Opinion Magazine
Number of visits: 9448938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ ઉડ જા રે પંછી ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 March 2021

સુપ્રતિષ્ઠ અને સુકીર્તિત, એક રીતે જોતાં લગભગ અદ્વિતીય જેવી અશોક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન અને જાહેર બૌદ્ધિક પ્રતાપભાનુ મહેતાએ રાજીનામું આપવાપણું જોયું એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? આમ તો, એક અર્થમાં, આ પ્રશ્નનો ઉત્તર રળ સોંસરો હોવો જોઈએ; કેમ કે પ્રતાપ ભાનુએ પોતાના રાજીનામા સબબ જાહેરમાં જણાવ્યું છે કે મારું જોડાણ યુનિવર્સિટી માટે ‘પોલિટિકલ લાયેબિલિટી’ (રાજકીય બોજ ને જવાબદારી) બની શકે છે. એમણે કેટલાક ટ્રસ્ટીઓ સાથેની ચર્ચાને પગલે આ વિધાન કર્યું છે એટલે એની ગંભીરતા સ્વયંસ્પષ્ટ છે. દેશપરદેશનાં વિદ્યાધામો સાથે સંકળાયેલા અને આપણે ત્યાં પણ ઉચ્ચ સ્તરે નીતિનિર્ધારણ વિમર્શમાં કાર્યરત રહેતા આવેલા પ્રતાપ ભાનુ હોદ્દા નિરપેક્ષપણે પ્રકાશે એવી પ્રતિભા છે. એકવાર રવીન્દ્રનાથે જે કહેલું તે જેમને બરાબર લાગુ પડી શકે એવી શખ્સિયતો પૈકી એ એક છેઃ મને વિદ્વાનો આપો, રવીન્દ્રનાથે કહ્યું હતું અને ઉમેર્યું હતું, એ આવશે અને એમની ફરતે યુનિવર્સિટીઓ રચાતી આવશે.

એવા તો વિદ્યાવ્યાસંગી જણ છે આ પ્રતાપભાનુ કે એમણે અશોક યુનિવર્સિટીના કુલપતિપદેથી બેંક વરસમાં જ રાજીનામું ધરી દીધેલું; કેમ કે ‘વહીવટી કામો મારા વિદ્યાજીવનનો સમય ખાઈ જાય છે.’ મૂળે રાજ્યશાસ્ત્રી પણ સઘળી માનવવિદ્યાઓમાં રમેલા અને તત્ત્વજિજ્ઞાસાના કાન્તારમાં અકુતોભય વિહરી શકતા પ્રતાપ ભાનુનો વિશેષ એ છે કે એમના વ્યાપક અને યથાસંભવ સમ્યક્‌ જ્ઞાન અને નીતરી સમજને ધોરણે એ જાહેર પ્રવાહોને જોતા ને મૂલવતા રહે છે. એમની આ વિદ્યાકીય એટલી પ્રજાકીય સંડોવણી સત્તા-પ્રતિષ્ઠાનનાં ટીકાસ્થાનો બાબત એમને બેબાક બોલતા એટલે કે લખતા રાખે છે. તાજેતરનાં વરસોમાં એમના આ અહોરાત્ર અનુષ્ઠાનવત્‌ ટીકાસત્રનું મુખ્ય ભાજન સ્વાભાવિક જ કેન્દ્રીય નેતૃત્વ રહેલ છે. અશોક યુનિવર્સિટીના પ્રતિષ્ઠાપુરુષ એવા પ્રતાપભાનુ ‘પોલિટિકલ લાયેબેલિટી’ છે તે આ અર્થમાં; કેમ કે એમને અંગે ‘પ્લાયેબિલિટી’ની અપેક્ષા સેવી સેવાય એવી નથી.

પણ એમના રાજીનામા સાથે કે પછી એમણે અને અરવિંદ સુબ્રમણ્યને ટ્રસ્ટીઓની સાથે રહીને જે નિવેદન કર્યું કે યુનિવર્સિટી પોતાના ધ્યેયપથ વિશે સભાન છે અને યથાસંભવ દોષદુરસ્તી વિશે જાગ્રત છે તેટલા માત્ર સાથે આ ચર્ચા પૂરી થતી નથી. રહો, મારે અહીં અરવિંદ સુબ્રમણ્યન સંદર્ભે પણ બે શબ્દો કહેવા જોઈએ. સુબ્રમણ્યને, મારે આરંભે જ કહેવું જોઈતું હતું, પ્રતાપભાનુને પગલે રાજીનામું ધરી દીધું છે. મોદી શાસનમાં એમણે ટોચના આર્થિક સલાહકાર તરીકે કામગીરી બજાવેલી છે, અને પછીનાં વર્ષોમાં આવી એક આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટી સાથે સંકળાવામાં એમણે જીવનનો આનંદ અને કર્તવ્યબોધ જોયાં હશે. એમણે પણ ખસવું પસંદ કર્યું એનો અર્થ એ કે વિદ્યાકીય કામગીરીમાં કોઈક સ્તરે કશાક અસુખની એમનીયે લાગણી છે. અશોક યુનિવર્સિટી પાછળની આદર્શવાદી ચાલના અને હોંશધખના બેઉના ચાહક પ્રતાપભાનુ અને અરવિંદ પદ છોડતે છતે ટ્રસ્ટીઓની સાથે રહીને સંયુક્ત નિવેદન કરવાપણું જુએ છે એમાં એક સહિયારી મજલના ખયાલવશ આત્મીય સંધાન ખસૂસ છે.

મુશ્કેલી એ છે કે અશોક યુનિવર્સિટીના ભાવનાશીલ સંસ્થાપકો અને આવી ખાનગી (બિનસરકારી) યુનિવર્સિટી શક્ય બનાવનાર સખી દાતાર શા થેલીશાહો છતાં અહીં જોડાનાર સ્વયંપ્રકાશિત અધ્યાપકની નિયતિ ‘પોલિટિકલ લાયેબિલિટી’ રૂપે ધરાર છેટા રહેવાની ને છૂટા થવાની હોઈ શકે છે. યોગેન્દ્ર યાદવે એ વાતે ધોખો કીધો છે કે થોડા અવાજો નીકળ્યા, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓએ વિરોધસૂર કાઢ્યા, ટૂંકી હડતાળ પાડી, દેશ બહારના વિદ્વાન બૌદ્ધિકોએ વિરોધનિવેદન કર્યું, બધું બરાબર ચાલ્યું પણ ‘રાઈટ નોઈઝીઝ’ પછી બધું ઠરી ગયેલું કેમ લાગે છે … કેમ જાણે, ઘીના ઠામમાં ઘી પડી ગયું ન હોય. યાદવે એક પેરેલલ પણ સંભાર્યો છે : પ્રશાન્ત ભૂષણના પ્રશ્નમાં, અદાલતની અવમાનના મુદ્દે, ભૂષણે તેજતર્રાર ટટ્ટાર ભૂમિકા લીધી ત્યારે દેશવ્યાપી એવો જે વ્યાપક ઊહાપોહ એક સળંગ દોરની પેઠે ચાલ્યો એવું પ્રતાપભાનુના કિસ્સામાં કેમ અનુભવાતું નથી.

આ પ્રશ્નનો ઉત્તર આપવાની કોશિશ કરીએ ત્યારે જડી રહેતો એક સીધો સાદો જવાબ અલબત્ત એ હોઈ શકે કે પ્રતાપ ભાનુ સીધી જાહેર પ્રવૃત્તિઓ સાથે એ રીતે સંકળાયેલા નથી જે રીતે પ્રશાન્ત ભૂષણની સક્રિય સંડોવણી સતત અનુભવાય છે. પ્રતાપ ભાનુ વિશ્વવિશ્રુત પંકાતાઓ પૈકી હશે, પણ કર્મ અને કલમની જુગલબંદીની કસોટીએ લોકમાં રોપાયેલ જણ નથી. એટલે આટલી મોટી ઘટના – એ સામાન્ય ઘટના નથી જ નથી – આંદોલનકંપ જગવ્યા વિના આછરી જતી વરતાય છે. પણ આ સમજૂત સાચી હોય તો પણ એનાથી સમાધાન નથી મળતું – અહીં કોમ્પ્રોમાઈઝની વાત નથી, ચિત્તને કરાર વળવાની વાત છે. જેની પાસે કહેવા સમજવા જોગ વાત છે તે જાણતેસમજતે છતે કહી ન શકે ત્યારે એ વ્યવસ્થામાં કંઈક તો ખામી હશે ને. થોડાં વરસ પર (અલબત્ત, મે ૨૦૧૪ પૂર્વે) ગુજરાતમાં, નમૂના દાખલ, લોકઆયુક્તની નિયુક્તિને મામલે શું થયું હતું? ગુજરાત હાઈકોર્ટે ત્યારના મુખ્ય મંત્રીના નિર્દેશ તળેની કારવાઈ વિશે એ મતલબની ટિપ્પણી કરી હતી કે ‘મિની કૉન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’ સરજવામાં આવી છે. જે હવામાન બન્યું એમાં વખતે અસરકારક લોકઆયુક્ત પુરવાર થઈ શક્યા હોત એવા ન્યાયમૂર્તિ આર.એ. મહેતાને પદભાર સ્વીકારવા જેવું જ ન લાગ્યું. (તે વખતે અખબારી કૉલમમાં આ લખનારે એક ફિલ્મગીતનો સહારો લીધો હતો – ચલ ઉડ જા રે પંછી કિ યહ દેસ હુઆ બેગાના.) પ્રતાપ ભાનુ મહેતા પોતે રખે ને સંસ્થા માટે ‘પોલિટિકલ લાયેબિલિટી’ બની રહે એવી ધર્મભીરુ ભૂમિકાએ ખસવા કરે ત્યારે દેશના નેતૃત્વની તરાહ ને તાસીર વિશે બલકે નિયત વિશે સવાલ ઉઠે જ ઉઠે. આવો જ પ્રશ્ન, એમ જુઓ તો, કિસાન આંદોલન વિશે પણ ક્યાં નથી ઊઠતો કે કેમ એની નિયતિ એક-વ્યક્તિ-ખડક જોડે અથડાઈને પાછા પડવાની જણાઈ રહી છે. યોગેન્દ્ર યાદવે અશોક પ્રકરણમાં તેમ પી. સાઈનાથે કિસાન પ્રકરણમાં આ મતલબનો પ્રશ્ન ઉઠાવ્યો પણ છે.

આ પ્રશ્ન અને એના ઉત્તરથી હટવાની રીતે નહીં, પ્રતાપ ભાનુની સાથે નહીં રહેવાની રીતે નહીં પણ એકંદર વિદ્યાકારણ સંદર્ભે, સવિશેષ તો વિદ્યાસંસ્થા સંદર્ભે વ્યાપક સહવિચારની જરૂર છે તે આપણે સમજવું જોઈશે. અનુદાનપ્રાપ્ત અને એથી યુ.જી.સી.બદ્ધ બલકે સરકારગ્રસ્ત યુનિવર્સિટીઓ દેખીતી પબ્લિક યુનિવર્સિટી છતાં નાકામિયાબ નહીં તો પણ નામકર જેવી પેશ આવી રહી છે. તે પૈકી સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી યુનિવર્સિટીઓ – જેમ કે જે.એન.યુ. અગર જામિયા મિલિયા – વર્તમાન શાસનને મન કોઈ ફતેહ કરવા લાયક કિલ્લો છે. દેશમાં વિપક્ષ લોકસભામાં બે આંકડામાં સમાઈ ગયો એનાથી એમને ધરવ નથી, કેમ કે જ્યાં સુધી આઝાદ અવાજઠેકાણાં હોય ત્યાં સુધી સઘળી ચેનલોને સરકારી નીરણ પર જીવતી કરી મેલ્યા પછી પણ આસન સ્થિર અનુભવાતું નથી.

બીજી પાસ, જે.એન.યુ. અગર જામિયા મિલિયાથી ઉફરાટે અશોકના હાલ જુઓ. એણે ગ્રાન્ટજીવિની નહીં બનવાનું નક્કી કર્યું. જો કે આપણે પૈસે અનુદાન આપતી સરકાર કોઈ ઉપકાર નથી કરતી અને તે ઉત્તર આપવા બંધાયેલી છે, પણ એ જુદી વાત થઈ. ખાનગી સ્રોત પર ઊભા થઈ વિશ્વસ્તરના લિબરલ આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ કેન્દ્રરૂપે અશોક યુનિવર્સિટીએ એક પ્રતિમાન કાયમ કીધું. છતાં વિશ્વસ્તરની ફેકલ્ટી વાસ્તે લાયેબિલિટી અને પ્લાયેબિલિટીને ધોરણે તંગ દોર પરની નટચાલ અનિવાર્ય બની રહે છે.

બીજી પણ એક વાત છે. પ્રતિમાનરૂપ બની રહેલ અને હજી સુધી એ વિત્તસંવિત જાળવી રહેલ જે.એન.યુ.માં આજથી થોડાં વરસ પર તમે કન્હૈયાકુમાર જેવી તૃણમૂલ પ્રતિભા કદાચ ન કલ્પી શક્યા હોત. જયશંકર પ્રસાદ, નિર્મલા સીતારામન જેવાં હાલના કેન્દ્રીય પ્રધાનમંડળનાં સભ્યો કે મુચકુંદ દુબે જેવા ટોચના અધિકારીઓ અગર સીતારામ યેચુરી ને આનંદકુમાર જેવા સી.પી.એમ. / જેપી લોહિયા છાત્ર નેતાઓ બહુધા એલિટ કેરેક્ટરની નીપજ હતા. ક્રમશઃ એનું વર્ગીય સ્વરૂપ આમ અનુસંધાનપૂર્વક બદલાઈ રહ્યું છે. અશોક યુનિવર્સિટી તો ગળથૂથીગત સર્વથા એલિટ પ્રકૃતિની છે. અડધોઅડધ છાત્રો માટે ફ્રીશિપનો એનો આગ્રહ અલબત્ત કાબિલે દાદ છે. પણ એમાં વિકસતી જીવનશૈલી અક્ષરશઃ એલિટ તરેહની છે, અને એલિટ હોવું ને પરોપજીવી ન હોવું તે દોહ્યલી વાત છે. કૃષ્ણ સુદામા ગુરુકૂળનું જીવન જીવતા, સાથે લાકડાં ફાડવા જતા એવું સહજીવન અને છાત્રજીવન જે ગાંધીની બુનિયાદી ચાલના પૂંઠે હતું તેની અપીલ તો પેલા અડધોઅડધ ફ્રીશિપ સમુદાયને પણ ડિગ્રીએ લાંગરતા લગીમાં જાગવાની નથી. આશ્રમશાળાઓમાં રહી હાંસિયે લટકી નકો નકો જિંદગી બસર કરનારો જે અધમુવો સમુદાય એની ઇતિહાસસનિયતિ તો એની એ જ હોવાની છે. અશોક અને જે.એન.યુ. પણ આ સંદર્ભમાં પૂરા કદના વિકલ્પ નથી તે નથી.

આ ચર્ચા પ્રતાપ ભાનુ અને અશોકની સામે નથી. એમને સારુ સ્વતંત્ર અસ્તિત્વ દોહ્યલું બનાવી રહેલ બળો સાથે આપણે નથી તે નથી. પણ ચંદનમહેલ અને ટાપુલોકનો જે અભિગમ, એની મર્યાદાઓ નહીં સમજી શકતા ધીમન્તો સાથે પણ આપણે નથી. વર્ગાનુક્રમ, વર્ણાનુક્રમ, વંશાનુક્રમ, કશું ના ખપે અને એના લાભોજી અને લાળકારણનું રાજકારણ પણ ન ખપે … માત્ર, આ ક્ષણે તાત્ત્વિક ચર્ચામાં વાસ્તવ ચૂકી પ્રતાપ ભાનુની તરફે ન ઊભા રહેવું પણ ન ખપે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 01-02

Loading

29 March 2021 admin
← આજની તારીખે
બંગાળમાં મોદીની રાજનીતિઃ પડકારો અને પ્રશ્નો →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved