Opinion Magazine
Number of visits: 9448941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહામારીને નામે હત્યાકાંડ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 May 2021

આ લખાય છે ત્યારે પાંચ રાજયોની ચૂંટણીનાં પરિણામો આવવા માંડ્યાં છે. બહુ ગાજેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કુલ 292માંથી તૃણમૂલ 204 સીટો પર તો ભા.જ.પ. 81 સીટો પર આગળ છે. તામિલનાડુમાં 234માંથી ડી.એમ.કે. 149 પર તો એ.ડી.એમ.કે. 80 સીટો પર આગળ છે. કેરળની 140 સીટોમાંથી સી.પી.એમ. 67 પર, કૉન્ગ્રેસ 37 પર આગળ છે, આસામમાં ભા.જ..પ 75 અને કૉન્ગ્રેસ 48 સીટો પર આગળ છે. પુડુચેરીમાં એન.ડી.એ. સત્તા પર આવે તો નવાઈ નહીં. ગુજરાત પેટાચૂંટણીમાં ભા.જ.પ.નો 1 વધુ વિજય થયો છે. એમ લાગે છે કે આસામમાં ભા.જ.પ. અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલને સત્તા મળશે. મમતાનો 1200 મતે વિજય થયો છે. એ વિષે પછી વાત, પણ આજે ચૂંટણીએ કોરોના વધારવામાં જે ભાગ ભજવ્યો છે એ જોઈએ.

મહામારીમાં મૃત્યુ થાય એ સમજી શકાય એવું છે, પણ તંત્રોની બેદરકારી અને પ્રજાની બેવકૂફીને કારણે મૃત્યુ ખૂબ વધી રહ્યાં છે. આમાં ચૂંટણીપંચ પોતાની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ગયું છે અને તેને લીધે વેઠવાનું પ્રજાએ આવ્યું છે. ચૂંટણીપંચ બરાબર જાણતું હતું કે નેતાઓની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને કોવિડ 19ની ગાઈડલાઇન્સનું પાલન થતું જ નથી, છતાં તે તરફ તેણે દુર્લક્ષ સેવ્યું, પરિણામે સંક્રમણે માઝા મૂકી. આજે સ્થિતિ એ છે કે રોજના ચારેક લાખ નવા કેસ નોંધાવીને ભારત વિશ્વમાં મોખરે ઊભું રહ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે પંચ પર હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ એવી ટિપ્પણી કરતાં ચેતવણી આપી હતી કે ચૂંટણીનાં પરિણામો વખતે ગાઈડલાઇન્સનું પાલન નહીં થાય તો કોર્ટ મતગણતરી રોકશે, પણ લોકો મતગણતરી પછી બેફામ થયાં ને ચૂંટણી પંચે રાજ્યોને આવા લોકો પર એફ.આઇ.આર. કરવાની વાત કરીને સંતોષ માનવો પડ્યો. બંગાળમાં માસ્ક વગર ભીડ થઈ અને રસ્તા પર ફટાકડા ફૂટયા, ચેન્નાઈમાં ભીડને લાડુ વહેંચાયા, એટલું ઓછું હોય તેમ બાળકોને પણ જીતમાં સામેલ કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીની મતગણના વખતે હાથરસમાં હજારોની ભીડે કાઉન્ટિંગ હોલમાં ઘૂસવાની કોશિશ કરી. એમાં જ એક કેન્દ્ર પર મતગણતરી કરનારા 4 કર્મચારીઓ સંક્રમિત હતા. એક વાત સ્પષ્ટ છે કે સર્વનાશ કોરોનાએ કર્યો તેના કરતાં ચૂંટણીએ વધુ કર્યો છે ને ખબર નહીં, રેલીઓ ને પરિણામો નિમિત્તે થયેલી ભીડ આવનારા દિવસોમાં શું વીતાડશે? એમાં કોઈ શંકા નથી કે કોરોનાને રોકવામાં તંત્રો નિષ્ફળ ગયાં છે ને આ નિષ્ફળતા કોઈ પણ ગુનાહિત કૃત્યથી જરા પણ ઓછી નથી.

એક વાર કેન્દ્રના આરોગ્ય મંત્રીને પૂછવામાં આવ્યું કે મહામારીના કાળમાં ચૂંટણીઓ રોકી શકાઈ હોત, પણ તેમણે જવાબ આપવા પોતે સક્ષમ નથી એમ કહીને વાત ટાળી. એટલું નક્કી છે કે ચૂંટણી ઘણાં રાજ્યોમાં સંક્રમણનું કારણ બની છે ને તેને કારણે જે મૃત્યુ થયાં છે તેને હત્યાથી જુદું નામ આપી શકાય એમ નથી. સરકારો કામ કરે છે તેની ના નથી, પણ તેની કામ કરતાં કામની જાહેરાત વધુ હોય છે. જેટલાં લોકોને રસી મૂકાઈ છે તે કુલ વસતિના બે ટકાથી વધુ નથી ને દેખાવ એવો છે કે રસીકરણમાં ભારતે જગ જીતી લીધું છે. એવો જ લવારો કોરોનાનું જોર નરમ પડતાં વિજય મેળવી લીધાનો થયેલો. એને કારણે તંત્રો અને લોકો મહામારી પરત્વે ઉદાસીન બન્યાં ને દાટ એણે વાળ્યો.

સરકાર અને પંચની ઉદાસીનતાએ કેવો ભાગ ભજવ્યો છે તેનું ઉદાહરણ ઉત્તર પ્રદેશે પૂરું પાડ્યું છે. ત્યાં પંચાયતી ચૂંટણીમાં 706 પ્રાથમિક શિક્ષકોનાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયાં છે. શિક્ષક સંઘે 2 મેએ થનારી મતગણતરી મોકૂફ રાખવા મુખ્ય મંત્રી અને ચૂંટણીપંચને પત્ર લખ્યો ને સાથે મૃતકો યાદી પણ બીડી, પણ કૈં થયું નહીં. શિક્ષક સંઘે ચૂંટણી સ્થગિત કરવાની ને થવાની જ હોય તો સ્ટાફને વેક્સિન આપવાની તથા ચૂંટણી પ્રશિક્ષણ ઓનલાઈન આપવાની માંગ કરી, પણ સરકારે ને પંચે એ તરફ ધ્યાન ન આપ્યું ને 700થી વધુ શિક્ષકો મરણશરણ થયાં. આ મૃત્યુ રોકી શકાયાં હોત, એ કોરોનાને કારણે થયાં તેનાં કરતાં તંત્રોની અને બેદરકારીને કારણે વધુ થયાં છે. આમ તો ટેવ પ્રમાણે સરકારો સંવેદનાઓ પાઠવતી હોય છે કે થોડા લાખ, રાખ પાછળ ફેંકતી હોય છે, પણ એવો વિવેક દાખવવાનું પણ કોઈને સૂઝયું નથી. હોય એ તો ! તંત્રો કોને કહ્યાં છે !

એ સંદર્ભે ગુજરાત સરકાર ખાસી સંવેદનશીલ છે. એણે સંવેદનાનું ને થોડા લાખનું પોટલું તરત જ ભરુચ માટે ખોલી નાખ્યું. સારું છે કે કોઈ ઘટના બને એટલી રાહ સરકાર જુએ છે, બાકી તો એમને એમ પણ કોઈને ત્યાં પોટલું પહોંચી જાય તો નવાઈ નહીં. જો કે, ભરુચ માટે જાહેરાત કરી તે તો ખરેખર 18 જણાંનાં કોલસા પડ્યા એટલે. સરકારે તરત જ તપાસ સોંપી ને મૃતકોના પરિવારોને ચાર ચાર લાખની (સ)હાય જાહેર કરી. કેમ જાણે એ મેળવવા જ અગ્નિસંસ્કાર પહેલાં મરનાર ભડથું થયાં હોય !

ગયા શુક્રવારની મધરાતે ભરુચની એક હોસ્પિટલમાં આગ ફાટી નીકળી અને 16 કોરોના દરદીઓ તથા બે નર્સોનો ભડકો થઈ ગયો. એમાંના 12 વેન્ટિલેટર પર હતા. વેન્ટિલેટરમાં સ્પાર્ક થતાં મોડી રાત્રે આગ લાગી ને પછી જે થવાનું હતું તે થયું. જો કે થોડા દરદીઓને બચાવી લેવાયા. આમ તો આ અકસ્માત છે ને એને એ જ રીતે જોવાનો રહે, પણ અકસ્માતની પરંપરા સર્જાય ત્યારે એ અકસ્માત ન રહેતાં બેદરકારીનો નાદાર નમૂનો બને છે. હોસ્પિટલોમાં દરદી રોગને કારણે મરે તે સમજી શકાય, પણ આગથી મરે ને એવી આગ એકથી વધુ  વખત કોવિડ હોસ્પિટલમાં ને તે પણ આઇ.સી.યુ.માં જ લાગે તો એને દર વખતે અકસ્માત ગણી શકાય નહીં. એવે વખતે સરકાર તપાસ સોંપીને અને સહાય ફાળવીને રહી જાય તો તે માનવીય સંવેદના ધરાવતી નથી, એવો જ એનો અર્થ થાય. ગયા ઓગસ્ટમાં અમદાવાદ અને જામનગરમાં આઇ.સી.યુ.માં આગની ઘટનાઓ બની, તે પછી સપ્ટેમ્બરમાં વડોદરામાં પણ આઇ.સી.યુ.માં જ આગ લાગી, તો નવેમ્બરમાં રાજકોટમાં પણ એમ જ બન્યું, એ ઓછું હોય તેમ સુરતની એક આઇ.સી.યુ.માં ગયા મહિને આગ લાગી. ગુજરાતમાં અત્યાર સુધીમાં આગમાં 36 કોરોના દરદીઓનો ધુમાડો થયો છે. આ બધું છતાં રેઢિયાળ તંત્રો આગલી ઘટનાઓમાંથી કૈં શીખતાં નથી ને નિર્દોષોનું આવી બને છે.

આ તો તંત્રોની વાત થઈ, પણ પ્રજા તરીકે આપણા જેવી દંભી, મતલબી અને નિષ્ઠુર પ્રજા બીજી નથી. એક તરફ ડોક્ટરો, નર્સો અને સેવાભાવી સંસ્થાઓ જીવનું જોખમ ખેડીને દરદીઓને બચાવવાની કોશિશ કરે છે ત્યાં કેટલાંક લોકો પૂરા બેશરમ થઈને ધંધો કરી રહ્યાં છે. કોઈ હજારોનું એમ્બ્યુલન્સનું  બિલ ફાડે છે તો કોઈ રેમડેસિવિરનાં કાળાબજાર કરી ગજવાં ભરે છે. કેટલાકની હોજરી ભરાતી જ નથી એટલે સુરતમાં નકલી રેમડેસિવિરની ફેક્ટરી જ નાખે છે ને 60 હજાર ઇન્જેકશન્સ બનાવીને 5 હજાર તો બજારમાં વેચી પણ મારે છે. મીઠું અને ગ્લુકોઝ ભેળવીને ઇન્જેક્શન્સ બનાવતી એક ટોળકી પકડાઈ છે. ઝેર મોંઘું પડ્યું હશે, બાકી ગ્લુકોઝ, મીઠાની જગ્યાએ એ નાખીને પણ નકલી રેમડેસિવિર બનાવતાં આવા હેવાનો અચકાય એમ નથી. આ ટોળકી પાસેથી 1 કરોડ રોકડા અને 2.73 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ લોકો ગરીબ નથી, પાસે પૈસા છે ને વધુ કમાવા લોકોની જિંદગી જોડે રમત રમે છે. આટલી હિંમત આવા લોકોમાં એટલે આવે છે, કારણ કાયદો કૈં બગાડી શકવાનો નથી એવી એમને ખાતરી હોય છે. બગાડે તો પૈસા વેરીને છટકી શકાય એમ છે, એટલે ગુનો કરતા રહે છે.

એમાં નાનો વેપારી કે લારીવાળો પણ બાકાત નથી. કોવિડના દરદીને ઇમ્યુનિટી વધે તેવી ચીજવસ્તુઓ લેવાની ભલામણ થતી હોય છે એટલે સંબંધીઓ લીંબુ, સંતરા, મોસંબી, નાળિયેર વગેરે લેવાં દોડે છે. આ જરૂરિયાત ઊભી થયાની ખબર પડે તો માનવતા દાખવીને સસ્તું આપવાની કોશિશ બધાંએ કરવી જોઈએ, પણ સામેવાળો કતલખાનામાં આવ્યો હોય તેમ બધાં જ એને વધેરવા તૈયાર થઈ જાય છે. એ જ કારણ છે કે 50 રૂપિયે કિલોના લીંબુ 150 રૂપિયે થઈ જાય છે, 10-20નું નાળિયેર 100 રૂપિયે વેચાય છે. સરકારનો ઇજારો પોતાને મળી ગયો હોય તેમ બધાં જ લૂંટવા લાગે છે. એ બિચારા જાણતા નથી કે લૂંટનારને લૂંટનારા પણ છે. એટલીસ્ટ, સરકાર તો માથે છે જ ! આ બધામાં સાધારણ માણસને તો જાણે જીવવાનો અધિકાર જ રહ્યો નથી. તે બિલ ભરી શકે એમ નથી. સો રૂપિયાનું નાળિયેર ખરીદવાની ત્રેવડ ન હોય ત્યાં ઓક્સિજન, ઇન્જેકશન્સ, એમ્બ્યુલન્સ સુધી તો એ જવાનો જ કેવી રીતે હતો? એનો મરો તો ઉધાર ઉછીનું કરીને સ્વજનને બચાવવા મથે ત્યારે થાય છે ને વક્રતા એ હોય છે કે સ્વજન સ્મશાન થઈ જાય છે ને બિલ ભરવાનાં બાકી રહી જાય છે. તે તો એવી પ્રાર્થના જ કરવાનો કે મરવાનું જ હોય તો હોસ્પિટલ સુધી ન જવાનું થાય તો સારું, કારણ સ્વજન ને સંપત્તિ, બંને ગુમાવવાનું તેને કોઈ રીતે પરવડે એમ નથી …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 મે 2021

Loading

3 May 2021 admin
← માનવતાનું પુષ્પ ડૉ. જીવરાજ મહેતા
સિવિલ સર્વિસ : જાગીર મટી જવાબદાર બને →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved