Opinion Magazine
Number of visits: 9449162
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ તરીકેની સંવેદના વિકસાવીએ તો ખેડૂતોની પીડા સમજાશે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 December 2020

મારા એક મિત્રએ મને પૂછ્યું હતું કે દેશભરમાં ખેડૂતોનું જે અંદોલન ચાલી રહ્યું છે, એ ટકશે ખરું? મેં જવાબમાં કહ્યું હતું કે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે, એ દેશભરનું છે ખરું? આપણે અખિલ ભારતીય એવો શબ્દપ્રયોગ કરીએ છીએ તો ખરા, પણ એમાં અખિલ ભારતીયતા ઓછી હોય છે ક્ષેત્રીયતા વધુ હોય છે. ૧૮૫૭ના સૈનિકોના બળવાને આપણે ‘આઝાદી માટેની પહેલી લડત’ એવાં રૂપાળા નામે ઓળખાવીએ તો છીએ, પણ વાસ્તવમાં એ ઉત્તર અને પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યો પૂરતું જ સીમિત હતો. એનો દક્ષિણ અને ઇશાન ભારતમાં જરા ય પ્રભાવ નહોતો અને પશ્ચિમ ભારતમાં મામૂલી હતો. વળી એમાં માત્ર સૈનિકોએ ભાગ લીધો હતો, પ્રજાનો સહભાગ નહીંવત્ હતો. ભારતમાં અનેક ધાર્મિક આંદોલનો થયાં છે અને તેનો પ્રભાવ પણ ક્ષેત્રીય છે. ક્યાંક મધ્વનો, વલ્લભનો, ક્યાંક ચૈતન્યનો, ક્યાંક કબીરનો, વગેરે.

આ દેશમાં અખિલ ભારતીયતા જેવી કોઈ ચીજ જ નથી અને છતાં છે પણ. મારા બાળપણમાં મારાં બા ઘરે દરજીને બેસાડતાં. એ જમાનામાં ગામડાંઓમાં એવી પ્રથા હતી. દરજી બે-ત્રણ દિવસ માટે સંચો લઈને ઘરે આવી જાય અને માત્ર એ કુટુંબનું જ કામ કરે. છેલ્લા દિવસે કપડાં સીવતાં જે લીરા બચ્યા હોય એને સાંધીને મારાં બા ગાદલા-ગોદડાં ઢાંકવા માટે ‘ગોદડાઢાકણું’ સીવડાવતાં. એમાં અનેક રંગ હોય અને ચોરસા પણ નાનામોટા હોય. એક રીતે જુઓ તો એમાં કોઈ ભાત નજરે ન પડે અને છતાં ય ભાત હોય. થોડા દિવસ પછી ગમવા લાગે. આપણા દેશનું પણ આવું જ છે. ભાત વિનાનો પણ ભાતવાળો. આપણી અખિલ ભારતીયતા આ સ્વરૂપની છે અને તેને તેના સ્વરૂપમાં જ સ્વીકારવી જોઈએ. તેની સાથે ચેડાં કરવામાં લાભ નથી.

આ દેશ વિવિધતાઓથી ભરેલો છે અને વિવિધતા માત્ર ઓળખોને લઈને ભાવનાત્મક નથી, હકીકતોને લઈને વાસ્તવિક પણ છે. એકની જે જરૂરિયાત છે એ બીજાની નથી. એકની જે તકલીફ છે એ બીજાની નથી. એકનું જે સુખ છે એ બીજાનું નથી. એકનું જે દુઃખ છે એ બીજાનું નથી. ભુજમાં હમીરસર તળાવ છલકાય તો કચ્છીઓ રાજીના રેડ થઈ જાય અને નેપાળમાં કોસી નદી ઉપરનો બરાજ છલકાય તો બિહારીઓના હાજા ગગડી જાય. દેશની વાસ્તવિકતા અલગ અલગ છે, પ્રજાની જરૂરિયાત અલગ અલગ છે, સુખ-દુઃખનાં કારણો અલગ અલગ છે એટલે પ્રજાનો સ્વાર્થ પણ અલગ અલગ છે. આ એક એવો દેશ છે જેનો સ્વાર્થ પણ એક સરખો અખિલ ભારતીય નથી અને માટે પીડા કે રાજીપો પણ અખિલ ભારતીય નથી. આવો બીજો કોઈ દેશ આ ધરતી ઉપર નહીં મળે.

હા, સમસંવેદના વિકસાવી શકાય, પણ એને માટે દેશના લોકોએ એકબીજાના સ્વાર્થને, તેની પીડાને અને રાજીપાને સમજવા જોઈએ. અંદર આપણાપણાનો ભાવ હોવો જોઈએ. બસ, અહીંથી સહ્રદયતાની અથવા સમસંવેદનાની યાત્રા શરૂ થાય છે. વખતે તમારા સ્વાર્થ સાથે બીજાનો સ્વાર્થ અથડાય પણ ખરો. અનામતની જોગવાઈને લઈને ભારતીય પ્રજાના સ્વાર્થ અથડાઈ રહ્યા છે ,એ તો આપણો રોજનો અનુભવ છે. તમે ક્યારે ય પોતાની જાતને દલિતની જગ્યાએ મૂકીને એની પીડાને પામવાની કોશિશ કરી છે ખરી? જો કરી હોય તો તમે સાચા દેશભક્ત, અને જો ન કરી હોય તો તમે દેશભક્તિના અંચળા હેઠળ પોતાના સ્વાર્થને છુપાવનારા દેશ માટે બોજારૂપ ખુદગર્જ ઇન્સાન છો.

આ જ માપદંડ ખેડૂતોના આંદોલન માટે પણ લાગુ કરવો જોઈએ. એ આંદોલન અખિલ ભારતીય નથી અને બનવાનું નથી. ભારતમાં જેને દેશવ્યાપી કહેવાય એવું અખિલ ભારતીય આંદોલન એક પણ થયું નથી. ગાંધીજીના એકાદ-બે સત્યાગ્રહો આમાં અપવાદ કહી શકાય, પણ એ પણ તેના શાબ્દિક અર્થમાં અખિલ ભારતીય નહોતા. આટલું કરવા માટે પણ ગાંધીજીએ કેટલો પરિશ્રમ લીધો હતો તેની કદાચ તમને કલ્પના નથી. જો અખિલ ભારતીય સમસંવેદના પેદા કરવામાં આવે તો અખિલ ભારતીય આંદોલન થાય અને એ ભગીરથ કામ છે. ભારત ભરમાં અલગ અલગ પ્રદેશોમાં ખેતીની સ્થિતિ અલગ અલગ છે, એટલે ખેડૂતોનાં સુખ-દુઃખ અલગ અલગ છે. ગુજરાતની જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આદિવાસી પંથક, કચ્છ, સૌરાષ્ટ્ર અને ભાલકાંઠામાં ખેતીની સ્થિતિ અલગ અલગ છે. એ સમજવા માટે સમજણ અને સંવેદના વિકસાવવા પડે, ચોવીસે કલાક ધુણવાથી દેશપ્રેમી નથી થવાતું.

પણ હવે પછી અખિલ ભારતીય આંદોલન થશે, એમ મને દેખાઈ રહ્યું છે. એનું કારણ એ છે કે છેતરપિંડી અને લૂંટ અખિલ ભારતીય છે અને ઉપરથી એ મર્યાદારહિત વિકૃત છે. પ્રચંડ મોટા પૂંજીપતિઓ, શાસકો, ધર્મગુરુઓ અને ઇલેક્ટ્રોનિક તેમ જ સોશ્યલ મીડિયા કંપનીના માલિકોની ધરી રચાઈ છે, જે પ્રજાને છેતરે છે અને લૂંટે છે. આજના યુગમાં પ્રજાને છેતરનારી ઇન્ડસ્ટ્રી જગતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને તેનો વિકાસદર પણ સૌથી વધુ છે. તમને દેશપ્રેમના અને ધર્મના નશામાં રાખવા માટે માથાદીઠ તમારી પાછળ એ લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરે છે અને કેટલાક કેસમાં તો તમારી આવક કરતાં એ લોકો તમારી પાછળ વધુ પૈસા ખર્ચે છે. એ તેમનું રોકાણ છે. પ્રજાને નશામાં રાખીને ચાર ભાગીદારો સાથે મળીને પ્રજાને અર્થાત્ દેશને લૂંટે છે. એમાં વળી પાછળના ત્રણ ભાગીદારો પહેલા ભાગીદાર માટે કામ કરે છે.

અતિની કોઈ ગતિ નથી હોતી એવી આપણે ત્યાં કહેવત છે. છેતરપિંડી અને લૂંટ અખિલ ભારતીય છે એટલે તેની સામેની પ્રતિક્રિયા પણ અખિલ ભારતીય હશે. વિકૃતિ જ્યારે તેની ચરમસીમાએ પહોંચે ત્યારે વિધ્વંસ થતા હોય છે. એ કહેવું મુશ્કેલ છે કે હવે પછી થનારું અખિલ ભારતીય આંદોલન પરિવર્તન માટેનું પ્રતિક્રિયારૂપ આંદોલન હશે કે પ્રતિશોધવાળું હિંસક હશે! બીજી શક્યતા વધારે નજરે પડે છે. પણ એટલું નક્કી છે કે એ યુવાનોનું આંદોલન હશે, કારણ કે તેમનું ભવિષ્ય લૂંટાઈ રહ્યું છે.

માટે માણસ બનીને સંવેદના વિકસાવો અને ખેડૂતોની પીડાને સમજવાની કોશિશ કરો. એમાં કેટલા પ્રદેશના ખેડૂતો જોડાયા છે એ પ્રશ્ન નિરર્થક છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ડિસેમ્બર 2020

Loading

13 December 2020 admin
← ‘મારી ખીર શરૂ કરાવી દે’
આંદોલન, શાસન અને પ્રજાજન →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved