને પછી હતાશા સિવાય કશું બચતું નથી.
કેમ કે એ જોગવાઈ વ્યક્તિએ કરવાની છે કેમ કે એ ઘડી સરજી લેવાની વસ્તુ છે. અને એ વ્યક્તિના જ હાથની વાત છે. એ ઘડી છે :
નયનથી નયન મળે – ગોવર્ધનરામે ‘દૃષ્ટોદૃષ્ટ’ શબ્દ પ્રયોજ્યો છે- સ્મિત થઈ જાય, નજીક પ્હૉંચી જવાય, ગાલે ને કપાળે ચૂમી કરી દેવાય, ભેટી પડાય, ચુમ્બન કરી દેવાય, આલિંગન થઈ જાય …
આ સત્ય છે. અને સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રસંગમાં છે તેમ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેના કોઈ પણ માનુષ્યિક પ્રસંગમાં પણ એ સત્ય જ છે. એ દરેક ઘડી અથવા એ બધી જ ઘડીઓ શુભ હોય છે, કેમ કે ફૉર્મલ નથી હોતી, નેચરલ હોય છે. એના પ્રાગટ્યથી હસ્તમેળાપ ને હૃદયમેળાપ થઈ જાય છે, એટલું જ કે એ મેળાપ દેખાતા નથી.
એ ઘડી ભૂતકાળમાં કે ભવિષ્યમાં નહીં પણ વર્તમાનમાં હોય છે. પણ વિચારો કે, વર્તમાન શું છે. એક રીતે તો, એ નથી. સમજીએ તો, કોઈ પણ મનુષ્યનો વર્તમાન એના વડે જિવાયેલા ભૂતકાળ અને એના વડે કલ્પાયેલા ભવિષ્યનું એક અસમંજસ મિશ્રણ છે.
આપણે ઊભા હોઈએ, કોઈ પાછળ ઊભો હોય, ને કોઈ સામો આવે, તો શું કરીએ? ડહાપણ વાપરીને સલુકાઈથી આપણે એ બેની વચ્ચેથી નીકળી જઈએ, કરીએ કે નહીં? ભૂત-ભવિષ્યના એ અસમંજસ મિશ્રણને પણ એવી જ સલુકાઈથી છૂટું કરવું પડશે. બન્નેને એકબીજાથી થોડા આઘા કરીશું એટલે તરત નાનકડા શુદ્ધ વર્તમાનને પામી શકીશું. એમાં પેલી શુભ ઘડીનું રતન જનમશે, ને પ્રકાશી ઊઠશે. સમ્બન્ધની ગાંઠ આપોઆપ વળશે ને ઝગમગી ઊઠશે. લાઇટ લાઇટ થઈ જશે.
અઘરું લાગે છે પણ કરી જોવા જેવું છે, સહેલું છે.
= = =
(June 18, 2021: USA)