આજે મિત્રોના અતિ આગ્રહવશ થઈ અમદાવાદની દર રવિવારે ભરાતી ગુજરીમાં જવાનું થયું. એક જમાનામાં ગુજરીની જે રોનક અને દબદબો હતો તે લુપ્ત થઈ ગયો હોય તેવું લાગ્યું. આઠ દસ વર્ષ પહેલાં જૂનાં પુસ્તકો અને સામયિકોના અસંખ્ય વિક્ર્રેતા આવતા હતા, તેમાંના મોટા ભાગનાએ સામયિકોના પ્રકાશન બંધ થવાથી વ્યવસાય છોડી દીધો હતો. ફક્ત ત્રણ વેપારીઓ જ બજારમાં હતા અને જૂનાં પુસ્તકો રાખતા હતા.
હું પુસ્તકોને ઉથલાવતો હતો ત્યાં અચાનક એક પુસ્તક હાથમાં આવ્યું. નામ હતું : ‘હિસ્ટરી ઑવ રેડિયો બ્રોડકાસ્ટિંગ ઇન ઇંડિયા’. પણ વિશેષ આશ્ચર્ય એ થયું કે તેના ઉપર અત્યંત મરોડદાર અક્ષરોમાં એક નામ હતું ‘દ્રિજેન મહેતા’. સ્મૃતિએ આળસ મરડી અને મને યાદ આવ્યું કે ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈ સ્કૂલમાં પણ દ્રિજેન મહેતા નામના એક શિક્ષક હતા. શુદ્ધ ભાષા, ઉચ્ચારો સ્પષ્ટ, શબ્દોના એક સરખા અરોહ-અવરોહ. એક કે બે વર્ષમાં દ્રિજેનભાઈએ શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી હતી અને આકાશવાણીના અમદાવાદ કેંદ્રમાં ઉદ્દઘોષક તરીકે જોડાયેલા. પુસ્તક પરના નામે મારામાં સંચાર કરી દીધો કે રેડિયો પ્રસારણ કઈ રીતે થતું હશે? એક સમય હતો કે જ્યારે રેડિયો દેશના કરોડો લોકોના દિલની ધડકન હતો!
આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી ફાટી નીકળેલા કોમી તોફાનોથી ગ્રસ્ત હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાં જવા માગતા હતા, પરંતુ કોઇ સંજોગોવસાત નિરાશ્રિતોની શિબિરની મુલાકાતે તેઓ જઇ ના શક્યા. તે પછી કોમી હુતાશની ઠારવા તેમણે રેડિયો દ્વારા તેમનો શાંતિ સંદેશ મોકલવા હા પાડી હતી, તા. ૧૨મી નવેમ્બર ૧૯૪૭ના રોજ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’એ ગાંધીજીનો પહેલો અને છેલ્લો લાઇવ મેસેજ બ્રોડકાસ્ટ કર્યો હતો.
ગાંધીજી એક જ વાર રેડિયો પર આવ્યા હતા અને તે દિવસની યાદમાં તા.૧૨મી નવેમ્બરને ‘પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટ ડે’ તરીકે ઊજવવામાં આવે છે. તે ‘જન પ્રસારણ દિન’ તરીકે પણ ઓળખાય છે. એ વખતે ગાંધીજી નહોતા તો વડા પ્રધાન કે નહોતા રાષ્ટ્રપતિ. પરંતુ તેઓ એક સામાન્ય નાગરિકની જેમ આકાશવાણીના સ્ટુડિયોમાં જઇ બોલ્યા હતા.
સમય જલદી બદલાઇ રહ્યો છે.
આઝાદી પછીનું ભારત હવે ૮૦ વર્ષની વયને વટાવી ગયું છે. વર્ષો પહેલાં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દેશની ધડકન હતો. રેડિયો જ મનોરંજન અને માહિતીના શ્રેષ્ઠ સ્રોત હતો. ક્રિકેટની કોમેન્ટ્રી પણ દેશના લાખો લોકો રેડિયો પર સાંભળી ઝૂમી ઉઠતા. વિજય મરચન્ટ એક જમાનાના શ્રેષ્ઠ રેડિયો કોમેન્ટટેટર હતા. પોલી ઉમરીગર, વિનુ માંકડ અને સલીમ દુર્રાની જેવા ક્રિકેટના ખેલાડીઓની દમદાર રમતની કોમેન્ટ્રી સાંભળી લોકો ભાવાવેશમાં આવી જતા.
રેડિયો પ્રસારણમાં એક નામ બહુ લોક્પ્રિય હતું. ભારતીય રેડિયો અને પત્રકારત્વના શિખર પુરુષ રહેલા જશદેવ સિંહે ૯ ઓલિમ્પિક, ૮ વર્લ્ડ કપ હોકી અને ૬ વિશ્વકપ એશિયન ગેમ્સમાં શ્રોતાઓને અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી કોમેન્ટ્રી આપી હતી. એમણે કુલ ૪૭ વખત દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડનો પણ આંખે દેખ્યો અહેવાલ આપ્યો હતો.
અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયો માટેનું રેડિયો સ્ટેશન લાવવાનો યશ સરદાર વલ્લભભાઇ પટેલને ફાળે જાય છે. એ વખતે અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલી કાપડની મિલો હતી. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. લગભગ એક લાખ મજૂરો આ મિલોમાં કામ કરતા હતા. આ સંદર્ભમાં આકાશવાણીના અમદાવાદ મથકેથી મજૂરભાઇઓ માટેનો એક કાર્યક્રમ પ્રસારિત થતો જેમાં શાણાભાઇ અને શકરાભાઇની જોડી લોકપ્રિય હતી. આ નામો હકીકતમાં કાલ્પનિક હતા, પરંતુ ચંદુભાઇ અને ચોખડિયા નામની બે વ્યક્તિઓ શાણાભાઇ અને શકરાભાઇના નામે રોજ લાઇવ કાર્યક્રમ આપતા.
૧૯૬૦ના દાયકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ના હોઇ, રેડિયો ચલાવવા એવરેડી કંપનીની વજનદાર બેટરી જોડવામાં આવતી હતી. શરૂઆતમાં વાલ્વ સિસ્ટમના રેડિયો હતા, પાછળથી ટ્રાન્ઝિસ્ટર્સ આવ્યા. એ જમાનામાં ફિલિપ્સ, મરફી અને નેશનલ ઇકો જેવી બ્રાન્ડના રેડિયો જાણીતા હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે રોજ સવારે કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીજીના અગાઉ રેકોર્ડ થયેલા પ્રવચનોમાંથી કેટલાક અંશ ગાંધીજીના જ અવાજમાં પ્રસારિત કરવામાં આવતા.
આકાશવાણી સાથે સંકળાયેલા જાણીતા નામોમાં ભાઇલાલભાઇ બારોટ એક જાણીતું નામ હતું. તે પછી વસુબહેન ભટ્ટ વર્ષો સુધી આકાશવાણીના વડાં રહ્યાં. એ જમાનામાં લેમ્યુઅલ હેરી નામના ઉદ્દઘોષક તેમના ઘેરા અવાજમાં ગુજરાતીમાં સમાચાર વાંચતા. તે પછી હસીના કાદરીનો અવાજ જાણીતો બન્યો હતો. મારી સાથે કામ કરી ચૂકેલા સૈફુદ્દીન કાદરીનાં એ મોટા બહેન. કવિ-સાહિત્યકાર તુષાર શુકલ પણ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના એક અભિન્ન હિસ્સો રહ્યા હતા. આ બધા જ ઉદ્દઘોષકો દ્વિજેન ભાઈના સમકાલીન હતા.
એક સમયે એવી માન્યતા હતી કે રેડિયો સ્ટેશન પરથી ફિલ્મનાં ગીતોનું પ્રસારણ થવું ના જોઇએ એ કારણે રેડિયો સિલોન ભારતમાં લોકપ્રિય થયો. છેક કોલંબોમાં આવેલું સિલોનનું રેડિયો મથક દર બુધવારે રાત્રે ૮ વાગે બિનાકા ગીતમાલા પ્રસારિત કરતું. અમીન સયાની એક આગવા અંદાજમાં આ કાર્યક્રમનું સંચાલન કરતા. અમીન સયાનીના અવાજ દેશભરમાં જાણીતો હતો. અમીન સયાનીનો પૂર્વજો મૂળ ગુજરાત-કચ્છના હતા. વર્ષો સુધી તેમના અવાજે હિંદુસ્તાનના કરોડો શ્રોતાઓના દિલ પર રાજ કર્યું.
રેડિયો સિલોનની લોકપ્રિયતા જોઇ ભારત સરકારે ઓલ ઇન્ડિયા રેડિયોની એક વધુ શાખા ‘વિવિધ ભારતી’ શરૂ કર્યું, જે રેડિયો સિલોનની લોકપ્રિયતાને પણ આંબી ગયું. આજે પણ રેડિયોની પ્રાઇવેટ એફ.એમ. ચેનલો કરતાં વિવિધ ભારતી સાંભળવું હૃદયગંમ લાગે છે.
એ સિવાય દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો પર જે એક નામ – અવાજ દેશભરમાં ગુંજતા રહ્યા. તેમાંનું એક નામ છે દેવકી નંદન પાંડે. એ વખતે મોટા ભાગે રેડિયો સમાચારની શરૂઆત આ વાકયથી થતી હતી : ‘નમસ્કાર, યે ઓલ ઇન્ડિયા રેડિયો’ હૈ. અબ આપ દેવકી નંદન પાંડે સે સમાચાર સુનિયે. દેવકી નંદન પાંડેને પણ ‘પદ્મ શ્રી’ સન્માન મળ્યું. પાંડેજી તેમના શુદ્ધ ઉચ્ચારણો માટે જાણીતા હતા. પ્રસંગ અનુસાર તેમના અવાજમાં આરોહ-અવરોહ જોવા મળતો. દા.ત. કોઇ શોકના સમાચાર વાંચતી વખતે તેઓ ઉદાસ અને ગંભીર સ્વરે સમાચાર રજૂ કરતા. આનંદના સમાચાર વાંચતી વખતે તેઓ શ્રોતાઓમાં જોશ ભરી દેતા. તેઓ અલ્મોડાના વતની હતા અને તેમના પહાડી અવાજ માટે જાણીતા હતા.
બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ફિલ્મ જગતમાં આવતાં પહેલાં એક્ટર સુનીલ દત્તે પણ રેડિયો સિલોન માટે પોતાની સેવાઓ આપી હતી અને કરોડો લોકો જે અવાજના દિવાના છે તે અમિતાભ બચ્ચનને તેના અવાજ માટે ઓલ ઈંડિયા રેડિયોએ પસંદ કર્યા ન હતા.
શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી એફ.એમ. વધુ સાંભળે છે. આ રેડિયોનો નવો અવતાર છે. અલબત્ત, શહેરના લોકો ભલે રેડિયોને ભૂલી ગયા હોય, પરંતુ દૂર દૂરનાં ગામડાંઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્વીપોમાં આજે પણ લોકો રેડિયોને સાંભળે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી – પુનર્જીવીત કર્યો છે.
એક સમયે રેડિયો આખાયે ભારત ઉપખંડનો આત્મા હતો. સુગમ સંગીત, સીતાર વાદન, સમાચારો, ગ્રામજનો માટેના કાર્યક્રમો, ભજનો દ્વારા રેડિયો ઘરઘરમાં ગુંજતો હતો. સાંજના ૭ વાગ્યાના સમાચારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ ગણાતો. એ જમાનામાં બધાના ઘરમાં રેડિયો નહોતો તેથી લોકો કોઇના ઘેર, કોઇ પાનબીડીની દુકાને કે ચાની હોટલે જઇ રેડિયો સાંભળતા.
અતીતમાં નજર નાંખીએ તો ૧૯૨૬માં બ્રિટિશ શાસન વખતે અવિભાજિત ભારતમાં રેડિયો પ્રસારણનો આરંભ થયો હતો. તે વખતે એક પ્રાઇવેટ કંપની ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ’ને બે રેડિયો સ્ટેશન સ્થાપવાની મંજૂરી મળી હતી, એક મુંબઇ અને બીજી કલકત્તામાં. પરંતુ આ કંપની ૧૯૩૦ સુધી જ ચાલી શકી. તા. ૮ જૂન ૧૯૩૬ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો. એ પછી વર્ષો સુધી રેડિયો ખરીદનારે લાઇસન્સ લેવું પડતું. હવે લાઇસન્સ લેવું પડતું નથી.
યાદ છે ને રોજ સવારે ઓલ ઇન્ડિયા રેડિયો શરૂ થાય તે પહેલાંનો સિગ્નેચર ટયૂન !
31 ઑગસ્ટ 2025
સૌજન્ય : રાજેશભાઈ ઘોઘારીની ફેઇસબૂક દીવાલેથી સાદર