Opinion Magazine
Number of visits: 9745745
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણ ખાડે તો ગયેલું જ હતું, હવે અખાડે ગયું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 May 2021

કોરોના વૈશ્વિક મહામારી છે તે કરતાં તે રાષ્ટ્રીય કમનસીબી વધુ છે. કમનસીબી એ અર્થમાં કે પ્રજા સાચું જાણી શકતી નથી. એક તરફ કેસ ઘટી રહ્યાનું કહેવાય છે, તો બીજી તરફ 4 લાખથી વધુ કેસો નવા નોંધાય છે ને મૃત્યુ આંક પણ ચારેક હજાર નજીકનો બતાવાય છે. સવા ત્રણ લાખ દરદીઓ સાજા થયા છે તો તે વાત પણ નોંધવી ઘટે, પણ સચ્ચાઈ પ્રજા સુધી પહોંચતી નથી એટલે તે ડરેલી અને મરેલી વધુ જણાય છે. સુપ્રીમ કોર્ટ એક તરફ ઓક્સિજન મુદ્દે કેન્દ્ર સરકારને ઠપકો આપે છે તો બીજી તરફ મંત્રીઓ ઓક્સિજન પહોંચાડવા બદલ વડા પ્રધાનની આરતી ઉતારે છે. વડા પ્રધાન એ મામલે કેટલા જવાબદાર છે તે તેઓ જાણે, પણ દેશમાં નકલખોર અને આપવડાઈ કરતાં ફોટોમંત્રીઓની જમાત ઊભી થઈ છે, જે રોબોટને શરમાવે એટલા આજ્ઞાંકિત અને ખર્ચાળ છે. એનો તાજો દાખલો ગુજરાતના મુખ્ય મંત્રી પૂરો પાડી રહ્યા છે. મુખ્ય મંત્રી સાથે વડા પ્રધાન છે કે વડા પ્રધાન સાથે મુખ્ય મંત્રી છે એ નક્કી ન થાય એટલી હદે ફોટો-ફોટો રમાય છે. કોઈ પણ અભિનેતા કરતાં નેતાઓના વધુ ફોટોસેશન ચાલતાં હોય તો નવાઈ નહીં. કેન્દ્રએ લોકડાઉન કરવાની જવાબદારી રાજ્ય પર નાખી છે ને જે તે રાજ્યોએ લોકડાઉન લાદ્યાં, લંબાવ્યાં પણ છે, પણ આપણા મુખ્ય મંત્રી કહે છે કે કેન્દ્ર સરકાર કહેશે તો જ લોકડાઉન લાવીશું. રસીને મામલે પણ લોકો અટવાય છે. કમાલ એ છે કે રસી સરકાર પાસે છે, પણ લોકોને તે મળતી નથી. જાતભાતની મીટિંગો છાશવારે થાય છે, પણ વાત પાણી વલોવવાથી આગળ જતી નથી.

વાતાવરણ એટલું ડહોળાયેલું છે કે બોર્ડની પરીક્ષાઓ લેવાય એમ નથી. જો કે શિક્ષણ વિભાગ મગનું નામ મરી પાડતો નથી. સી.બી.એસ.ઈ.એ દસમાં ધોરણની પરીક્ષાઓ રદ્દ કરી છે અને પરિણામો અગાઉની પરીક્ષાઓ અને પ્રોજેકટ વર્ક સહિતનાં પેરામીટર્સને આધારે આપવાની વાત છે. ગુજરાતનો શિક્ષણ વિભાગ આ મામલે શું કરવા માંગે છે તે અંગે ચૂપ છે. આ ચૂપકીદી તોડવા વાલીઓએ હાઇકોર્ટમાં ધોરણ દસની પરીક્ષાઓ રદ્દ કરવા પિટિશન કરી છે. વાલીઓની રજૂઆત એવી છે કે આવનારા મહિનાઓમાં પરીક્ષા લેવાશે તો હજારો વિદ્યાર્થીઓ સંક્રમિત થવાનું જોખમ છે. સી.બી.એસ.ઈ.એ પરીક્ષા રદ્દ કરી છે, જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે 10ની પરીક્ષા મોકૂફ રાખી છે. વાલીઓની રજૂઆત એવી પણ છે કે 10ની પરીક્ષા મોડી લેવાશે તો ધોરણ 11 પણ મોડું શરૂ થશે, એ સ્થિતિમાં ગુજરાત બોર્ડે પણ 10ની પરીક્ષા રદ્દ કરવી જોઈએ. વળી મંડળે પિટિશનની અર્જન્ટ સુનાવણીની માંગણી પણ કરી છે, કોર્ટ તે કરશે પણ ખરી, પણ તેને માટે પણ નિર્ણય કરવાનું સહેલું નહીં જ હોય, કારણ સી.બી.એસ.ઈ.ને 10ની પરીક્ષા રદ્દ કરવાની અનુકૂળતા હતી તે ગુજરાત બોર્ડને નથી.

ગુજરાતનો શિક્ષણ વિભાગ તુક્કાઓ પર ચાલ્યો છે ને ચાલે છે. 24 માર્ચ, 2020થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થયું ત્યારે દેશ આખામાં કોરોનાના છસો કેસ પણ ન હતા. એવામાં આખા દેશમાં તે લાગુ કરવાનું અર્થતંત્રનાં હિતમાં ન હતું, પણ વડા પ્રધાનને ત્યારે લોકડાઉન પહેલો વિકલ્પ લાગ્યો ને આજે જ્યારે લાખોની સંખ્યામાં કેસ વધે છે, ત્યારે લોકડાઉનને સાહેબ છેલ્લો વિકલ્પ ગણે છે. 2020નું આ લોકડાઉન મહિનાઓ સુધી ચાલ્યું અને અર્થતંત્રની પથારી તો એમાં ફરી જ, શિક્ષણનો ય દાટ વળી ગયો. સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ મહિનાઓ સુધી બંધ રહી. એમાં વળી ઓનલાઇન શિક્ષણનો પવન ફૂંકાયો. સરકારે જેમ સૂઝ્યું તેમ શિક્ષણને નામે આડેધડ હાંક્યે રાખ્યું. ઓનલાઈન શિક્ષણ મનસ્વી રહ્યું. હેતુ તો ભણાવવાનો જ હતો, પણ ભણનાર અને ભણાવનાર માટે એ ટાઈમપાસથી વિશેષ ન હતું. એમાં એકમ કસોટી અને એવી બીજી કસોટીઓને નામે અનેક પ્રયોગો થયા. સામાન્ય સંજોગોમાં વર્ગખંડોમાં લેવાતી પરીક્ષાઓમાં ચોરી રોકી શકાતી ન હતી, જ્યારે ઓનલાઈન પરીક્ષાઓમાં તો કોઈ જોનાર જ ન હતું એટલે જોઈને લખતાં કોઈ રોકે એમ ન હતું. એનું મૂલ્યાંકન પણ કેવું હોય તે સમજી શકાય એવું છે. શિક્ષણ મંત્રીએ જેમની પાસે ઓનલાઈન શિક્ષણ પામવાની સુવિધાઓ ન હતી તેમને પુસ્તકો અને અન્ય તકો પૂરી પાડવાનું એક મુલાકાતમાં કહેલું, પણ એ દિશામાં નક્કર કશું થયું હોવાનું જણાયું નથી.

ધારો કે થોડું થયું હોય, તો પણ સરકાર, બસ સેવાઓ ય ન હોય એવા વિસ્તારોમાં આજની તારીખમાં પણ ઓનલાઈન કે અન્ય રીતે ખાસ પહોંચી નથી, એ સ્થિતિમાં ગામડાંઓ અને વનવિસ્તારોના વિદ્યાર્થીઓની દસમાંની પરીક્ષાનું શું એ પ્રશ્ન શરૂઆતથી રહ્યો છે ને હકીકત એ છે કે એ દિશામાં ખાસ કૈં થયું નથી. ધારો કે 10ની પરીક્ષા રદ્દ થાય છે અને સી.બી.એસ.ઈ.ની રીતે પરિણામ આપવું છે, તો તેવી અનુકૂળતા ગુજરાત બોર્ડને નથી, કારણ અહીં ઓનલાઈન શિક્ષણ બધે થયું નથી, થયું છે ત્યાં શિક્ષણની કે પરીક્ષાની ગંભીરતા જળવાઈ નથી, ક્યાંક તો શિક્ષણકાર્ય જ થયું નથી, ત્યાં દસમાંની પરીક્ષા રદ્દ થાય તો કયા આધારે પરિણામો નક્કી કરવાં એ મોટો પ્રશ્ન છે.

માત્ર ધોરણ 10નો વિચાર કરીએ તો 2020ની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ 2021માં પરીક્ષા આપે એમ બને. ગયે વર્ષે 9માંથી માસ પ્રમોશન લઈને 10માંમાં આવેલા વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે. એ સાથે જ 2021માં માસ પ્રમોશન લઈને પણ 10માં ધોરણમાં વિદ્યાર્થીઓ નવા ઉમેરાયા છે. એ રીતે 10માં ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો ભરાવો થયો છે. હવે ગયા વર્ષના 10મામાં આવેલાનો અને રિપિટર્સનો સરવાળો કરીએ તો લગભગ સાડા બાર લાખ વિદ્યાર્થીઓ થાય જે આજ સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સંખ્યા વધવાનું એક કારણ કોર્સમાં 30 ટકાનો ઘટાડો થયો તે છે. એનો લાભ રિપિટર્સને પણ મળે એવું લાગતાં આ વખતે વધુ ફોર્મ ભરાયાં છે.

એક વાત નક્કી છે કે પરીક્ષા રદ્દ થાય તો પણ 10માં ધોરણનું પરિણામ કોઈક આધારે તૈયાર કરવું પડે, પણ એ આધાર નથી, કારણ ક્યાંક શિક્ષણ ને પરીક્ષાઓ જેમ તેમ થયાં હોય તો પણ, તે, રાજ્યમાં બધે થયાં નથી, એટલે જેમની પરીક્ષા થઈ છે તે આધાર લેવાય તો જ્યાં પરીક્ષાઓ થઈ જ નથી ત્યાં કયો આધાર લેવો તે પ્રશ્ન છે. ધારો કે કોઈ આધાર વિના બધાંને જ 11માં ધોરણમાં મૂકવામાં આવે તો લગભગ સાડા બાર લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં જોગવવાનું સહેલું નહીં હોય. એટલે ક્યાં તો પરીક્ષાઓ યોજવી પડે અથવા 11ના વર્ગો વધારવા પડે ને એ બંને પ્રવર્તમાન સંજોગોમાં અત્યંત મુશ્કેલ છે. એક રસ્તો છે. જે ધોરણનું છેલ્લી પરીક્ષાનું પરિણામપત્રક રેકોર્ડ પર હોય તેને આધાર ગણીને 10નું ને 12નું પરિણામ નક્કી કરવું ને તેને આધારે આગલા ધોરણમાં પ્રવેશ આપવો. આ ઉપરાંત બીજા કોઈ માર્ગો હોય તો તે પણ અપનાવી શકાય. જો માત્ર 12ની પરીક્ષાનું આયોજન શક્ય બને તો તે પણ કરી શકાય. 12નું બોર્ડનું પરિણામ મહત્વનું છે એટલે તેની પરીક્ષા તો થવી જ જોઈએ, પણ 10 અને 12ની, એમ બંને પરીક્ષાઓનું આયોજન કરવાનો લોભ જતો કરવા જેવો છે. આમ પણ નવી શિક્ષણનીતિમાં 10માંની બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ રહ્યું નથી, ત્યારે 12ની જ પરીક્ષા લેવાનું વધુ યોગ્ય ગણાય.

કોઈને એમ લાગે કે વેકેશન પછી સ્કૂલો ખૂલે તે પછી 10ની પરીક્ષાનું આયોજન કરીને પરિણામ નક્કી કરવું, એવું થાય તો સારું જ છે, પણ એક મહિના પછી સ્કૂલો ખૂલવાની હોય તેમ માનીએ તો અત્યારની જે ગંભીર સ્થિતિ કોરોનાની છે તે જોતાં ચમત્કાર સિવાય સ્થિતિ સામાન્ય થાય તેવું લાગતું નથી. નથી રસીનાં ઠેકાણાં કે નથી અન્ય ઇલાજનાં, એવામાં મહિનામાં વાતાવરણ સુધરે તો પણ એવું નથી જ બનવાનું કે સ્કૂલો નિયમિત શરૂ થાય. 2020નાં લોકડાઉન પછી બધું ખૂલ્યું ત્યારે પણ સ્કૂલો તો બંધ જ રહેલી અને છેલ્લે જ ખૂલેલી. હાલનું વાતાવરણ વધારે ગંભીર છે, એ જોતાં સ્કૂલો જૂનમાં શરૂ થાય એ અશકયવત છે, એટલે પરીક્ષાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો.

એક તરફ એકલદોકલ માટે નિયમો બતાવાતા હોય ને બીજી બાજુએ બધાં નીતિનિયમો કોરાણે મૂકીને લોકો સડક ભરી દેતાં હોય તો કોરોનાથી મુક્તિ ન જ મળે તે નક્કી છે. સાણંદમાં ધાર્મિક ઉજવણીમાં સેંકડો મહિલાઓ માથે બેડું મૂકીને સડક પર નીકળી પડે ને લોકો મંદિરનાં શિખર સુધી ઉત્સવના મૂડમાં હોય ત્યારે સંક્રમણ ન જ રોકાય એમાં શંકા નથી. લોકોને એવું છે કે કોરોના કૈં બગાડવાનો નથી, પણ ઉત્તર પ્રદેશની પંચાયતી ચૂંટણીમાં 2000 મોત થયાંની વાત આવી છે, જેમાં 700થી વધુ તો પ્રાથમિક શિક્ષકો હતા. એટલે બગડે તો છે જ ! આવામાં એક વિચિત્ર નિર્ણય પંજાબે પણ કર્યો છે. કરફ્યુના સમયે બીજું બધું બંધ રહેશે, પણ દારૂની દુકાનો ખુલ્લી રહેશે. આવા અક્કલ વગરના નિર્ણયો લેવાય ત્યાં શિક્ષણ તરફ કોણ ધ્યાન આપે? શિક્ષણમાં આ વર્ષ તો લખી જ વાળ્યું છે, આવતું વર્ષ પણ બચશે કે કેમ તેની ચિંતા થાય છે. સરકાર પ્રચારી અને પ્રજા અવિચારી હોય ત્યારે નિર્દોષોનું આવી જ બને એવું નથી લાગતું?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 મે 2021

Loading

7 May 2021 admin
← તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
લૂઝ કનેક્શન (10) : સમ્બોધનો →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved