આપણા દેશે લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા પસંદ કરે ૬૬ વર્ષ થઇ ગયાં. આ સમય ગાળો કોઇપણ દેશની રાજ્યવ્યવસ્થાનાં મૂલ્યાંકન માટે પૂરતો ગણાય. પ્રજાસત્તાકનો સામાન્ય અર્થ એ થાય છે કે આ દેશનું રાજ્યસંચાલન પ્રજા તેમના પ્રતિનિધિઓને ચૂંટણી દ્વારા પસંદ કરીને કરે છે. પ્રજા પોતાના સાર્વભૌમ હકનું હસ્તાંતર પોતાના પ્રતિનિધિને ચૂંટીને કરે છે. કયા હિત માટે પ્રજા કે નાગરિકો મતદાર તરીકે પોતાની પવિત્ર ને મહામૂલ્ય નાગરિક સત્તાનું હસ્તાંતર કરે છે?
માનવજાતના ઇતિહાસમાં લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાનો ક્રમશ; જે વિકાસ થયો છે તે રાજાશાહી, ધર્મશાહી, સામંતશાહી ને લશ્કરશાહી રાજ્યવ્યવસ્થાઓના અનુભવો અને પરિણામો ભોગવીને થયો છે. બધી જ વ્યવસ્થાઓ માનવ સર્જીત હતી અને માનવ હિત માટે અસ્તિત્વમાં આવેલી હતી. સમય જતાં આ બધી રાજ્ય વ્યવસ્થાઓમાં તેનો સર્જનહાર જે માનવી હતો તેને બાજુ પર મૂકીને કાં તો રાજા,પોપ, પુરોહિત, મૌલવી, જમીનદાર કે લશ્કરી સેનાપતિ પ્રજાના ખભા પર બેસી ગયો અને પ્રજાને બદલે તેના પોતાના હિતો માટે પ્રજાનું જ સર્વ પ્રકારનું શોષણ કરવા માંડ્યો. સાથે તે બધા લોકો પ્રજાને એવી પ્રતીતિ કરાવવામાં સફળ થયા કે તેમના દ્રારા સંચાલિત રાજ્ય વ્યવસ્થા બહુજન સમાજના હિતાર્થે જ છે. આ ઉપરાંત પોતાની યેનકેન પ્રકારે મેળવેલી રાજ્યસત્તા સામે પ્રજા બળવો ન કરે માટે તમામ પ્રકારના લશ્કરી, હિંસક અને અન્ય પ્રકારના સાધનોનો બેફામ ઉપયોગ સદીઓ સુધી કર્યા કર્યો છે. પ્રજાને પોતાની એડી નીચે સર્વ પ્રકારે દબાવેલી રાખી હતી. હજુ કેટલાક દેશોમાં આ બધા સ્થાપિત હિતોની સત્તાઓ બે-રોકટોક ચાલુ છે. જ્યાં નથી ત્યાં લાવવા માટે સીધા કે આડકતારા પ્રયત્નો આધુનિક સાધનોનો જેવા કે ઇન્ટેરનેટ, ટીવી, ફેસબુક, ટ્વીટર અને અન્ય પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને મોટા પાયે લાવવા કોશિષ કરવામાં આવે છે.
અઢારમી સદીના છેલ્લા દસકાઓમાં થયેલ ફ્રાંસની ક્રાંતિ સાથે માનવ કેન્દ્રિત રાજ્યવ્યવસ્થાઓના પ્રયોગો શરૂ થયા. રાજ્ય વ્યવસ્થાનું સંચાલન ભગવાન કે તેના પૃથ્વી પરના પ્રતિનિધિઓ માટે નહીં, રાજા માટે નહીં, કોઇ લશ્કરી સેનાપતિ કે જમીનદારનાં હિતો માટે નહીં, પણ જીવતા જાગતા સદેહે બે પગથી ચાલતા ફરતા માણસનાં સુખ, કલ્યાણ માટે રાજ્યવ્યવસ્થા કેવી હોઇ શકે તેના પ્રયોગો જ નહીં, પણ મોટા પાયે અમલ શરૂ થયા. લોક માટેની આ રાજ્યવ્યવસ્થા હોવાથી તે લોકશાહી રાજ્યવ્યવસ્થા તરીકે ઓળખાઇ ને વિકાસ પામી. આધુનિક રાજ્યનો વિસ્તાર પ્રાચીન ગ્રીક નગર રાજ્યો (સીટી સ્ટેટસ) કરતાં અનેક ગણો મોટો બની ગયો છે. આધુનિક રાજ્યની લોકહિતાર્થે કરવાના કામોની યાદી ખૂબ મોટી બની ગઈ છે. તેમ જ આધુનિક રાજ્યની વસ્તી સેંકડો કે હજારોને બદલે લાખ્ખો નહીં પણ કરોડોની સંખ્યામાં થઈ ગઈ છે. લોકોનું સીધું રાજ્યસંચાલન કે સીધી લોકભાગીદારી રાજ્યપ્રથા ને બદલે લોકપ્રતિનિધિવાળી પરોક્ષસ્વરૂપની પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાઓ વિકસી. નાગરિક તરીકેની લોકોની સાર્વભૌમ સત્તા જે રાજાશાહી, સામંતશાહી કે ધર્મશાહી સામે બળવો કરી મહામહેનતે મેળવેલી તેને પ્રતિનિધિ સ્વરૂપની ચૂંટણી અને મતદાન પ્રથામાં પરોક્ષ રીતે પોતાના પ્રતિનિધોઓમાં પરિર્વતન થઈ ગઈ. પ્રજાસત્તાકના સાર્વભૌમ સિદ્ધાંતનું હસ્તાંતર પરોક્ષ પ્રતિનિધિવાળી રાજ્યવ્યવસ્થામાં થઇ ગયું.
આધુનિક રાજ્યમાં લોકોની સંખ્યા કરોડોમાં થયેલ હોવાથી રાજ્ય સંચાલન માટે લોકપ્રતિનિધિત્વનો દાવો કરનારા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા. લોકોએ નાગરિક હિતાર્થે જે રાજ્યસત્તા મેળવી હતી તે પરોક્ષરીતે સાવકાઇથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓમાં રૂપાંતર થઈ ગઈ. સમાંયતરે લોકોના મતથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પક્ષપ્રતિનિધિઓ બની ગયા છે. તેમનાં મુખ્ય કામો લોક હિતાર્થે ને બદલે પક્ષ હિતાર્થે બની ગયા. પેલા લોકશાહીના હિતેચ્છુ અબ્રેહામ લીંકને જે લોકશાહીની વ્યાખ્યા કરી હતી કે “લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા ને લોકોના મત વડે સત્તામાં આવે તે લોકશાહી”. હવે લોકશાહી એટલે પક્ષશાહી જે પક્ષ માટે, પક્ષ દ્વારા અને ચૂંટણીમાં ચૂંટણી લડતા બધા ઉમેદવારોમાંથી સૌથી વધારે મત મેળવનાર પક્ષીય ઉમેદવારના સરવાળાથી મેળવેલ પક્ષીય બહુમતીની રાજ્ય સત્તા. લોકશાહીમાં લોકોની સત્તા સર્વોપરી કહેવાય પણ લોકોએ પોતાનો મત, રાજકીય પક્ષોએ પસંદ કરેલા પોતાના ઉમેદવારોમાંથી ગમે તે એકને જ આપવાનો હોય છે. પક્ષશાહીમાં નાગરિકોને મત આપવાનો અધિકાર છે, પણ રાજકીય પક્ષોએ પસંદ કરેલા ઉમેદવારોમાંથી જ. આ ઉમેદવારોની પસંદગી જે તે રાજકીય પક્ષોએ કરેલી હોય છે. નાગરિકોએ નહીં.
મને અને તમને સૌને ખબર છે કે આ બધા પક્ષીય ઉમેદવારોને રાજકીય પક્ષો તેમની કઈ કઈ લાયકાતોને આધારે પોતાના પક્ષીય ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહેવાય કે સામન્ય નાગરિકના બધા હિતો બાજુપર મૂકીને પોતાના ઉમેદવારને, જ્ઞાતિ, ધર્મ, પૈસા, બાહુબળ અને પક્ષીય વફાદારી જેવી લાયકાતોને આધારે પસંદ કરવામાં આવે છે. જે રાજકીય પક્ષ અને તેના નેતાઓ નાગરિકોને ઠાલાં વચનો આપીને, આકાશના તારા હાથની હથેળીમાં બતાવી શકે તે પક્ષ રાજકીય સત્તા મેળવી શકે! દર પાંચ વર્ષે આવતી ચૂંટણીઓમાં દરેક રાજકીય પક્ષ અને તેના નેતાએ મળેલી સત્તા ટકાવી રાખવા વધુ ને વધુ બહેકાવનારા અને લોકરંજન વચનોની લ્હાણી કર્યા સિવાય બીજો કોઈ તેમનો છૂટકો નથી. આવી રીતે મહામૂલી જે નાગરિક સત્તા મેળવી હતી તે રાજકીય પક્ષોના સ્થાપિત હિતોને ગિરવે મુકાઈ ગઈ છે.
આપણા ૬૭મા પ્રજાસત્તાક દિવસે આપણી સમક્ષ ગંભીર પડકાર ઊભો થયો છે કે કેવી રીતે દેશ ને દુનિયાની લોકશાહી રાજયપ્રથાઓને રાજકીય પક્ષશાહી પ્રથાની પકડોમાંથી છોડાવીને નાગરિક હાથોમાં સલામત રીતે પાછી મૂકવી! આપણે એવી વિચારસરણી વિકસાવી પડશે કે જેના મુખ્ય કેન્દ્રમાં કોઈ ધર્મ, પક્ષ, પ્રદેશ કે રાષ્ટ્ર ને બદલે માનવી હોય! માનવી માટે પક્ષ, ધર્મ કે દેશ હોય. પણ માનવીને કોઈ રાજકીય પક્ષો, ધર્મો કે કલ્પિત રાષ્ટ્રીય સામૂહિક હિતોના ઝનૂન માટે બલી બનવાનો ન હોય! કોઇ પણ સામૂહિક એકમો સમાજ, કુટુંબ, જ્ઞાતિ, ટોળું, રાજકીય પક્ષો, પ્રદેશ કે દેશ વગેરે સુખ કે દુ:ખ અનુભવી શકતા નથી, વિચારી શકતા નથી. આ બધા સામૂહિક એકમો અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે નક્કી કરતા આવ્યા છે કે માનવી માટે સારું શું છે ખોટું શુ છે?
ઘણા સામૂહિક એકમો જેવા કે ધર્મો, તેમના સંપ્રદાયો, રાજકીય પક્ષો કે તે બધાનું સંચાલન કરતી મુઠ્ઠીભર ટોળકીઓ આજ દિન સુધી પોતાના સામૂહિક હિતો માટે વ્યક્તિગત નાગરિકોના વિચારો, સંશોધનો અને સત્યોનો બલી વધેરતા આવ્યા છે. આપણી પાસે સવૈજ્ઞાનિક સત્યોને આધારે પુરાવા છે કે માનવી કોઈ ઇશ્વર, અલ્લાહ કે ગોડનું બનાવેલું સર્જન નથી. માનવી પોતે તેની આસપાસ કુદરતી પરિબળોના સંચાલનના નિયમો સમજીને પોતાનું અસ્તિત્વ તેના જેવા અન્ય માનવીઓનો સહકાર મેળવીને ટકાવી રાખતો અને વિકાસ કરતો આવ્યો છે.
આપણે સૌ માટે નવેસરથી વિચારવાની જવાબદારી ઊભી થઈ ગઈ છે કે કેવી રીતે પેલી ફ્રાંસની માનવ ક્રાંતિએ આપેલાં મૂલ્યો : ’સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો(બંધુત્વ)’ને આધારે માનવકેન્દ્રી નવી રાજયવ્યવસ્થા પેદા કરવી જેમાં માનવીનો બલી કોઇ ધર્મ, રાજકીય પક્ષ કે રાષ્ટ્ર ન લેતું હોય! આપણને ૨૧મી સદીના જ્ઞાન આધારિત માનવીય વારસામાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ કે વર્તમાનમાં મોટા પાયે ઉપલબ્ધ હાથવગા સાધનોની સરખામણીમાં જ્યારે માનવી પાસે ઘણાં બધાં પ્રકારની મર્યાદાઓ હતી, તેમ છતાં તે બધા સંઘર્ષોમાંથી બહાર નીકળીને અહીં સુધી આવી શક્યો છે. તો આ રાજકીય પક્ષોની ચૂંગાલમાંથી પણ તે ચોક્કસ બહાર નીકળી શકશે. દરેક માનવીય ક્રાંતિ પોતાની સમસ્યો પ્રમાણે ક્રાંતિનાં નવાં સાધનો અને માર્ગદર્શકો શોધી કાઢે છે. આવી માનવીય શક્તિઓમાં વિશ્વાસ રાખી, વર્તમાન પડકારનો રસ્તો શોધી કાઢવામાં જ આપણા સૌનું શ્રેય સમાયેલું છે.
e.mail : shroffbipin@gmail.com