Opinion Magazine
Number of visits: 9446889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ અૉફિસે મેહુલ ચોક્સનીને અૉલ ક્લિયરન્સનું પોલીસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોજદારી ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2018

ગયા જૂન મહિનામાં નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જે માણસનો પાસપોર્ટ રદ્દ કરી નાખવામાં આવ્યો છે એ જગતમાં ફરે છે કઈ રીતે અને એ પણ ઇંગ્લેન્ડ જેવા દેશમાં જે જગતના પ્રગતિશીલ અને જવાબદાર દેશોમાંનો એક છે? એ પહેલાં તે હોંગકોંગ અને સિંગાપુરમાં જોવા મળ્યો હતો. આ બાજુ ભારત સરકારે ગયા ફેબ્રુઆરી મહિનામાં લોકસભામાં કહ્યું હતું કે નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે અને તેની જગત આખાને જાણ કરવામાં આવી છે, એટલે તે જ્યાં હશે ત્યાંથી આગળ પ્રવાસ નહીં કરી શકે. લોકસભામાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે ભારત સરકારે લૂક આઉટ નોટિસ બહાર પાડી રહી છે એટલે તે જો પ્રવાસ કરશે તો જગતના કોઈને કોઈ એરપોર્ટ પર પકડાઈ જશે.

તો પછી નીરવ મોદી લંડનમાં ગયો કેવી રીતે? બી.બી.સી.એ સમાચાર વહેતા કર્યા એટલે ભારત સરકારે અને આંગળિયાત મીડિયાએ તેની નોંધ લેવી જરૂરી બની ગઈ. ભારત સરકારે કમર કસીને બ્રિટિશ સરકારને જણાવ્યું કે ‘નીરવ મોદી અમારો આરોપી છે એટલે જો જો હોં નાસી ન જવો જોઈએ. અમે પ્રત્યાર્પણ માટેની તૈયારી કરી રહ્યા છીએ’. ભારત સરકારે કૃતનિશ્ચયતા બતાવી ત્યારે બ્રિટિશ સરકારે માત્ર બે વાત તરફ ભારત સરકારનું ધ્યાન દોર્યું હતું: એક તો એ કે જો નીરવ મોદી આરોપી છે, તો તેનો પાસપોર્ટ કેમ રદ્દ કરવામાં નથી આવ્યો? અમને તો એટલે કે બ્રિટિશ સરકારને તો પાસપોર્ટ રદ્દ કરાયો હોવાની કોઈ જાણકારી આપવામાં આવી નથી. નીરવ મોદી લંડનમાં ભારતીય પાસપોર્ટ પર આવ્યો છે. બીજું એ કે લૂક આઉટ નોટિસ ક્યાં? જો એ કાઢવામાં આવી હોય તો બ્રિટિશ સરકારના વિઝા ઈશ્યુ કરનાર ઓથોરિટીને અને એરપોર્ટ ઓથોરિટીને તેની જાણ કરવામાં નથી આવી. ઇન્ટરપોલે પણ લૂક આઉટ નોટિસ વિષે આ જ વાત કહી હતી.

પંજાબ નેશનલ બેન્કને ૧૩ હજાર કરોડમાં નવરાવનારા મામા-ભાણેજને નાસી જવા દેવામાં આવ્યા છે, એવો વહેમ પહેલેથી જ હતો જે હવે વધુ દ્રઢ થયો. આ બ્રિટન છે, કોઈ કેરેબિયન ટાપુ નથી, જ્યાં શાસકોના ખિસ્સા ભરીને રહી શકાય. બ્રિટને ઉઠાવેલા બન્ને મુદ્દાઓનો ભારત સરકારે કોઈ ખુલાસો કર્યો નથી. આ કોઈ નવી વાત નથી. બોફોર્સ કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક ઓક્તોવિયો ક્વોત્રોચીથી લઈને બીજા અનેક લોકોની બાબતમાં આવું બનતું આવ્યું છે. કોઈને છોડવામાં નહીં આવે એવી જાહેરાત કરવાની હોય, બાકી તો છોડવાના જ હોય. અન્નનો ઓડકાર આડો આવતો હોય છે.

આપણા મેહુલભાઈનો કેસ તો નીરવ કરતાં પણ રસપ્રદ છે. ૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે એન્ટિગા-બર્મુડા માટે મેહુલ ચોકસીને ઓલ ઓકેની પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ઈશ્યુ કર્યું હતું. એ વરસના મેં મહિનમાં મેહુલ ચોક્સીએ એન્ટિગાનું નાગરિકત્વ મેળવવા અરજી કરી હતી. ઓગસ્ટ મહિનામાં એન્ટિગાની સરકારે મેહુલ ચોકસીની અરજી માન્ય રાખી હતી અને નવેમ્બર મહિનામાં નાગરિકત્વ આપ્યું હતું. એ વરસની ચોથી જાન્યુઆરીએ મેહુલ ચોક્સીએ ઉચાળા ભર્યા હતા અને ૧૫મી જાન્યુઆરીએ એન્ટિગાના નાગરિક તરીકે મેહુલે સોગંદ લીધા હતા. મામા-ભાણેજ વિદેશમાં સુખરૂપ થાળે પડી ગયા, એ પછી ૨૯ જાન્યુઆરીના રોજ પંજાબ નેશનલ બેન્કે સી.બી.આઈ. જાણ કરી હતી કે અમારી સાથે તેર હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

હવે વિચારો ગુનામાં ભાગીદારી વિના આવું બને? તમે ગુનો કર્યો હોય તો તમને નસીબ આટલી હદે મદદ કરે? મા-બાપ બાળકને જે રીતે હોસ્ટેલમાં મૂકી આવે અને પછી પાડોશીને જાણ કરે કે અમારો બાબો તો હવે હોસ્ટેલમાં રહીને ભણે છે એ રીતે ભારતની પ્રજાને જણાવવામાં આવ્યું હતું કે મેહુલભાઈ અને તેમના ભત્રીજા હવે ભારતમાં નથી. તેઓ વિદેશમાં રહીને ધંધો કરે છે.

અહીં આટલા સવાલો ઉપસ્થિત થાય છે:

એક. મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકત્વ છોડ્યું એની ભારત સરકારને જાણ નહોતી? કે પછી બેવડું નાગરિકત્વ હતું? એની પણ ભારત સરકારને જાણ હોવી જ જોઈએ.

બે. બેંગલોરમાં જવેરાતનો ધંધો કરનારા હરિ પ્રસાદે છેક ૨૦૧૫માં નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે છેતરપિંડીનો પોલીસ કેસ કર્યો હતો. હરિ પ્રસાદે એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સી.બી.આઈ., સેબી, ભારત સરકારનું કોર્પોરેટ મંત્રાલય અને ખુદ વડા પ્રધાનને પત્ર લખીને જાણ કરી હતી કે મામા-ભાણેજનું પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ ચાલી રહ્યું છે અને વિજય માલ્યાની માફક વિદેશ ભાગી જવાના છે. વડા પ્રધાનના કાર્યાલયે ૨૬ જુલાઈ ૨૦૧૬ના રોજ હરિ પ્રસાદને પત્ર લખીને જાણ કરી હતી કે તમારો પત્ર મુંબઈ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ(આર.ઓ.સી.)ને મોકલી આપવામાં આવ્યો છે. એ પછી હરિ પ્રસાદે રજિસ્ટ્રાર સાથે પત્ર વ્યવહાર કર્યો હતો.

ત્રણ. ૨૦મી જુલાઈ ૨૦૧૬ના રોજ દિગ્વિજય સિંહ જાડેજા નામના મામા-ભાણેજ દ્વારા છેતરાયેલા માણસે ગુજરાતની વડી અદાલતમાં સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું કે બેંકો અને વેપારીઓ સાથે કૌભાંડ ચાલી રહ્યું છે. પ્લીઝ નોટ, વડી અદાલતમાં. કોઈ નીચલી અદાલત નહોતી.

ચાર. ૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે મેહુલ ચોક્સનીને અૉલ ક્લિયરન્સનું પોલીસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોજદારી ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા.

૪૨ ફોજદારી ગુનાઓ હોય, વડી અદાલતમાં સોગંદનામું રજૂ કરાયું હોય, વડા પ્રધાનના કાર્યાલયથી લઈને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સુધી ફરિયાદો કરવામાં આવી હોય, એ છતાં મુંબઈ પોલીસ અૉલ ઓકે સર્ટિફિકેટ ઈશ્યુ કરે? બી.જે.પી.ના નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે એ શક્ય જ નથી. તેમણે નાણા પ્રધાન પાસેથી ખુલાસો માંગ્યો છે.

તો સાહેબ આખી વ્યવસ્થા સડેલી છે. ક્રોની કેપિટાલિસ્ટો તેનો લાભ લઈ રહ્યા છે. હકીકતમાં શાસકો ક્રોની કેપિટાલિસ્ટોના ખિસ્સામાં છે, કારણ કે તેમને ચૂંટણી લડવા હજારો કરોડ રૂપિયાની જરૂર હોય છે જે ક્રોની કેપિટાલિસ્ટો પાસેથી મળે છે. ભારતમાં થતાં દરેક કૌભાંડનું ગોત્રજ એક જ છે : પ્રમાણિક ખુદ્દાર માણસ ચૂંટાઈને પ્રતિનિધિગૃહમાં ન પ્રવેશી શકે એવી મોંઘી ચૂંટણી, ભ્રષ્ટ વ્યવસ્થા અને જાણીબૂજીને રાખવામાં આવતું લકવાગ્રસ્ત ન્યાયતંત્ર કે જેથી વ્યવસ્થામાં સુધારાઓ ન કરવા પડે.

જો હજુ પણ ન સમજાતું હોય, તો બોલો, ભારત માતા કી જય.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉગસ્ટ 2018

Loading

7 August 2018 admin
← વૉટરફિલ્ટર
સુખન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved