400 પારના દાવાનું પરિણામ જલદી જ આર યા પાર થઇ જશે, ત્યારે ભા.જ.પા. માટે કયા રાજ્યોમાં પગદંડો જમાવવો અઘરો રહ્યો છે અને શા માટે તે જાણીએ
આવતીકાલે જે થવાનું છે તેની દરેકને કાગડોળે પ્રતીક્ષા છે. આટલી ઉત્સુકતા તો હવે કોઇ બીજા પરિણામો માટે કોઇને પણ નથી હોતી. ગઇ ચૂંટણીમાં ભા.જ.પા. ૩૦૩ બેઠકો પર જીતી અને એન.ડી.એ. સાથે ગણતરી કરીએ તો – 352 બેઠકો પર તેની જીત થઇ હતી. આ વખતે 400 પારનો દાવો સતત ગુંજ્યો છે. ભા.જ.પા.એ પોતાનું નિશાન 370 બેઠકો પર રાખ્યું છે તો એન.ડી.એ. સાથે 400 બેઠકો પર જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. એક આખા વર્ગનું માનવું છે કે 400 પાર ભા.જ.પા. માટે સરળ છે જ્યારે વિશ્લેષકો માને છે કે જે રાજ્યોના ગઢને ગઈ ચૂંટણીમાં ભા.જ.પા.ને જીતવો હતો પણ ધારી સફળતા ન મળી. એવી જ રીતે આ વખતે પણ કેટલાક રાજ્યોમાં ભા.જ.પા. માટે પોતાનો સિક્કો જમાવવો સહેલો નથી. જો કે આ વખતે ભા.જ.પા.એ જ્યાં પોતાની પહોંચ કે પ્રભાવ નથી ત્યાં છવાઇ જવા માટેના કોઇ પ્રયત્નો બાકી નથી રાખ્યા.
બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મહારાષ્ટ્ર લોકસભાના પરિણામોને ચોથી જૂને આવવાના છે અને આ ચારેયમાં ભા.જ.પા.એ પકડ જમાવવા માટે પાછા ફરીને નથી જોયું. બીજા બધા રાજ્યોને બેઠકોમાં ભા.જ.પા. કાં તો થોડી ઘણી પકડ ધરાવે છે અથવા તો ત્યાં પગદંડો જમાવી શકે એટલો પ્રભાવ ધરાવે છે અને ત્યાંના આંકડાથી આખરી પરિણામોમાં બહુ મોટું ગાબડું કે બહુ બધો ફાયદો થવાની શક્યતાઓ પાંખી છે. ખરી રસાકસી આ ચાર રાજ્યોમાં છે કારણ કે અહીંના પરિણામ કઇ બાજુ વળાંક લેશે તે ભા.જ.પા. માટે નિર્ણાયક સાબિત થાય એમ છે. જ્યારે ભા.જ.પા. કાઁગ્રેસ સાથે સીધે સીધી ઝીંક ઝીલે છે ત્યારે લડાઇમાં જીતવું મોટે ભાગે સહેલું રહે છે. જે રાજ્યોમાં ભા.જ.પા.એ ત્યાંના, જે-તે રાજ્યના પ્રાદેશિક પક્ષો સામે લડવાનું હોય છે ત્યાં ભા.જ.પા.ને એડી ચોડીનું જોર લગાડવું પડ્યું છે. આ વખતે પણ નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચાર કામગીરી દરમિયાન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં બધું જોર લગાડ્યું છે કારણ કે અહીંના પ્રાદેશિક પક્ષોના ગઢના કાંગરા ખેરવવા ભા.જ.પા. માટે સહેલું નથી. ઉત્તર પ્રદેશ સિવાય જોઇએ તો બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને દક્ષિણના અમુક રાજ્યોમાં ભા.જ.પા.એ પોતાનો સિક્કો જમાવવા પાછા ફરીને જોયું નથી.
સૌથી પહેલાં દક્ષિણી રાજ્યોની વાત કરીએ તો અહીંના પરિણામોને મામલે કોઇ નક્કર દાવો કરવો ભા.જ.પા. માટે અશક્ય છે. કેરળની જ વાત કરીએ તો હજી સુધી ભા.જ.પા.ને લોકસભાની ચૂંટણીમાં અહીંથી એક બેઠક જીતવી પણ અઘરી રહી છે. એલ.ડી.એફ. અને યુ.ડી.એફ. જ અહીં મુખ્ય પ્રવાહ તરીકે દેખાયા છે અને તેમાં પોતાનો રસ્તો કરવા માટે ભા.જ.પે. બધા પ્રયત્નો કર્યા હોવા છતા હજી સુધી ધાર્યું પરિણામ નથી મળ્યું. કેરળમાં ભા.જ.પા.નું ખાતું ખુલ્યું નથી. એક એવું રાજ્ય જ્યાં સાક્ષરતાનું પરિણામ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું વધારે છે ત્યાંનું રાજકારણ ભા.જ.પા.ને હજી સુધી નથી કળ્યું. સી.પી.એમ. અને કાઁગ્રેસ કેરળમાં બીજા કોઇની કારી ફાવવા નથી દેતા અને બધા વોટ આ બન્ને વચ્ચે વહેંચાઇ જાય છે અને ભા.જ.પા. હાથ ઘસતી રહી જાય છે. કેરળના હિન્દુ વોટ ભા.જ.પ.ને મળતા નથી અને લઘુમતી ઉપર કાઁગ્રેસનો પ્રભાવ છે. અહીંના હિન્દુ વોટ ડાબેરી પક્ષોને જતા હતા પણ વિધાનસભા ચૂંટણીઓમાં ભા.જ.પા.એ હિન્દુ વોટનો પ્રભાવ પોતાની તરફ વાળ્યો છે પણ શું સબરીમાલાને મુદ્દો ભા.જ.પ. તરફી વળેલા મતનો લાભ ભા.જ.પા.ને આ વખતે લોકસભાની ચૂંટણીમાં મળશે ખરો? કેરળના પાડોશી રાજ્ય તમિલનાડુમાં પ્રચાર કરવા નરેન્દ્ર મોદી દસથી વધારે વાર જઇ આવ્યા છે અને એ સાબિત કરે છે કે અહીં ખાતું ખૂલે એ માટે ભા.જ.પા. બેચેન છે. ભા.જ.પા.નું હિંદુત્વ તમિલનાડુમાં ચાલે એમ નથી કારણ કે અહીં ધર્મ નહીં પણ જાતિલક્ષી રાજકારણ ખેલાય છે. દક્ષિણી રાજ્યોને રિઝવવા માટે રામ મંદિરમાં પણ દક્ષિણનો ઘેરો પ્રભાવ રખાયો છે જેને વિશે આપણે અહીં પહેલાં પણ ચર્ચા કરી છે.
ઓડિશાના ચૂંટણા મેદાનમાં બીજુ જનતા દળ (બી.જે.ડી.) અને ભા.જ.પા.એ શિંગડા ભેરવ્યા છે. બી.જે.ડી. સાથે હાથ મેળવવામાં તો ભા.જ.પા. નિષ્ફળ રહી જ છે પણ મુખ્ય મંત્રી નવીન પટનાયકના વિકલ્પ તરીકે રજૂ કરવા માટે ભા.જ.પા. પાસે કોઇ ચહેરો નથી. ભા.જ.પા.એ ઓડિશામાં પોતાની પકડ જમાવવા માટે કાઁગ્રેસની વોટ બેંકને તોડી છે. કેન્દ્રમાં રહ્યે રહ્યે ભા.જ.પા.એ પટનાયક સરકાર સાથે સારાસારી નથી રાખી એ પણ એક અવરોધ તો છે જ પણ ગરજ પડી ત્યારે પટનાયક સરકારની વાહવાહી કરનાર ભા.જ.પા.ની આશાઓ પર ઓડિશા મહેરબાન થાય છે કે કેમ તેની કોઇ ગેરંટી નથી. બી.જે.ડી. રાષ્ટ્રીય મુદ્દાઓમાં મોદી સરકારને ટેકો આપે છે પણ ઘર આંગણે બીજુ પટનાયક સામે મોદી કાર્ડ કેટલું ચાલશે એ કોયડો ઉકેલવો અઘરો છે. પટનાયકની તરફેણમાં ઓડિશાના મહિલા વોટરો મોટી સંખ્યામાં છે. બીજી તરફ ઓડિશામાં કાઁગ્રેસની કોઇ ગણતરી નથી અને ભા.જ.પા. પટનાયકની લોકપ્રિયતામાં ગાબડું પાડીને પોતાનો સિક્કો નહીં જમાવી શકે એ સ્વાભાવિક છે. આવામાં મુત્સદ્દી વલણથી પોતાની છાપ સારી રાખે તો કમ સે કમ ભા.જ.પા. ગણતરીમાં લેવાય એટલો ફાયદો કદાચ થાય એમ છે. ટૂંકમાં પટનાયક સરકારની લીટી ટૂંકી કરવાની દાનતથી ભા.જ.પા.ને ફાયદો થવાનો નથી.
પશ્ચિમ બંગાળ અને બિહારની 82 બેઠકો પરનો જંગ સૌથી રોચક રહ્યો હશે એમ કહી શકાય. આ રાજ્યોમાં છેલ્લા પાંચ વર્ષમા ઇ.ડી. અને સી.બી.આઇ. જેવી તપાસ એજન્સીઓ ફરી વળી છે. મમતા બેનર્જીની સરકાર માટે છેલ્લાં પાંચ વર્ષ અઘરાં રહ્યાં છે કારણ કે તૃણમૂલના ધારાસભ્યો, નેતાઓ અને ડઝન જેટલા નેતાઓ ભ્રષ્ટાચારીના લેબલ સાથે જેલભેગા કરાયા છે. સંદેશાખલીનો જાતીય સતામણીનો મામલો પણ મતતા બેનર્જીના પડકારોમાં વધારો કરનારો સાબિત થયો છે. મોદીએ પોતાની રેલીઓમાં આ બધા મુદ્દાઓને ભારે ચગાવ્યા છે. અહીં મોદી સામે ઝીંક ઝીલવા માટે કાઁગ્રેસ અને ડાબેરી પક્ષો પણ એક નથી થઇ શક્યા. મમતા બેનર્જી માથાભારે છે અને તેમની પશ્ચિમ બંગાળ પરની પકડને જરા ય હળવાશથી લેવાય એમ નથી છતાં પણ ભા.જ.પા.ની આ વખતની ઝૂંબેશમાં કોઇ કસર છોડવામાં નથી આવી. ભા.જ.પા.એ અહીં ખાતું ખૂલે એ માટે બનતા બધા પ્રયત્નો કર્યા છે અને મોદીએ તો એવો વિશ્વાસ જતાવ્યો છે કે ભા.જ.પા.ને અહીં સૌથી વધુ ફાયદો થાય તેમ છે. જો કે 2021ની વિધાનસભાની ચૂંટણી પછી સત્તા પર ફરી ગોઠવાયેલા દીદીને ભા.જ.પા. ટસથી મસ નથી કરી શકી.
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને એન.સી.પી.નું વિભાજન થતા રાજકીય સમીકરણો બલાઇ ગયા છે. અને ભા.જ.પા.ને આ બન્ને પક્ષોમાંથી જે બળૂકાં જૂથ છે તેનું જ સમર્થન મળ્યું છે પણ મહારાષ્ટ્રની અસ્પષ્ટતા પેચીદી છે. વળી ઉત્તર પ્રદેશમાં 30 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સાથે એન.ડી.એ.ની લડત કસદાર રહેવાની છે.
જોવાનું એ છે કે ભા.જ.પા.એ આ બધા રાજ્યોમાં ગોઠવાઇ જવા માટે કોઇ કસર નથી છોડી પણ ભા.જ.પ. કાશ્મીરમાં ચૂંટણી નથી લડતો. 370ની કલમની મોટાભાગની જોગવાઇઓને 2019માં રદ્દ કરવામાં આવ્યા પછી ઘાટીમાં પહેલી ચૂંટણી છે. ભા.જ.પા.ના ‘નયા કાશ્મીર’ના નેરેટિવથી ત્યાંના લોકો બહુ પ્રભાવિત હોય એમ લાગતું નથી. ભા.જ.પા. ઘાટીમાંની ત્રણ બેઠકમાંથી એકેય પરથી ચૂંટણી નથી લડી રહી. લદ્દાખને પણ ભા.જ.પા. છંછેડતી નથી તો મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાંમાં પણ ભા.જ.પા.નો પોતાનો એકેય ઉમેદવાર નથી. જ્યાં સવાલોના જવાબ આપવા પડે ત્યાં કશું વતાવવું નહીં અને સમર્થક બની રહેવું એ ભા.જ.પા.નો અભિગમ રહ્યો છે.
આત્મવિશ્વાસ અને હુંકાર દેખાડવો એક વાત છે પણ સિફતથી સંવેદનશીલ રાજ્યોથી દૂર રહેવું, પ્રાદેશિક રાજકારણમાં રસ્તો બનાવવા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવામાં ક્યાંક ભા.જ.પા.ના મનમાં રહેલી અસલામતી અને અચોકસાઇ ડોકિયું કરી જાય છે.
બાય ધી વેઃ
કાઁગ્રેસે જ્યાં ધુસી શકાય ત્યાં ઘુસવાનો પ્રયત્ન કર્યો જ છે. ક્યાંક પ્રયાસો મરણિયા રહ્યા છે તો ક્યાંક સલુકાઇથી કરાયા છે પણ બધે કારી ફાવી નથી એ ચોક્કસ. ભા.જ.પા.ને મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાના બળે બહુમતી નહીં મળે એમ કાઁગ્રેસ દૃઢપણે માને છે. વળી એન.ડી.એ.માંથી ઘણાં સાથીઓ છૂટા પડી ગયા છે. ભા.જ.પા.નો સાથ છોડનારાઓ અંગે પક્ષનું કહેવું છે કે એની અસર ભા.જ.પા.ની પોતાની ગણતરી પર પડવાની નથી. પ્રાદેશિક પાર્ટીઓ સામે ટકવું ભા.જ.પા. માટે મુશ્કેલ છે એ તો પાર્ટી અંદરખાને સારી પેઠે જાણે જ છે પણ થપ્પડ મારીને ગાલ લાલ ન રાખે તો રાજકારણી શાના? ખેલનું પરિણામ જલદી જ આપણી સામે હશે અને મતદારો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે ત્યારે દરેકને સમજાશે કે દાવા કરવા રાજકારણીઓનું કામ છે પણ એને સાચા પાડવાની તાકાત મતદારોના હાથમાં જ છે. મંદિરના મુદ્દાએ ખડો કરેલો જુવાળ શમી ગયો છે, દર વખતે ચૂંટણીમાં એકનાં એક ભાવનાત્મક મુદ્દાઓનું સરખું વળતર નથી મળી શકતું, તેમ જ છ અઠવાડિયા ચાલેલો ચૂંટણી પ્રચાર, કાળઝાળ ગરમીમાં થયેલું મતદાન શાસક પક્ષને ફાયદો જ કરાવી જ આપશે એમ માની લેવાનું કોઇ કારણ નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2024