Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં કોરોનાનું ટેસ્ટિંગ : આંકડાની માયાજાળ

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|18 May 2020

ભારત સરકારે 9મી મેના રોજ કોવિડ-19 માટે ટેસ્ટિંગની નવી માર્ગદર્શિકા જાહેર કરી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (ICMR) તરફથી ‘રિવાઇઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પૉલિસી’ની જાહેરાત કરીને કોવિડ-19ની સારવારમાં અનેક મોટા ફેરફારો લાગુ કર્યા છે. ટેસ્ટ અંગેની આ નવી માર્ગદર્શિકા શું છે, તે સૌથી પહેલાં આપણે જાણીએ

નવી માર્ગદર્શિકા

અત્યાર સુધી કોરોના-સંક્રમિત દરદીઓને ઓછામાં ઓછા બે વાર, 24 કલાકના સમયાંતરે રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવતી હતી. પરંતુ નવી માર્ગદર્શિકા મુજબ કોરોનાનાં લક્ષણો ન ધરાવતા કે નજીવાં લક્ષણો ધરાવતા દરદીને દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ના હોય, શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના હોય કે કોઇ સપોર્ટ વગર ઑક્સિજન લઈ શકે તેવી સામાન્ય સ્થિતિ જણાય તો તેવા દરદીને પણ દસ દિવસ પછી, RT- PCRનો ટેસ્ટ કર્યા વગર જ રજા આપવામાં આવશે. માત્ર એચ.આઇ.વી. પૉઝિટિવ, ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તેવા દરદી કે કૅન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા દરદીને જ RT-PCRનો ટેસ્ટ કરીને રજા આપવામાં આવશે.

નવી માર્ગદર્શિકાનાં જોખમો

ખુદ ICMRએ સ્વીકાર્યું છે કે ભારતમાં 80 ટકા કોરોના દરદીઓ લક્ષણો વિનાના છે. એવા સમયમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે દરદીઓની ઓળખ અનિવાર્ય છે. જો આપણે સંક્રમિત વ્યક્તિની ઓળખ ન કરવાના હોઈએ, ટેસ્ટ કર્યા વગર જ ઉપરની શરતોનું પાલન કરીને દરદીને હૉસ્પિટલમાંથી રજા આપવાના હોઈએ, તો કોરોનાનો ફેલાવો આપણે કેવી રીતે રોકી શકીશું? ટેસ્ટ વગર જ કોરોનામુક્ત જાહેર કરાયેલી વ્યક્તિ સાઇલેન્ટ કૅરિયર (છૂપી વાહક) બનીને અનેક લોકોને સંક્રમિત કરી શકે છે. દેશના નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ભારતમાં જૂન સુધીમાં સ્થિતિ ઓર ભયજનક બની શકે છે. એવા સમયે સંક્રમિત વ્યક્તિઓની ઓળખ કરવા ટેસ્ટિંગ સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. ત્યારે નવી માર્ગદર્શિકા અતાર્કિક, તબીબી નૈતિકતાની વિરોધી અને લોકોનાં જીવનને જોખમમાં મૂકનારી સાબિત નહીં થાય?

વિશ્વથી વિપરીત ભારતની ગતિ:

કોરોના વાઇરસના ઉદ્દભવસ્થાન તરીકે ચીનના વુહાન શહેરને ગણવામાં આવે છે. ત્યાં ત્રીજી એપ્રિલ સુધી એક પણ નવો કેસ આવ્યો નહોતો. ચીનનું આ શહેરમાં સતત 11 અઠવાડિયા સુધી લૉક ડાઉનમાં હતું. 8મી એપ્રિલે આ લૉક ડાઉન ઉઠાવવામાં આવ્યું. ત્યાર પછી ચીનમાં છ નવા કેસ નોંધાયા છે. એટલે પછીના દસ દિવસમાં ચીનના તંત્રે વુહાન શહેરની ૧.૧ કરોડની વસતિનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. તેમાં પણ ઉંમરલાયક વ્યક્તિઓ અને ગીચ વસતિ ધરાવતા વિસ્તારોને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી. અલબત્ત, ચીનથી આવતી માહિતીની વિશ્વસનીયતાના પ્રશ્નો હંમેશાં હોય છે. એટલે, થોડી વાત બીજા દેશોની કરીએ.

ભારતથી નજીક આવેલો નાનકડો દેશ સિંગાપુર 1 જૂન સુધી લૉક ડાઉન હેઠળ છે. સિંગાપુરના આરોગ્યમંત્રી કોરોનાનો ફેલાવો અટકાવવા માટે 3,23,000 સ્થળાંતરિત મજૂરોનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો. બ્રિટન, ફ્રાન્સ અને સ્પેનમાં કોરોનાસંક્રમિત દરદીઓની સંખ્યા અને તેમનાં મૃત્યુની સંખ્યા ઘણી વધુ છે. સ્પેનમાં નવમી મે સુધીમાં 2,72,646 જેટલા સંક્રમિત દરદીઓ નોંધાયા હતા, જેમાંથી 27,321 દરદીઓ મૃત્યુ પામ્યાં. સ્પેનમાં મૃત્યુનો આટલો ઊંચો દર હોવા છતાં ત્યાં કોરોનાનો ફેલાવો નિયંત્રણ તરફ આગળ વધી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ મોટા પ્રમાણમાં કરાયેલું ટેસ્ટિંગ છે. સ્પેને દર દસ લાખ લોકોએ 52,781 ટેસ્ટ કર્યા છે. દુનિયામાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનાર દેશ પોર્ટુગલ છે. તેની વસતિ 1.02 કરોડ છે. પોર્ટુગલમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા 5,66,000 છે. એટલે કે આ નાનકડા દેશે પોતાની દસ લાખની વસતિએ કુલ 55,500 જેટલા ટેસ્ટ કર્યા છે. પેરુ ભારતથી 206મા ભાગનો દેશ છે. તેની ટેસ્ટિંગની સંખ્યા દર દસ લાખે 16,413 છે. દર દસ લાખની વસતિએ કતારે 48,290 ટેસ્ટ, તુર્કીએ 17,477 ટેસ્ટ, તો ચિલીએ 16,091 ટેસ્ટ કર્યા છે ત્યારે વિશ્વની મહાસત્તા બનવાની સ્પર્ધામાં સૌથી આગળ હોવાનો અને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્યાંક રાખવાનો દાવો કરનાર ભારતમાં દર દસ લાખ લોકોએ 1,411નું ટેસ્ટિંગ કરાયું છે. (સ્રોત www.statists.com)

ભારતમાં કોરોનાનો પ્રથમ પૉઝિટિવ કેસ ૩૦મી જાન્યુઆરીએ કેરળમાં નોંધાયો હતો, જ્યારે દક્ષિણ કોરિયામાં પ્રથમ કેસ 20મી જાન્યુઆરીએ નોંધાયો હતો. 13મી માર્ચ સુધી આપણે દર દસ લાખ લોકોએ માત્ર પાંચ (બરાબર પાંચ જ) ટેસ્ટ કર્યા હતા. આમ 13મી માર્ચ સુધી આપણા દેશમાં માત્ર 6,000 ટેસ્ટ થયા હતા, જ્યારે એ જ સમયે દક્ષિણ કોરિયામાં દર દસ લાખ લોકોએ 4,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. (સ્રોત: Scroll, 18/03/20)

અમેરિકામાં કોરોના વાઇરસનો ભય ખૂબ જ વધારે છે. સંક્રમિત દરદીઓની સંખ્યા અને તેમના મૃત્યુમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. હંમેશાં અમેરિકાના માર્ગે ચાલવાનું પસંદ કરનાર ભારતે એ વાત નોંધવી જોઈએ કે વ્હાઇટ હાઉસના અહેવાલો અનુસાર અમેરિકામાં રોજના ૩ લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. (સ્રોત: The Guardian, 12/05/20) જો કે વ્હાઇટ હાઉસ દ્વારા થતા પ્રેસ બ્રિફિંગ ઉપર ખુદ અમેરિકાનાં માધ્યમોને કે નાગરિકોનો ભરોસો નથી. ટ્રમ્પ તંત્ર દ્વારા ‘સૅન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ને ગણતરીની પદ્ધતિ બદલીને કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ઓછી બતાવવા દબાણ કરાઈ રહ્યું છે. અમેરિકાની સૌથી વિશ્વસનીય વ્યક્તિઓમાંના એક અને કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્ય એવા એન્થની ફૉસીએ પણ આ વાત સૅનેટ કમિટી આગળ ખુલ્લી પાડી છે. અલબત્ત, ભારત ટેસ્ટિંગની બાબતમાં અમેરિકાને અનુસરે કે ના અનુસરે, પણ આંકડા છુપાવવાની બાબતમાં અમેરિકાના તંત્રને અનુસરતું હોય તેવું લાગી રહ્યું છે.

WHOએ છેક માર્ચના મધ્યમાં જ કહ્યું હતું કે કોરોનાને ફેલાતો અટકાવવા માટે ટેસ્ટ, ટેસ્ટ અને માત્ર ટેસ્ટ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ (હકીકતમાં શબ્દો હોવો જોઈએ ‘ફિઝિકલ  ડિસ્ટન્સિંગ’) અને પરિવહન પર પ્રતિબંધ એક માત્ર ઉકેલ હોઈ શકે નહીં. કારણ કે કોરોનાનાં લક્ષણો વિનાના દરદીઓ કોરોનાનો ફેલાવો ઝડપથી કરવા માટે જવાબદાર બની શકે છે.

આમ, સમગ્ર દુનિયા કોરોનાને અટકાવવા માટે, સંક્રમિત દરદીઓને ઓળખવા મોડે મોડેથી પણ ટેસ્ટિંગને મહત્ત્વ આપી રહી છે, એવા સમયે ભારતમાં ટેસ્ટિંગને અવગણવાની વાત જોખમરૂપ સાબિત થઈ શકે છે.

ટેસ્ટિંગ ન કરવા પાછળનું કારણ શું હોઈ શકે?

આમ તો ટેસ્ટિંગ ન કરવા પાછળ કોઈ પણ પ્રકારના વાજબી કારણનું અસ્તિત્વ હોય તેવું લાગતું નથી. પરંતુ શરૂઆતથી જ આંકડા અને કોરોનાને લગતી સરકારના વિવિધ વિભાગો દ્વારા અપાયેલી માહિતીમાં ગરબડો જોવા મળી છે. નવી માર્ગદર્શિકા પછી હૉસ્પિટલમાંથી રજા મેળવનાર દરદીઓની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. તેના પરિણામે દેશમાં અને રાજ્યમાં રોજેરોજ કોરોના-સંક્રમિત દરદીઓના કેસ વધતા હોવા છતાં, દરદીઓના સાજા થવાનું પ્રમાણ અચાનક વધી ગયેલું જણાય છે. આમ, નવી માર્ગદર્શિકા આવતાં પહેલાંના એક અઠવાડિયામાં દેશનો રિકવરી રેટ જે 26.59 ટકા હતો, તે આ નવી માર્ગદર્શિકા અમલમાં આવતાની સાથે જ 31.14 ટકા થઈ ગયો છે. આમ, આપણે સારવારની નીતિ બદલીને આંકડાકીય રીતે વિશ્વમાં આપણી છબી પણ ઉન્નત કરી દીધી અને લોકોને સાચુંખોટું એક આશ્વાસન પણ આપી દીધું કે વધુ ને વધુ દરદીઓ સાજા થઈ રહ્યા છે.

ગુજરાત એક 'મૉડેલ સ્ટેટ’ હોવાથી આપણે તો હંમેશાં આ પ્રકારની માર્ગદર્શિકાઓના અમલમાં અતિ ઉતાવળા હોઈએ છીએ. રાજ્યમાં રોજેરોજ કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં પણ  ટેસ્ટિંગનું પ્રમાણ સતત ઘટાડાઈ રહ્યું છે. આપણા રાજ્યમાં 3 મેના રોજ,  374 પૉઝિટિવ કેસ નોંધાયા હતા, તેની સામે 5,944 ટેસ્ટ થયા હતા. 10 દિવસ બાદ રાજ્યમાં 13મી તારીખે નોંધાયેલા પૉઝિટિવ કેસની સંખ્યા 364 છે, જ્યારે તેની સામે થયેલા ટેસ્ટની સંખ્યા માત્ર 2,760 છે. (સ્રોત: નવગુજરાત સમય, 14/05/20) આમ, રાજ્યમાં કે અમદાવાદ શહેરમાં કોરોના પૉઝિટિવ દરદીઓની સંખ્યા કે તેમનાં મૃત્યુનો આંકડો ઓછો નથી થયો. તેમ છતાં રાજ્યમાં આ નવી માર્ગદર્શિકાના આધારે રિકવરી રેટ વધી રહ્યો છે. એક સમયે જ્યાં દેશનો સૌથી ઓછો રિકવરી રેટ હતો, આજે એ જ રાજ્ય દેશના સરેરાશ રિકવરી રેટ કરતાં પણ આગળ છે. આજ રોજ રાજ્યમાં સાજા થનાર દરદીઓનું પ્રમાણ  38.4 ટકાએ પહોંચ્યું છે. આમ તંત્ર આંકડાઓની માયાજાળ રચીને લોકોને વાસ્તવિકતાથી દૂર રાખવાનું જોખમી પગલું ભરી રહ્યું છે.

લોકો લૉક ડાઉનમાં છે. પોતે કોઈપણ નીતિ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કરી શકે કે વિરોધ નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી. એવા સમયે આ પ્રકારનાં જોખમી પગલાં સરકાર પક્ષે અસંવેદનશીલતા દર્શાવે  છે. પોલીસની લાઠી, મજૂરોની હાલાકી, અબજો રૂપિયાનાં આર્થિક પૅકેજ, તેમ છતાં તંત્રના તમામ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ એ હકીકત છે. તેનાથી કોરોના અટકશે નહીં. કોરોનાને અટકાવવાનો એકમાત્ર ઉપાય વધુ ને વધુ ટેસ્ટિંગ છે. આંકડાઓ સાથે રમત રમીને કદાચ આપણે દુનિયામાં દેશની છબી આંકડાકીય રીતે ઉજ્જવળ કરી શકીશું. પરંતુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી જોખમી નીવડે એવી છે.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020

Loading

18 May 2020 admin
← પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર
મુશ્કેલ સમયમાં (15) →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved